પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આસામના કોકરાઝાર ખાતે બોડો શાંતિ સમજૂતી પર હસ્તાક્ષરની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા


પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, બોડો સમજૂતી આસામમાં નવી પરોઢનો ઉદય કરશે

પ્રધાનમંત્રીએ આ પ્રદેશ માટે વિકાસ પેકેજ જાહેર કર્યું

પૂર્વોત્તરની મહત્વાકાંક્ષાઓને સંતોષવા માટે નવો અભિગમ

प्रविष्टि तिथि: 07 FEB 2020 5:53PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 07-02-2020

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કરેલી ઉત્કટ અપીલમાં હિંસાના માર્ગે આગળ વધી રહેલા લોકોને શસ્ત્રો હેઠાં મૂકીને બોડો કેડર્સની જેમ મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનું સ્પષ્ટ જણાવી દીધું હતું.

 

પ્રધાનમંત્રીએ આજે આસામના કોકરાઝાર ખાતે બોડો સમજૂતી કરાર પર હસ્તાક્ષરની ઉજવણીમાં ભાગ લીધો હતો.

 

27 જાન્યુઆરી 2020ના રોજ આ ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર થયા પછી પૂર્વોત્તરના પ્રદેશમાં આ તેમની પ્રથમ મુલાકાત હતી.

 

તેમણે જણાવ્યું હતું કે, “પૂર્વોત્તરમાં, નક્સલી વિસ્તારોમાં અથવા જમ્મુ અને કાશ્મીરમાં જે લોકોને હજુ પણ શસ્ત્રો અને હિંસામાં વિશ્વાસ છે તેને હું વિનંતી કરું છુ કે, તેઓ બોડો યુવાનો પાસેથી શીખે અને પ્રેરણા મેળવીને મુખ્યપ્રવાહમાં આવે. તેઓ પરત ફરીને તેમના જીવનની ઉજવણી શરૂ કરે.

 

જનમેદનીને સંબોધતી વખતે પ્રધાનમંત્રીએ બોડોપા ઉપેન્દ્ર નાથ બ્રહ્માજી, રૂપનાથ બ્રહ્માજી જેવા નેતાઓએ આપેલા યોગદાનને યાદ કર્યું હતું.

 

બોડો સમજૂતી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસની પ્રતિતિ કરાવે છે

 

પ્રધાનમંત્રીએ બોડો સમજૂતીમાં ખૂબ સકારાત્મક ભૂમિકા નિભાવવા બદલ અખિલ બોડો વિદ્યાર્થી સંઘ (ABSU), નેશનલ ડેમોક્રેડિટ ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (NDFB), BTCના વડા શ્રી હાગ્રામા મોહિલેરે અને આસામ સરકારની પ્રશંસા કરી હતી.

 

તેમણે જણાવ્યું હતું કે, “આજનો દિવસ આસામ સહિત સમગ્ર પૂર્વોત્તર પ્રદેશ માટે 21મી સદીની નવી શરૂઆત, નવી પરોઢ, નવી પ્રેરણાને આવકારવાનો દિવસ છે. આજનો દિવસ એ વાતે આનંદ લેવાનો છે કે વિકાસ અને વિશ્વાસ આપણા મુખ્ય આધાર રહેશે અને તે હજુ પણ વધુ મજબૂત થશે. ચાલો હવે ફરી ક્યારેય હિંસાના અંધકારમાં ઘેરાશું નહીં. ચાલો આપણે શાંતિપૂર્ણ આસામને આવકારીએ, નવા મજબૂત ભારતનો સંકલ્પ કરીએ.

 

ભારત આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મજંયતી ઉજવી રહ્યું હોવાથી તેમણે બોડો સમજૂતી પર હસ્તાક્ષરને વધુ મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.

 

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “ગાંધીજી કહેતા હતા કે, અહિંસાથી જેવું પણ ફળ મળશે, તેને સૌ લોકો સ્વીકારશે.

 

બોડો સમજૂતી વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે. આનાથી આ પ્રદેશના સમગ્ર લોકોને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, આ સમજૂતી અંતર્ગત બોડો ટેરીટોરિયલ કાઉન્સિલ (BTC)ની સત્તા વધારવામાં આવી છે અને વધુ મજબૂત કરવામાં આવી છે.

 

 

તેમણે કહ્યું કે, “આ સમજૂતીમાં દરેકનો વિજય થયો છે, આ સમજૂતીમાં શાંતિનો વિજય થયો છે, સૌહાર્દનો વિજય થયો છે.

 

બોડો ટેરીટોરિયલ એરિયા ડિસ્ટ્રિક્ટ (BTAD)ની મર્યાદાઓ નિર્ધારિત કરવા માટે એક પંચની નિમણૂક કરવામાં આવશે.

 

પ્રધાનમંત્રીએ BTADના કોકરાજર, ચીરાંગ, બાક્સા અને ઉદગગુડીના વિકાસ માટે રૂપિયા 1500 કરોડના પેકેજની જાહેરાત કરી હતી.

 

તેમણે જણાવ્યું હતું કે, “આનાથી બોડો સંસ્કૃતિ, આ પ્રદેશ અને શિક્ષણનો સર્વાંગી વિકાસ કરવામાં મદદ મળશે.

 

BTC અને આસામ સરકારની જવાબદારી વધવા પર ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસનો મુદ્રાલેખ માત્ર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ દ્વારા જ સાર્થક થશે.

 

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આજે, બોડો પ્રદેશમાં, નવી આશાઓ, નવા સપનાં, નવી લાગણીનું આદાનપ્રદાન થયું છે, તમારા સૌની જવાબદારીમાં વધારો થયો છે. મને વિશ્વાસ છે કે બોડો ટેરીટોરિયલ કાઉન્સિલ હવે અહીંના દરેક સમાજને સાથે રાખીને વિકાસનું નવું મોડેલ તૈયાર કરશે. આનાથી આસામ વધુ મજબૂત બનશે અને ભારતની લાગણી પણ મજબૂત બનશે, વધુ સારું ભારત બનશે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની સરકાર આસામ સમજૂતીની કલમ 6નો અમલ કરવા માંગે છે અને અત્યારે તે સમિતિના અહેવાલની પ્રતિક્ષામાં છે.

 

પૂર્વોત્તરની મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે નવો અભિગમ

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તર પ્રદેશમાં પરેશાનીરૂપ બનેલી વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સરકારે નવો અભિગમ અપનાવ્યો છે.

 

તેમણે જણાવ્યું હતું કે, આવો અભિગમ ત્યારે જ શક્ય છે જ્યારે આ પ્રદેશની મહત્વાકાંક્ષાઓ અને ભાવનાત્મક મુદ્દાઓ અંગે ઊંડી સમજ હોય.

 

 “સંબંધિત લોકો સાથે ચર્ચા વિચારણા અને પરામર્શ દ્વારા તેમજ સહાનુભૂતિ સાથે આ ઉકેલો શોધવામાં આવ્યા છે. તે ઉકેલો આપણે બહારના કોઇ અન્ય લોકો નહીં પરંતુ આપણા પોતાનાઓ સાથે જ વ્યવહાર કરતા હોઇએ તેવી રીતે શોધવામાં આવ્યા છે. અમે તેમની સાથે પરામર્શ કર્યો છે અને તેઓ અમારા જ આપ્તજનો હોય તેવો અહેસાસ કરાવ્યો છે. તેનાથી કટ્ટરવાદ ઘટાડવામાં મદદ મળી છે. અગાઉ, પૂર્વોત્તરમાં કટ્ટરવાદના કારણે અંદાજે 1000 લોકોની હત્યા થઇ હતી પરંતુ આજે, એકંદરે જોવામાં આવી તો સ્થિતિ સામાન્ય અને શાંતિપૂર્ણ છે.

 

પૂર્વોત્તર પ્રદેશ દેશના વિકાસનું એન્જિન છે

 

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં પૂર્વોત્તરમાં ત્રણ હજાર કિલોમીટરથી વધુ રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને માન્યતા આપી દીધી છે. સમગ્ર પૂર્વોત્તર પ્રદેશમાં રેલવેનું નેટવર્ક બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. સાથે સાથે પૂર્વોત્તરમાં નવી શિક્ષણ સંસ્થાઓ, કૌશલ્ય અને રમતગમત વગેરે પર ધ્યાન આપીને યુવાધનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, દિલ્હી અને બેંગલોરમાં પૂર્વોત્તરના વિદ્યાર્થીઓ માટે નવા છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માત્ર મોર્ટાર અને સીમેન્ટ જ નથી. તેમાં માનવીય પાસું પણ છે. તેનાથી લોકોને અહેસાસ થાય છે કે તેમની કાળજી લેવામાં આવે છે.

 

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “દાયકાઓથી ખોરંભે પડેલી બોગીબીલ પુલ જેવી સંખ્યાબંધ પરિયોજનાઓ પૂર્ણ થવાથી લાખો લોકોની કનેક્ટિવિટી વધશે, તેના કારણે સરકારમાં તેમનો વિશ્વાસ વધશે. આ સર્વાંગી વિકાસે વિભાજનને જોડાણમાં પરિવર્તિત કરવામાં ખૂબ મોટી ભૂમિકા નિભાવી છે. જ્યારે પારસ્પરિક જોડાણ હોય, જ્યારે પ્રગતિની દરેક વ્યક્તિ સુધી સમાન પ્રમાણમાં પહોંચવાનું શરૂ થાય ત્યારે લોકો પણ સાથે મળીને કામ કરવા માટે તૈયાર થાય છે. જ્યારે લોકો સાથે મળીને કામ કરવા તૈયાર થાય ત્યારે, સૌથી મોટી સમસ્યા પણ ઉકેલાઇ જાય છે.

 

DS/GP


(रिलीज़ आईडी: 1602514) आगंतुक पटल : 260
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Kannada