પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આવતીકાલથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર પૂર્વે આયોજિત સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો


રાજ્યસભાના 250માં સત્રના આયોજનના કારણે આ સત્ર સંસદ માટે વિશેષ પ્રસંગ બની રહેશે: પ્રધાનમંત્રી

Posted On: 17 NOV 2019 2:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અહીં સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તમામ મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સંસદના આગામી સત્ર અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે, રાજ્યસભાના 250માં સત્રનું આયોજન થઇ રહ્યું હોવાથી સંસદનું આ સત્ર વિશેષ બની રહેશે અને આ પ્રસંગની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમો તેમજ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશમાં વહીવટી સંસ્થાનો માટે અદભૂત માળખું ઉપલબ્ધ કરાવવામાં ભારતની સંસદ તેમજ ભારતના બંધારણની અનન્ય શક્તિઓ પર પ્રકાશ પાડવા માટે ઉપલા ગૃહનું 250મું સત્ર એક અનન્ય તક પૂરી પાડે છે. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ભારત ઉજવણી કરી રહ્યું છે તેની સાથે સાથે આ સત્રનું આયોજન એક અનોખો અને વિશેષ પ્રસંગ છે.

વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક ચોક્કસ મુદ્દાઓનો જવાબ આપતી વખતે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર તમામ પડતર કાયદાનો ઉકેલ લાવવા માટે અને પર્યાવરણ, પ્રદૂષણ, અર્થતંત્ર, કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો, મહિલાઓના અધિકારો, યુવાનો અને સમાજના વંચિત વર્ગ સંબંધિત વિશેષ સમસ્યાઓના ઉકેલ માટે નીતિઓનું માળખુ તૈયાર કરવામાં તમામ પક્ષો સાથે મળીને રચનાત્મક રીતે કામ કરશે.

તેમણે બંને ગૃહોના પ્રિસાઇડિંગ અધિકારીઓને સંસદનું ગત સત્ર ખૂબ જ સારી રીતે ચલાવવામાં મદદરૂપ થવા બદલ તેમનું પણ અભિવાદન કર્યું હતું અને નોંધ્યું હતું કે, આના કારણે લોકોમાં સરકારની કાયદા નિર્માણ શાખાની કામગીરીમાં સકારાત્મક અસર ઉભી કરવામાં મદદ મળી હતી. આ સંદર્ભે, પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં સંસદના પ્રથમ કાર્યકાળના સભ્યોએ જે પ્રકારે ઉત્સાહભેર ભાગ લીધો તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે ટ્રેઝરી તેમજ વિપક્ષી બેંચ વચ્ચે રચનાત્મક જોડાણ સંસદના આ સત્રને પણ સફળ અને પરિણામદાયક બનાવશે.

 



(Release ID: 1591883) Visitor Counter : 173