પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાઉદી અરબની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ (વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ) દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરશે


સાઉદી અરબની સાથે આ પ્રકારની સમજૂતી પર હસ્તાક્ષર કરનાર ભારત ચોથો દેશ બન્યો

Posted On: 29 OCT 2019 10:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને સાઉદી અરબ વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કોન્ફરન્સ (વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ)ની સમજૂતી પર હસ્તાક્ષર થયા પછી બંને દેશો વચ્ચે અગાઉથી મજબૂત સંબંધો વધારે ગાઢ બનશે.

પ્રધાનમંત્રીએ આ વિચાર પોતાની સાઉદી અરબની મુલાકાત દરમિયાન અરબ ન્યૂઝ સાથેની વાતચીત સમયે વ્યક્ત કર્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી મોદીની સાઉદી અરબની આ બીજી મુલાકાત છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, બંને દેશ અસમાનતાને ઘટાડવા અને સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે જી-20 અંતર્ગત મળીને કાર્ય કરી રહ્યાં છે.

તેમણે જણાવ્યું છે કે, ઓઇલનું સ્થિર મૂલ્ય વૈશ્વિક અર્થવ્યવસ્થાની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ ભારતની ઊર્જા જરૂરિયાતો પૂર્ણ કરવા વધુ એક વિશ્વસનિય સ્રોત સ્વરૂપે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવા માટે સાઉદી અરબની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રી અને સાઉદી અરબનાં ક્રાઉન પ્રિન્સ એચઆરએચ મોહમ્મદ બિન સલમાન વચ્ચે ઉત્કૃષ્ટ વ્યક્તિગત સંબંધોની ચર્ચાવિચારણા કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2016માં સાઉદી અરબની પ્રથમ મુલાકાત પછી મેં વ્યક્તિગત રીતે આપણાં બંને દેશો વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે. મેં રૉયલ હાઈનેસ (એચઆરએસ) ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પાંચ વાર મળી ચૂક્યો છું. હું એમની સાથે થયેલી અગાઉની બેઠકોને આનંદ સાથે યાદ કરું છું અને પોતાની વર્તમાન યાત્રા દરમિયાન પણ તેમની સાથે ફરી મળવા માટે આશાવાદી છું.

મને વિશ્વાસ છે કે, શાહ સલમાન અને (એચઆરએચ) ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનાં નેતૃત્વમાં ભારત અને સાઉદી અરબ વચ્ચે દ્વિપક્ષીય સંબંધ વધારે મજબૂત થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, "પાડોશી સૌપ્રથમ" એમની સરકારની વિદેશી નીતિ માટે માર્ગદર્શક છે. સાઉદી અરબ સાથે ભારતનાં સંબંધ અમારા એક્સટેન્ડેડ પાડોશીની સૌથી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાંથી એક છે.

આ પ્રવાસ દરમિયાન વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ પર થનારી સમજૂતીઓનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે, તમામ ક્ષેત્રોમાં સહયોગ માટે એક નવા યુગનો શુભારંભ થશે. વેપાર, રોકાણ, સુરક્ષા અને સંરક્ષણ સહયોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં આપણાં સંબંધ મજબૂત થવાની સાથે વધારે ગાઢ અને મજબૂત બન્યાં છે.

મારું માનવું છે કે, ભારત અને સાઉદી અરબ જેવી એશિયન શક્તિઓ પોતાનાં પડોશમાં સમાન સુરક્ષા ચિંતાઓ ધરાવે છે. આ સંદર્ભમાં મને આનંદ છે કે, આપણો સહયોગ, ખાસ કરીને આતંકવાદ-વિરોધ, સુરક્ષા અને વ્યૂહાત્મક મુદ્દાઓનાં ક્ષેત્રમાં બહુ સારી રીતે આગળ વધી રહ્યો છે. અમારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની તાજેતરની રિયાધની યાત્રા અતિ સકારાત્મક રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ પર ભારત અને સાઉદી અરબની સંયુક્ત સમિતિ નિયમિત રીતે બેઠક યોજે છે અને સુરક્ષાનાં ક્ષેત્રમાં પારસ્પરિક હિતો અને સહયોગનાં ઘણાં ક્ષેત્રોની ઓળખ પણ કરે છે.

તેમણે કહ્યું કે, સુરક્ષા સહયોગ, રક્ષા ઉદ્યોગમાં સહયોગ પર પણ સમજૂતીની પ્રક્રિયા પ્રગતિ પર છે અને બંને દેશો વચ્ચે એક વ્યાપક સુરક્ષા સંવાદ વ્યવસ્થા જાળવી રાખવા માટે સંમતિ સધાઈ છે.

પશ્ચિમ એશિયાનાં અનેક વિસ્તારોમાં ઉથલપાથલનાં પ્રશ્ર પર પ્રધાનમંત્રીએ એકબીજાનાં આંતરિક બાબતોમાં સંપ્રભુત્વ અને બિનહસ્તક્ષેપનાં સિદ્ધાંતોનું સન્માન કરીને આ સંઘર્ષોને એક સંતુલિત દૃષ્ટિકોણનાં માધ્યમથી સમાધાન કરવાની અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ભારત આ વિસ્તારનાં તમામ દેશોની સાથે ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે અને આ વિસ્તારમાં 8 મિલિયનથી વધારે ભારતીય પ્રવાસીઓ રહે છે. આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા લાવવા માટે તમામ હિતધારકોની ભાગીદારી સાથે એક મહત્વપૂર્ણ સંવાદને પ્રોત્સાહનની પ્રક્રિયા જરૂર છે.

વર્તમાન વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પોતાનાં દૃષ્ટિકોણનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત જેવા મોટાં વિકાસશીલ દેશો દ્વારા અપનાવવામાં આવેલો માર્ગ વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ પર નિર્ભર છે. જેમ કે મેં સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં મારા ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો કે, આપણે ગંભીરતા સાથે આ વાતને સ્વીકારવી પડશે કે તમામ હિતધારકો વચ્ચે વિશ્વાસ વધારવા સામૂહિક પ્રયાસોની જરૂર છે.

તેમણે કહ્યું હતું કે, આર્થિક અનિશ્ચિતતા અસંતુલિત બહુપક્ષીય વેપાર વ્યવસ્થાઓનું પરિણામ છે. જી-20 અંતર્ગત ભારત અને સાઉદી અરબ અસમાનતાને ઓછું કરવા અને સતત વિકાસને પ્રોત્સાહન આપવા સંયુક્ત રીતે કામ કરી રહ્યાં છે. મને એ જાણીને ખુશી થઈ છે કે, સાઉદી અરબ આગામી વર્ષે જી-20 શિખર સંમેલનનું યજમાન બનશે અને ભારત વર્ષ 2022માં પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ પર એનું યજમાન બનશે.

પશ્ચિમની અર્થવ્યવસ્થાઓમાં વર્તમાન મંદી અને હાલનાં સ્થિતિસંજોગોમાં ભારત અને સાઉદી અરબની ભૂમિકાનાં પ્રશ્ર પર પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારતે વેપારને અનુકૂળ વાતાવરણ બનાવવામાં અને વૈશ્વિક વિકાસ અને સ્થિરતાને સુનિશ્ચિત કરવામાં એક મહત્ત્તવપૂર્ણ સંચાલન બનવાની દિશામાં ઘણાં સુધારા કર્યા છે. વેપારવાણિજ્યને સરળ બનાવવા અને રોકાણને અનુકૂળ પહેલોના શુભારંભની દિશામાં કરવામાં આવેલા સુધારાઓએ વિશ્વ બેંકે વેપારવાણિજ્યને સરળ બનાવવાની યાદીમાં મહત્વપૂર્ણ પ્રદાન આપ્યું છે, જેનાં પરિણામો અમારો રેન્ક વર્ષ 2014માં 142માં હતો, જે વર્ષ 2019માં 63મો થઈ ગયો છે.

મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, સ્માર્ટ સિટીઝ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી ઘણી મુખ્ય પહેલો વિદેશી રોકાણકારોને બહુ સારી તકો પ્રદાન કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, તેમને આ જાણીને નવાઈ લાગશે કે સાઉદી અરબે પણ પોતાનાં વિઝન 2030 કાર્યક્રમ અંતર્ગત એક સુધારણા કાર્યક્રમની શરૂઆત કરી છે.

ભારતનાં સૌથી મોટાં ઓઇલ સપ્લાયર સાઉદી અરબ સાથે લાંબા ગાળાનાં ઊર્જા સંબંધ પર પોતાનો વિચાર વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત પોતાનાં કાચા તેલનાં લગભગ 18 ટકા હિસ્સાની આયાત સાઉદી અરબમાંથી કરે છે. સાઉદી અરબ અમારા માટે કાચા તેલનો બીજો સૌથી મોટો સ્રોત છે. સંપૂર્ણપણે શુદ્ધ સ્વરૂપે ગ્રાહક-વિક્રેતાનાં સંબંધથી હવે આપણે એક ગાઢ વ્યૂહાત્મક ભાગીદારી તરફ અગ્રેસર છીએ, જેમાં ડાઉનસ્ટ્રીમ ઓઇલ અને ગેસ યોજનાઓમાં સાઉદી અરબમાં રોકાણ સામેલ હશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમે અમારી ઊર્જાની જરૂરિયાતોનાં એક મહત્વપૂર્ણ અને વિશ્વસનીય સ્રોત સ્વરૂપે સાઉદી અરબની મહત્વપૂર્ણ ભૂમિકાને મહત્વ આપીએ છીએ. અમારું માનવું છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાનાં વિકાસ માટે, ખાસ કરીને વિકાસશીલ દેશો માટે ઓઇલનાં સ્થિર મૂલ્ય મહત્વપૂર્ણ છે. ભારતનાં પશ્ચિમ કિનારા પર એક મોટી રિફાઇનરી અને પેટ્રોકેમિકલ યોજનાઓમાં સાઉદી અરામકો ભાગીદારી કરી રહી છે. અમે ભારતનાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારમાં અરામકોની ભાગીદારી માટે પણ આશાવાદી છીએ.

ભારત સરકાર દ્વારા જાહેર થયેલી વ્યાપક સ્માર્ટ સિટી યોજનાઓમાં સાઉદી અરબની ભાગીદારીનાં પ્રશ્ર પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભારત અને સાઉદી અરબ વચ્ચે સહયોગનાં મુખ્ય ક્ષેત્રોમાંથી એક અમારી માળખાગત સુવિધાઓની યોજનાઓમાં રોકાણ પણ સામેલ છે. ફેબ્રુઆરી, 2019માં ભારતની પોતાની યાત્રા દરમિયાન ક્રાઉન પ્રિન્સે ભારતનાં તમામ ક્ષેત્રોમાં 100 અબજ ડોલરથી વધારેનાં રોકાણની ઇચ્છા વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, અમે અમારી માળખાગત સુવિધાઓની યોજનાઓમાં સાઉદી અરબનાં મહત્તમ રોકાણને આવકારીએ છીએ, જેમાં સ્માર્ટ સિટીઝ કાર્યક્રમ પણ સામેલ છે. અમે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત સુવિધાનાં ભંડોળમાં રોકાણ કરવામાં સાઉદીની ઇચ્છાનું પણ સ્વાગત કરીએ છીએ.

ભારત અને સાઉદી અરબ વચ્ચે ઊર્જા ઉપરાંત સહયોગનાં અન્ય ક્ષેત્રોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ યાત્રા દરમિયાન તેમણે આ જણાવતા આનંદ વ્યક્ત કર્યો હતો કે, ભારત અને સાઉદી અરબે વિવિધ ક્ષેત્રોમાં સમજૂતી કરવાની યોજના બનાવી છે, જેમાં સંરક્ષણ, સુરક્ષા, નવીનીકરણ ઊર્જા વગેરે સામેલ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અન્ય મુખ્ય પહેલોમાં સાઉદી અરબમાં રુપે કાર્ડનો શુભારંભ કરવો સામેલ છે, જે પ્રવાસી ભારતીય સમુદાયને ચુકવણી અને રેમિટન્સની સુવિધાઓ પ્રદાન કરશે. આ ઉપરાંત ઈ-માઇગ્રેટ અને ઈ-તૌસીક પોર્ટલ્સનું મર્જર સામેલ છે, જે સાઉદી અરબમાં ભારતીય શ્રમિકોનાં પ્રવાસની પ્રક્રિયાને સુવિધાજનક બનાવશે અને અમારી શૈક્ષણિક સંસ્થાઓમાં રાજદ્વારીઓની તાલીમ પણ સમજૂતીમાં સામેલ છે.

તેમણે કહ્યું હતું કે, ભારત પોતાનાં વિશ્વ સ્તરીય ક્ષમતા નિર્માણ કેન્દ્રો માટે પ્રસિદ્ધ છે અને સાઉદી યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં તાલીમ પ્રદાન કરવા માટે પણ ભારતે ઘણી પહેલો કરી છે. અમે અંતરિક્ષ સંશોધનનાં ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ પર પણ ચર્ચાવિચારણા કરી રહ્યાં છીએ.

સાઉદી અરબમાં ભારતીય પ્રવાસીઓ માટે પોતાનાં સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લગભગ 2.6 મિલિયન ભારતીયોએ સાઉદી અરબને પોતાનું બીજું ઘર બનાવવાની સાથે સાથે દેશની વૃદ્ધિ અને વિકાસમાં મહત્વપૂર્ણ  પ્રદાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અનેક ભારતીયો દર વર્ષે હજ અને ઉમરાની તીર્થયાત્રા અને વેપારી ઉદ્દેશો માટે સાઉદી અરબનો પ્રવાસ કરે છે.

તેમણે કહ્યું હતું કે, સાઉદી અરબમાં ભારતીય નાગરિકો માટે મારો સંદેશ એ છે કે, ભારતને તમારી આકરી મહેનત અને કટિબદ્ધતા પર ગર્વ છે તથા બંને દેશો વચ્ચે સંપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોની દિશામાં મહત્વપૂર્ણ માર્ગ પ્રશસ્ત કરવામાં સહાયતા પ્રદાન કરી છે.

તેમણે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, તમે સાઉદી અરબની સાથે અમારા સંબંધોમાં એક એવી મજબૂત શક્તિ સ્વરૂપે સામેલ રહેશો, જે બંને દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધોને દ્રઢ બનાવવામાં ઘણાં દાયકાઓથી લોકોનાં સંપર્ક અને યોગદાન પર આધારિત છે.

હાલની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાહ સલમાનની સાથે દ્વિપક્ષીય ચર્ચા અને ક્રાઉન પ્રિન્સની સાથે સાથે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચાવિચારણા કરશે. આ ચર્ચાવિચારણા ઉપરાંત પ્રધાનમંત્રી મોદી ત્રીજી ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ (એફઆઈઆઈ)ની બેઠકને સંબોધિત કરશે, જેને મધ્ય પૂર્વનાં સૌથી વ્યાપક અને મહત્વપૂર્ણ આર્થિક મંચ સ્વરૂપે જોવામાં આવે છે.

પ્રધાનમંત્રી મોદીનાં આ પ્રવાસથી બંને દેશો વચ્ચે સુરક્ષા અને વ્યૂહાત્મક સહયોગ, સુરક્ષા, ઊર્જા સુરક્ષા, નવીનીકરણ ઊર્જા, રોકાણ, વેપાર અને વાણિજ્ય, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કૃષિ, નાગરિક ઉડ્ડયન, માળખાગત સુવિધા, મકાન, નાણાકીય સેવાઓ, તાલીમ અને ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચે જોડાણ જેવા જુદાં જુદાં ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવાની આશા છે.

આ મુલાકાતનાં સૌથી મહત્વપૂર્ણ પરિણામોમાંથી એક છે – બંને દેશો વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ (એસપીસી)ની સ્થાપના થવાની આશા. બ્રિટન, ફ્રાંસ અને ચીન પછી સાઉદી અરબની સાથે વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ (એસપીસી)ની સ્થાપના કરનાર ભારત ચોથો દેશ હશે.

એસપીસીમાં બે સમાંતર માધ્યમો દ્વારા બંને દેશોનાં વિદેશી મંત્રીઓનાં નેતૃત્વમાં રાજકીય સુરક્ષા, સંસ્કૃતિ અને સમાજ તથા અર્થવ્યવસ્થા તેમજ રોકાણ પર ભારતનાં વાણિજ્યિક અને ઉદ્યોગ મંત્રી તથા સાઉદી અરબનાં ઊર્જા મંત્રીની અધ્યક્ષતામાં આગળ કદમ વધારવામાં આવશે.

સાઉદી અરબની સાથે ભારતનાં સંબંધોમાં ઊર્જા સુરક્ષા પ્રમુખ ક્ષેત્રોમાંથી એક છે. ભારત પોતાનાં લાંબા ગાળાનાં ઊર્જા પુરવઠાનો એક વિશ્વસનીય સ્રોત તરીકે સાઉદી અરબની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરે છે. સાઉદી અરબ ભારતની કાચા તેલની 18 ટકા જરૂરિયાત અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)નો 30 ટકા હિસ્સો પૂરો પાડે છે. બંને દેશો આ વિસ્તારમાં ગ્રાહક-વિક્રેતાનાં સંબંધોને પારસ્પરિક સંપૂરકતા અને પરસ્પર નિર્ભરતાનાં આધારે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં  બદલા ઇચ્છે છે.

 

 DK/DS/RP



(Release ID: 1589552) Visitor Counter : 302