ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને 38મા પુણે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું


“રાષ્ટ્રે તેનો ઈતિહાસ અને તેના નાયકોના બલિદાનોને ક્યારેય ભૂલવા ન જોઈએ”: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિએ છત્રપતિ શિવાજી મહારાજ, લોકમાન્ય તિલક, મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને ડૉ. બી. આર. અંબેડકરના વારસાને યાદ કર્યો

“હિન્દુ ધર્મ અને સાંસ્કૃતિક વારસા જાળવવામાં છત્રપતિ શિવાજી મહારાજના યોગદાનને યાદ રાખવું જોઈએ”: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિએ શ્રી મોહન જોશીને 'ફાઉન્ડર સુરેશ કલમાડી પુણે ફેસ્ટિવલ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ' અર્પણ કર્યો

“વિકાસ વારસાના જતન સાથે આગળ વધવો જોઈએ”: ઉપરાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીના “વિકાસ ભી, વિરાસત ભી” વિઝનનો પુનરોચ્ચાર કર્યો

પોસ્ટેડ ઓન: 18 SEP 2026 8:02PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે શ્રી ગણેશ કલા ક્રીડા રંગમંચ, પુણે ખાતે 38મા પુણે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું.

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રીમતી સુનેત્રા પવાર, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી શ્રી ચંદ્રકાંત પાટીલ, સાંસ્કૃતિક બાબતોના મંત્રી શ્રી આશિષ શેળકે, સાંસદ શ્રીમતી હેમા માલિની, સાંસદ ડૉ. મેધા કુલકર્ણી અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી સુશીલ કુમાર શિંદે ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્રે તેનો ઈતિહાસ અને તેના નાયકો દ્વારા આપવામાં આવેલા મહાન બલિદાનોને ક્યારેય ભૂલવા ન જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજના ચિરંજીવી વારસાને યાદ કરતા તેમણે કહ્યું કે હિન્દુ ધર્મ અને ભારતના સાંસ્કૃતિક વારસાના જતનમાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવું જોઈએ. તેમણે મહારાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચેના ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર પણ પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે મરાઠા શાસકોના કારણે તંજાઉરની સરસ્વતી મહાલ લાઈબ્રેરીમાં તમિલ સાહિત્યિક કૃતિઓ સચવાયેલી રહી છે.

તેમણે લોકમાન્ય તિલક, મહાત્મા જ્યોતિબા ફૂલે, ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે અને બાબાસાહેબ બી. આર. અંબેડકરને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પુણેના સતત વધતા વૈશ્વિક સ્વરૂપની પ્રશંસા કરતા, ઉપરાષ્ટ્રપતિએ ખાસ કરીને ઉદ્ઘાટન સત્રમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે આશરે 20 દેશોના વિદ્યાર્થીઓએ પરંપરાગત ગણેશ પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેને તેમણે "વસુધૈવ કુટુંબકમ" ની ભાવનાનું સુંદર પ્રતીક ગણાવ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે પુણે તેની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવાની સાથે શિક્ષણ, ઉદ્યોગ, રમતગમત, માહિતી તકનીક (IT), ઓટોમોબાઈલ ઉત્પાદન, પ્રવાસન અને બાગાયતનું એક મોટું કેન્દ્ર બનીને ઊભરી આવ્યું છે. તેમણે પુણેને "સિટી ઓફ ફેસ્ટિવલ્સ" તરીકે ઉભરી લાવવામાં પુણે ફેસ્ટિવલના નોંધપાત્ર યોગદાનને શ્રેય આપ્યો હતો અને તેના સ્થાપક, દિવંગત શ્રી સુરેશ કલમાડીના વિઝનની સરાહના કરી હતી.

યુવા અને ઉભરતા કલાકારો પર ફેસ્ટિવલના ધ્યાન કેન્દ્રિત કરવાના અભિગમની પ્રશંસા કરતા, ઉપરાષ્ટ્રપતિએ ઉગવતે તારે અને ઇન્દ્રધનુ જેવા કાર્યક્રમો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે મહિલા કલાકારોને તેમની પ્રતિભા અને સર્જનાત્મકતા દર્શાવવા માટેનું મંચ પૂરું પાડવા બદલ મહિલા મહોત્સવની પણ પ્રશંસા કરી હતી.

ભારતના સાંસ્કૃતિક વારસામાં મૂળ ધરાવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં, શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે વિકાસ વારસાના જતન સાથે આગળ વધવો જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "વિકાસ ભી, વિરાસત ભી" ના વિઝનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આધુનિકતા અને તકનીકી પ્રગતિ પરંપરાઓ અને સાંસ્કૃતિક મૂલ્યોની ભોગે ન આવવી જોઈએ.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વિકસિત ભારતનું વિઝન માત્ર આર્થિક વૃદ્ધિ અને પાયાની માળખાકીય સુવિધાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં પોતાના સાંસ્કૃતિક વારસામાં જોડાયેલા સમાવેશી અને સમાન સમાજનો પણ સમાવેશ થાય છે. તેમણે નોંધ્યું હતું કે પુણે ફેસ્ટિવલ જેવા ઉત્સવો સાંસ્કૃતિક આદાન-પ્રદાન, પ્રવાસન, સ્થાનિક પ્રતિભા અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપી શકે છે.

પોતાના સંબોધનના સમાપનમાં, શ્રી સી. પી. રાધાકૃષ્ણને સતત એકતા, સંવાદિતા અને સેવા માટે ભગવાન ગણેશને પ્રાર્થના કરી હતી, અને આશા વ્યક્ત કરી હતી કે પુણે ફેસ્ટિવલ ભારતની સમિશ્ર સંસ્કૃતિની ઉજવણી કરવાનું, યુવા પ્રતિભાઓને પ્રેરણા આપવાનું, મહિલાઓને સશક્ત બનાવવાનું, પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનું ચાલુ રાખશે.

ઉપરાષ્ટ્રપતિએ ભારતીય સિનેમા અને પ્રદર્શન કલામાં તેમના વિશિષ્ટ યોગદાનની પુષ્ટિ રૂપે પીઢ અભિનેતા શ્રી મોહન જોશીને 'ફાઉન્ડર સુરેશ કલમાડી પુણે ફેસ્ટિવલ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ' પણ અર્પણ કર્યો હતો.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2312253) મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો: Malayalam , English , Urdu , हिन्दी , Marathi