ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાના મુખ્યમંત્રીઓએ કિશૌ પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા


આ કરાર મોદીજીના "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસ" અને ટીમ ઈન્ડિયાના મુખ્ય મંત્રનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે

મોદીજીના 'સંવાદ સે સમાધાન'ના મંત્રને અનુસરીને દાયકાઓથી પેન્ડિંગ રહેલા આ પ્રોજેક્ટને સફળ બનાવવા બદલ તમામ મુખ્યમંત્રીઓનો આભાર

મોદી સરકાર હેઠળ, આ દસમો જળ વિવાદ આજે ઉકેલાવા જઈ રહ્યો છે

આજે થયેલા કરારથી આ તમામ રાજ્યો — હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીને ફાયદો થશે

2018 થી 2026 સુધીનો સમયગાળો મોદીજીના નેતૃત્વ હેઠળ પરસ્પર સંમતિ દ્વારા ઉત્તર ભારતમાં જળ વિવાદો ઉકેલવાના યુગ તરીકે ઓળખાશે

કિશૌ પ્રોજેક્ટ કરાર દિલ્હી અને યમુના બંને માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે; તે પર્યાવરણ સંરક્ષણને વેગ આપશે

કિશૌ પ્રોજેક્ટને રાષ્ટ્રીય પ્રોજેક્ટ ઘોષિત કરવામાં આવ્યો છે, જેનો લગભગ 90% નાણાકીય બોજ ભારત સરકાર દ્વારા અને બાકીનો 10% ભાગીદાર રાજ્યો દ્વારા વહન કરવામાં આવશે

કિશૌ પ્રોજેક્ટ કરાર હેઠળ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સરહદ પર વહેતી ટોન્સ નદી પર 1,562 મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતો 232.6 મીટર ઊંચો કોંક્રિટ ગ્રેવિટી ડેમ બનાવવામાં આવશે

કિશૌ પ્રોજેક્ટ કરારથી દિલ્હીને સૌથી મોટો ફાયદો થશે

આ પ્રોજેક્ટ હેઠળ 97,000 હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવશે અને 1,476 મિલિયન યુનિટ સ્વચ્છ હાઇડ્રોપાવર (જળવિદ્યુત) પણ ઉત્પન્ન થશે

પોસ્ટેડ ઓન: 15 SEP 2026 5:26PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના શ્રી પુષ્કર સિંહ ધામી, હિમાચલ પ્રદેશના શ્રી સુખવિંદર સિંહ સુખુ, રાજસ્થાનના શ્રી ભજન લાલ શર્મા, દિલ્હીના શ્રીમતી રેખા ગુપ્તા અને હરિયાણાના શ્રી નાયબ સિંહ સૈનીએ આજે કિશૌ પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગના સચિવ અને સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

KISHAU03.jpeg

બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે આપણે એક ઐતિહાસિક કરારના સાક્ષી બન્યા છીએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એકવાર પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા પછી, આ ઇવેન્ટ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ બની જશે. તેમણે કહ્યું કે આજે થયેલા કરારથી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીને કોઈને કોઈ રીતે ફાયદો થશે. શ્રી શાહે કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે તમામ છ રાજ્યોએ પોતાની સંમતિ આપી છે અને કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ તમામ છ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલને આ પ્રોજેક્ટને આ તબક્કે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે ભારત સરકાર અને યમુના બેસિનના આ છ રાજ્યોના મુખ્યમંત્રીઓ વહેલી તકે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી, આ દસમો જળ વિવાદ છે જે હવે ઉકેલાવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, છેલ્લા પચાસ વર્ષથી ચાલી રહેલા ગંભીર વિવાદોને ઉકેલવા માટે એક પહેલ હાથ ધરવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રથમ, ઓગસ્ટ 2018 માં, લખવાર બહુહેતુક પ્રોજેક્ટ અંગેનો વિવાદ ઉકેલાયો હતો. તે જ મહિનામાં, શાહપુર કાંડી ડેમ પ્રોજેક્ટ અંગેનો વિવાદ ઉકેલાયો હતો. 2019 માં, અપર યમુના બેસિનમાં રેણુકાજી બહુહેતુક ડેમ પ્રોજેક્ટ અંગેનો વિવાદ ઉકેલાયો હતો. 2021 માં, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ કેન-બેતવા લિંક પ્રોજેક્ટ પર કરાર પર પહોંચ્યા, જેનાથી બુંદેલખંડના જળ-અભાવવાળા વિસ્તારને ફાયદો થયો. સુધારેલ પારબતી-કાલીસિંધ-ચંબલ રિવર લિંક પ્રોજેક્ટ 2024 માં આગળ વધ્યો. ફેબ્રુઆરી 2024 માં હાથિણીકુંડથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા યમુનામાં પાણી ટ્રાન્સફર કરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. નર્મદા પ્રોજેક્ટથી વિસ્થાપિત થયેલા પરિવારોના પુનર્વસન અંગેનો વિવાદ જુલાઈ 2026 માં ઉકેલાયો હતો. સોન બેસિનમાં બિહાર અને ઝારખંડ વચ્ચે જળ વહેંચણી અંગેનો વિવાદ ઓગસ્ટ 2026 માં ઉકેલાયો હતો અને આજે, આખરે, કિશૌ બહુહેતુક પ્રોજેક્ટ પર કરાર થયો છે.

KISHAU02.jpeg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે મોદીજીના નેતૃત્વ હેઠળ 2018 થી 2026 સુધીનો સમયગાળો એવા સમયગાળા તરીકે યાદ રાખવામાં આવશે કે જેમાં કાશ્મીરથી ઉત્તર પ્રદેશ સુધીના તમામ જળ વિવાદો ઉકેલાયા હતા. તેમણે કહ્યું કે આ ઉકેલો માટેનો પાયો ઝોનલ કાઉન્સિલની બેઠકોમાં નંખાયો હતો અને જલ શક્તિ મંત્રાલયે આ કરારોને અસરકારક રીતે આગળ ધપાવ્યા હતા. તેમણે કહ્યું કે જલ શક્તિ મંત્રી બન્યા પછી શ્રી સી. આર. પાટીલે લાંબા સમયથી પેન્ડિંગ વિવાદોને ઉકેલવાની જવાબદારી પોતાના શિરે લીધી હતી. તેમણે દરેક સ્તરે પહેલ કરી હતી અને જ્યાં પણ સહાયની જરૂર હોય, પછી તે આંતર-રાજ્ય પરિષદને સક્રિય કરવાની હોય કે ગૃહ મંત્રાલયને સામેલ કરવાની હોય, તેણે ખાતરી કરી કે આ કાર્યને તેના અંત સુધી પહોંચાડવામાં આવે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે કિશૌ પ્રોજેક્ટ સંબંધિત 12 મે 1994ના રોજ એક કરાર થયો હતો કે બેસિનમાં આવતા દરેક સ્ટોરેજ પ્રોજેક્ટ માટે અલગ કરાર કરવામાં આવશે. તે વ્યવસ્થા વગર આ શક્ય ન બન્યું હોત. તદુપરાંત, 2019 માં લખવાર અને રેણુકાજી પ્રોજેક્ટ્સ સંબંધિત વિવાદો ઉકેલાયા પછી, કિશૌ પર કામ આગળ વધ્યું. આ પ્રોજેક્ટ પર ઔપચારિક કરાર આ વર્ષે 16 જૂને થયો હતો. જલ શક્તિ મંત્રાલયે આ બાબતને આગળ ધપાવી અને તમામ રાજ્યોની સંમતિ મેળવ્યા પછી, તકનીકી અને આર્થિક પાસાઓને ધ્યાનમાં રાખીને અને તમામ રાજ્યોના હિતોનું રક્ષણ કરીને, આ બાબતનો ઉકેલ લાવ્યો છે.

KISHAU01.jpeg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે કિશૌ પ્રોજેક્ટને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કર્યો છે. ભારત સરકાર તેના નાણાકીય બોજનો લગભગ 90 ટકા હિસ્સો વહન કરશે, જ્યારે બાકીનો 10 ટકા હિસ્સો 1994ના કરાર અનુસાર ભાગીદાર રાજ્યો દ્વારા વહન કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ સરકારને કેટલીક મુશ્કેલીઓ હતી. ભારત સરકાર વતી, અમે તેમને આશ્વાસન આપ્યું છે કે ભારત સરકારની યોજનાઓ હેઠળ તેમની માંગણીઓને સમાવવાનો પ્રયાસ કરવામાં આવશે, અને આગળ જતાં, રાજ્ય પર આવી પડનારા નાણાકીય બોજને વહન કરવામાં અમે ઉત્તરાખંડને પણ મદદ કરીશું.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સરહદ પર વહેતી ટોન્સ નદી પર 1,562 મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતો 232.6 મીટર ઊંચો કોંક્રિટ ગ્રેવિટી ડેમ બનાવવામાં આવશે. તે 97,000 હેક્ટર જમીનની સિંચાઈ કરશે અને 1,476 મિલિયન યુનિટ સ્વચ્છ હાઇડ્રોપાવર (જળવિદ્યુત) ઉત્પન્ન કરશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટનો સૌથી મોટો લાભાર્થી દિલ્હી બનશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે જ્યારે યમુનાના પાણીની ફાળવણી કરવામાં આવી હતી, ત્યારે નીતિ ઘડવૈયાઓ તરફથી એક ગંભીર ભૂલ થઈ હતી. યમુનાના પર્યાવરણીય પ્રવાહની (એન્વાયર્નમેન્ટલ ફ્લો) બિલકુલ ગણતરી કરવામાં આવી ન હતી, અને તમામ ઉપલબ્ધ પાણી રાજ્યો વચ્ચે વહેંચવામાં આવ્યું હતું. નદી માટે જ કોઈ પાણી બચ્યું ન હતું. તેમણે કહ્યું કે કિશૌ પ્રોજેક્ટ કરાર દ્વારા 25 ટકા પાણી ઉપલબ્ધ થશે, જે દિલ્હી અને યમુના બંને માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. તે પર્યાવરણ સંરક્ષણમાં પણ યોગદાન આપશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે શ્રીમતી રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બન્યા ત્યારથી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યમુનાને સ્વચ્છ કરવા માટે સતત કામગીરી ચાલી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આપણે 2029 સુધીમાં સ્વચ્છ યમુનાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહીશું. જ્યારે યમુના સ્વચ્છ બને છે, ત્યારે ગંગા પણ સ્વચ્છ બને છે, કારણ કે આખરે યમુના પ્રયાગરાજ ખાતે ગંગામાં ભળી જાય છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી યમુનાને સ્વચ્છ કરવાનું સ્વપ્ન પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્વચ્છ ગંગાનું સ્વપ્ન પણ અધૂરું રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અને તમામ સંબંધિત હિતધારકો (સ્ટેકહોલ્ડર્સ) યમુનાને સ્વચ્છ બનાવવા માટે પૂર્ણ સહયોગ અને સમર્પણ સાથે આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે આજની સફળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શક મંત્ર "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસ" અને ટીમ ઈન્ડિયાના મુખ્ય મંત્રનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તે ભારતના એ વિઝનને પણ પ્રતિબિંબિત કરે છે જેમાં દરેક વ્યક્તિ સાથે મળીને આગળ વધે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કરાર સુધી પહોંચવા માટે જે રીતે તમામ પક્ષોએ એક સમાન ઉદ્દેશ્ય અને એક જ દિશામાં કામ કર્યું છે, તે જ રીતે તમામ રાજ્યો પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે એક જ દિશામાં કામ કરશે. આનાથી આપણે વહેલી તકે યમુનાને સ્વચ્છ કરી શકીશું અને કરોડો લોકોને પીવા, કૃષિ, વિકાસ અને ઔદ્યોગિક ઉપયોગ માટે પાણી પૂરું પાડી શકીશું.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2310563) મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Punjabi