વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતના ભાગલા ઇતિહાસની સૌથી મોટી ભૂલ હતા; PoJK પાછું મેળવવું એ જ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એકમાત્ર બાકી રહેલો મુદ્દો છે: ડૉ. જિતેન્દ્ર સિંહ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સંરક્ષણ વ્યૂહરચનાને પ્રતિક્રિયાત્મક અભિગમમાંથી બાહ્ય આક્રમણ સામે નિર્ણાયક સક્રિય પ્રતિસાદમાં પરિવર્તિત કરી છે, 27મા કારગિલ વિજય દિવસ પર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનું નિવેદન

કારગિલ વિજય દિવસ એ ભારતની એકતા અને સાર્વભૌમત્વની રક્ષા માટે રાષ્ટ્રની અવિરત પ્રતિબદ્ધતાનું સ્મરણ છે: ડૉ. જિતેન્દ્ર સિંહ

શાંતિ, વિકાસ અને મજબૂત રાષ્ટ્રીય સુરક્ષાએ જમ્મુ અને કાશ્મીરનો માર્ગ બદલી નાખ્યો છે, ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું

प्रविष्टि तिथि: 26 JUL 2026 5:27PM by PIB Ahmedabad

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે ભારતના ભાગલાને "ઇતિહાસની સૌથી મોટી ભૂલ" ગણાવી હતી અને જણાવ્યું હતું કે પાકિસ્તાન અંકુશિત જમ્મુ અને કાશ્મીર (PoJK) ને પાછું મેળવવું એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એકમાત્ર બાકી રહેલો મુદ્દો છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના સુરક્ષા પરિદ્રશ્યમાં નિર્ણાયક પરિવર્તન આવ્યું છે, જેમાં બાહ્ય આક્રમણ સામે ભારતનો પ્રતિસાદ પ્રતિક્રિયાત્મક અભિગમમાંથી બદલાઈને સંકલ્પ, સજ્જતા અને નિર્ણાયક કાર્યવાહીમાં પરિણમ્યો છે.

ડૉ. જિતેન્દ્ર સિંહ નવી દિલ્હીના કાશ્મીરી કલ્ચરલ સેન્ટર ખાતે મીરપુર બલિદાન ભવન સમિતિના એકમ, PoJK યુથ ફોરમ સાથે મળીને જમ્મુ કાશ્મીર પીપલ્સ ફોરમ દ્વારા આયોજિત 27મા કારગિલ વિજય દિવસના સ્મરણોત્સવને સંબોધિત કરી રહ્યા હતા. સંસદ સભ્ય સુશ્રી બાંસુરી સ્વરાજ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે 1999ના કારગિલ યુદ્ધના નિવૃત્ત સૈનિક કર્નલ કે.કે. શર્મા (SC, SM અને બાર) એ સમારોહની અધ્યક્ષતા કરી હતી. 1999ના કારગિલ સંઘર્ષ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે PoJK યુથ ફોરમ સાથે જમ્મુ કાશ્મીર પીપલ્સ ફોરમના સંયોજક શ્રી મહેન્દ્ર મહેતાના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કારગિલ વિજય દિવસને સ્મરણની સાથે સાથે નવીકરણ પામેલા રાષ્ટ્રીય સંકલ્પનો પ્રસંગ ગણાવતા ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ વિજય ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ અને ભારતની એકતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે રાષ્ટ્રની અવિરત પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. તેમણે ઉમેર્યું હતું કે કારગિલના પાઠ આજે પણ સુસંગત છે કારણ કે દેશ સામેના પડકારો સતત જાગરૂકતા અને રાષ્ટ્રીય એકતાની માંગ કરી રહ્યા છે.

કારગિલ સંઘર્ષના ઐતિહાસિક સંદર્ભને ટાંકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે 1999ની ઘટનાઓને અલગથી જોઈ શકાય નહીં પરંતુ ભાગલાથી શરૂ થયેલી ઘટનાક્રમની લાંબી શ્રૃંખલાના ભાગરૂપે જોવી જોઈએ. ભાગલાને "ઇતિહાસની સૌથી મોટી ભૂલ" ગણાવતા તેમણે કહ્યું કે આ નિર્ણયથી કરોડો લોકોને ભારે યાતનાઓ ભોગવવી પડી, લાખો લોકો વિસ્થાપિત થયા અને 1947, 1965, 1971 અને કારગિલના યુદ્ધો તેમજ સતત સરહદ પારથી થતા આતંકવાદ અને છૂપા યુદ્ધ (પ્રોક્સી વોર) સહિત દાયકાઓની દુશ્મનાવટનો પાયો નંખાયો. તેમણે કાશ્મીરી પંડિતોના વિસ્થાપનને સ્વતંત્ર ભારતમાં જોવા મળેલી સૌથી ગંભીર માનવીય દુર્ઘટનાઓમાંની એક તરીકે પણ યાદ કરી હતી.

ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારતે છેલ્લા દાયકામાં તેના રાષ્ટ્રીય સુરક્ષા અભિગમમાં મૂળભૂત પરિવર્તન કર્યું છે. તેમણે કહ્યું કે સરકારે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, સરહદ વ્યવસ્થાપનને મજબૂત બનાવ્યું છે અને પ્રતિક્રિયાત્મક સુરક્ષા સિદ્ધાંતના સ્થાને સક્રિય વ્યૂહરચના લાવી છે જે બાહ્ય આક્રમણનો નિર્ણાયક જવાબ આપવા માટે સક્ષમ છે. આ પરિવર્તને રાષ્ટ્રીય આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને પોતાની પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવાની ભારતની ક્ષમતાને મજબૂત કરી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શાંતિ અને વિકાસ એકબીજાને પૂરક બનાવતા સંબંધ ધરાવે છે અને તાજેતરના વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળેલા અભૂતપૂર્વ પરિવર્તન તરફ નિર્દેશ કર્યો હતો. તેમણે મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો સંદર્ભ આપ્યો હતો, જેમાં કાશ્મીર ખીણ સુધી રેલવે કનેક્ટિવિટી, વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ, નવી AIIMS સંસ્થાઓ, લાંબા સમયથી અટકેલી સિંચાઈ યોજનાઓ અને ઝડપી વિકાસલક્ષી પહેલોનો સમાવેશ થાય છે જેણે જીવનની ગુણવત્તામાં સુધારો કર્યો છે અને જનતાના વિશ્વાસને મજબૂત કર્યો છે. તેમણે કહ્યું કે સતત શાંતિએ ઝડપી વિકાસને સક્ષમ બનાવ્યો છે, જ્યારે વિકાસ પોતે જ કાયમી સ્થિરતા માટે એક મજબૂત શક્તિ તરીકે ઉભરી આવ્યો છે.

ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે સંરક્ષણ ઉત્પાદનમાં દેશની વધતી જતી આત્મનિર્ભરતાએ રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવી છે. તેમણે નોંધ્યું હતું કે ભારતે દેશી સંરક્ષણ ઉત્પાદનનો નોંધપાત્ર વિસ્તાર કર્યો છે, અદ્યતન વ્યૂહાત્મક ક્ષમતાઓ વિકસાવી છે અને સંરક્ષણ સાધનોના મહત્વપૂર્ણ નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશની તકનીકી પ્રગતિ અને વ્યૂહાત્મક આત્મવિશ્વાસને દર્શાવે છે.

લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) ની પેલે પારના વિકાસનો સંદર્ભ આપતા ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં વિકાસની ગતિ પાકિસ્તાન અંકુશિત જમ્મુ અને કાશ્મીરમાં રહેતા લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. 1994ના સર્વસંમત સંસદીય પ્રસ્તાવને યાદ કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાન અંકુશિત જમ્મુ અને કાશ્મીરને પાછું મેળવવા સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મુદ્દો નથી, જે પુનરોચ્ચાર કરે છે કે PoJK એ ભારતનું અવિભાજ્ય અંગ છે.

કારગિલ યુદ્ધના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ડૉ. જિતેન્દ્ર સિંહે યુવા પેઢીને તેમના સાહસ, દેશભક્તિ અને નિઃસ્વાર્થ બલિદાનમાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કારગિલની ભાવના ભારતની એકતા, સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય હિતોની રક્ષા માટેની સામૂહિક પ્રતિબદ્ધતામાં અડીખમ રહીને દરેક ભારતીયને વધુ મજબૂત, સુરક્ષિત, આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર તરફ કામ કરવા માટે પ્રેરણા આપતી રહે છે.

 

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2289643) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Marathi , Tamil