સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

'નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શન', નશા મુક્ત ભારત અભિયાન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નશા મુક્ત ભારતના વિઝનને અનુરૂપ છે


તમામ હિતધારકો પાસેથી સામૂહિક, સંકલિત પગલાંની જરૂરિયાત, કેન્દ્ર સરકાર સંપૂર્ણ-સરકાર અને સંપૂર્ણ-સમાજ અભિગમ દ્વારા ડ્રગ-મુક્ત સમાજ બનાવવા માટે પ્રતિબદ્ધ: કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમાર

મંત્રાલયે સારવાર, પુનર્વસન સેવાઓનો વિસ્તાર કર્યો; સારવાર મેળવતા લોકોની સંખ્યા 2.08 લાખથી વધીને 8.20 લાખથી વધુ થતાં 294% નો નોંધપાત્ર વધારો: શ્રી સુધાંશ પંત

प्रविष्टि तिथि: 04 JUL 2026 4:22PM by PIB Ahmedabad

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય (MoSJE) ડ્રગની માંગ ઘટાડવા માટે નોડલ મંત્રાલય હોવાના નાતે 'નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શન (NAPDDR)' શરૂ કર્યો છે, જે નિવારણ, જાગૃતિ નિર્માણ, ક્ષમતા નિર્માણ, સારવાર, પુનર્વસન અને સામાજિક પુનઃ એકીકરણના ઉદ્દેશ્યવાળું એક વ્યાપક માળખું છે. આ પ્રયાસોને વધુ મજબૂત કરવા માટે, વર્ષ 2020 માં નશા મુક્ત ભારત અભિયાન (NMBA) શરૂ કરવામાં આવ્યું હતું. આ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નશા મુક્ત ભારત નિર્માણના વિઝનને અનુરૂપ છે.

એક નિવેદનમાં, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમારે સામાન્ય જનતા, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો, સંબંધિત મંત્રાલયો અને નાગરિક સમાજ સહિત તમામ હિતધારકો પાસેથી સામૂહિક અને સંકલિત પગલાં લેવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સંપૂર્ણ-સરકાર અને સંપૂર્ણ-સમાજ અભિગમ દ્વારા ડ્રગ-મુક્ત સમાજ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019 માં ભારતમાં 'માદક દ્રવ્યોના વપરાશની માત્રા' પર સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના પ્રથમ દેશવ્યાપી સર્વેક્ષણ સાથે આ સમસ્યાની ગંભીરતા વધુ સ્પષ્ટ થઈ છે. તેમણે ઉમેર્યું કે આ તારણો દર્શાવે છે કે 7 કરોડથી વધુ વ્યક્તિઓ માદક દ્રવ્યોના સેવનની સમસ્યાથી પ્રભાવિત હતા, જેમાં આશરે 1.2 કરોડ બાળકો અને 58 લાખ મહિલાઓ સામેલ હતી. ડૉ. કુમારે જણાવ્યું હતું કે નશાખોરી સામેની લડાઈ જાગૃતિ, લોક-કેન્દ્રિત હસ્તક્ષેપ, આંતર-ક્ષેત્રીય જોડાણ, સહાનુભૂતિ અને સહિયારી જવાબદારી દ્વારા ચલાવવાની રહેશે.

સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના સચિવ શ્રી સુધાંશ પંતે જણાવ્યું હતું કે, પાછલા કેટલાક વર્ષોમાં મંત્રાલયે દેશભરમાં 768 વ્યસન મુક્તિ અને પુનર્વસન કેન્દ્રો સાથે સારવાર અને પુનર્વસન સેવાઓનો વિસ્તાર કર્યો છે. આ સેવાઓમાં વધતા જતા વિશ્વાસનું પ્રતિબિંબ એ છે કે કોઈપણ સામાજિક કલંક અને પૂર્વગ્રહ વિના સારવાર મેળવતા લોકોની સંખ્યામાં 294% નો નોંધપાત્ર વધારો થયો છે, જે (2020 માં) 2.08 લાખથી વધીને (2025 માં) 8.20 લાખથી વધુ વ્યક્તિઓ થઈ ગઈ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી પંતે જણાવ્યું હતું કે, માત્ર જન આંદોલન અભિગમ દ્વારા જ આપણે સશક્ત, વિકસિત અને નશા મુક્ત ભારત તરફનો માર્ગ મોકળો કરી શકીએ છીએ, જ્યાં દરેક વ્યક્તિ સશક્ત, સ્વસ્થ અને ઉત્પાદક બને. તેમણે દરેક નાગરિકને https://nmba.dosje.gov.in/content/take-a-pledge પર નશા મુક્ત ભારત માટે પ્રતિજ્ઞા લેવા અને 'નશા મુક્તિ મિત્ર' તરીકે નોંધણી કરવા માટે QR કોડ સ્કેન કરવા માટે એકસાથે આવવા અપીલ કરી હતી.

સચિવશ્રીએ જણાવ્યું હતું કે સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ તમામ નાગરિકો, સંસ્થાઓ, યુવા સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ અને સામુદાયિક હિતધારકોને આ રાષ્ટ્રીય આંદોલનમાં જોડાવાનું ચાલુ રાખવા અને 'નશા મુક્ત ભારત, ખુશહાલ ભારત' ના વિઝનને સાકાર કરવા માટે યોગદાન આપવા આહ્વાન કરે છે.

તેમણે જણાવ્યું હતું કે મંત્રાલયની ટોલ-ફ્રી વ્યસન મુક્તિ હેલ્પલાઇન 14446 પર 4.69 લાખ કોલ્સ પ્રાપ્ત થયા છે, જે સહાય મેળવવા માંગતા વ્યક્તિઓ અને પરિવારો માટે સંપર્કનું પ્રથમ માધ્યમ બની રહી છે. તેમણે ઉમેર્યું કે NMBA એપ 2.0 નું લોન્ચિંગ રાજ્યો, જિલ્લાઓ, આધ્યાત્મિક સંસ્થાઓ અને અન્ય હિતધારકોને વાસ્તવિક સમયની (રિયલ-ટાઇમ) વિઝિબિલિટી સાથે NMBA હેઠળ ફિલ્ડ-આધારિત પ્રવૃત્તિઓનો ડેટા અપલોડ કરવામાં મદદ કરે છે, જેમાં નાગરિક કેન્દ્રિત ઘણી નવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગયા મહિને, 17 જૂનથી 26 જૂન દરમિયાન દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય (DSVV), હરિદ્વાર, ઉત્તરાખંડ ખાતે ઉજવવામાં આવેલા 'નશા મુક્ત ભારત સપ્તાહ' માં જાગૃતિ નિર્માણ અને સામુદાયિક ગતિશીલતાની શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા 1.31 કરોડથી વધુ નાગરિકોની ભાગીદારી જોવા મળી હતી. આ પ્રવૃત્તિઓમાં નશા મુક્તિ મિત્ર નોંધણી ઝુંબેશ, સેમિનાર અને વેબિનાર, બાળકો અને યુવાનો માટે તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો, શેરી નાટકો, સ્કીટ્સ, સૂત્ર-લેખન સ્પર્ધાઓ, ઈ-પ્રતિજ્ઞા, રેલીઓ, યોગ સત્રો, હસ્તાક્ષર ઝુંબેશ, નિબંધ-લેખન સ્પર્ધાઓ, ચિત્રકામ સ્પર્ધાઓ અને અન્ય સામુદાયિક જોડાણની પહેલો સામેલ હતી.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ, સંબંધિત મંત્રાલયો અને વિભાગો, સહાય મેળવતી સંસ્થાઓ, એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલીટીઝ અને દેશભરના અન્ય હિતધારકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા, અને નશા મુક્ત ભારત બનાવવા પ્રત્યેની તેમની સામૂહિક પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2281072) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Malayalam