સંરક્ષણ મંત્રાલય
વિકસિત ભારતની યાત્રામાં પ્રાદેશિક ઉદ્યોગો ભાગીદાર બને: વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં રક્ષા મંત્રી
પ્રાદેશિક શક્તિઓને રાષ્ટ્રીય ક્ષમતાઓમાં, સ્થાનિક નવીનતાઓને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં અને ઔદ્યોગિક વૃદ્ધિને વ્યૂહાત્મક શક્તિમાં બદલવાની જરૂર છે"
"આત્મનિર્ભરતાનો અર્થ અલગતા નથી, તેનો અર્થ એ છે કે એક રાષ્ટ્ર પોતાના પગ પર મજબૂત રીતે ઊભું રહે અને એક સમાન ભાગીદાર તરીકે વિશ્વ સાથે જોડાય"
प्रविष्टि तिथि:
30 JUN 2026 3:41PM by PIB Ahmedabad
"વિકસિત ભારત એ માત્ર આર્થિક વિકાસનું લક્ષ્ય નથી, પરંતુ એક આર્થિક રીતે સમૃદ્ધ, તકનીકી રીતે સક્ષમ અને સામાજિક રીતે સશક્ત દેશ બનાવવાનો સંકલ્પ છે," તેમ રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે પ્રાદેશિક શક્તિઓને રાષ્ટ્રીય ક્ષમતાઓમાં, સ્થાનિક નવીનતાઓને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં અને ઔદ્યોગિક વૃદ્ધિને વ્યૂહાત્મક શક્તિમાં બદલીને પ્રાદેશિક ઉદ્યોગોને આ પ્રવાસમાં ભાગીદાર બનવા આહ્વાન કરતા જણાવ્યું હતું. માનનીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે તા. 30 જૂન, 2026ના રોજ વડોદરામાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન ઉદ્યોગપતિઓ, ઉદ્યોગસાહસિકો, યુવા નવાચારકો અને શિક્ષણવિદોને સંબોધતા આ વિચારો વ્યક્ત કર્યા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ તેમજ પંચાયતી રાજ મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલ પણ ઉપસ્થિત હતા.

રક્ષા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઝડપથી બદલાતા ભૌગોલિક રાજકીય પરિદ્રશ્યને ધ્યાનમાં લેતા, ભારતની આત્મનિર્ભરતા, તકનીકી ક્ષમતા અને સામૂહિક સંકલ્પ આગામી દાયકાઓમાં વૈશ્વિક મંચ પર તે જે ભૂમિકા ભજવશે તે નક્કી કરશે. "ઇતિહાસ આપણને શીખવે છે કે મહાન રાષ્ટ્રો ત્રણ આવશ્યક સ્તંભો પર ઊભા હોય છે: આર્થિક શક્તિ, તકનીકી ક્ષમતા અને રાષ્ટ્રીય સુરક્ષા. આર્થિક સમૃદ્ધિ અને તકનીકી પ્રગતિ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરે છે, જ્યારે સુરક્ષિત રાષ્ટ્ર એવી સ્થિરતા પ્રદાન કરે છે જે ઉદ્યોગ અને નવીનતાને ખીલવા દે છે," તેમણે સુરક્ષિત સરહદો અને મજબૂત અર્થતંત્ર ધરાવતો દેશ બનાવવા માટે ઉન્નત સહયોગની જરૂરિયાત પર ભાર મૂકતાં જણાવ્યું હતું.
શ્રી રાજનાથ સિંહે રેખાંકિત કર્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રનો વિકાસ માત્ર શસ્ત્રો અને તકનીકોના ઉત્પાદન પૂરતો મર્યાદિત નથી; તે એક વિશાળ આર્થિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરે છે. તેમણે જણાવ્યું કે સંરક્ષણ કોરિડોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ, ઉદ્યોગ અને રોજગારમાં નવી તકો ઊભી કરે છે, જ્યારે સંશોધન અને વિકાસ (R&D), તકનીક અને નવીનતા પર ભાર મૂકવાથી ઔદ્યોગિક આધાર મજબૂત બને છે. તેમણે ઔદ્યોગિક અને સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત કરવા માટે આ ગતિનો લાભ લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા એક દાયકામાં સંરક્ષણ ક્ષેત્રમાં જોવા મળી રહેલા પરિવર્તન પર પ્રકાશ પાડતાં રક્ષા મંત્રીએ દાવો કર્યો હતો કે એક સમય એવો હતો જ્યારે ભારત તેની સુરક્ષા જરૂરિયાતો માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર હતું, અને હવે તે ઉત્પાદન અને નિકાસમાં એક અગ્રણી ખેલાડી તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે સ્વદેશી પ્લેટફોર્મ્સની સફળતા, ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારી અને સંશોધકો તથા સ્ટાર્ટ-અપ્સના ઉત્સાહે સામૂહિક રીતે દેશમાં એક મજબૂત સંરક્ષણ ઇકોસિસ્ટમના નિર્માણમાં યોગદાન આપ્યું છે.
"‘આત્મનિર્ભર ભારત’ હેઠળ, અમે એરોસ્પેસ અને સંરક્ષણ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સ્વદેશી ક્ષમતાઓને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. મેક-ઇન-ઇન્ડિયા, ડિફેન્સ એક્વિઝિશન પ્રોસિજરની સમીક્ષા અને ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ જેવી પહેલો આ દિશામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આધુનિકીકરણ અને મૂડી પ્રાપ્તિ માટેની બજેટરી જોગવાઈઓનો ઉદ્દેશ્ય સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો અને તેમને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સંકલિત કરવાનો છે. રોકાણને વેગ આપવા માટે, અમે લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવી છે, અને એફડીઆઈ નીતિને ઉદાર બનાવી છે. સૃજન પોર્ટલ, આઇડેક્સ (iDEX), ડિફેન્સ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન ચેનલ સર્ટિફિકેશન અને સેલ્ફ-સર્ટિફિકેશને નાના ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સમાં આત્મવિશ્વાસ જગાડ્યો છે. પારદર્શક નીતિઓ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, ટેક્નોલોજી ટ્રાન્સફર માટેની પદ્ધતિઓ, ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સહયોગી આર એન્ડ ડી માળખા દ્વારા અમે દરેક ક્ષેત્રમાં અમારા ઉદ્યોગપતિઓને ટેકો આપી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય એક એવી ઇકોસિસ્ટમ બનાવવાનો છે જ્યાં નવીનતા, ઉદ્યોગ અને આત્મનિર્ભરતા એકબીજા સાથે મળીને નવા ભારતની સુરક્ષા ક્ષમતાને વધુ મજબૂત બનાવે," તેમ શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું.
સરકારના સતત પ્રયાસોને કારણે હાંસલ થયેલી નોંધપાત્ર સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, આજે સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન 2014 માં માત્ર રૂ. 46,000 કરોડથી વધીને રૂ. 1.78 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે સંરક્ષણ નિકાસ, જે રૂ. 1,000 કરોડથી ઓછી હતી, તે વધીને રૂ. 38,424 કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે.

શ્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું કે આત્મનિર્ભરતાનો અર્થ અલગતા નથી; તેનો અર્થ એ છે કે એક રાષ્ટ્ર પોતાના પગ પર મજબૂત રીતે ઊભું રહે અને એક સમાન ભાગીદાર તરીકે વિશ્વ સાથે જોડાય. તેમણે જણાવ્યું હતું કે સરકાર વિદેશી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) સાથે સહયોગ, ટેક્નોલોજી ટ્રાન્સફર અને સંયુક્ત સાહસોને પ્રોત્સાહિત કરી રહી છે જેથી કરીને ભારતીય ધરતી પર પ્રત્યક્ષ પરિણામો પ્રાપ્ત થાય, સ્વદેશી ક્ષમતાઓ મજબૂત બને અને લોકોને ફાયદો થાય.
રક્ષા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત આત્મનિર્ભરતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે કારણ કે આ રાજ્ય મજબૂત ઔદ્યોગિક આધાર, કુશળ કાર્યબળ અને સાહસિક ભાવના ધરાવે છે. અદ્યતન ઉત્પાદનથી લઈને અદ્યતન સંશોધન સુધી, ગુજરાત સંરક્ષણ ઉત્પાદન અને તકનીક માટે એક મુખ્ય હબ બનવાની ક્ષમતા ધરાવે છે, તેમ તેમણે વડોદરામાં સી-295 (C-295) પરિવહન વિમાનોના ઉત્પાદન માટેના ટાટા-એરબસ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનો ખાસ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય સેનાની પ્રહાર ક્ષમતા વધારતું વિશ્વના સૌથી અદ્યતન સેલ્ફ-પ્રોપેલ્ડ આર્ટિલરી પ્લેટફોર્મ્સમાંનું એક, કે-9 વજ્ર (K-9 Vajra), ગુજરાતમાં બનાવવામાં આવી રહ્યું છે.

ભવિષ્યના યુદ્ધ અને અર્થતંત્ર ચિપ્સ દ્વારા સંચાલિત થશે તે તરફ નિર્દેશ કરતા શ્રી રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સાણંદ અને ધોલેરામાં વિકસાવવામાં આવી રહેલી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ભારતની તકનીકી સાર્વભૌમત્વના આધારસ્તંભ તરીકે કામ કરશે. "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી અને સાયબર સિક્યોરિટીથી લઈને સ્પેસ ટેક્નોલોજી સુધી, ગુજરાતમાં આ ઇકોસિસ્ટમ આપણને દરેક ક્ષેત્રમાં મજબૂત બનાવશે," તેમ તેમણે જણાવ્યું હતું.
રક્ષા મંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતની ઔદ્યોગિક શક્તિઓને સીધી રીતે સંરક્ષણ ક્ષેત્રની જરૂરિયાતો સાથે જોડી શકાય છે કારણ કે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સમાં રાજ્યનો મજબૂત આધાર અદ્યતન સામગ્રી, કમ્પોઝિટ અને પ્રોપેલન્ટ્સ જેવા ક્ષેત્રોમાં અમૂલ્ય સાબિત થઈ શકે છે. "સ્થાનિક ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ એવિઓનિક્સ, સેન્સર્સ અને કોમ્યુનિકેશન સિસ્ટમ્સમાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે. તદુપરાંત, રાજ્યની પોર્ટ અને શિપબિલ્ડિંગ ક્ષમતાઓ નેવલ સિસ્ટમ્સ અને દરિયાઈ સુરક્ષાને મજબૂત કરી શકે છે. પુનઃપ્રાપ્ય ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવા ક્ષેત્રોમાં તેનું નેતૃત્વ ભવિષ્યની સંરક્ષણ તકનીકો માટે પણ માર્ગ મોકળો કરી શકે છે. સંરક્ષણ ઉત્પાદન હબ માટે જરૂરી સંપૂર્ણ ઇકોસિસ્ટમ આ રાજ્ય ધરાવે છે. મને વિશ્વાસ છે કે ગુજરાતના યુવાનો અને સાહસિકો આ પ્રયાસને સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ રહેશે," તેમ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમના ભાગરૂપે, શ્રી રાજનાથ સિંહે ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ પરના એક સેમિનાર દરમિયાન ખાનગી ઉદ્યોગના પ્રતિનિધિઓ અને શિક્ષણવિદો સાથે પણ સંવાદ કર્યો હતો. તેમણે સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત કરવા તરફના તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા, અને વધુ અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, જેથી તેઓ ભારતના વિકાસ પ્રવાસમાં વધુ યોગદાન આપી શકે. આ સંવાદ દરમિયાન ડીઆરડીઓ (DRDO) ના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક અને ડાયરેક્ટર જનરલ (પ્રોડક્શન કોઓર્ડિનેશન એન્ડ સર્વિસીસ ઇન્ટરેક્શન) ડૉ. ચંદ્રિકા કૌશિક પણ ઉપસ્થિત હતા.
રક્ષા મંત્રીએ એક પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી, જેમાં ઉદ્યોગો, એમએસએમઈ (MSMEs), સ્ટાર્ટ-અપ્સ, ઓટોમોબાઇલ સેક્ટર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, હસ્તકલા, મહિલા કારીગરો, આદિવાસી ઉત્પાદનો, ભારે ઉદ્યોગો, મોબિલિટી ઇનોવેશન્સ, નિકાસ અને સાહસિકતાના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2003 માં કલ્પના કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે સમાવિષ્ટ વૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે બિઝનેસ નેટવર્કિંગ, જ્ઞાનની વહેંચણી અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચોમાંના એક તરીકે વિકસિત થઈ છે. વાઇબ્રન્ટ ગુજરાતના સફળ મોડેલની પહોંચ અને પ્રભાવને વધુ વિસ્તારવા માટે, ગુજરાત સરકાર રાજ્યના વિવિધ પ્રદેશોમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોની શ્રેણીનું આયોજન કરી રહી છે. આ પ્રાદેશિક પરિષદો પ્રાદેશિક શક્તિઓનું પ્રદર્શન કરવા, પાયાના સ્તરે વિકાસને વેગ આપવા અને સ્થાનિક આકાંક્ષાઓને વિકસિત ભારત @2047 અને વિકસિત ગુજરાત @2047 ના વ્યાપક વિઝન સાથે જોડવા માટેના મંચ તરીકે કામ કરે છે.



SM/DK/JD
(रिलीज़ आईडी: 2279386)
आगंतुक पटल : 41