માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
NHAIએ સેન્ટર ફોર ઇકોનોમિક્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન, મોબિલિટી એન્ડ લોજિસ્ટિક્સની સ્થાપના કરવા માટે એનસીએઇઆર સાથે MoU પર હસ્તાક્ષર કર્યા
પરિવહન, મોબિલિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પુરાવા-આધારિત નીતિ ઘડતરને મજબૂત કરવા અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટેની પહેલ
प्रविष्टि तिथि:
23 JUN 2026 3:16PM by PIB Ahmedabad
રોડ પરિવહન ક્ષેત્રે પુરાવા-આધારિત નીતિ ઘડતરને મજબૂત કરવા અને ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધનને પ્રોત્સાહન આપવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) સાથે એમઓયુ (સમજૂતી કરાર) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ NCAER ખાતે 'NHAI સેન્ટર ફોર ઇકોનોમિક્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન, મોબિલિટી એન્ડ લોજિસ્ટિક્સ' ની સ્થાપના કરવામાં આવશે, જે પરિવહન, મોબિલિટી અને લોજિસ્ટિક્સના અર્થશાસ્ત્રને સમર્પિત ભારતનું પ્રથમ કાયમી અને સ્વતંત્ર સંશોધન કેન્દ્ર છે. આ કેન્દ્રની સ્થાપના NHAI ના પ્રારંભિક યોગદાન સાથે કરવામાં આવી છે, અને NCAER અન્ય સંલગ્ન સંસ્થાઓ તેમજ ભાગીદારો પાસેથી પણ યોગદાન મેળવવા માટે પ્રતિબદ્ધ છે.
NHAI મુખ્યાલય ખાતે NHAIના ચેરમેન, NCAERના ડીજી (ડાયરેક્ટર જનરલ) અને NHAI તેમજ NCAER ના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રકારની સૌપ્રથમ પહેલ દેશના ઝડપથી વિસ્તરી રહેલા નેશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને સંચાલનમાં સંશોધન, ડેટા એનાલિટિક્સ અને પુરાવા-આધારિત નિર્ણય પ્રક્રિયાને સંકલિત કરવા પ્રત્યેની NHAI ની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પ્રસંગે NHAI ના ચેરમેન શ્રી સંતોષ કુમાર યાદવે જણાવ્યું હતું કે, "NHAI રાષ્ટ્રીય કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. NCAER સાથેની આ ભાગીદારી ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધન અને નીતિ વિશ્લેષણ માટે એક સમર્પિત પ્લેટફોર્મ પૂરું પાડશે, જે પરિવહન ક્ષેત્રે આયોજન, રોકાણ અને એસેટ મેનેજમેન્ટના નિર્ણયોને મજબૂત કરવામાં મદદ કરશે."

આ કેન્દ્ર પરિવહન, મોબિલિટી અને લોજિસ્ટિક્સ પર વ્યવહારુ આર્થિક સંશોધન કરવા માટે એક સમર્પિત પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જેનો મુખ્ય હેતુ રોડ અને પરિવહન ક્ષેત્રે લાંબા ગાળાના આયોજન, રોકાણ અને નીતિ ઘડતરને ટેકો આપવા માટે ઉપયોગી નિર્ણયો જાહેર કરવાનો છે. આ કેન્દ્ર નેશનલ હાઇવે અર્થશાસ્ત્ર, માલસામાનનું લોજિસ્ટિક્સ, મોડલ ઇન્ટિગ્રેશન, નેશનલ હાઇવે રોકાણની પ્રાદેશિક આર્થિક અસરો, ટોલ નીતિ, એસેટ મોનેટાઇઝેશન, માર્ગ સલામતીના પગલાં તેમજ નેશનલ હાઇવેના સંચાલન અને જાળવણીમાં ટેકનોલોજી અપનાવવા જેવા વ્યાપક વિષયો પર નીતિ-સંબંધિત સંશોધન હાથ ધરશે. સંશોધનના આ પરિણામો માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, NHAI અને અન્ય સરકારી એજન્સીઓને એવી નીતિઓ અને કાર્યક્રમો તૈયાર કરવામાં મદદ કરશે જે સમગ્ર પરિવહન વ્યવસ્થામાં કાર્યક્ષમતા, ટકાઉપણું અને વપરાશકર્તાઓના અનુભવને બહેતર બનાવશે.
સંશોધન ઉપરાંત, આ કેન્દ્ર પોલિસી બ્રીફ્સ, વર્કિંગ પેપર્સ, ફ્લેગશિપ રિપોર્ટ્સ, હિસ્સેદારો સાથે પરામર્શ, વર્કશોપ અને શૈક્ષણિક જોડાણો દ્વારા સંશોધનના તારણોનો પ્રસાર કરીને પરિવહન ક્ષેત્ર માટે નોલેજ હબ તરીકે સેવા આપશે. તે પરિવહન અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ભવિષ્યની પ્રતિભાઓ અને સંસ્થાકીય ક્ષમતા વિકસાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
આ કેન્દ્રનું સંચાલન એક સલાહકાર સમિતિ દ્વારા કરવામાં આવશે જેમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓ, પરિવહન નિષ્ણાતો, જાહેર નીતિના નિષ્ણાતો અને પ્રતિષ્ઠિત શિક્ષણવિદોની સાથે NHAI ના મેમ્બર (ફાઇનાન્સ) અને NCAERના ડાયરેક્ટર જનરલ સામેલ હશે. આ ઉપરાંત, NHAI દ્વારા ગઠિત સ્ટીયરિંગ કમિટી સંશોધનની પ્રાથમિકતાઓની દેખરેખ રાખશે, પરિણામોની સમીક્ષા કરશે અને ઓથોરિટીની નીતિગત તેમજ વહીવટી જરૂરિયાતો સાથે તેનું સંકલન સરળ બનાવશે. NHAI આ સંસ્થાની સ્થાપના અને કામગીરીને દસ વર્ષના ગાળા માટે સહયોગ આપશે.
પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મોબિલિટી સિસ્ટમ્સ અને લોજિસ્ટિક્સ નેટવર્કના આર્થિક પાસાઓની ઊંડી સમજણ કેળવીને, આ અનોખી સંસ્થા વધુ માહિતગાર નિર્ણય પ્રક્રિયાને ટેકો આપશે, નીતિગત અસરકારકતા વધારશે અને દેશમાં મજબૂત, આધુનિક અને વૈશ્વિક સ્તરના રાષ્ટ્રીય રાજમાર્ગ નેટવર્કના વિકાસમાં યોગદાન આપશે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2277031)
आगंतुक पटल : 17