પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં રેડ રોડ પરથી 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું


યોગ આપણને સૌને જોડે છે અને આપણને એકસાથે લાવે છે: પ્રધાનમંત્રી

જ્યારે યોગ જીવન પદ્ધતિ બની જાય છે, ત્યારે તે માનવ એકતાનો પાયો બને છે: પ્રધાનમંત્રી

યોગ આપણને આપણા શરીરને ફ્લેક્સીબલ બનાવવા માટે અનુકૂળ થવામાં મદદ કરે છે; તે આપણી ઊર્જાનું સ્તર ઊંચું રાખે છે: પ્રધાનમંત્રી

યોગ આપણને સંતુલિત જીવન જીવવાની કળા શીખવે છે: પ્રધાનમંત્રી

યોગ માનસિક સુખાકારીથી શારીરિક સુખાકારી તરફનો માર્ગ બતાવે છે: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 21 JUN 2026 9:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકાતામાં રેડ રોડ પરથી 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. શ્રી મોદીએ હજારો યોગ સાધકો સાથે સામાન્ય યોગ પ્રોટોકોલ સત્રમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે વિશ્વભરના લોકોને શુભેચ્છાઓ પાઠવતા, શ્રી મોદીએ અવલોકન કર્યું કે 21 જૂન વિશ્વના ઘણા ભાગોમાં વર્ષના સૌથી લાંબા દિવસ તરીકે ચિહ્નિત થયેલ છે અને તે યોગ દ્વારા માનવતાની સૌથી મોટી સામૂહિક ઉજવણીઓમાંની એક તરીકે પણ ઉભરી આવી છે.

કોલકાતામાં સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વના વિવિધ ભાગોમાંથી યોગની પ્રેરણાદાયી તસવીરો જોવા મળી રહી છે. શ્રી મોદીએ ગર્વ લેતા કહ્યું  કે, હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને બંગાળ અને ઉત્તર-પૂર્વથી પશ્ચિમ પ્રદેશ સૌરાષ્ટ્ર સુધી, સમગ્ર દેશ યોગની ભાવનાથી ઊર્જાવાન જણાતો હતો. દેશ અને દુનિયા સુખાકારી અને સંવાદિતા પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા દ્વારા જોડાયેલા જણાતા હતા, જે યોગની એકીકરણ શક્તિને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ સ્વચ્છતા સે સ્વાગતપહેલ હેઠળના પ્રયાસો માટે કોલકાતાના લોકોની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કે નાગરિકો દ્વારા સ્વચ્છતા જાળવવામાં દર્શાવવામાં આવેલી સમર્પણ, સખત મહેનત અને નાગરિક જવાબદારી દેશભરના લોકો માટે પ્રેરણારૂપ બની છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં યોગ દિવસની ઉજવણી વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે રાજ્યનો સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો છે. તેમણે યાદ કર્યું કે બંગાળ એ ભૂમિ છે જ્યાં ભગવાન રામકૃષ્ણ પરમહંસ રહ્યા હતા અને ઉપદેશ આપ્યો હતો, જ્યાંથી સ્વામી વિવેકાનંદે ભારતની આધ્યાત્મિક વિદ્વતા અને યોગ પરંપરાઓનો વિશ્વ સમક્ષ પરિચય કરાવ્યો હતો, અને જ્યાં મહર્ષિ અરવિંદ અને લાહિરી મહાશયે યોગિક વિચાર અને અભ્યાસના વિકાસમાં ઘણું મોટું યોગદાન આપ્યું હતું. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના ઉપદેશોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સાચી માનવ ઓળખ આપણી આસપાસની દુનિયા સાથેના અર્થપૂર્ણ સંબંધો દ્વારા આકાર લે છે, એક એવો સિદ્ધાંત જે યોગના હાર્દમાં રહેલો છે. તેમણે મહર્ષિ અરવિંદની એ માન્યતાને પણ ટાંકી કે સમગ્ર જીવન યોગ છે, અને અવલોકન કર્યું કે જ્યારે યોગ વ્યક્તિના સ્વભાવનો ભાગ બની જાય છે, ત્યારે તે માનવ એકતાના પાયાને મજબૂત કરે છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, યોગ માત્ર શારીરિક કસરતનું એક સ્વરૂપ નથી અને તેને કોઈ ચોક્કસ વય જૂથ સુધી મર્યાદિત કરી શકાય નહીં. તે ચેતના, જીવનશક્તિ અને આંતરિક પ્રકાશનો સ્ત્રોત છે જે માનવ જીવનના દરેક તબક્કાને સમૃદ્ધ બનાવે છે”. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ, “સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ” (Yoga for Healthy Ageing) નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે યોગ વ્યક્તિ મોટી ઉંમરનો થાય ત્યારે પણ સ્વસ્થ, સક્રિય અને ઊર્જાવાન રહેવાનો માર્ગ પ્રદાન કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્વસ્થ વૃદ્ધત્વનો અર્થ એ સુનિશ્ચિત કરવાનો છે કે વધતી જતી ઉંમર માનવ ક્ષમતાને ઓછી ન કરે. તેમણે કહ્યું કે યોગ જીવનભર સતત વિકાસ અને સ્વયં-સુધારણાને પ્રોત્સાહિત કરે છે. તેમણે એવી આકાંક્ષા વ્યક્ત કરી કે વ્યક્તિઓએ વીસ વર્ષની ઉંમર કરતાં ચાલીસ વર્ષની ઉંમરે વધુ ફ્લેક્સીબલ બનવા, ત્રીસ વર્ષની ઉંમર કરતાં પચાસ વર્ષની ઉંમરે વધુ ઊર્જાવાન બનવા, અને પચાસ વર્ષની ઉંમર કરતાં સિત્તેર વર્ષની ઉંમરે જીવનશૈલી સંબંધિત રોગો સામે વધુ સ્થિતિસ્થાપક બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમણે નોંધ્યું હતું કે યોગ ફ્લેક્સીબિલીટી સુધારવામાં, ઊર્જાનું સ્તર જાળવી રાખવામાં, તણાવ ઘટાડવામાં અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે અને સાથે જ જીવનશૈલીની વિકૃતિઓને રોકવામાં પણ મદદ કરે છે. “યોગનો નિયમિત અભ્યાસ વ્યક્તિઓને તેમના પોતાના શરીર અને મનના જીવનભરના શીખનારાઓમાં પરિવર્તિત કરે છે. વધુ આત્મ-જાગૃતિ બહેતર સ્વયં-વ્યવસ્થાપન અને તંદુરસ્ત જીવન પદ્ધતિ તરફ દોરી જાય છે”, શ્રી મોદીએ અવલોકન કર્યું.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગથીમ માત્ર વૃદ્ધો પૂરતી મર્યાદિત નથી પરંતુ તે તમામ ઉંમરના લોકો માટે સુસંગત છે, જે યોગને આરોગ્ય, સુખાકારી અને વ્યક્તિગત વિકાસની શોધમાં જીવનભરનો સાથી બનાવે છે.

ભગવદ્ ગીતાના ઉપદેશોનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સંતુલિત આહારની આદતો, સંતુલિત મનોરંજન, સંતુલિત કાર્યો અને સંતુલિત ઊંઘ તેમજ જાગરણ યોગને દુઃખ પર વિજય મેળવવાનું સાધન બનવા માટે સક્ષમ બનાવે છે”. તેમણે અવલોકન કર્યું કે સંતુલન એ જ યોગનો પાયો છે અને તે સંતોષકારક જીવન માટે એટલું જ જરૂરી છે. યોગ સંતુલિત રીતે જીવવાની કળા શીખવે છે. તે વ્યક્તિઓને શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ તેનું માર્ગદર્શન આપે છે, જે તેમને તંદુરસ્ત જીવનશૈલી વિકસાવવામાં મદદ કરે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક સુખાકારી પૂરતો મર્યાદિત નથી. તેના બદલે, તે માનસિક સુખાકારીથી શારીરિક સુખાકારી તરફનો માર્ગ પ્રદાન કરે છે. “યુક્ત ચેષ્ટસ્ય કર્મસુઅભિવ્યક્તિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે યોગ વ્યક્તિઓને શું સાચું છે અને શું નથી તેની વચ્ચેનો ભેદ પારખવાની વિવેકબુદ્ધિ વિકસાવવામાં મદદ કરે છે. “આવી જાગૃતિ આંતરિક શાંતિનો સ્ત્રોત બને છે અને વૈશ્વિક સંવાદિતા તરફના માર્ગો પણ બનાવે છે. યોગ હવે માત્ર વ્યક્તિગત જીવનશૈલીના અભ્યાસ તરીકે જ સુસંગત નથી; તે વિશ્વના સારા ભવિષ્યના નિર્માણ માટે એક અનિવાર્યતા બની ગયો છે”, શ્રી મોદીએ નોંધ્યું.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે દર વર્ષે લાખો લોકો યોગ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે, ત્યારે આ દિવસ યોગને રોજિંદા જીવનનો એક અભિન્ન ભાગ બનાવવા તરફ સામૂહિક પ્રતિબદ્ધતાને નવીકરણ કરવાની તક પણ પૂરી પાડે છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ સુનિશ્ચિત કરે કે યોગ માત્ર એક દિવસ કે એક કાર્યક્રમ પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ તેમના જીવનનો, તેમના પરિવારોનો અને ભાવી પેઢીઓના જીવનનો કાયમી હિસ્સો બને.

પ્રધાનમંત્રીએ આ વર્ષે યોગ 365” પહેલ હેઠળ થયેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. “આ પહેલ અંતર્ગત 100-દિવસના ઓનલાઈન યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અભૂતપૂર્વ જાહેર ભાગીદારી જોવા મળી હતી. 130 દેશોના ત્રણ મિલિયનથી વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જે યોગની વધતી જતી વૈશ્વિક સ્વીકૃતિ અને લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે”, શ્રી મોદીએ ટિપ્પણી કરી.

પોતાના સંબોધનના સમાપનમાં, શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્વસ્થ સમાજ વધુ મજબૂત, વધુ સમૃદ્ધ અને વધુ આત્મવિશ્વાસ ધરાવતા રાષ્ટ્રનો પાયો નાખે છે. સૌની સુખાકારી માટે પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરતા, તેમણે પ્રાચીન પ્રાર્થના, “સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ” (બધા સુખી થાય, બધા રોગમુક્ત થાય) નું આહ્વાન કર્યું.

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2275957) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Manipuri , Malayalam