કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી શ્રી જયંત ચૌધરીએ પાયાના સ્તરના નવપ્રવર્તકો અને ઉદ્યોગસાહસિકો માટેની રાષ્ટ્રીય પહેલ ‘નવાચાર મંત્ર’ લોન્ચ કરી


સરકાર, શિક્ષણ જગત અને ઉદ્યોગ વચ્ચેના સહયોગ દ્વારા ટિયર-2, ટિયર-3 અને ગ્રામીણ ભારતના સ્કેલેબલ (વિકસી શકે તેવા) નવાચારોને ટેકો આપવા માટે કાર્યક્રમની રચના

અરજીઓ 5 જુલાઈ, 2026 સુધી ખુલ્લી છે; NIESBUD અને FITT, IIT દિલ્હી આ કાર્યક્રમના અમલીકરણને આગળ ધપાવશે

प्रविष्टि तिथि: 03 JUN 2026 5:04PM by PIB Ahmedabad

ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) એ આજે ​​'નવચાર મંત્ર' ની શરૂઆત કરી - જે એક રાષ્ટ્રીય પહેલ છે જે પાયાના સ્તરે ઉદ્યોગસાહસિકતાને મજબૂત બનાવવા અને ઉભરતા ભારતમાં નવીનતાઓ માટે તકો વધારવા પર કેન્દ્રિત છે. આ કાર્યક્રમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર આંત્રપ્રિન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ (NIESBUD) દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જેમાં ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર (FITT), IIT દિલ્હી ટેકનિકલ નોલેજ પાર્ટનર તરીકે સેવા આપી રહ્યું છે.

આ પહેલ ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયંત ચૌધરી દ્વારા આઈઆઈટી દિલ્હી ખાતે નીતિ નિર્માતાઓ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, રોકાણકારો અને યુવા ઉદ્યોગસાહસિકોની ઉપસ્થિતિમાં લોન્ચ કરવામાં આવી હતી.

ઉપસ્થિત જનસભાને સંબોધતા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે, “વિશ્વએ માત્ર ભારતમાં બનેલી પ્રોડક્ટ્સનો જ ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ ભારતમાં વિકસાવેલી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, તે જ ‘નવાચાર મંત્ર’ની સાચી ભાવના છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર્સ, ગ્રીન એનર્જી, બાયોટેક્નોલોજી, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા એડવાન્સ મેન્યુફેક્ચરિંગ હોય, વૈશ્વિક પરિવર્તનની આગામી લહેરમાં ભારતની બૌદ્ધિક છાપ હોવી જોઈએ. માત્ર મહત્વાકાંક્ષાના કારણે જ નહીં, પરંતુ એટલા માટે કે ભારત પાસે કંઈક અનોખું છે: પડકારોનું પ્રમાણ, વાસ્તવિકતાઓની વિવિધતા અને વૈશ્વિક સ્તરે સમસ્યાઓ ઉકેલવા માટે સક્ષમ યુવા મનની પ્રતિભા.

આ અવસરે, હું યુવા સંશોધકોને એવા વિચારો અને કારકિર્દી અપનાવવા માટે પણ વિનંતી કરીશ જે તેમને ખરેખર ઉત્સાહિત અને પ્રેરિત કરે. આ જીવનના નિર્ણયો છે, અને તમે જે કરવાનું પસંદ કરો છો તેનાથી તમારે ખુશ રહેવું જોઈએ. એવું કંઈ ન કરો જે તમને સંતોષ ન આપે, કારણ કે સમય જતાં તે તમને અંદરથી બોજારૂપ લાગશે. સૌથી અર્થપૂર્ણ નવાચારો મોટે ભાગે એવા લોકો દ્વારા બનાવવામાં આવે છે જેઓ દરરોજ પોતાના કામની આશા સાથે જાગે છે, જેઓ માત્ર તકોથી જ નહીં, પરંતુ ઉદ્દેશ્ય અને જુસ્સાથી પ્રેરિત હોય છે. નવાચાર મંત્ર એ એક એવી ઇકોસિસ્ટમ બનાવવા વિશે છે જ્યાં આવા વિચારો અને આવા સંશોધકો ખીલી શકે,” એમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ નવીગેટિંગ ધ આંત્રપ્રિન્યોરિયલ જર્ની: ફ્રોમ ગ્રાસરૂટ ઇનોવેશન ટુ નેશનલ સ્કે (ઉદ્યોગસાહસિકતાની સફર: પાયાના સ્તરના નવાચારથી રાષ્ટ્રીય સ્તર સુધી) શીર્ષક હેઠળની એક ફાયરસાઇડ ચેટ (પરિસંવાદ) હતી, જે વિવિધ ક્ષેત્રોના સફળ ઉદ્યોગસાહસિકો અને સંશોધકોને એકસાથે લાવી હતી. આ સત્રનું સંચાલન સ્કેનએક્સ્ટ સાયન્ટિફિક ટેક્નોલોજીસના સ્થાપક અને સીઈઓ શ્રી રજત વર્ધને કર્યું હતું, જેમની સાથે Droomના સ્થાપક શ્રી સંદીપ અગ્રવાલ; MobiKwik ના સ્થાપક અને સીઈઓ શ્રી બિપિન પ્રીત સિંઘ; ફ્રુવેટેક પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક ડૉ. જગદીશ ગુપ્તા કાપુગંટી; અને ઇઝીઓફાય સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક સુશ્રી મીનલ ગુપ્તા જોડાયા હતા. પોતાની ઉદ્યોગસાહસિકતાની સફરમાંથી મેળવેલા અનુભવોના આધારે, પેનલિસ્ટોએ નવાચાર, સ્થિતિસ્થાપકતા, સાહસોના વિસ્તરણ અને ટકાઉ વ્યવસાયોના નિર્માણ અંગે મૂલ્યવાન વિચારો શેર કર્યા હતા, જેણે ઉપસ્થિત મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો અને સંશોધકોને પ્રેરિત કર્યા હતા.

નવાચાર મંત્ર એ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) ની એક પરિવર્તનકારી રાષ્ટ્રીય પહેલ છે જેનો ઉદ્દેશ્ય ભારતના સૌથી આશાસ્પદ પાયાના સ્તરના નવપ્રવર્તકો અને પ્રારંભિક તબક્કાના ઉદ્યોગસાહસિકોને ઓળખવા, પોષવા અને પ્રોત્સાહિત કરવાનો છે. IIT દિલ્હીના ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર (FITT) ના સહયોગથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર આંત્રપ્રિન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ (NIESBUD) દ્વારા અમલમાં મુકાયેલો આ કાર્યક્રમ ટિયર-2 અને ટિયર-3 શહેરો, આકાંક્ષી જિલ્લાઓ અને વંચિત ભૌગોલિક વિસ્તારોના નવપ્રવર્તકો માટે માર્ગદર્શન, વિઝિબિલિટી (દ્રશ્યતા) અને વિકાસની તકો મેળવવાના માર્ગો તૈયાર કરે છે.

આ પહેલ એગ્રીટેક, હેલ્થટેક, એડટેક અને સ્કિલિંગ, ક્લાઇમેટ એન્ડ સસ્ટેનેબિલિટી (આબોહવા અને ટકાઉપણું), ગ્રામીણ વાણિજ્ય અને MSME સક્ષમીકરણ જેવા અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં કામ કરતા નવપ્રવર્તકો માટે સહાયનું એક સુવ્યવસ્થિત માળખું પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. નવાચાર મંત્ર દ્વારા, નવપ્રવર્તકો નીતિ નિર્માતાઓ, ઉદ્યોગના અગ્રણીઓ, રોકાણકારો અને ક્ષેત્રના નિષ્ણાતો સાથે સીધો સંપર્ક મેળવશે, જે તેમને તેમના વિચારોને શુદ્ધ કરવા, વ્યવસાયિક મોડલ્સને મજબૂત કરવા અને નવાચારથી સાહસ સુધીની તેમની સફરને વેગ આપવા માટે સક્ષમ બનાવશે.

લોન્ચિંગને પગલે, સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા દેશભરના નવપ્રવર્તકો અને ઉદ્યોગસાહસિકો પાસેથી અરજીઓ મેળવવા માટે રજીસ્ટ્રેશન હવે ખુલ્લું છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 5 જુલાઈ, 2026 છે. ઉચ્ચ ક્ષમતા ધરાવતા સાહસોને ઓળખવા માટે શિક્ષણ જગત, ઉદ્યોગ, ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ અને સરકારી સંસ્થાઓના નિષ્ણાતોની સંડોવણીવાળી એક કડક બહુ-તબક્કીય મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી અરજીઓ આકર્ષિત થવાની અપેક્ષા છે, જેમાં સ્થાનિક પડકારો અને સામુદાયિક પ્રભાવ માટે ઉકેલો તૈયાર કરતા નવપ્રવર્તકો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

પસંદગી પામેલા નવપ્રવર્તકોને એક વર્ષ લાંબા જોડાણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે જેમાં મેન્ટરશિપ રાઉન્ડટેબલ્સ, વિષયવાર વેબિનાર્સ, ઇનોવેશન શોકેસ, રોકાણકારો સાથેની વાતચીત અને રાષ્ટ્રીય સ્તરના સ્ટોરીટેલિંગ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. સહભાગીઓને વ્યવસાય વિકાસ, બજાર સુધી પહોંચ, નિયમનકારી પાલન, બૌદ્ધિક સંપદા (IPR), ભંડોળ એકત્ર કરવા અને સ્કેલિંગ વ્યૂહરચનાઓ પર અનુરૂપ માર્ગદર્શન પ્રાપ્ત થશે. આ કાર્યક્રમ આશાસ્પદ નવાચારોને ટકાઉ સાહસોમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવા માટે પાઇલોટ પ્રોજેક્ટ્સ, ભાગીદારી અને માર્કેટ લિંકેજની તકો પણ સરળ બનાવશે.

નવાચાર મંત્રની એક મુખ્ય વિશેષતા વિઝિબિલિટી અને ઓળખ પર તેનું ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. મંત્રી સ્તરના પોડકાસ્ટ, ઇનોવેશન શોકેસ, ડિજિટલ ઝુંબેશો અને ઇકોસિસ્ટમ ઇવેન્ટ્સ દ્વારા, પસંદ કરાયેલા નવપ્રવર્તકોને રાષ્ટ્રીય સ્તરે એક્સપોઝર અને વ્યાપક પ્રેક્ષકો સાથે તેમની સફર શેર કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય શોકેસ ઇવેન્ટ સાથે સમાપ્ત થશે, જે નવપ્રવર્તકો, ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને ઇકોસિસ્ટમના હિતધારકોને નવાચાર-આધારિત ઉદ્યોગસાહસિકતાની ઉજવણી કરવા અને ભવિષ્યના વિકાસ માટેના માર્ગો તૈયાર કરવા માટે એકસાથે લાવશે.

પાયાના સ્તરના નવપ્રવર્તકોની એક મજબૂત પાઇપલાઇન બનાવીને અને તેમને દેશની અગ્રણી સંસ્થાઓ અને નેટવર્ક્સ સાથે જોડીને, નવાચાર મંત્રનો ઉદ્દેશ્ય ભારતના ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો અને આત્મનિર્ભર, ઉદ્યોગસાહસિક અને નવાચાર-સંચાલિત વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપવાનો છે.

આ લોન્ચિંગ ઇવેન્ટમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેનિંગ (DGT) ના મહાનિર્દેશક શ્રી દિલીપ કુમાર; કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) ના સંયુક્ત સચિવ સુશ્રી હેના ઉસ્માન; MSDE ના આર્થિક સલાહકાર સુશ્રી અર્ચના માયારામ; આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર પ્રો. રંગન બેનર્જી; NIESBUDના મહાનિર્દેશક ડૉ. પૂનમ સિંહા અને એફઆઈટીટી (FITT) - આઈઆઈટી દિલ્હીના એમડી ડૉ. નિખિલ અગ્રવાલ સહિત કેટલાક પ્રતિષ્ઠિત મહાનુભાવો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારી મંત્રાલયો, ઉદ્યોગો, શિક્ષણ જગત, ઇનોવેશન સંસ્થાઓ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એનેબલર્સ અને અન્ય ભાગીદાર સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.

 

 

SM/BS/JD


(रिलीज़ आईडी: 2268520) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil