પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

‘મન કી બાત’ના 134મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (31.05.2026)

પોસ્ટેડ ઓન: 31 MAY 2026 11:48AM by PIB Ahmedabad

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર,

મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

એક સ્પર્ધા કે જેની દેશભરમાં ઘણી ચર્ચા થઇ રહી છે – તે છે 100 મીટરની દોડ. માત્ર બે દિવસમાં જ પુરૂષો માટેની 100 મીટર દોડમાં ત્રણ વાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યો. જે બે ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે, તે છે ગુરિંદરવીર સિંહ અને અનિમેષ કૂજૂર. મે વિચાર્યું કે, આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવામાં આવે

(ફોન કોલ)

પ્રધાનમંત્રીઃ- અનિમેષજી નમસ્કાર, ગુરિંદરવીર આપને પણ નમસ્કાર, સતશ્રી અકાલ.

અનિમેષ, ગુરિંન્દરવીરઃ- નમસ્કાર સર, નમસ્કાર સર.

પ્રધાનમંત્રીઃ- સરસ ભાઇઓ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે. તમારી જોડીએ પણ બહુ કમાલ કરી છે. અમે સંગીતમાં તો જુગલબંધી જોઇ હતી. પણ હવે રમતના પડકારમાં ય જુગલબંધી હોય છે. કે એકવાર એક પડકાર ફેંકે અને પછી બીજો આ પડકાર ઉઠાવી લે. પછી ત્રીજીવાર પણ કરી  બતાવે. બહુ રસપ્રદ વિષય રહ્યો છે તમારો. હું ઇચ્છું છું કે, મન કી બાતના શ્રોતાઓને ખબર પડે કે આપના વિશે તેમને જાણકારી મળે. તમે જે પરાક્રમ કર્યું છે તેની માહીતી મળે.

અનિમેષઃ- નમસ્તે સર, મારૂં નામ અનિમેશ કુજૂર. હું બસ્સો મીટર અને ચારસો મીટર દોડનો રાષ્ટ્રીય વિક્રમધારક છું. અને હું છત્તીસગઢનો રહેવાસી છું સર. અને હાલમાં ઉડીસા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઇ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઇ આવ્યો. અને મે 2021માં એથ્લેટીક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપૂરમાંથી પાસ આઉટ થયો છું. અને... હું પહેલાં ફૂટબોલ રમતો હતો. અને મારા માતાપિતા કોવિડ વખતે મને થોડી છુટ આપતા હતા કે તું બહાર જઇને દોડ અથવા રમી લે. તો હવે જ્યારે કોવિડ નાબૂદ થવા લાગ્યો ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે, રાષ્ટ્રીય સ્પર્ધા થવાની છે. તો તેમાં જઇને તું ભાગ લે અને મે એ રીતે એમાં ભાગ લીધો. મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી થવાની છે. હું ત્યાંથી રાષ્ટ્રીયકક્ષાએ પસંદ થયો. અને આજે હું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.

પ્રધાનમંત્રીઃ- અને ગુરિંદર વીરજી તમે શું છો ?

ગુરિંદરવીરઃ- નમસ્તે સર. મારૂં નામ ગુરિંદરવીર છે. અને હું ભારતીય નૌકાદળમાં પેટ્ટી ઓફિસર છું. અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હાલમાં મે સો મીટરમાં 10.09 સેકંડનો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે. અને હું પહેલો ભારતીય છું, જે 10.1થી ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે. અને હું કોશિષ કરી રહ્યો છું કે રમતના મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરૂં. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે, જ્યારે પણ કોઇ તહેવાર આવે છે, જેમ કે, દિવાળી, નવું વર્ષ વગેરે,. તો આપણે પોતાના ઘરની સાફસફાઇ કરીએ છીએ. એ રીતે જ હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો. તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઇ ટ્રોફી સાફ કરતો હતો. ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે, તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો ક્યાંનો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાણી સંભળાવતા હતા. કે ભાઇ, હું ક્યાં રમવા ગયો હતો, મે આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો. મે મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા મારે પણ કોઇ રમતમાં જોડાવું છે. તેઓ દરરોજ સવારમાં દોડવા જતા હતા. એટલે હું પણ એમને કહેવા લાગ્યો કે, મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઇ જવા લાગ્યા અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા, આમ મારો રસ વધવા લાગ્યો. મે ઉસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો. તો એક મજાની વાત બની. હું ટીવી જોઇ રહ્યો હતો અને મમ્મીએ મારો ટીવી બંઘ કરી દીધો. અને કહ્યું કે, બેટા હવે ભણવાનો સમય થઇ ગયો છે. તો તું ભણવા બેસ. તો મે કહ્યું કે, મમ્મી ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે, તમે મને ટીવીમાં જોશો. અને કહેશો કે, જુઓ મારો ગુરિંદર દોડી રહ્યો છે. અને હવે જ્યારે મારી મા ટીવીમાં દોડતો જુએ છે તો મને પણ આનંદ થાય છે.

પ્રધાનંમત્રીઃ- વાહ.. વાહ.. વાહ.. તમારે તો બહુ શાનદાર વાત છે.

ગુરિંદર વીરઃ- હા જી. મધ્યમવર્ગીય પરિવાર છે સર, પછી  મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા. પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમતગમત છોડી દીધી. અને તેમનું સપનું અધૂરૂં રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું. કે ભાઇ મારો દિકરો એ સપનું પૂરૂં કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે, મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા. ત્યારે હું એમને કહેતો હતો કે, હું પણ એક દિવસ તમારૂં સપનું પૂરૂં કરીશે. તેઓ કહેતા સપનું એમને એમ પૂરૂં નથી થતું. તે માટે બહુ સખત મહેનત કરવી પડે છે. મિલ્ખાસિંહજીને દોડતી વખતે લોહીની ઉલ્ટીઓ થતી હતી. તડકામાં દોડતા હતા. આખે આખો દિવસ તાલીમ લેતા હતા. અને તે બાબતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરિત કરતા હતા કે, હું પોતાના દેશ માટે ચંદ્રક જીતીને લાવું. અને એ પણ હતું કે, જ્યારે મે સ્પર્ધા પસંદ કરી સો મીટરની તો બધા મને કહેતા હતા કે, ભાઇ સો મીટર સ્પર્ધા ના લે. સો મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં. ભારતીયોનું શરીર સો મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે, અમે આ સ્પર્ધા પસંદ કરી છે. અને એમાંથી હવે અમે પાછા નહીં હઠીએ. જે લોકો અમને કહેતા હતા કે, અમે આ નહિં કરી શકીએ, તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે, તું આ કરીને જ બતાવીશ. મને તારા પર ભરોસો છે. અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો. અને આજે દરેક ભારતીય બોલે છે કે, ભાઇ ભારતીય પણ દોડવીર બની શકે છે.

પ્રધાનમંત્રીઃ- જુઓ, તમે બંનેએ બહુ મોટી કમાલ કરી છે. અને માત્ર બે દિવસમાં જ તમે બંનેએ ત્રણવાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. સો મીટરની સ્પર્ધામાં દોડવું જેમ ગુરિંદર વીરે કહ્યું  તેમ લોકો કહે છે કે, ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહિં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું તો તમારા બંને પાસેથી હું એ જાણવા માગું છું, અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માગે છે કે, ક્યું એવું ઝનૂન હતું, કઇ એવી જીદ હતી, શું વિચાર્યું હતું, અને કેવી રીતે આ કરી રહ્યા હતા ? એ કેટલું મુશ્કેલ હોય છે.

ગુરિંદર વીરઃ- જી સર, હું ગુરિંદર. શરૂઆતમાં સર બહુ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણીવાર મનમાં શક પણ થયો કે, શું હું આ બરાબર કરી રહ્યો છું, મે સાચી સ્પર્ધા તો પસંદ કરી છે ને કેમ કે તમે દર વખતે જીતતા નથી. કોઇ કોઇ વાર તમે શીખો છો. હું જ્યારે હારતો હતો, જ્યારે બરાબર દોડી નહોતો શકતો, કોઇ ઇજા થઇ જતી હતી. ત્યારે મારા ઘરના મને ટેકો આપતા હતા. કે ભાઇ, કંઇ વાંધો નહીં. એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયું. તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઇ જતી. સપના જોવાનું છોડીશ નહીં. મારા કોચે પણ મને એ શીખવ્યું કે જો તું નહીં કરીશ. તો બીજું કોઇ નહીં કરી શકે. તો  રીતે અમારા સમુદાય, અમારી આસપાસના લોકો અમને ઉત્સાહીત કરે છે. અને અમારૂં પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.

પ્રધાનમંત્રીઃ- અને અનિમેષજી તમે.

અનિમેષઃ- સર. જ્યારે હું 2021માં રમતગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે, જો આ નવું ક્ષેત્ર છે. તું કરી શકીશ કે નહિં, તો મે તેમને કહેલું કે, હવે જ્યારે હું આ ક્ષેત્રમાં ઘુસ્યો છું તો કરીશ જ. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘુસ્યો છે તો ક્યારેય પાછું વાળીને ના જોઇશ. કારણ કે, વિચારે તો બધા જ છે કે, આમ કરવું છે, તેમ કરવું છે. પણ બહુ ઓછા કરીને બતાવે છે. તું જ્યારે  ક્ષેત્રમાં ઘુસ્યો છે તો તેમાં અડગ રહેજે, તારે આગળ વધવાનું છે. તમે બધી સગવડો, દરેક વસ્તુમાં અમે તને સમર્થન આપીશું, કુટુંબનો ટેકો, નાણાંકીય ટેકો, બધી વસ્તુઓ અમે લોકો કરીશું. બસ તું મહેનત કર. અને ભારતને બતાવ કે, ભારતીયો પણ દોડી શકે છે. કેમ કે, આ મને પણ લોકો કહેતા હતા કે, 10 સેકંડ કે, 10.1 સેકંડથી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોના લોહીમાં નથી. પરંતુ અમે બંનેએ હાલમાં એ પુરવાર કર્યું કે, ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઇ અઘરી સ્પર્ધા નથી આપણા માટે, આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે. અને જેમ જેમ અને તાલીમ લઇ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટાડી રહ્યા છીએ. અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે, ભારતીયો પણ આ કરી શકે છે. અને અમે વધુ સારૂં કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રકુળ રમતો માટે પણ થઇ છે. તો ત્યાં, આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારૂં પ્રદર્શન કરીશું.

પ્રધાનમંત્રીઃ- ભાઇ મારા મનમાં પણ એક કૂતૂહલ છે, અને લોકોને પણ એ કૂતૂહલ હશે, મે સાંભળ્યું છે કે, તમે બંને સારા દોસ્ત પણ છો. અને તમે બંનેએ નક્કી કરી રાખ્યું હતું કે, તે મારો વિક્રમ તોડ્યો છે. તો હું તારો વિક્રમ તોડી નાંખીશ અનિમેષ તમે કહો.

અનિમેષઃ- સર જી. પહેલો વિક્રમ 10.18 નો હતો. જે મારો જ હતો. અને પછી ગુરિંદર વીર ભૈયાએ સેમીફાઇનલમાં તેને તોડી નાંખ્યો. 10.17 કરીને. અને મે ફરીથી તેને બીજી સેમીફાઇનલમાં 10.15 કરીને તોડી નાંખ્યો. તો તે સમયે જ્યારે મારી સેમીફાઇનલ થઇ ત્યારે અને બંનેય ખુશ હતા કે, ચલો સારૂં થયું. આજે વિક્રમ તૂટ્યો અને અમે બંનેએ તોડ્યો. કેમ કે, તે સમયે સ્પર્ધામાં ભલે હરીફાઇ હતી, પરંતુ અમે બંનેએ અગાઉથી જ નિશ્ચય કરી રાખ્યો હતો. તેની પહેલાં અમે લોકો સાઉદી અરેબિયા ગયા હતા રમવા માટે. તો ત્યાં પણ અમે બંને એક જ રૂમમાં રહેતા હતા. અને ત્યાં પણ વાત કરતા હતા કે, ભારતમાં દોડ સ્પર્ધાની આગળ લઇ જવાની છે. અને તે આપણા જ હાથમાં છે. આપણે જે કરીશું એ જ બાકીના લોકોને પ્રોત્સાહીત કરશે.

પ્રધાનમંત્રીઃ- ગુરિંદર વીર તમે શું કહેવા માંગો છો ? 

ગુરિંદરવીરઃ- અમે બંનેએ નક્કી કર્યું હતું કે, અને બંને સારૂં દોડીશું. તો જ્યારે પણ સર એકબીજાને જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઉભા રહીએ છીએ. જેમ કે, હમણાં વિક્રમ સ્થાપતા પહેલાં જ્યારે મે વિક્રમ સ્થાપ્યો તો પછી અનિમેષે સ્થાપ્યો. અમે જ્યારે વોર્મઓપ કરી રહ્યા હતા. ત્યારે હું અનિમેષને કહેતો હતો કે, અનિમેષ પેલો બ્લોક બરાબર છે. તેના પર જઇને બેસ. ત્યાંથી સ્ટ્રાઇડ કરી લે, આપણે વોર્મઅપ અહીં કરીશું, અહિંયાંથી વોર્મઅપ બરાબર રહેશે અને આમ, એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધારો કરી શકે છે. અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર. દોસ્તી પણ જોઇએ, પણ તે મેદાનની બહાર છે. સ્પર્ધાની બહાર છીએ, તો અને દોસ્તો છીએ, પણ જ્યારે અમે મેદાનમાં જઇએ છીએ. તો એકબીજાના હરીફ બની જઇએ છીએ. અને એવું બને છે કે, હું તેનાથી ઝડપી દોડીશ તો, તે એમ કહે છે કે, હું તારાથી સારૂં દોડીશ.

પ્રધાનમંત્રીઃ- જુઓ. તમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી. પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે. અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે, તમારી આજે ખેલભાવના છે, ખેલસ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે. અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે. અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો. તે અદભૂત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે, તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે, આ રીતે મહેનત કરતા રહેશો. ખૂબ પ્રગતિ થશે. ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ગુરિંદર/અનિમેષઃ- આભાર સર. આભાર સર.

પ્રધાનમંત્રીઃ- ખૂબ ખૂબ ધન્યવાદ.

#################

મારા વ્હાલા દેશવાસીઓ,

અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ લૂ  જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો. તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદાજુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહિં.

સાથીઓ,

આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે, જેમજેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઇ જાય છે. રસોઇની રીત બદલાઇ જાય છે. ક્યાંક માટલાનું પાણી પીવા મળે છે, ક્યાંક દહીં જામવા લાગે છે. તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે. અને પછી શરૂ થાય છે. દેશીપીણાનો દૌર. આ દેશીપીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તરભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આમપન્ના, કાચીકેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે. મોટો ગ્લાસ ભરીને લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ, જાણે દરેક ભોજનની સાથી બની જાય છે. અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તરપ્રદેશમાં સત્તુંનું શરબત. તેની તો વાત જ અલગ છે. પેટ પણ ભરાય અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલ કઢી. દક્ષિણ ભારતમાં પાનકમ, નિરમોર, સંભારમ અને ઓડિશામાં બેલપના, તે માત્ર પીણું નથી. ભારતના જુદાજુદા ક્ષેત્રોની પરંપરાનો એક ભાગ છે. અને તેમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે. આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઇ મોટું નામ નથી. પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળામાં આવા પીણાઓનો ખૂબ આનંદ માણજો.

સાથીઓ,

ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઇ જાય છે. અને તે છે, કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ જ કોઇ એવું ઘર હશે કે, જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂસ-આલ્ફોન્સો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પ્રાણ છે. ઉત્તરપ્રદેશની દશેરી અને મારી કાશીનો લંગડો જો કે, લંગડા કેરીની એક ખાસ વાત હોય છે કે, પાક્યા પછી પણ તેનો રંગ મોટેભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ જેની સોડમ દૂરથી ઓળખાઇ જાય છે. ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નિલમ, મલગોવા, બંગાળની હીમસાગર, તો ઓડિશા અને આંધ્રપ્રદેશની સુર્વણરેખા. એટલે કે, સ્થળ બદલાય છે તો, કેરીના રૂપરંગ અને તેનો સ્વાદ પણ બદલાઇ જાય છે. અને સાથીઓ, કેરીની આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઇઓ-બહેનોની પ્રસંશા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો.

સાથીઓ,

ગરમીના આ દિવસોમાં આમ તો, શાળાઓમાં રજા હોય છે. પરંતુ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને પ્રવેશ મેળવવાનું મન થશે. સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો, એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે. યુવાનો પણ આવે છે, અને વડીલો પણ, ત્યાં કોઇ ફી ના હોય, કોઇ મોટી ઇમારત ન હોય, કોઇ વર્ગખંડ પણ ના હોય, અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય.

સાથીઓ,

આ કોઇ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળમના આલુવામા સાજી વલાશેરિલ જી એવી જ એક સ્વીમીંગ કલબ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં પંદર હજારથી વધુ લોકો અહિં તરવાનું શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતાં શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલાં એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઇ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતાં આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત- બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન.

સાથીઓ,

સાજી વલાશેરિલજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધન જરૂરી નથી હોતા. જરૂરી હોય છે એક શુભ ઇરાદો. અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. તેના આધારે હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

પાછલા દિવસોમાં મને યુરોપના નેઘરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મિટીંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. નેધરનેલન્ડમાં આયોજીત એક વિશેષ સમારોહમાં ચૌલાકાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત હતા. આ તામ્રપત્રોને લઇને મને દેશવિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યકત કરી રહ્યા છે. ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે.  

સાથીઓ,

આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જીજ્ઞાસા પણ છે. તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઇચ્છું છું. તેમાં એકવીસ મોટા અને ત્રણ નાના તામ્રપત્રો છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજા રાજરાજા ચોલાના એકવચનને પૂરૂં કરવા સાથે જોડાયેલા છે. તેમાં આનયમંગલમ ગામને એક બૌદ્ધવિહારને દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રોમાં ચોલાવંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેનાથી જાણવા મળે છે ચોલા સામ્રાજયની સમુદ્રીશક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે.

ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, આપણી સરકાર ભારતના એવા અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં “જ્ઞાનભારતમ અભિયાન” અંતર્ગત છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વની શોધ કરવામાં આવી છે. અહીંથી ત્રણ દુર્લભ તામ્રપત્રો મળ્યા છે. તે પાંડુવંશી રાજવંશના મહર્ષિ બાલાર્જુનના શાસનકાળ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે, આ લખાણો છઠ્ઠી સાતમી સદીના છે. એટલે કે, ચૌદસો, પંદરસો વર્ષ પુરાણા આ તામ્રપત્રો પ્રાચીન બ્રાહ્મી લીપી અને પાલી ભાષામાં લખવામાં આવ્યા છે. તેમના દ્વારા તે સમયની શાસનવ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે.

સાથીઓ,

આપણે ભારતીયોમાં ખગોળવિજ્ઞાન એટલે કે, એસ્ટ્રોનોમી વિષે હંમેશા ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેધશાળાઓ આવેલી છે. અહીં અદભૂત ગાણિતિક સંશોધનો થયેલા છે. દિશાવિજ્ઞાન હોય, પંચાંગ હોય કે આપણા પર્વ તહેવારો હોય, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં ખગોળવિદ્યાએ દરેક પેઢીમાં કૂતૂહલ જગાવેલું છે. તેના ઉંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે પ્રેરિત કર્યા છે. અને આજના યુવાનોમાં પણ તેને લઇને સારો એવો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તમે પણ જોતા હશો કે, દેશભરમાં ખગોળશાસ્ત્રીય કલબો ઝડપથી લોકપ્રિય થઇ રહી છે. મોટા શહેરોથી લઇને નાના ગામો સુધી, શાળાઓથી લઇને ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગલોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશદર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. “ખગોળ મંડળ” નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતા સભર અભ્યાસક્રમ શરૂ કર્યો છે.

સાથીઓ,

રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનામાં જ એક અદભૂત અનુભવ હોય છે. એસ્ટ્રોકેરાલા નામની એક સંસ્થા રાત્રીઆકાશદર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દુરબીન બનાવવાનું અને તારાઓના નકશાનો ઉપયોગ કરવાનું શીખવે છે. રાજકોટની બીગ બેંગ એસ્ટ્રોનોમી કબલે ગીરના જંગલોથી લઇને કચ્છના રણ સુધી અનેક આકાશદર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. “જયોતિર્વિદ્યા પરિસંસ્થા” પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશદર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાઇબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઇઝેકનો ઉલ્લેખ પણ કરવા માંગુ છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે. જે ખગોળશાસ્ત્ર અને ખગોળભૌતિક કબલને પરસ્પર જોડે છે.

સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઇક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરૂં છું કે, તેઓ કોઇને કોઇ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને આ રજાઓમાં કોઇ તારાગ્રહને પણ જરૂર જોવા જાય.

સાથીઓ,

મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઇ રહ્યા છે તેમને હું કહીશ કે, એક વિડિયો જરૂર જોજો. આ વિડિયો વિતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગાનદીમાં એક ડોલ્ફીનને બચાવવાની કોશિષ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફીન બચી ગઇ.

સાથીઓ,

તેમાં બહુ મોટી ભૂમિકા રહી. ભારતની પહેલી ગંગા ડોલ્ફીન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની. આ ઘટના ઉત્તરપ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફીન નહેરમાં ફસાઇ ગઇ હતી. આ સમયે “નમામી ગંગે અભિયાન” અંતર્ગત બનાવવામાં આવેલી આ એમબ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડોલ્ફીનને બહાર કાઢવામાં આવી. તેની તપાસ કરવામાં આવી, તેનો ઇલાજ કરવામાં આવ્યો. અને ત્યારપછી તેને સલામત રીતે રાપ્તિ નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો, એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું.

સાથીઓ,

આ ડોલ્ફીન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતીફરતી હોસ્પીટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડોલ્ફીનને સલામત રાખવાની વ્યવસ્થા છે. ઓકસીજનની સગવડ છે, ખાસ પ્રકારનું સ્ટ્રેચર છે અને બચાવના સાધનો છે એટલે કે, જો કોઇ ડોલ્ફીન ઘાયલ થાય, નહેરમાં ફસાઇ જાય અથવા નદીથી દૂર થઇ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે.

સાથીઓ,

આપણે જ્યારે ગંગા ડોલ્ફીનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા પણ આપણે ગંગાની જૈવવિવિધતાને બચાવીએ છીએ. નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ. અને આપણી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ.

મારા વ્હાલા દેશવાસીઓ,

તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ કે કૂવાના પાણી સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઇને તળાવમાં તરવાનું યાદ હશે, કોઇને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું તો કોઇને તે માટીની મહેંક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે.

સાથીઓ,

એવી જ યાદોને બચાવવાની એક પ્રેરકગાથા ઉત્તરપ્રદેશના બસ્સી જીલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઇને બહુ દુઃખી થતા હતા. કેમ કે, જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઇ હતી, તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટીક એકઠું થવા લાગ્યું હતું. ગંદકી વધતી જઇ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે, ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરશું. ફરિયાદ નહિં પણ શરૂઆત મંત્ર બની ગયો. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપલીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી- કંઇક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા. જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટીક અને કચરો બહાર લાવતા હતા. કેટલીયે વાર એક દિવસમાં 50 – 60 કીલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરેધીરે મનોરમામ નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી.

સાથીઓ,

એવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ ઐય્યાજી નિવૃત્ત શિક્ષક છે. પરંતુ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવોને એવો જ છે. તેમને મડ્ડી-તોલાપ વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વલખાં મારવા પડતા હતા. તેમના માટે આ બહુ મોટી રાહત બની.

સાથીઓ,

ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે. તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માંગુ છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષક સાથે થઇ. લગભગ ત્રણ દાયકા પહેલા પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું, ગીરીજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા.

સાથીઓ,

ગીરીજા અમ્માજી લગભગ પંદર શાળાઓ ચલાવે છે. તેમાં ચેન્નાઇનું જયગોપાલ ગરોડિયા હિંદુ વિદ્યાલય ખૂબ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઇને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે, તેઓ વીર જવાનો માટે દરરોજ એક રૂપિયાનો ફાળો આપે. એટલે કે, એક વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગીરીજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે, મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા વર્ષે જ ચેન્નાઇના પહેલા હિંદુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળાસમૂહની ભૂમિકા બહુ પ્રસંશનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રસંશા કરું છું.

સાથીઓ,

ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઇકને કંઇક એવું થઇ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણી વાર, આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી. પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દ્રઢ થાય છે. કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે, તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારૂં કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઇક શીખો અને જો બની શકે તો પોતે પણ કોઇ સારા કામ સાથે જોડાવ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરકગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઇશ. ખૂબ ખૂબ ધન્યવાદ.. નમસ્કાર...

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2267176) મુલાકાતી સંખ્યા : 15