વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
ભારત અને અમેરિકા કુદરતી ભાગીદાર તરીકે કામ કરી રહ્યા છે; બંને વચ્ચે પૂરકતા અને વિશ્વાસ છે: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ
વૈશ્વિક સંકટો વચ્ચે સમયસર ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન આપવા માટે ભારત વિશ્વાસનીય છે: શ્રી ગોયલ
નિકાસ પ્રોત્સાહન મિશન MSMEs ને વૈશ્વિક સપ્લાય ચેઇનનો ભાગ બનવા માટે જરૂરી યોગ્ય પ્રમાણપત્રો મેળવવામાં મદદ કરશે: શ્રી ગોયલ
આપણે દેશભરમાં ઉદ્યોગોના વિકાસ માટે વિસ્તાર-આધારિત અભિગમ તરફ જોઈ રહ્યા છીએ; અમે એક સર્વગ્રાહી વિકાસ મોડલ તૈયાર કર્યું છે: શ્રી ગોયલ
ભારત આગામી ઓછામાં ઓછા 25 વર્ષ સુધી વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે: શ્રી ગોયલ
પોસ્ટેડ ઓન:
21 MAY 2026 2:05PM by PIB Ahmedabad
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે આજે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા કુદરતી ભાગીદાર તરીકે કામ કરી રહ્યા છે અને ટેકનોલોજી ઇનોવેશન, હાઇ પ્રિસિઝન ડિફેન્સ, ડિજિટલ ડેટા સેન્ટર્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને તબીબી ઉપકરણો સહિતના ક્ષેત્રોમાં એકબીજાના પૂરક છે. નવી દિલ્હીમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક લીડરશિપ સમિટને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની ભાગીદારી પરસ્પર વિશ્વાસ અને સહિયારા આર્થિક હિતો દ્વારા મજબૂત થઈ છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં અમેરિકન ઉદ્યોગો તરફથી આશરે 60 અબજ ડોલરથી વધુનું રોકાણ મળવાનો અંદાજ છે, જેમાં એમેઝોન અને ગુગલ જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવેલા મોટા ડેટા સેન્ટર રોકાણોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક કંપનીઓ માટે એક વિશ્વસનીય માળખું પૂરું પાડે છે અને વૈશ્વિક સ્તરે અજોડ હોય તે રીતે ઉચ્ચ તકો, પ્રતિભા અને બજારની તકોનું સંયોજન કરે છે.
મંત્રીએ કહ્યું કે અમેરિકા એક વિશ્વસનીય ભાગીદારની શોધમાં છે અને ભારતે સમયસર ઉચ્ચ ગુણવત્તાવાળું આઉટપુટ આપવાની સાથે બૌદ્ધિક સંપદા અધિકારો પ્રત્યે સતત આદર દર્શાવ્યો છે. તેમણે કહ્યું કે ભારત કુશળ પ્રતિભાઓનો મોટો સમૂહ પ્રદાન કરે છે અને 1.4 અબજ મહત્વાકાંક્ષી ભારતીયોની માંગના એકત્રીકરણ, વધતી આવક અને વધતા મધ્યમ વર્ગ દ્વારા અમેરિકન ઇનોવેશનને મોટો સ્કેલ (વ્યાપ) પૂરો પાડે છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ એવા અર્થતંત્રો ધરાવે છે જે ન્યૂનતમ સ્પર્ધા સાથે એકબીજાના પૂરક છે, જે આ ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે જ્યારે પૂરકતા પરસ્પર વિશ્વાસ સાથે જોડાય છે, ત્યારે તે એક અજેય સંયોજન બનાવે છે જે ભવિષ્ય માટે વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇનનું નિર્માણ કરવા સક્ષમ છે.
મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દેશભરમાં 100 નવા ઔદ્યોગિક પાર્ક બનાવવાના ઉદ્દેશ્યવાળી 'ભવ્ય' (Bhavya) યોજના દ્વારા ઔદ્યોગિક વિકાસ માટે વિસ્તાર-આધારિત અભિગમ પણ અપનાવી રહી છે. તેમણે કહ્યું કે આ મોડલ સર્વગ્રાહી ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે કામદારોના આવાસ, મનોરંજન અને સામાજિક સુવિધાઓ સાથે ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એકીકૃત કરે છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે સુધારેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓછો લોજિસ્ટિક્સ ખર્ચ અને મુક્ત વ્યાપાર કરારો સાથે મળીને રોકાણ, ઉત્પાદન વૃદ્ધિ અને નિકાસ સ્પર્ધાત્મકતાનું એક સકારાત્મક ચક્ર બનાવી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત આગામી ઓછામાં ઓછા 25 વર્ષ સુધી વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે.
વૈશ્વિક સપ્લાય ચેઇનને મજબૂત કરવામાં MSMEs ની ભૂમિકા પર પ્રકાશ પાડતા, શ્રી ગોયલે જણાવ્યું હતું કે સરકારે MSMEs માટે ટેકનોલોજી અપગ્રેડેશન અને કૌશલ્ય વિકાસને ટેકો આપવા માટે MSME મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) ને સામેલ કરીને સંકલિત પ્રયાસો શરૂ કર્યા છે.
તેમણે કહ્યું કે પ્રસ્તાવિત નિકાસ પ્રોત્સાહન મિશન (એક્સપોર્ટ પ્રમોશન મિશન) MSMEs ને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનનો ભાગ બનવા માટે જરૂરી વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્રો સુરક્ષિત કરવામાં મદદ કરશે. શ્રી ગોયલે ઉમેર્યું હતું કે એક્સપોર્ટ ઇન્સ્પેક્શન કાઉન્સિલ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અને FSSAI જેવી એજન્સીઓ સમગ્ર ભારતમાં વિશ્વ કક્ષાના પરીક્ષણ અને ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની સ્થિતિસ્થાપકતા પર પ્રકાશ પાડતા, શ્રી ગોયલે જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષ અને પશ્ચિમ એશિયાના સંકટ જેવા પડકારો છતાં ભારતનો વિકાસ દરનો અંદાજ 6.4 ટકાથી સુધારીને 6.5 ટકા કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ ભારતની ક્ષમતા, નિર્ણાયક નેતૃત્વ અને વિશ્વ સાથે એક વિશ્વસનીય અને પસંદગીના રોકાણ સ્થળ તરીકે જોડાવાના વધતા આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
મંત્રીએ જણાવ્યું હતું કે વૈશ્વિક નેતાઓ વધુને વધુ પ્રમાણમાં ભારત તરફ પ્રશંસા અને અપેક્ષા સાથે જોઈ રહ્યા છે, અને આ માન્યતા ભારતીયોને આવનારી પેઢીઓ માટે વધુ મજબૂત રાષ્ટ્ર અને ઉત્તમ ભવિષ્યના નિર્માણ માટે કામ કરવા પ્રેરિત કરી રહી છે. તેમણે ભારત-અમેરિકા ભાગીદારીને 21મી સદીની એક નિર્ણાયક ભાગીદારી ગણાવી હતી, જે ભારતીય કૌશલ્ય અને પ્રતિભા સાથે જોડાયેલા અમેરિકન ઇનોવેશન અને રોકાણ દ્વારા સંચાલિત છે.
ભારતના ઉત્પાદન પરિવર્તન અંગે વાત કરતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક સ્તરેથી માલ મેળવવા અને દેશમાં ઉત્પાદનો એસેમ્બલ કરવાના અગાઉના મોડલથી ઝડપથી દૂર જઈને ડિઝાઇન, ઇનોવેશન અને બૌદ્ધિક સંપદા નિર્માણના કેન્દ્ર તરીકે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે જે ઇનોવેશન્સ વિકસિત દેશોમાં અબજો ડોલરનો ખર્ચ કરાવી શકે છે, તે ભારતમાં ત્રીજા કે પાંચમા ભાગના ખર્ચે વિકસાવી શકાય છે.
મંત્રીએ જણાવ્યું હતું કે વૈશ્વિક કંપનીઓ પ્રતિભાઓને વિદેશમાં સ્થાનાંતરિત કરવાને બદલે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ સ્થાપવા માટે ભારતને એક પસંદગીના સ્થળ તરીકે વધુને વધુ સ્વીકારી રહી છે. તેમણે કહ્યું કે આ પરિવર્તન કોવિડ રોગચાળા પછી વધુ ઝડપી બન્યું છે, જેણે રિમોટ વર્કિંગ અને ભારત જેવા વિશ્વસનીય ભાગીદારોને ઓફશોરિંગ કરવાની અસરકારકતા સાબિત કરી છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત યુવાનોમાં સંશોધન અને વિકાસ (R&D) તેમજ ઇનોવેશનની ઝડપથી વધતી સંસ્કૃતિનું સાક્ષી બની રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે ભારતના મજબૂત ડિજિટલ બેકબોનને કારણે ડિજિટલ અપનાવવાની પ્રક્રિયા અને ટેકનોલોજીની જાગૃતિ માત્ર મેટ્રોપોલિટન શહેરોમાં જ નહીં પરંતુ ટિયર-બે અને ટિયર-ત્રણ શહેરોમાં અને આખરે ગામડાઓમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે.
ભારતના પરિવર્તન પાછળના લાંબા ગાળાના વિઝન પર પ્રકાશ પાડતા, શ્રી ગોયલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલી અગ્રણી પહલોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. તેમણે નાણાકીય સમાવેશન, મહિલા સશક્તિકરણ અને એકીકૃત રાષ્ટ્રીય વીજળી ગ્રીડના નિર્માણ સંબંધિત પહલોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મંત્રીએ જણાવ્યું હતું કે ભારતના અક્ષય ઊર્જા ક્ષેત્રે છેલ્લા એક દાયકામાં અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા લેવામાં આવેલા દૂરંદેશી નીતિગત નિર્ણયો અને નિર્ધારિત મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોના ટેકાથી બાર વર્ષથી ઓછા સમયમાં સૌર ઊર્જા ક્ષમતા બે ગીગાવોટથી વધીને 150 ગીગાવોટ થઈ ગઈ છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત આજે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક દરો પર 24 કલાક સ્વચ્છ ઊર્જા સહિત ઉચ્ચ ગુણવત્તાવાળું પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરે છે, જે દેશને ડેટા સેન્ટર્સ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ માટે આકર્ષક સ્થળ બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત 2047 સુધી લંબાવવામાં આવેલા ટેક્સ પ્રોત્સાહનો સાથે વિશ્વસનીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તકનીકી પ્રતિભા, વિશ્વસનીય ડિજિટલ ઇકોસિસ્ટમ અને મોટું સ્થાનિક બજાર પ્રદાન કરે છે.
મંત્રીએ જણાવ્યું હતું કે આ પરિબળો ભારતને ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનને ટેકો આપતી ઇકોસિસ્ટમ બનાવવામાં સક્ષમ બનાવી રહ્યા છે અને સાથે સાથે ભારતના યુવાનો માટે ઉચ્ચ વેતનવાળી નોકરીઓનું સર્જન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતની મહત્વાકાંક્ષા અગાઉના "એસેમ્બલ ઇન ઇન્ડિયા" મોડલથી આગળ વધીને 2047 સુધીમાં એક સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બનાવવાની છે.
ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉલ્લેખ કરતા, શ્રી ગોયલે જણાવ્યું હતું કે દેશે અંતરિયાળ વિસ્તારો સહિત દેશના ખૂણે-ખૂણે સૌથી ઝડપી 5G રોલઆઉટ્સમાંથી એક હાંસલ કર્યું છે, જ્યારે વિશ્વમાં સૌથી ઓછો ડેટા ખર્ચ પણ પૂરો પાડ્યો છે. તેમણે કહ્યું કે ભારત ડિજિટલ વૃદ્ધિ અને તકનીકી પ્રગતિના આગામી તબક્કા માટે પહેલેથી જ તૈયારી કરી રહ્યું છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત હાલમાં 2,117 ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ધરાવે છે જે આશરે 2.35 મિલિયન લોકોને સીધી રોજગારી આપે છે અને લગભગ 98 અબજ ડોલરની આવક પેદા કરે છે. તેમણે કહ્યું કે આ વિકાસ એવા સમયે ભારતના સતત આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે જ્યારે કેટલાક દેશો નીચા વૃદ્ધિ દર સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
મંત્રીએ જણાવ્યું હતું કે ભારતે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે પરંતુ તે ટેકનોલોજી, રોકાણ, ઉત્પાદન અને ઇનોવેશન ક્ષેત્રોમાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સતત સુધારણા અને વધુ ઊંડા જોડાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દાયકાઓમાં બંને દેશો વચ્ચે વધુ આર્થિક એકીકરણ જોવા મળશે.
મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર શ્રેષ્ઠ વૈશ્વિક ટેકનોલોજીથી સજ્જ આધુનિક પરીક્ષણ સુવિધાઓ સ્થાપવામાં ઉદ્યોગોને ટેકો આપવા તૈયાર છે. તેમણે ઉદ્યોગના હિતધારકોને ભારતના ટેસ્ટિંગ ઇકોસિસ્ટમને આંતરરાષ્ટ્રીય ધોરણો સુધી વધુ વિસ્તૃત કરવા માટે સરકારને માર્ગદર્શન આપવા વિનંતી કરી.
મુંબઈમાં SEEPZ ખાતેના મેગા કોમન ફેસિલિટી સેન્ટરનું ઉદાહરણ આપતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ કેન્દ્ર પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તેમાં જ્વેલરી ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, પ્રોટોટાઇપિંગ અને ટેસ્ટિંગ માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ છે. તેમણે નોંધ્યું હતું કે શરૂઆતમાં 30,000 ચોરસ ફૂટ માટે આયોજિત કરાયેલા આ પ્રોજેક્ટને વધારીને 100,000 ચોરસ ફૂટ કરવામાં આવ્યો હતો અને મજબૂત ઉદ્યોગ ભાગીદારીને કારણે તેના પ્રથમ વર્ષમાં જ તે નફો કરતો થઈ ગયો હતો.
મંત્રીએ જણાવ્યું હતું કે તાજેતરની બજેટ જાહેરાતો, સેમિકોન મિશન 2 અને ક્રિટિકલ મિનરલ પ્રોસેસિંગ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યવાળી પહલો ઉદ્યોગ અને અદ્યતન ઉત્પાદનને ટેકો આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે MSMEs અને મોટી કંપનીઓને સમાન રીતે ભવિષ્યની વૃદ્ધિ માટે આ તકોનો લાભ લેવા વિનંતી કરી.
સરકારને સાંભળનારી અને અનુકૂલનશીલ વહીવટીતંત્ર તરીકે વર્ણવતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે સરકારમાં કોઈ અલગ વિભાગો નથી અને મંત્રાલયો એક ટીમ તરીકે સાથે મળીને કામ કરે છે. તેમણે કહ્યું કે વ્યવસાયો અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને આધારે સરકાર નીતિગત ફેરફારો અને નવા અભીગમો માટે હંમેશા ખુલ્લી છે.
શ્રી ગોયલે મોટી કંપનીઓને ઝડપી ચુકવણી ચક્ર દ્વારા MSMEs ને ટેકો આપવા પણ અપીલ કરી હતી. MSME સપ્લાયર્સ માટે હાલની 45-દિવસની ચુકવણીની જરૂરિયાતનો ઉલ્લેખ કરતા, તેમણે સૂચવ્યું કે કંપનીઓ MSMEના રોકડ પ્રવાહ ને સુધારવા, સપ્લાય ચેઇનને મજબૂત કરવા અને ટેકનોલોજી તેમજ ગુણવત્તા વૃદ્ધિમાં રોકાણને પ્રોત્સાહિત કરવા માટે માલની મંજૂરી મળ્યાના સાત દિવસની અંદર ચુકવણીની પતાવટ કરવા પર વિચાર કરી શકે છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર, શ્રી ગોયલે જણાવ્યું હતું કે નોકરીઓ, આવક, ઔદ્યોગિક વૃદ્ધિ અને કરવેરાની આવક પર તેની ગુણક અસરને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતના વિકાસની વ્યૂહરચનામાં કેન્દ્રસ્થાને છે. તેમણે કહ્યું કે ઉડ્ડયન થી લઈને ડિજિટલ સેવાઓ સુધીના ક્ષેત્રોને ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણથી સીધો ફાયદો થાય છે.
મંત્રીએ દેશભરમાં વધુ સ્માર્ટ અને વધુ કાર્યક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આયોજન બનાવવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવેલી એક પરિવર્તનકારી પહલ તરીકે 'પીએમ ગતિ શક્તિ' (PM Gati Shakti) પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મ આયોજન અને અમલીકરણમાં સુધારો કરવા માટે જીઓસ્પેશિયલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ડેટાના આશરે 1,800 લેયર્સને એકીકૃત કરે છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે પીએમ ગતિ શક્તિ સૌથી કાર્યક્ષમ રૂટોની ઓળખ કરીને, વિલંબ ઘટાડીને, જમીન સંપાદનમાં સુધારો કરીને અને લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીને મજબૂત કરીને હાઇવે, રેલવે લાઇન, બંદરો અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વધુ સારા આયોધનને સક્ષમ બનાવે છે. તેમણે નોંધ્યું હતું કે આ પહલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ ઘટાડવા અને ઓપરેશનલ કાર્યક્ષમતા સુધારવામાં મદદ કરે છે.
JNPT જેવા મુખ્ય બંદરોની આસપાસના અગાઉના લોજિસ્ટિકલ અવરોધોને યાદ કરતા, શ્રી ગોયલે જણાવ્યું હતું કે પીએમ ગતિ શક્તિએ સંકલિત અને ટેકનોલોજી-સંચાલિત નિર્ણય લેવાની સુવિધા આપીને ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આયોજન અને અમલીકરણને મૂળભૂત રીતે બદલી નાખ્યું છે.
વિકસિત ભારત 2047 ના વિઝન વિશે વાત કરતા, શ્રી ગોયલે જણાવ્યું હતું કે સરકાર સફળ વ્યવસાયોની જેમ જ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત લક્ષ્યો અને લાંબા ગાળાના આયોજન સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ભારત 2047 સુધીમાં 20,000 ડોલરની અંદાજિત માથાદીઠ આવક અને અંદાજે 1.6 અબજની વસ્તી સાથે વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય રાખે છે.
મંત્રીએ જણાવ્યું હતું કે નાણાકીય સમાવેશન, આવાસ, પાણીની પહોંચ, જીવન જીવવાની સરળતા અને વ્યાપાર કરવાની સરળતા સંબંધિત સરકારી પહલો ચોકસાઈ અને માપી શકાય તેવા લક્ષ્યો સાથે લાગુ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર પ્રગતિની સતત સમીક્ષા કરે છે અને સુધારાત્મક આયોજન અને નીતિગત પગલાં દ્વારા ખામીઓને દૂર કરે છે.
શ્રી ગોયલે ઉદ્યોગો અને રોકાણકારોને વર્તમાનથી આગળ જોવા અને ભારત તેમજ તેના લોકોની ક્ષમતા, પ્રતિભા, આકાંક્ષાઓ અને ચપળતાને ઓળખવા વિનંતી કરી. તેમણે કહ્યું કે જેઓ ભારતના વિકાસની કહાણી પર વિશ્વાસ રાખે છે તેઓ દેશના લાંબા ગાળાના આર્થિક પરિવર્તનથી સતત લાભ મેળવતા રહેશે.
IJ/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2263666)
મુલાકાતી સંખ્યા : 20