પ્રધાનમંત્રીનું કાર્યાલય
ત્રીજી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન ડેનમાર્કના કાર્યકારી પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની બેઠક
પોસ્ટેડ ઓન:
19 MAY 2026 6:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લો ખાતે ત્રીજી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન ડેનમાર્કના કાર્યકારી પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી મેટ ફ્રેડરિકસેનને મળ્યા હતા.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી અને સંયુક્ત એજન્ડામાં હાંસલ થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ ભારત-ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં થયેલી પ્રગતિને આવકારી હતી જે પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં સહયોગ તેમજ બંને દેશોમાં ગ્રીન ટ્રાન્ઝિશન (હરિત પરિવર્તન) ને સહાય કરવા માટેના સામૂહિક પ્રયાસોને પ્રાધાન્ય આપે છે. વર્ષ 2020 માં ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની શરૂઆત થઈ ત્યારથી બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનને યાદ કરતા, નેતાઓએ નવી અને ઉભરતી ટેકનોલોજી, સંચાર, અદ્યતન સંશોધન, સ્ટાર્ટ-અપ્સ અને શૈક્ષણિક આદાનપ્રદાનમાં સહયોગને વધુ મજબૂત કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓએ સંરક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રોમાં સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ડેનિશ કંપનીઓને ગિફ્ટ સિટી (GIFT city) ગુજરાતમાં પોતાની હાજરી સ્થાપિત કરવા માટે આમંત્રિત કર્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ ઝડપથી વિકાસ પામી રહેલા ભારતીય અર્થતંત્રમાં હરિત ઉકેલો (ગ્રીન સોલ્યુશન્સ) માટે ડેનિશ ટેકનોલોજીનું સ્વાગત કરવા માટે ભારતની તૈયારી દર્શાવી હતી. પાણીના ક્ષેત્રમાં, નેતાઓએ વારાણસીમાં સ્માર્ટ લેબોરેટરી ઓન ક્લીન રિવર્સ (SLCR) ની સ્થાપના કરવા માટે ભારત અને ડેનમાર્ક વચ્ચેના સફળ સહયોગની નોંધ લીધી હતી, જે ભારત સરકાર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – બનારસ હિન્દુ યુનિવર્સિટી અને ડેનમાર્ક સરકાર દ્વારા લેવામાં આવેલી એક અનન્ય ત્રિપક્ષીય પહેલ છે. નેતાઓએ ગતિશીલતા ભાગીદારી (મોબિલિટી પાર્ટનરશિપ) અંગે ચર્ચા કરી હતી.
નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ પોતાના દ્રષ્ટિકોણ શેર કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યપદના ડેનમાર્કના વર્તમાન કાર્યકાળની સફળતા માટે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
IJ/JD
(રીલીઝ આઈડી: 2262947)
મુલાકાતી સંખ્યા : 12