સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

વજન ઘટાડવાની દવા (GLP-1) સપ્લાય ચેઇન પર નિયમનકારી દેખરેખ

પોસ્ટેડ ઓન: 24 MAR 2026 10:02AM by PIB Ahmedabad

વજન ઘટાડવાની દવા (વેઈટ લોસ ડ્રગ) (GLP-1) ની સપ્લાય ચેઈનમાં નૈતિક ફાર્માસ્યુટિકલ પ્રથાઓ સુનિશ્ચિત કરવા માટે, ભારતના ડ્રગ્સ કંટ્રોલરે આ દવાની અનધિકૃત વેચાણ અને પ્રમોશન સામે તેની નિયમનકારી દેખરેખ તેજ કરી છે.

ભારતીય બજારમાં GLP-1 આધારિત વજન ઘટાડવાની દવાઓના બહુવિધ જેનરિક વેરિઅન્ટ્સની તાજેતરની રજૂઆત સાથે, રિટેલ ફાર્મસીઓ, ઓનલાઈન પ્લેટફોર્મ્સ, જથ્થાબંધ વિક્રેતાઓ અને વેલનેસ ક્લિનિક્સ દ્વારા તેમની ઓન-ડિમાન્ડ ઉપલબ્ધતા અંગે ચિંતાઓ ઉભી થઈ છે. આ દવાઓ, જ્યારે યોગ્ય તબીબી દેખરેખ વિના ઉપયોગમાં લેવાય છે, ત્યારે ગંભીર પ્રતિકૂળ અસરો અને સંબંધિત આરોગ્ય જોખમો તરફ દોરી શકે છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા, ભારતના ડ્રગ્સ કંટ્રોલરે, રાજ્યના નિયામકો સાથે મળીને, ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઈનમાં સંભવિત ગેરરીતિઓને રોકવા અને અનધિકૃત વેચાણ અને ઉપયોગને અટકાવવા માટે શ્રેણીબદ્ધ લક્ષિત કાર્યવાહી શરૂ કરી છે.

10 માર્ચ, 2026 ના રોજ, તમામ ઉત્પાદકોને એક વ્યાપક એડવાઈઝરી જારી કરવામાં આવી હતી, જેમાં સરોગેટ જાહેરાતો અને પરોક્ષ પ્રમોશનના કોઈપણ પ્રકાર પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે અથવા ઓફ-લેબલ વપરાશને પ્રોત્સાહિત કરી શકે.

તાજેતરના સપ્તાહોમાં, અમલીકરણ પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. 49 સંસ્થાઓમાં ઓડિટ અને નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • ઓનલાઈન ફાર્મસી વેરહાઉસ
  • દવાના જથ્થાબંધ વિક્રેતાઓ
  • રિટેલર્સ
  • વેલનેસ અને સ્લિમિંગ ક્લિનિક્સ

આ નિરીક્ષણો દેશના વિવિધ પ્રદેશોમાં ફેલાયેલા હતા અને અનધિકૃત વેચાણ, અયોગ્ય પ્રિસ્ક્રિપ્શન પ્રથાઓ અને ગેરમાર્ગે દોરનારા માર્કેટિંગ સાથે સંબંધિત ઉલ્લંઘનોને ઓળખવા પર કેન્દ્રિત હતા. વધુમાં, કસૂરવાર સંસ્થાઓને નોટિસ પણ મોકલવામાં આવી છે.

નિયામક ભારપૂર્વક જણાવે છે કે દર્દીની સુરક્ષા સર્વોપરી છે. ક્લિનિકલ દેખરેખ વિના વજન ઘટાડવાની દવાઓનો દુરુપયોગ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવી દવાઓનો ઉપયોગ માત્ર લાયક તબીબી પ્રેક્ટિશનરોના માર્ગદર્શન હેઠળ જ કરે.

અહીં એ પુનરોચ્ચાર કરવો મહત્વપૂર્ણ છે કે ભારતમાં આ દવાને માત્ર એન્ડોક્રિનોલોજિસ્ટ્સ (અંતઃસ્ત્રાવી નિષ્ણાતો) અને ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ દ્વારા અને અમુક ચોક્કસ સંકેતો માટે માત્ર કાર્ડિયોલોજિસ્ટ્સ (હૃદય રોગના નિષ્ણાતો) દ્વારા પ્રિસ્ક્રિપ્શનની શરતે મંજૂરી આપવામાં આવી છે. આગામી સપ્તાહોમાં નિયમનકારી દેખરેખ વધુ તીવ્ર બનાવવામાં આવશે અને બિન-પાલન કરનારાઓ સામે લાયસન્સ રદ કરવા, દંડ અને લાગુ કાયદા હેઠળ કાર્યવાહી સહિતના કડક પગલાં લેવામાં આવશે.

SM/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2244253) મુલાકાતી સંખ્યા : 51
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी