કૃષિ મંત્રાલય
“દીક્ષાંત સમારોહ એ અંત નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયાની શરૂઆત છે”: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલય, ઝાંસીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં 365 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી, 15 ને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા
“બુંદેલખંડની માટી કઠોળ ક્રાંતિનું કેન્દ્ર બની શકે છે”: કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
“ભારતને ‘ફૂડ બાસ્કેટ’ બનાવવાનું લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે વૈજ્ઞાનિકો પ્રયોગશાળાથી ખેતર સુધી જ્ઞાન લઈ જશે”: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
પોસ્ટેડ ઓન:
28 FEB 2026 2:08PM by PIB Ahmedabad
રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલય, ઝાંસીએ તેનો ત્રીજો દીક્ષાંત સમારોહ ઐતિહાસિક ગરિમા અને ઉત્સાહ સાથે આયોજિત કર્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે મુખ્ય અતિથિ તરીકે “ભારત માતા કી જય” અને “ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ કી જય”ના નારા લગાવીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે વ્યક્તિગત રીતે 365 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી અને 15 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કર્યા.
જનમેદનીને સંબોધતા શ્રી શિવરાજ ચૌહાણે કહ્યું, “દીક્ષાંત સમારોહ એ જીવનનો અંત નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણના નવા પ્રકરણની શરૂઆત છે.” વિદ્યાર્થીઓને આહવાન કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક સન્માન મેળવી રહ્યું છે અને હવે પોતાના જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યો દ્વારા રાષ્ટ્ર અને તેમની સંસ્થાનું ગૌરવ વધારવાની જવાબદારી યુવાનોની છે.
ગુરુ દ્રોણાચાર્ય અને ગુરુ-શિષ્ય પરંપરાનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ પ્રામાણિકતા અને સમર્પણનો સંદેશ આપ્યો હતો. પ્રેરણાદાયી વિચારો ટાંકતા તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અસીમ ક્ષમતા ધરાવે છે; જરૂર છે માત્ર એક લક્ષ્ય નક્કી કરવાની અને દ્રઢ નિશ્ચય સાથે આગળ વધવાની.
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ ચૌહાણે દેશની ખાદ્ય સુરક્ષા પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે આજે ભારત અનાજ માટે કોઈ પણ દેશ પર નિર્ભર નથી. તેમણે આ સિદ્ધિનો શ્રેય કૃષિ વૈજ્ઞાનિકો અને મહેનતુ ખેડૂતોને આપ્યો. ‘પોષણક્ષમ ભારત’ ના ખ્યાલ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે ઉત્પાદનની સાથે ગુણવત્તા અને પોષણ પણ એટલા જ મહત્વના છે.
તેમણે માહિતી આપી હતી કે સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી રીતે ખાતર સબસિડી ટ્રાન્સફર કરીને તેને પારદર્શક બનાવવા માટે કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 8.5 કરોડ ખેડૂતોના ફાર્મર આઈડી બનાવવામાં આવ્યા છે, જેમાં 12 કરોડ સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. ‘ભારત એક્સ્ટેંશન પ્લેટફોર્મ’ દ્વારા ખેડૂતોને તેમના મોબાઈલ ફોન પર પાક સંબંધિત સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.
શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે બુંદેલખંડની માટી કઠોળ ક્રાંતિનું કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારતને વૈશ્વિક ‘ફૂડ બાસ્કેટ’ બનાવવાનું લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે વૈજ્ઞાનિકો ખાતરી કરશે કે જ્ઞાન પ્રયોગશાળાઓથી ખેડૂતોના ખેતરો સુધી પહોંચે. તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું ppકે તેઓ દરરોજ એક છોડ વાવે છે અને દરેકને તેમના જન્મદિવસ પર ઓછામાં ઓછો એક છોડ વાવવાની અપીલ કરી હતી.
ગેસ્ટ ઓફ ઓનર, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિદેશક અને સચિવ, DARE, ડૉ. એમ.એલ. જાટે યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા ગણાવી જે દરરોજ નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે. તેમણે કહ્યું કે ઝાંસી ક્રાંતિની ભૂમિ છે અને હવે તે તેલીબિયાં અને કઠોળમાં નવી કૃષિ ક્રાંતિનું જન્મસ્થળ બનશે.
ડૉ. જાટે વિકસિત ભારતના નિર્માણમાં બૌદ્ધિક સંપદા, નવીનતા અને વૈજ્ઞાનિક સંશોધનની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટી માત્ર પદવીઓ એનાયત નથી કરી રહી, પરંતુ માનવ સંસાધનનું નિર્માણ કરી રહી છે જે આવનારા વર્ષોમાં કૃષિ ક્ષેત્રની દિશા નક્કી કરશે.
તેમણે વૈજ્ઞાનિકોને વિનંતી કરી કે સંશોધનના લાભો હરોળના છેલ્લા ખેડૂત સુધી પહોંચે તેની ખાતરી કરે. આબોહવા પરિવર્તન, કુદરતી સંસાધન વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન પર કેન્દ્રિત સંશોધનને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને કૃષિને ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટ-અપ તકો તરીકે જોવા અને ‘આત્મનિર્ભર ભારત’ ના નિર્માણમાં અગ્રણી ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.
કુલપતિ ડૉ. અશોક કુમાર સિંહે મહાનુભાવોનું સ્વાગત કર્યું અને યુનિવર્સિટીની પ્રગતિનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે 2014 માં માત્ર પાંચ વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી આ યુનિવર્સિટી આજે 1,100 વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે અને સતત પ્રગતિ કરી રહી છે. તેમણે નોંધ્યું કે કન્યા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. તેમણે ઉમેર્યું કે શિક્ષણ આપવાની સાથે યુનિવર્સિટી ખેડૂતો માટે તકનીકી સલાહકાર સેવાઓ, તાલીમ અને નવીનતાનું કેન્દ્ર બની છે.
ઝાંસી કેમ્પસ ઉપરાંત દતિયામાં કોલેજ ઓફ ફિશરીઝ અને કોલેજ ઓફ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સ શરૂ થઈ છે અને મોરેના (મધ્યપ્રદેશ) માં કોલેજ ઓફ હોર્ટિકલ્ચર ખાતે અભ્યાસ ટૂંક સમયમાં શરૂ થશે.
કુલપતિએ માહિતી આપી હતી કે યુનિવર્સિટીએ પોલીહાઉસ, હાઈ-ટેક નર્સરી, સંકલિત ખેતી પ્રણાલી મોડેલ, ડ્યુરમ ઘઉં, રાયડો અને ચણાના નિદર્શન ક્ષેત્રો અને ક્રોપ કેફેટેરિયા સહિત અનેક નવીનતાઓ સ્થાપિત કરી છે.
તેમણે દૈનિક વૃક્ષારોપણ માટેની પ્રતિજ્ઞા વાંચી સંભળાવી અને તે કેન્દ્રીય કૃષિ મંત્રીને અર્પણ કરી, જે યુનિવર્સિટીની ‘ગ્રીન કેમ્પસ’ વિકસાવવાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.
15 ગોલ્ડ મેડલ, 365 પદવીઓ એનાયત સમારોહમાં 235 અંડરગ્રેજ્યુએટ, 127 પોસ્ટગ્રેજ્યુએટ અને 3 પીએચ.ડી. સ્કોલર્સ સહિત કુલ 365 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ માટે 8 અંડરગ્રેજ્યુએટ, 7 પોસ્ટગ્રેજ્યુએટ અને 3 પીએચ.ડી. વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના ગાન સાથે થઈ હતી. મુખ્ય અતિથિએ યુનિવર્સિટી કેમ્પસમાં છોડ વાવ્યો હતો અને NCC કેડેટ્સ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન મંડપ સહિત અનેક નવી ઇમારતોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ યુનિવર્સિટીના ખેતરોમાં આયોજિત કિસાન ચૌપાલ દ્વારા ખેડૂતો સાથે વાતચીત કરી હતી. તેમણે રાયડો અને ચણાની ખેતીના નિદર્શન પ્લોટની પણ મુલાકાત લીધી હતી અને સંકલિત ખેતી પ્રણાલી મોડેલનો પ્રવાસ કર્યો હતો.
SM/JD
(રીલીઝ આઈડી: 2233918)
મુલાકાતી સંખ્યા : 21