ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા “એક પેડ મા કે નામ” અભિયાન આજે જન આંદોલન બની ચૂક્યું છે: નીમુબેન બાંભણીયા
વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે શ્રીમતી નીમુબેન બાંભણીયાએ FCI નરેલા ડેપો, દિલ્હી પ્રદેશ ખાતે વૃક્ષારોપણ કર્યું
Posted On:
05 JUN 2025 6:05PM by PIB Ahmedabad
5 જૂન 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ માનનીય મંત્રી શ્રી પ્રલ્હાદ જોશીના સક્ષમ માર્ગદર્શન હેઠળ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના નરેલા ડેપો, દિલ્હી ખાતે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ વિકાસ અને "ગ્રીન ઈન્ડિયા"ની વિભાવનાને સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.
આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ "બીટ પ્લાસ્ટિક પોલ્યુશન" છે, જે પ્લાસ્ટિકના વધતા ખતરા વિશે વૈશ્વિક જાગૃતિનું પ્રતીક છે. કાર્યક્રમને સંબોધતા મંત્રીએ કહ્યું, "આજે પ્લાસ્ટિક પ્રદૂષણ માનવ જીવન, વન્યજીવન અને પ્રકૃતિ પર ગંભીર પ્રતિકૂળ અસર કરી રહ્યું છે. આપણે આપણા વર્તનમાં ફેરફાર કરીને આ સંકટનો સામનો કરવો પડશે. આ માટે વૃક્ષારોપણ જેવા અસરકારક પગલાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ “એક પેડ માં કે નામ” અભિયાન આજે જન આંદોલન બની ચૂક્યું છે."
આ કાર્યક્રમમાં ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના સંયુક્ત સચિવ (વહીવટ) શ્રી રાજેન્દ્ર કુમાર, FCIના કાર્યકારી નિયામક (ઉત્તરીય ક્ષેત્ર) શ્રી સચિન્દ્ર કુમાર પટનાયક, માનનીય રાજ્યમંત્રીના અંગત સચિવ શ્રીમતી જાગૃતિ રોહિત સિંગલ, પ્રાદેશિક મહાપ્રબંધક (દિલ્હી ક્ષેત્ર) શ્રીમતી કે. પી. આશા અને FCIના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત મંત્રી અને અન્ય અધિકારીઓએ વિવિધ પ્રકારના છાંયડાવાળા અને ફળદાયી વૃક્ષો વાવ્યા હતા. આ વૃક્ષો સ્થાનિક આબોહવા અને પર્યાવરણીય સંતુલનને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય મંત્રીએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના અંગત અને વ્યાવસાયિક જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, પુનઃઉપયોગ અને રિસાયક્લિંગ અપનાવવા અને પર્યાવરણીય જાગૃતિ ફેલાવવામાં સક્રિય ભૂમિકા ભજવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી ગ્રીન ઝુંબેશ ત્યારે જ સફળ થશે જ્યારે સમાજનો દરેક વર્ગ તેમાં નિષ્ઠાપૂર્વક ભાગ લેશે."
FCI નરેલા ડેપો ખાતે આ વૃક્ષારોપણ કાર્યક્રમ માત્ર એક પ્રતીકાત્મક પહેલ નથી પણ પર્યાવરણીય ટકાઉપણું તરફ એક નક્કર પગલું છે. આ પ્રસંગે, FCI કર્મચારીઓએ પર્યાવરણ પ્રતિજ્ઞા પણ લીધી હતી. જેમાં તેમણે 'દર વર્ષે એક વૃક્ષ વાવવું અને પ્લાસ્ટિકનો કચરો ઘટાડવો' તેવી પ્રતિજ્ઞા લીધી હતી.
અંતમાં, શ્રીમતી નીમુબેન જયંતીભાઈ બાંભણિયાએ ઉપસ્થિત તમામ લોકોનો આભાર માન્યો અને કહ્યું કે "વૃક્ષો વાવવા એ એક પુણ્ય કાર્ય છે - તે આપણને સ્વચ્છ હવા અને હરિયાળી જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે સ્વસ્થ જીવનનો પાયો પણ નાખે છે. ચાલો આપણે બધા સાથે મળીને આ પર્યાવરણ સંરક્ષણ અભિયાનને જન આંદોલન બનાવીએ અને સ્વચ્છ, સુંદર, હરિયાળા ભારત તરફ કામ કરીએ.
AP/IJ/GP/Jd
(Release ID: 2134350)