પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળનાં સિલિગુડીમાં 'વિકસિત ભારત વિકસિત પશ્ચિમ બંગાળ' કાર્યક્રમને સંબોધન કર્યું


પશ્ચિમ બંગાળમાં રૂ. 4500 કરોડથી વધુના મૂલ્યના રેલ અને માર્ગ ક્ષેત્રના અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું

રેલવે લાઇનો અને અન્ય કેટલીક મહત્ત્વપૂર્ણ રેલવે યોજનાઓનાં ઇલેક્ટ્રિફિકેશનનાં બહુવિધ પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા

સિલિગુડી અને રાધિકાપુર વચ્ચેની નવી પેસેન્જર ટ્રેન સેવાને લીલી ઝંડી આપી

3,100 કરોડ રૂપિયાના બે રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું

"આજની પરિયોજનાઓ વિકસિત પશ્ચિમ બંગાળ તરફ વધુ એક પગલું છે."

"અમારી સરકાર પૂર્વ ભારતને રાષ્ટ્રનું વિકાસ એન્જિન માને છે"

"આ 10 વર્ષોમાં અમે રેલવેનો વિકાસ પેસેન્જરથી એક્સપ્રેસ સ્પીડ સુધી લઈ ગયા છીએ. અમારા ત્રીજા કાર્યકાળમાં, આ સુપરફાસ્ટ ગતિએ આગળ વધશે"

Posted On: 09 MAR 2024 5:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં 'વિકસિત ભારત વિકસિત પશ્ચિમ બંગાળ' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે પશ્ચિમ બંગાળમાં રૂ. 4500 કરોડથી વધુના મૂલ્યના રેલ અને માર્ગ ક્ષેત્રના અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ચાની સુંદર ભૂમિ પર ઉપસ્થિત રહેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આજની પરિયોજનાઓને વિકસિત પશ્ચિમ બંગાળ તરફનું વધુ એક પગલું ગણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળનો ઉત્તર ભાગ ઉત્તરપૂર્વનું પ્રવેશદ્વાર છે અને પડોશી દેશો સાથે વેપારની ચેનલો પણ પ્રદાન કરે છે. એટલે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યનાં ઉત્તર ભાગ સાથે પશ્ચિમ બંગાળનો વિકાસ સરકારની પ્રાથમિકતા છે. તેમણે આધુનિક રેલવે અને રોડ માળખાગત સુવિધાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા એકલખી-બાલુરઘાટ, રાનીનગર જલપાઈગુડી-હલ્દીબારી અને સિલિગુડી-અલુઆબારી સેક્શન પર રેલવે લાઇનનાં ઇલેક્ટ્રિફિકેશન પર કામગીરી પૂર્ણ થવાનો ઉલ્લેખ કર્યો હતો, જે ઉત્તર અને દક્ષિણ દિનાજપુર, કૂચ બિહાર અને જલપાઈગુડીનાં વિસ્તારોમાં ટ્રેનોની ઝડપમાં વધારો કરશે, ત્યારે સિલિગુડી-સમુકતાલા રુટ નજીકનાં વન વિસ્તારોમાં પ્રદૂષણમાં ઘટાડો કરશે. તેમણે કહ્યું હતું કે, બરસોઈ-રાધિકાપુર સેક્શનનાં વીજળીકરણથી બિહાર અને પશ્ચિમ બંગાળ એમ બંને દેશોને લાભ થશે. રાધિકાપુર અને સિલિગુડી વચ્ચે નવી ટ્રેન સેવાને લીલી ઝંડી દેખાડતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં રેલવેને મજબૂત બનાવવાથી વિકાસની નવી સંભાવનાઓને વેગ મળશે અને સામાન્ય લોકો માટે જીવન સરળ બનશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર આ વિસ્તારમાં ટ્રેનોની એવી જ ઝડપ જાળવવા કટિબદ્ધ છે, જે રીતે ભારતનાં અન્ય ભાગો અને આધુનિક ઝડપી ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. તેમણે બાંગ્લાદેશ સાથે રેલવે કનેક્ટિવિટીનો ઉલ્લેખ કર્યો હતો, કારણ કે મિતાલી એક્સપ્રેસ ન્યૂ જલપાઇગુડીથી ઢાકા કેન્ટ સુધી દોડી રહી છે અને બાંગ્લાદેશ સરકારનાં સહયોગથી રાધિકાપુર સ્ટેશન સુધી કનેક્ટિવિટી વધારવામાં આવી રહી છે.

આઝાદી પછીનાં દાયકાઓમાં પૂર્વ ભારતનાં હિતોની ઉપેક્ષાને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હાલની સરકાર પૂર્વ ભારતને દેશનું વિકાસ એન્જિન માને છે. તેથી જ આ ક્ષેત્રમાં કનેક્ટિવિટી સુધારવા માટે અભૂતપૂર્વ રોકાણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ માટે રેલવેનું વાર્ષિક સરેરાશ બજેટ કે જે માત્ર રૂ. 4,000 કરોડ હતું, તે હવે વધીને રૂ. 14,000 કરોડ થઈ ગયું છે. પ્રધાનમંત્રીએ ઉત્તર બંગાળથી ગુવાહાટી અને હાવડા સુધી સેમી હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેન વિશે વાત કરી હતી તથા 500 અમૃત ભારત સ્ટેશનોમાં સિલિગુડી સ્ટેશનને સામેલ કરવા વિશે વાત કરી હતી, જેને અપગ્રેડ કરવા માટે હાથ ધરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, "10 વર્ષોમાં અમે રેલવેનો વિકાસ પેસેન્જરથી એક્સપ્રેસ સ્પીડ સુધી લઈ ગયા છીએ. પીએમ મોદીએ કહ્યું કે, અમારા ત્રીજા કાર્યકાળમાં આ સુપરફાસ્ટ ગતિએ આગળ વધશે.

પ્રધાનમંત્રીએ ઉત્તર પશ્ચિમ બંગાળમાં રૂ. 3,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં બે રોડ પ્રોજેક્ટનાં ઉદઘાટન વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજમાર્ગ 27નાં ઘોષપુકુર-ધૂપગુરી સેક્શનને ફોર લેન બનાવવાથી અને ચાર લેનનાં ઇસ્લામપુર બાયપાસને કારણે જલપાઇગુડી, સિલિગુડી અને મૈનાગુરીનાં શહેરોમાં ટ્રાફિક જામમાં ઘટાડો થશે, ત્યારે સિલિગુડી, જલપાઇગુડી અને અલીપુરદુઆરનાં વિસ્તારોને વધારે સારી કનેક્ટિવિટી પણ મળશે. પીએમ મોદીએ કહ્યું કે, "દુઆર, દાર્જિલિંગ, ગંગટોક અને મિરિક જેવા પર્યટન સ્થળો સુધી પહોંચવું સરળ થઈ જશે." પીએમ મોદીએ કહ્યું કે, તેનાથી આ ક્ષેત્રના વેપાર, ઉદ્યોગ અને ચાના બગીચાઓને પણ પ્રોત્સાહન મળશે.

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળના વિકાસ માટે તમામ પ્રયાસો કરી રહી છે અને આજની વિકાસ પરિયોજનાઓ માટે નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી સી વી આનંદ બોઝ, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રમાણિક અને સંસદ સભ્યો શ્રી રાજુ બિસ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીએ ઉત્તર બંગાળ અને તેની આસપાસનાં વિસ્તારોનાં લોકોને લાભદાયક રેલવે લાઇનનાં વીજળીકરણની વિવિધ યોજનાઓ દેશને સમર્પિત કરી હતી. આ પ્રોજેક્ટ્સમાં એકલખી-બાલુરઘાટ સેક્શનનો સમાવેશ થાય છે. બરસોઈ - રાધિકાપુર વિભાગ; રાણીનગર જલપાઈગુડી - હલ્દીબારી વિભાગ; સિલિગુરી- અલુઆબારી વિભાગ વાયા બાગડોગરા અને સિલિગુડી સિવોક અલીપુરદુઆર જેએન સમુકતલા (અલીપુરદુઆર જેએન ન્યૂ કૂચ બિહાર સહિત) વિભાગ.

પ્રધાનમંત્રીએ મણિગ્રામ-નિમ્તિતા સેક્શનમાં રેલવે લાઇનને બમણી કરવાનાં પ્રોજેક્ટ સહિત અન્ય મહત્ત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કર્યું હતું. અને ન્યૂ જલપાઇગુડીમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સહિત અમ્બરી ફાલાકાટા-અલુઆબારીમાં ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ થશે. પ્રધાનમંત્રીએ સિલિગુડી અને રાધિકાપુર વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવાને લીલી ઝંડી પણ આપી હતી. આ રેલ પ્રોજેક્ટ્સ રેલવે કનેક્ટિવિટીમાં સુધારો કરશે, નૂરની અવરજવરને સરળ બનાવશે અને આ વિસ્તારમાં રોજગારીનું સર્જન અને આર્થિક વૃદ્ધિમાં પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં રૂ. 3,100 કરોડનાં મૂલ્યનાં બે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં એનએચ 27નો ચાર લેનનો ઘોષપુકુર-ધૂપગુરી સેક્શન અને રાષ્ટ્રીય રાજમાર્ગ 27 પર ચાર લેનનો ઇસ્લામપુર બાયપાસ સામેલ છે. ઘોષપુકુર-ધૂપગુરી સેક્શન એ ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોરનો ભાગ છે, જે પૂર્વ ભારતને દેશના અન્ય ભાગો સાથે જોડે છે. આ સેક્શનનું ફોર લેનિંગ થવાથી ઉત્તર બંગાળ અને ઉત્તર-પૂર્વનાં વિસ્તારો વચ્ચે અવિરત જોડાણ થશે. ચાર લેનનો ઇસ્લામપુર બાયપાસ ઇસ્લામપુર શહેરમાં ટ્રાફિકની ગીચતા ઘટાડવામાં મદદરૂપ થશે. રોડ પ્રોજેક્ટ્સ આ વિસ્તારમાં ઔદ્યોગિક અને આર્થિક વૃદ્ધિને પણ વેગ આપશે.

AP/GP/JD



(Release ID: 2013034) Visitor Counter : 94