ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીથી જમ્મુમાં ઇ-બસ સેવાનો શુભારંભ કરાવ્યો હતો અને જમ્મુ-કાશ્મીર સંયુક્ત પરીક્ષા-2024 માટે એક હજારથી વધુ નિમણૂક પત્રો અને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રહેમરાહે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું
આજે 100 વાતાનુકૂલિત ઈ-બસોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, જે માત્ર પરિવહનને જ સરળ બનાવશે નહીં પરંતુ પર્યાવરણીય સંરક્ષણમાં પણ મદદ કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી છે
કાશ્મીરમાં 2023માં પથ્થરમારાની એક પણ ઘટના બની ન હતી, યુવાનો પથ્થરો છોડીને કોમ્પ્યુટર ઉપાડી રહ્યા છે
કલમ 370 નાબૂદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં 34 હજારથી વધુ નિમણૂકો થઈ
કાશ્મીરમાં ભલામણોનો યુગ પૂરો, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હવે મેરિટના આધારે તમામ નિમણૂકો
આતંકવાદ, બોમ્બ બ્લાસ્ટ, ફાયરિંગ, પથ્થરમારા અને હુમલાઓને બદલે હવે જમ્મુ-કાશ્મીરમાં શિક્ષણ, તકનીકી સંસ્થાઓ, ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળી રહ્યા છે
ટેરર ફાઇનાન્સિંગ પર કડક કાર્યવાહી કરી રહી છે મોદી સરકાર
Posted On:
25 JAN 2024 4:06PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાંથી જમ્મુ અને કાશ્મીર સંયુક્ત પરીક્ષા-2024 માટે એક હજારથી વધુ નિમણૂક પત્રો અને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રહેમરાહે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001V952.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001V952.jpg)
શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, આજનો કાર્યક્રમ અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે 100 સંપૂર્ણ વાતાનુકૂલિત ઇ-બસો જમ્મુનાં લોકોને અર્પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ 561 કરોડના ખર્ચે 12 વર્ષથી આ બસોના સંચાલન અને જાળવણી સાથે શરૂ થયો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી છે અને આ દિશામાં શ્રેષ્ઠ પગલાં ભારતમાં લેવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે મોદી સરકારે સમગ્ર દેશમાં ઇ-બસ માટેની યોજનાઓ અમલમાં મૂકી છે અને આ જ પગલા હેઠળ, જમ્મુને આજે 100 ઇ-બસો મળી રહી છે. જેમાંથી 25 બસ 12 મીટર લાંબી અને 75 બસ 9 મીટર લાંબી છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, જમ્મુનાં લોકો માટે આજથી એક વિશ્વસનિય, આરામદાયક, વાજબી અને ટકાઉ જાહેર પરિવહન સુવિધા શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આ બસો જમ્મુથી કટરા, કઠુઆ, ઉધમપુર અને જમ્મુના આંતરિક માર્ગો પર પણ ચાલશે. આ બસોથી આગામી દિવસોમાં લોકોની અવરજવરની સમસ્યા તો દૂર થશે જ સાથે સાથે પર્યાવરણની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002SDO6.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002SDO6.jpg)
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આજે જમ્મુ-કાશ્મીર સંયુક્ત પરીક્ષા-2024 બેચના 209 સફળ ઉમેદવારોને પણ તેમના નિમણૂક પત્રો પ્રાપ્ત થયા છે. જેમાં જમ્મુ-કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના 96 અધિકારીઓ, એકાઉન્ટ ગેઝેટ સર્વિસના 63 અધિકારીઓ અને પોલીસ સર્વિસના 50 અધિકારીઓ સામેલ છે. તેમણે કહ્યું કે આજથી આ અધિકારીઓના જીવનમાં એક નવી શરૂઆત થઈ રહી છે અને આ સમયે આ અધિકારીઓની વિચારસરણી તેમના સમગ્ર જીવનનો માર્ગ મોકળો કરવામાં મદદ કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં શાસનમાં પારદર્શક વ્યવસ્થા ઊભી થવાને કારણે આ અધિકારીઓને ગુણવત્તાને આધારે આ રોજગારી મળી છે. તેમણે કહ્યું કે મોદીજીના કાર્યકાળમાં નોકરીઓ ભલામણ સ્લિપના આધારે નહીં પરંતુ પરીક્ષાના પેપરના આધારે આપવામાં આવે છે. તેમણે કહ્યું કે અગાઉ રાજકીય ભલામણ અથવા ભ્રષ્ટાચાર વિના નોકરી મેળવવી અશક્ય હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે, અત્યારે જમ્મુ અને કાશ્મીર પરિવર્તનનાં તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને આતંકવાદને બદલે બોમ્બ વિસ્ફોટો, ગોળીબાર, પથ્થરમારા અને હુમલાઓને બદલે હવે અહીં અભ્યાસ, શાળાઓ, કોલેજો, વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગો અને માળખાગત સુવિધાઓ જોવા મળી રહી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અત્યારે 885 લોકોને રહેમરાહે નિમણૂક હેઠળ નિમણૂકપત્રો પણ મળ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, ઓગસ્ટ, 2019થી કલમ 370 અને 35-એ નાબૂદ થયા પછી, 34,440 ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે, જેમાંથી 24,000 જમ્મુ અને કાશ્મીર સેવા પસંદગી બોર્ડ દ્વારા, 3900 જમ્મુ અને કાશ્મીર જાહેર સેવા આયોગ દ્વારા, 2637 જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા અને 2436 જમ્મુ અને કાશ્મીર બેંક દ્વારા ભરવામાં આવી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ નિમણૂકો ભરવા માટે ભ્રષ્ટાચારને કોઈ અવકાશ છોડવામાં આવ્યો નથી.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003EMH7.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003EMH7.jpg)
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. તેમણે કહ્યું કે આપણો દેશ લોકતાંત્રિક વ્યવસ્થામાં કામ કરે છે અને તેનું સૌથી નાનું એકમ દેશનો મતદાતા છે. ગૃહમંત્રીએ 18 વર્ષથી વધુ ઉંમરના તમામ યુવાનોને પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવવા, લોકશાહી પ્રક્રિયાનો ભાગ બનવા અને ભારત અને જમ્મુ-કાશ્મીરમાં લોકશાહીને મજબૂત કરવા માટે ઉત્સાહિત કર્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યાં પછી વર્ષ 2018માં જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં 74 ટકા મતદાન થયું હતું, ઓક્ટોબર, 2019માં બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં 98 ટકા મતદાન નોંધાયું હતું અને 4483 બેઠકો પર 3650 સરપંચ ચૂંટાયાં હતાં. આ રીતે મોદી સરકારે 35 હજાર પંચો, સરપંચો અને સ્થાનિક સંસ્થાઓના જનપ્રતિનિધિઓને લોકતંત્રમાં કામ કરવાની તક આપી છે. તેમણે કહ્યું કે હવે અહીં નવું સીમાંકન થઈ રહ્યું છે જેમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી વંચિત લોકોને તેમના અધિકારો મળી શકશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં પ્રયાસોનાં પરિણામે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષાનાં નવા યુગનો પ્રારંભ થયો છે. તેમણે કહ્યું હતું કે, કલમ 370 નાબૂદ થયા બાદ આતંકવાદ સાથે સંબંધિત કુલ ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે, નાગરિકોના મૃત્યુમાં 81 ટકાનો ઘટાડો થયો છે અને સુરક્ષા દળોના મૃત્યુમાં 48 ટકાનો ઘટાડો થયો છે, આ દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં સુખ અને શાંતિના નવા યુગની શરૂઆત થઈ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2010માં સંગઠિત પથ્થરમારાની 2654 ઘટનાઓ બની હતી, જે વર્ષ 2023માં ઘટીને ઝીરો થઈ ગઈ હતી, વર્ષ 2010માં સંગઠિત હડતાલની 132 ઘટનાઓ બની હતી, જ્યારે વર્ષ 2023માં એક પણ ઘટના બની ન હતી. તેમણે કહ્યું કે આ જ રીતે 2010માં પણ પથ્થરમારામાં 112 નાગરિકોના મોત થયા હતા, 2023માં એક પણ નાગરિકનું મોત થયું ન હતું અને 2010માં પથ્થરમારામાં ઘાયલ થયેલા નાગરિકોની સંખ્યા 6235 હતી, જે આજે ઝીરો છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, મોદી સરકાર આતંકવાદીઓને નાણાકીય સહાય કરવા, આતંકવાદીઓની અસ્કયામતોને સીલ કરવા અને ફ્રીઝ કરવા પર કડક હાથે કામ લઈ રહી છે તથા કેટલાંક આતંકવાદી સંગઠનો પર કડક હાથે કામ લેવા માટે તેમને ગેરકાયદેસર પણ જાહેર કર્યા છે.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0048WMC.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0048WMC.jpg)
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી અને ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહાનાં નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષાનાં નવા યુગની શરૂઆત થઈ છે. તેમણે કહ્યું કે 2019-20માં જમ્મુ-કાશ્મીરમાં 297 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું, જે 2022-23માં વધીને 2153 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ સાથે જ 6000 કરોડ રૂપિયાનું રોકાણ પાઇપલાઇનમાં છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જીએસડીપી વર્ષ 2014-15માં રૂ. 1 લાખ કરોડ હતી, જે વર્ષ 2022-23માં 2 ગણી વધીને રૂ. 2,27,927 કરોડ થઈ છે. પહેલા જમ્મુ-કાશ્મીરમાં 94 કોલેજ હતી, આજે 147 છે, પહેલા આઇઆઇએમ, આઇઆઇટી અને એઇમ્સ નહોતી, આજે આઇઆઇએમ, આઇઆઇટી અને બે એઇમ્સની સ્થાપના થઇ ચૂકી છે. તેવી જ રીતે 4 મેડિકલ કોલેજ હતી, હવે 7 નવી મેડિકલ કોલેજની સ્થાપના થઇ છે. એક પણ નર્સિંગ કોલેજ ન હતી, આજે 15 નર્સિંગ કોલેજ છે, મેડિકલ સીટ 500 હતી, હવે તે વધીને 1300, પીજી સીટ 367 હતી, હવે 300 વધુ સીટનો ઉમેરો થયો છે અને 3000 નર્સિંગ સીટ પણ વધારવામાં આવી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અહીં 173 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને વર્ષ 2019થી 2024 સુધીનાં અતિ ટૂંકા ગાળામાં 1,45,000 લોકોને ઘરની ફાળવણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 13 લાખ લોકોના ઘરમાં નળથી પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે અને તેની સાથે જ 82 લાખ લોકોના 5 લાખ રૂપિયા સુધીનો સંપૂર્ણ સ્વાસ્થ્ય ખર્ચ ભારત સરકાર અને જમ્મુ કાશ્મીર સરકાર ઉઠાવી રહી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં ફક્ત 60 સેવાઓ ઓનલાઇન હતી, જે હવે વધીને 1102 થઈ ગઈ છે, જેના કારણે ભ્રષ્ટાચાર પર અંકુશ લાગ્યો છે. અગાઉ જમ્મુ-કાશ્મીરમાં ખેલાડીઓની સંખ્યા 2 લાખથી ઓછી હતી, જે હવે વધીને 60 લાખથી વધુ થઈ ગઈ છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીર એ જ ગતિએ વિકાસનાં પથ પર આગળ વધતું રહેશે, કારણ કે હવે અહિંનાં યુવાનો પત્થરોને બદલે કમ્પ્યુટર હાથમાં લઈ રહ્યાં છે અને દેશ અને જમ્મુ-કાશ્મીરનાં વિકાસ સાથે જોડાઈ રહ્યાં છે.
YP/JD
(Release ID: 1999575)
Visitor Counter : 122