ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના ભુજથી માંડવી અને જખૌ સુધી ચક્રવાત બિપોરજોયથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું

Posted On: 17 JUN 2023 9:18PM by PIB Ahmedabad

ગૃહ મંત્રીએ માંડવીની સિવિલ હૉસ્પિટલ અને જખૌમાં એક પ્રાથમિક આરોગ્ય સુવિધાની મુલાકાત લીધી, માંડવીનાં કથડા ગામની પણ મુલાકાત લીધી અને ખેડૂતોને મળ્યા, એનડીઆરએફના જવાનોને પણ મળ્યા

ભુજમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવેલાં વાવાઝોડાં બિપોરજોયમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી તે ખૂબ જ સંતોષની વાત છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સતત ગૃહ મંત્રાલય, ગુજરાત સરકાર અને તમામ એજન્સીઓને માર્ગદર્શન આપ્યું અને ઓછામાં ઓછા નુકસાન સાથે આ આપત્તિમાંથી બહાર આવવું એ ટીમ વર્કનું એક ઉત્તમ ઉદાહરણ છે

એક પણ માનવ મૃત્યુ ન થવું એ સમગ્ર તંત્રની સફળતા દર્શાવે છે અને સમયસર માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા માટે એક ઉદાહરણ છે

સમયસર મળેલી માહિતીનો ઉપયોગ જાનમાલને બચાવવા માટે કેવી રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત સરકારે પ્રસ્તુત કર્યું છે

ગુજરાત સરકારે પણ એનડીએમએની ચક્રવાત સંબંધિત સૂચના-માર્ગદર્શિકાઓનો સંપૂર્ણ અમલ કર્યો, જેમાં સરકારી વિભાગો, લોક પ્રતિનિધિઓ, સ્થાનિક લોકો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સંપૂર્ણ યોગદાન આપ્યું

મોદીજીનાં નેતૃત્વ હેઠળની ભારત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રીનાં માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે સમગ્રતા સાથે મળીને બિપોરજોયનો સામનો કર્યો છે

6 જૂને, ચક્રવાતી તોફાન બિપોરજોયના સમાચાર આવ્યા પછી તરત જ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓની સમીક્ષા કરી, અને સમગ્ર તંત્રને એલર્ટ કરવા અને તમામ વ્યવસ્થાઓને વ્યવસ્થિત રાખવા માટે રાત્રે એક વાગ્યા સુધી પોતે સ્થિતિ પર નજર રાખી

આપત્તિને પહોંચી વળવા માટે અનેક સ્તરે બેઠકો યોજવામાં આવી હતી અને તમામ એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે કરવામાં આવી હતી, જેનાં પરિણામે આપણે સતર્કતા સાથે અને જનતાના સહકારથી ઓછાંમાં ઓછાં નુકસાન સાથે આ આપત્તિમાંથી બહાર આવવામાં સફળ થયા છીએ

શ્રી અમિત શાહે કહ્યું કે વાવાઝોડાંમાં માત્ર 47 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ અને 234 પશુઓનાં મોત થયાં છે

ચક્રવાતને જોતા 3400 ગામોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જેમાંથી 24 કલાકથી ઓછા સમયમાં 1600 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને 20મીની સાંજ સુધીમાં તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે

આ આપત્તિ દરમિયાન, 707 સગર્ભા મહિલાઓની સફળતાપૂર્વક પ્રસૂતિ થઈ છે, કુલ 1,08,208 નાગરિકો અને 73,000 પશુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં

એનડીઆરએફની 19 બટાલિયન, એસડીઆરએફની 13 બટાલિયન અને રિઝર્વ 2 બટાલિયનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવવાનું કામ કર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાને ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓ, નુકસાન અને સુવિધાઓનાં પુનઃસ્થાપન અંગે ભુજમાં સમીક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી

શ્રી અમિત શાહે કહ્યું હતું કે 20 જૂન સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે, તેમણે સાફ સફાઇ પર ખાસ ધ્યાન અને અગ્રતાના ધોરણે રસ્તાઓની મરામત કરવાનો નિર્દેશ આપ્યો હતો

ગૃહમંત્રીએ તમામ એજન્સીઓ દ્વારા ચક્રવાત બિપોરજોયની ચેતવણીથી લઈને અત્યાર સુધીમાં લીધેલાં પગલાં અંગે એક દસ્તાવેજ તૈયાર કરવા જણાવ્યું છે જેથી આપત્તિનો સામનો કરવામાં મળેલી શાનદાર સફળતાને આદર્શ તરીકે દરેક રાજ્ય સુધી પહોંચાડી શકાય

 

આ દસ્તાવેજ ભવિષ્યમાં આવનારી કુદરતી આફતોનો સામનો કરવા માટે એક મૉડલ બને એ માટે દેશભરમાં તેને એક સાફલ્યગાથા તરીકે પ્રચારિત અને પ્રસારિત કરવામાં આવવો જોઈએ

 

ગૃહ મંત્રીએ ચક્રવાત બિપોરજોયનો સફળતાપૂર્વક સામનો કરવા બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ એજન્સીઓ, અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વતી એ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના ભુજથી માંડવી અને જખૌ સુધી ચક્રવાત પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. માંડવીમાં, કેન્દ્રીય ગૃહ મંત્રીએ સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી જ્યાં ચક્રવાત ત્રાટકે તે પહેલાં ગર્ભવતી મહિલાઓને લાવવામાં આવી હતી. શ્રી અમિત શાહે હૉસ્પિટલના વૉર્ડ્સની મુલાકાત લીધી અને ગર્ભવતી મહિલાઓ તેમજ એ મહિલાઓ સાથે વાત કરી હતી જેમણે ચક્રવાત દરમિયાન જન્મ બાળકોને જન્મ આપ્યો હતો. શ્રી શાહે એક ગામની પણ મુલાકાત લીધી અને એવા ખેડૂતોને મળ્યા કે જેમના પાકને ચક્રવાતને કારણે નુકસાન થયું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી એનડીઆરએફના જવાનોને પણ મળ્યા અને ચક્રવાત દરમિયાન તેમનાં પ્રશંસનીય કાર્ય માટે તેમની પ્રશંસા કરી. જખૌમાં, શ્રી અમિત શાહે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી જ્યાં લગભગ 200 ગ્રામજનોને રાખવામાં આવ્યા છે, શ્રી શાહે ગ્રામજનોને આપવામાં આવતી સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. ચક્રવાત આવતા પહેલા અને તે દરમિયાન તેમના માટે કરવામાં આવેલી સારી વ્યવસ્થા માટે ગ્રામજનોએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સ્થાનિક વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.

આ પછી ભુજમાં જ એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે 140 કિમી પ્રતિ કલાકની ઝડપવાળા ચક્રવાત બિપોરજોયમાં એક પણ વ્યક્તિનો જીવ નથી ગયો, તે ખૂબ જ સંતોષની વાત છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ગૃહ મંત્રાલય, ગુજરાત સરકાર અને તમામ એજન્સીઓને સતત માર્ગદર્શન આપ્યું અને ઓછાંમાં ઓછાં નુકસાન સાથે આ આપત્તિમાંથી બહાર આવવું એ ટીમ વર્કનું એક ઉત્તમ ઉદાહરણ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે મોદીજીનાં નેતૃત્વ હેઠળની ભારત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રીનાં માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સમગ્રતાની સાથે મળીને બિપોરજોયનો સામનો કર્યો છે. તેમણે કહ્યું કે એક પણ માનવ મૃત્યુ ન થવું એ સમગ્ર તંત્રની સફળતા દર્શાવે છે અને સમયસર માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા માટે એક ઉદાહરણ છે.

શ્રી અમિત શાહે ચક્રવાત પહેલા અને તે દરમિયાન કરવામાં આવેલી તૈયારીઓ અને વ્યવસ્થાઓ માટે ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત સરકારે સમયસર મળેલી માહિતીનો ઉપયોગ જાનમાલને બચાવવા માટે કેવી રીતે કરી શકાય તેનું એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. ગુજરાત સરકારે સરકારી વિભાગો, જનપ્રતિનિધિઓ, સ્થાનિક લોકો અને સ્વૈચ્છિક સંસ્થાઓનાં સંપૂર્ણ યોગદાન સાથે ચક્રવાત પર એનડીએમએની માર્ગદર્શિકાનો સંપૂર્ણ અમલ પણ કર્યો.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 6 જૂને ચક્રવાત બિપોરજોયના સમાચાર આવ્યા બાદ તરત જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોની તમામ એજન્સીઓની સમીક્ષા કરી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે, સમગ્ર તંત્રને એલર્ટ કરવા અને તમામ વ્યવસ્થા ચુસ્ત રાખવા માટે પ્રધાનમંત્રી મોદીએ પોતે રાતના એક વાગ્યા સુધી પરિસ્થિતિ પર નજર રાખી હતી. તેમણે કહ્યું કે અનેક સ્તરે સમીક્ષા બેઠકો યોજવામાં આવી હતી અને તમામ એજન્સીઓ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું, જેનાં પરિણામે આપણે સતર્કતા સાથે અને જનતાના સહકારથી ઓછાંમાં ઓછાં નુકસાન સાથે આ આપત્તિમાંથી બહાર આવવામાં સફળ થયા છીએ.

શ્રી અમિત શાહે કહ્યું કે તોફાનમાં માત્ર 47 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ અને 234 પશુઓ મૃત્યુ પામ્યાં. તેમણે કહ્યું કે વાવાઝોડાંને જોતા 3400 ગામોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જેમાંથી 24 કલાકથી ઓછા સમયમાં 1600 ગામોમાં પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને 20મીની સાંજ સુધીમાં તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે તોફાન ત્રાટકે તે પહેલા જ 1206 ગર્ભવતી મહિલાઓને સંવેદનાની સાથે સુરક્ષિત રીતે હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને તે તમામ મહિલાઓએ તેમને આપવામાં આવેલી સુવિધાઓ પર સંતોષ વ્યક્ત કર્યો છે. શ્રી શાહે કહ્યું કે આ આફત દરમિયાન 707 સફળ પ્રસૂતિ થઈ છે. આ ઉપરાંત, કુલ 1,08,208 નાગરિકો અને 73,000 પશુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે 3,27,890 વૃક્ષોની સમયસર કાપણી કરવામાં આવી હતી જેથી વાવાઝોડા દરમિયાન ભારે પવનને કારણે તે પડે નહીં. તમામ જિલ્લાઓમાં સમયસર કુલ 4317 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે લગભગ 21,585 બોટને સમયસર દરિયામાંથી બહાર કાઢવામાં આવી હતી અને એક લાખથી વધુ માછીમારોને કિનારે લાવીને એમના જીવ બચાવવાનું કામ કરવામાં આવ્યું.

એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે એનડીઆરએફની 19 બટાલિયન, એસડીઆરએફની 13 બટાલિયન અને 2 રિઝર્વ બટાલિયનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોનો જીવ બચાવવાનું કામ કર્યું. તેમણે કહ્યું કે આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, બીએસએફ, સ્ટેટ રિઝર્વ પોલીસ અને રાજ્ય પોલીસે NDRF અને SDRF સાથે સંપૂર્ણ સંકલનમાં કામ કર્યું.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે હાલમાં 1133 ટીમો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં લાગેલી છે અને આવતી કાલથી વધુ 400 ટીમો કાર્યરત થશે. તેમણે કહ્યું કે મીઠાના પ્લાન્ટમાં ઘણા મજૂરો હતા જેમને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા.

આ અગાઉ, કેન્દ્રીય ગૃહ પ્રધાને ચક્રવાતનો સામનો કરવા માટે તૈયારીઓ, નુકસાન અને સુવિધાઓનાં પુનઃસ્થાપન અંગે ભુજ ખાતે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ઊર્જા અને ટેલિકોમ મંત્રાલયના સચિવ અને વરિષ્ઠ અધિકારી, હવામાન વિભાગ અને NDRFના મહાનિર્દેશક બેઠકમાં ઓનલાઇન જોડાયા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં વહેલી તકે વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા, સ્વચ્છતા પર વિશેષ ધ્યાન અને પ્રાથમિકતાના ધોરણે રસ્તાઓની મરામત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે તેમણે શેલ્ટર હોમમાં રહેતા લોકો માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવા અને આશ્રય ગૃહોનું રિયલ ટાઈમ રિપોર્ટિંગ કરવા પણ જણાવ્યું હતું કે જેથી કરીને ત્યાં રહેતા લોકોને કોઈપણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે. શ્રી શાહે કૃષિ અને બાગાયતીનાં નુકસાનનું યોગ્ય આકલન કરવાની સૂચના આપતા જણાવ્યું હતું કે, બાગાયતનાં જે પણ વૃક્ષો ટકી શકે છે તેને પુનર્જીવિત કરવા પ્રયાસ થવા જોઇએ.

શ્રી અમિત શાહે એમ પણ કહ્યું હતું કે તમામ એજન્સીઓ દ્વારા ચક્રવાત બિપોરજોયની ચેતવણીથી લઈને અત્યાર સુધીની કરવામાં આવેલી કાર્યવાહી અંગે એક દસ્તાવેજ તૈયાર કરવો જોઈએ જેથી કરીને આપત્તિનો સામનો કરવામાં મળેલી અદ્‌ભૂત સફળતા દરેક રાજ્ય સુધી પહોંચાડી શકાય. ભવિષ્યમાં આવનારી કુદરતી આફતોનો સામનો કરવા માટે એક ઉદાહરણ સાબિત થઈ શકે છે, તેથી તેને સાફલ્ય ગાથા તરીકે દેશભરમાં પ્રચાર અને પ્રસારિત થવો જોઈએ. ગૃહ મંત્રીએ ચક્રવાતી તોફાન બિપોરજોયનો સફળતાપૂર્વક સામનો કરવા બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ એજન્સીઓ, અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વતી એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

YP/GP/JD



(Release ID: 1933151) Visitor Counter : 212