પ્રવાસન મંત્રાલય

G20ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક આવતીકાલથી કચ્છના રણમાં શરૂ થશે

Posted On: 06 FEB 2023 7:15PM by PIB Ahmedabad

ગુજરાતના કચ્છના રણની આકર્ષક સફેદ રેતી 7 થી 9 ફેબ્રુઆરી 2023 દરમિયાન G20 દેશોના પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિઓના મંડળની સાક્ષી બનશે. પર્યટન મંત્રાલય દ્વારા યોજાઇ રહેલી G20ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહની બેઠક આવતીકાલથી શરૂ થવાની છે. આ બેઠકમાં 100 થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે. આજે બેઠકના સ્થળ ધોરડો ખાતે યોજાયેલી કર્ટન રેઝર પત્રકાર પરિષદ દરમિયાન પર્યટન મંત્રાલયના સચિવ શ્રી અરવિંદ સિંઘે આ વાત જણાવી હતી. આ બેઠકમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા, પર્યટન, સંસ્કૃતિ અને DONER મંત્રાલયના આદરણીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, G20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સહિત 100થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહેવાના છે.

સચિવશ્રીએ જણાવ્યું હતું કે, પર્યટન મંત્રાલયે ભારતની G-20ની અધ્યક્ષતાની ઉજવણીને અનુલક્ષીને દરમિયાન પાંચ અગ્રતા ક્ષેત્રોમાં સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જે માત્ર સરકારી સ્તરના હિતધારકો જ નહીં પરંતુ ટ્રાવેલ ટ્રેડ અને આતિથ્ય ક્ષેત્રના હિતધારકોને પણ જોડશે. મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં એપ્રિલ/મે 2023 દરમિયાન પ્રથમ વૈશ્વિક પર્યટન રોકાણકાર સમિટ (GTIS)નું આયોજન કરવામાં આવશે. GTISના આયોજનનો ઉદ્દેશ્ય પર્યટન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ અને બીજા ક્ષેત્રોની સાથે સાથે ભારતીય પર્યટન અને આતિથ્ય ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણને આકર્ષવાનો છે.

શ્રી સિંહે જણાવ્યું હતું કે, જૂન મહિનામાં ગોવામાં મંત્રી સ્તરની બેઠકની સાથે સાથે G20 CEO ફોરમ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ (WTTC) અને WTTC (ભારત પહેલ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. પર્યટન મંત્રાલય દ્વારા 2023માં મે અને જૂન મહિનામાં અનુક્રમે MICE વૈશ્વિક પરિષદ અને સાહસિક પર્યટન પર કાર્યક્રનનું આયોજન પણ કરવામાં આવશે.

ભારતની G-20ની અધ્યક્ષતા દરમિયાન પર્યટન ક્ષેત્રના પાંચ પ્રાથમિકતા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે, જે પર્યટન ક્ષેત્રમાં પરિવર્તનને વેગ આપવા માટે મુખ્ય આધારની રચના કરશે અને 2030 દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યાંકો પ્રાપ્ત કરશે. પાંચ પ્રાથમિકતા ક્ષેત્રો નીચે મુજબ છે:

હરિત પર્યટન "ટકાઉક્ષમ, જવાબદારીપૂર્ણ અને સ્થિતિસ્થાપક પર્યટન ક્ષેત્ર માટે પર્યટન ક્ષેત્રને હરિયાળી સાથે જોડવાની કામગીરી છે"

ડિજિટલાઇઝેશન "પર્યટન ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા, સમાવેશીતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલાઇઝેશનની શક્તિનો ઉપયોગ કરવા પર કેન્દ્રિત છે"

કૌશલ્યો "પર્યટન ક્ષેત્રમાં રોજગારીઓ અને ઉદ્યોગસાહસિકતા માટે કૌશલ્યવાન યુવાનોનું સશક્તિકરણ" કરવાનું ક્ષેત્ર છે

પર્યટન MSME ક્ષેત્ર હેઠળ "પર્યટન ક્ષેત્રમાં આવિષ્કાર અને ગતિશીલતા લાવવા માટે પર્યટન MSME/સ્ટાર્ટઅપ્સ/ખાનગી ક્ષેત્રનું જતન" કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ગંતવ્ય વ્યવસ્થાપનમાં "SDG લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય તેવા સર્વાંગી અભિગમ તરફ ગંતવ્યોના વ્યૂહાત્મક વ્યવસ્થાપન અંગે પુનર્વિચાર કરવા"ના પરિબળને સમાવી લીધું છે.

પર્યટન સચિવે એમ પણ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમ દરમિયાન ગ્રામીણ પર્યટન અને પુરાતત્વીય પર્યટનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતી સાઇટ ઇવેન્ટ પણ ધ્યાન ખેંચશે. શ્રી સિંહે જણાવ્યું હતું કે ગ્રામીણ પર્યટનમાં સ્થાનિક આર્થિક વિકાસ, સામાજિક પરિવર્તન અને સમાવેશી સમુદાય વિકાસને આગળ ધપાવવાનું ખૂબ જ સારું સામર્થ્ય છે. ગ્રામીણ પર્યટન દ્વારા ગામડાની સાથે સંકળાયેલી પૃષ્ઠભૂમિઓ, જ્ઞાન પ્રણાલીઓ, જૈવિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય, સ્થાનિક મૂલ્યો અને પ્રવૃત્તિઓ (કૃષિ, વનસંવર્ધન, પશુધન અને/અથવા મત્સ્ય ઉદ્યોગ), તેમની ખાન-પાનની કળા સહિત ગામડાઓના મૂલ્યોની કદર કરવામાં આવે છે અને તેનું રક્ષણ કરવામાં આવે છે. ધ્યાનમાં રાખવાના બીજા ક્ષેત્ર અંગે વાત કરતી વખતે શ્રી સિંહે જણાવ્યું હતું કે, પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક કલાકૃતિઓ ધરાવે છે, જે સમગ્ર વિશ્વમાં પ્રાચીન સંસ્કૃતિઓ અંગે સમજદારીપૂર્ણ જ્ઞાન પૂરું પાડે છે. પુરાતત્વીય સ્થળો વિશે લોકોમાં જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે એક વાહક તરીકે પર્યટનનો ઉપયોગ કરી શકાય, જેનાથી ગંતવ્ય સ્થાનના સાંસ્કૃતિક વારસાને વધુ સારી રીતે સમજવામાં મદદ મળવાની સાથે સાથે  સ્થાનિક સમુદાયોના આર્થિક તેમજ સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવામાં પણ મદદ મળી શકે છે.

આ વર્ષે 31 જાન્યુઆરીએ ‘વિઝિટ ઇન્ડિયા યર 2023’ પહેલ શરૂ કરવામાં આવી હતી અને ભારતમાં પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે તેની ભવ્ય યોજનાઓ અને પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવી છે. આ વર્ષે એક લાખથી વધુ વિદેશી પ્રતિનિધિઓ ભારતની મુલાકાત લેશે અને તેઓ સ્મારકો તેમજ તહેવારો સહિત ભારતની સંસ્કૃતિની વિવિધતા, સમૃદ્ધિ તેમજ અનેકરૂપતાના સાક્ષી બનશે.

આ પત્રકાર પરિષદ દરમિયાન ગુજરાત સરકારના પર્યટન સચિવ શ્રી હરિત શુક્લા અને વિદેશ મંત્રાલયના DDG, ICCR શ્રી અભય કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD



(Release ID: 1896760) Visitor Counter : 365