ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે કર્ણાટકના દેવનહલ્લી ખાતે સેન્ટ્રલ ડિટેક્ટિવ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (સીડીટીઆઈ)નો શિલાન્યાસ કર્યો હતો તથા આઇટીબીપીના રહેણાંક અને વહીવટી સંકુલોનું ઉદ્‌ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર બન્યા બાદ સુરક્ષા દળોના તમામ દળોના જવાનોને ઉચ્ચ ટેકનોલોજીથી સજ્જ કરવા, આવાસ સંતોષનો રેશિયો વધારવા અને તેમના અને તેમના પરિવારોની તમામ જરૂરિયાતો પૂરી કરવાનું કામ કરવામાં આવ્યું છે

આઈટીબીપીના જવાનોનાં સમર્પણ પર અમને ગર્વ છે અને અમને વિશ્વાસ છે કે જ્યાં સુધી આઈટીબીપીના જવાનો સીમા પર તૈનાત છે, ત્યાં સુધી આપણી સરહદો સંપૂર્ણપણે સુરક્ષિત છે

આઇટીબીપીના જવાનોની વીરતા અને શૌર્યનાં કારણે દેશની જનતાએ તેમને 'હિમવીર'નું ઉપનામ આપ્યું છે

સમાજમાં સતત થઈ રહેલા ફેરફારોને અનુરૂપ પોલીસને ઢાળવા માટે સંશોધન ખૂબ જ જરૂરી છે, સમગ્ર દેશની પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર દળો માટે આ સંશોધનની જવાબદારી બીપીઆરએન્ડડીની છે

પોલીસમાં પ્રણાલીગત સુધારાની પ્રક્રિયા સતત ચાલતી રહેવી જોઈએ, જેના માટે સંસ્થાનો વચ્ચે સહયોગ, સેમિનારો અને શ્રેષ્ઠ પ્રથાઓ અને પડકારોના આદાનપ્રદાનથી તમામ પોલીસ દળોને સજ્જ કરવા ખૂબ જ જરૂરી છે

સમગ્ર દેશની પોલીસ સમક્ષ નાર્કોટિક્સ, નકલી ચલણી નોટ, હવાલા કારોબાર, ઉન્માદ ફેલાવતા સંગઠનો, આતંકવાદ, સરહદી રાજ્યોમાં ઘુસણખોરી, દરિયાકાંઠાનાં રાજ્યોમાં સમુદ્રને લગતી સમસ્યાઓ જેવા મહત્વના પડકારો છે અને તેનો સામનો કરવા માટે વિવિધ દળો વચ્ચે સંકલન સાધવા માટે બીપીઆરએન્ડડીનાં માધ્યમથી સંવાદ, સેમિનાર અને સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે

દેશને મહાનગરીય ક્ષેત્રોમાં આવતા પડકારો પર પણ ધ્યાન આપવું પડશે કારણ કે આગામી દિવસોમાં મહાનગરોની પોલીસિંગ એક પડકાર બની રહેવાની છે, જેના પર સંશોધન કરીને તેનાં પરિણામો સાથે અભ્યાસ કરીને આપણી વ્યૂહરચના બદલવાની જરૂર છે

ભારતની વિકાસ યાત્રામાં સારી કાયદો અને વ્યવસ્થા હોવી ખૂબ જ જરૂરી છે, સરકારે કેટલાક ફેરફાર કર્યા છે જેથી મોદી સરકારમાં બીપીઆરએન્ડડીનાં નેજા હેઠળ ખૂબ જ સારી રીતે રિસર્ચ અને સંશોધન થઈ શકે, જેનાં પરિણામો દેખાઈ પણ રહ્યાં છે

આ સીડીટીઆઈ સેન્ટર કર્ણાટકના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, ગોવા અને દમણ અને દીવ માટે ફોરેન્સિક સાયન્સનાં ક્ષેત્રમાં મદદનું કામ પણ કરશે

Posted On: 31 DEC 2022 6:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે કર્ણાટકમાં દેવનહલ્લી ખાતે સેન્ટ્રલ ડિટેક્ટિવ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (સીડીટીઆઈ)નો શિલાન્યાસ કર્યો હતો તથા ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના રહેણાંક અને વહીવટી સંકુલોનું ઉદ્‌ઘાટન કર્યું હતું. શ્રી અમિત શાહે આઇટીબીપીનાં જે સંકુલોનું ઉદ્‌ઘાટન કર્યું હતું, તેમાં રહેણાંક ક્વાર્ટર, સંયુક્ત ભવન, 120 જવાનો માટે બેરેક, સ્ટાફ ઓફિસર મેસ અને અધિકારીઓની મેસ સામેલ છે. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈ, કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

શ્રી અમિત શાહે તેમનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે અહીં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (સીડીટીઆઈ)નો શિલાન્યાસ થયો છે અને પોલીસ દળોની કાર્યકારી સુવિધાઓને વધારે સુવિધાજનક બનાવવાની શ્રૃંખલામાં વધુ એક કડી જોડવાની શરૂઆત કરવામાં આવી છે.  શ્રી શાહે બીપીઆરએન્ડડી(BPR&D) સાથે જોડાયેલી આ સંસ્થા માટે યોગ્ય જમીન પ્રદાન કરવા બદલ કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઇનો આભાર માન્યો હતો.

 

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે બીપીઆરએન્ડડી એક એવી સંસ્થા છે જે દેશની પોલીસ સંસ્થાઓને મજબૂત બનાવે છે પરંતુ પહેલા તેનાં કામને યોગ્ય મહત્વ આપવામાં આવતું ન હતું. તેમણે જણાવ્યું હતું કે, સમયની સાથે સાથે સમાજની વિચારસરણી, પ્રકૃતિ, ધ્યેય અને માર્ગ સતત બદલાતા રહે છે અને જ્યારે પોલીસ આ પરિવર્તન સાથે તાલમેળ નથી રાખતી ત્યારે તે ધીમે ધીમે અપ્રસ્તુત બની જાય છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, સમાજમાં સતત થઈ રહેલાં પરિવર્તનોને અનુરૂપ પોલીસને ઢાળવા માટે સંશોધન અતિ મહત્ત્વપૂર્ણ છે અને સમગ્ર દેશની પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર દળો માટે આ સંશોધનની જવાબદારી બીપીઆરએન્ડડીની છે.

 

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પોલીસમાં પ્રણાલીગત સુધારાની પ્રક્રિયા સતત ચાલુ રહેવી જોઈએ, જે માટે સંસ્થાનો વચ્ચે સહયોગ, સેમિનારો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ અને પડકારોના આદાન-પ્રદાનથી તમામ પોલીસ દળને સંપૂર્ણપણે સજ્જ કરવા અતિ જરૂરી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારત જેવા દેશમાં તે અતિ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આપણા દેશમાં કાયદો અને વ્યવસ્થાને રાજ્યનો વિષય બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સાંસ્કૃતિક વિવિધતાથી ભરપૂર ભારત જેવા વિશાળ દેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભિન્નતા અને વિવિધ પ્રકારના પડકારો વચ્ચે પોલીસને રાજ્યનો વિષય બનાવવાનો નિર્ણય ખૂબ જ યોગ્ય છે. પરંતુ સમય જતા સમગ્ર દેશની પોલીસ સમક્ષ નશીલા દ્રવ્યો, બનાવટી ચલણે નોટ, હવાલાનો કારોબાર, ઉન્માદ ફેલાવતા સંગઠનો, આતંકવાદ, સરહદી રાજ્યોમાં ઘૂસણખોરી, દરિયાકાંઠાનાં રાજ્યોમાં સમુદ્રને લગતી સમસ્યાઓ જેવા મહત્વના પડકારો પણ આવ્યા છે અને તેનો સામનો કરવા માટે બીપીઆરએન્ડડીનાં માધ્યમથી સંવાદ, સેમિનાર અને સહયોગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, "આ એક સતત રીતે ચાલતી પ્રક્રિયા છે, હવે તેની ઝડપ વધારવાનો સમય આવી ગયો છે કારણ કે તેની ગેરહાજરીમાં, આપણે કાયદો અને વ્યવસ્થાના પડકારને ઝીલવા માટે સમગ્ર દેશને તૈયાર કરી શકતા નથી."

 

 

ગૃહમંત્રીએ કહ્યું કે, દેશે મહાનગરીય ક્ષેત્રોમાં જે પડકારોનો સામનો કરવો પડે છે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, કારણ કે આગામી દિવસોમાં મહાનગરોમાં પોલિસિંગ એક પડકાર બનવા જઈ રહ્યું છે, જેના પર સંશોધન કરીને તેનાં પરિણામો સાથે અભ્યાસ કરીને રણનીતિમાં ફેરફાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે સીડીટીઆઈનું આ કેન્દ્ર સીએપીએફની સાથે સાથે  આસપાસનાં રાજ્યોની પોલીસને પણ આ તમામ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવામાં મદદ કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, કોલકાતા, હૈદરાબાદ, ગાઝિયાબાદ અને રાજસ્થાનમાં સ્થાપિત થયેલાં કેન્દ્રોએ આ ક્ષેત્રમાં ઘણું સારું યોગદાન આપ્યું છે તથા આગામી દિવસોમાં ભારત સરકાર બીપીઆરએન્ડડી મારફતે આ તમામ કેન્દ્રો વચ્ચે સંકલન અને સમાનતા લાવવાનું કામ કરશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સીડીટીઆઈનું આ કેન્દ્ર કર્ણાટકનાં પડોશી રાજ્યો મહારાષ્ટ્ર, ગોવા અને દમણ તથા દીવને ફોરેન્સિક વિજ્ઞાનનાં ક્ષેત્રમાં મદદ કરવાનું કામ પણ કરશે.  તેમણે કહ્યું કે ભારતની વિકાસ યાત્રામાં સારી કાયદો અને વ્યવસ્થા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, સરકારે કેટલાક ફેરફાર કર્યા છે જેથી મોદી સરકારમાં બીપીઆરએન્ડડીનાં નેજા હેઠળ ખૂબ જ સારી રીતે રિસર્ચ અને સંશોધન થાય, જેનાં પરિણામો દેખાઈ પણ રહ્યાં છે. શ્રી શાહે કહ્યું હતું કે, બીપીઆરએન્ડડીનાં ચાર્ટર હેઠળ ભારત સરકારનાં ગૃહ મંત્રાલય દ્વારા ઉમેરવામાં આવેલાં નવાં ક્ષેત્રો પર નવું વર્ટિકલ બનાવવાની કામગીરી પણ બીપીઆરએન્ડડીએ શરૂ કરી દીધી છે તથા મોડસ ઓપરેશન બ્યૂરો પણ તેનાં નેજા હેઠળ કાર્યરત છે. 

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર બન્યા બાદ સુરક્ષા દળોના તમામ દળોના જવાનોને ઉચ્ચતમ ટેકનોલોજીથી સજ્જ કરવા, આવાસ સંતોષનો રેશિયો વધારવા અને તેમના અને તેમના પરિવારોની તમામ જરૂરિયાતો પૂરી કરવાનું કામ કરવામાં આવ્યું છે. અને આ ક્રમમાં આજે આઈટીબીપીનાં વિવિધ રહેણાંક ભવનોનું ઉદ્‌ઘાટન અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીજીનાં નેતૃત્વમાં સીએપીએફનાં રહેઠાણો, વહીવટી બ્લોક્સ, સરહદ પર તૈનાત બેરેકમાં રહીને રક્ષા કરતા જવાનોની સુવિધા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે, જે આગળ પણ ચાલુ રહેશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તમામ સીએપીએફમાં આઇટીબીપી સૌથી મુશ્કેલ ક્ષેત્રમાં કામ કરતું સુરક્ષા દળ છે. તેમણે કહ્યું કે આપણે કલ્પના પણ કરી શકતા નથી કે -42 ડિગ્રી તાપમાનમાં દેશની સરહદોની સુરક્ષા માટે કેટલું મનોબળ અને ઉત્કૃષ્ટ દેશભક્તિની ભાવનાની જરૂર હોય છે. ગૃહ મંત્રીએ કહ્યું કે અમને આઈટીબીપીના જવાનોનાં સમર્પણ પર ગર્વ છે અને વિશ્વાસ છે કે જ્યાં સુધી આઈટીબીપીના જવાનો સીમા પર તૈનાત છે, ત્યાં સુધી આપણી સરહદો સંપૂર્ણપણે સુરક્ષિત છે. ગૃહ મંત્રીએ કહ્યું કે, આઇટીબીપીએ પોતાના સ્થાપના કાળથી જ  વિપરિત ભૌગોલિક પરિસ્થિતિઓ, પ્રતિકૂળ વાતાવરણ અને દુર્ગમ ભૂપ્રદેશમાં ઘણું સારું કામ કર્યું છે, આઇટીબીપીએ ડાબેરી ઉગ્રવાદ સામેની લડાઇમાં પણ ખૂબ સારી ભૂમિકા ભજવી છે. એટલે અરૂણાચલ હોય, કાશ્મીર હોય કે પછી લદ્દાખ, દેશની જનતાએ આઈટીબીપીના જવાનોની બહાદુરી અને શૌર્યનાં કારણે તેમને 'હિમવીર'નું ઉપનામ આપ્યું છે.

 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, અમે બીપીઆરએન્ડડી દ્વારા સમસ્યાની ઓળખ કરીને, તેના પર સંશોધન પેપરના સૂચનોનું વિશ્લેષણ કરીને અને તેના આધારે નીતિગત ફેરફારો કરીને નીતિનાં અમલીકરણ અને સમીક્ષાની સંપૂર્ણ શ્રૃંખલાને સમાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમને આનાથી મોટો ફાયદો થવાનો છે અને આ હેતુને પૂર્ણ કરવા માટે સીડીટીઆઈ ઘણું કામ કરશે. તેમણે કહ્યું કે મોદી સરકારે સીએપીએફ માટે ઇ-આવાસ પોર્ટલ બનાવ્યું છે જેનાં કારણે હાઉસિંગ સંતોષ રેશિયોમાં લગભગ 9 ટકાનો વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 8 વર્ષમાં 31000 આવાસોનું નિર્માણ થયું છે અને 17 હજારથી વધુ મકાનોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જ્યારે આગામી બજેટમાં 15000થી વધુ આવાસ મંજૂરી આપવામાં આવશે, જેનાથી હાઉસિંગ સંતોષનો રેશિયો વધીને 60 ટકાથી વધુ થઈ જશે, જે ખૂબ જ સંતોષની વાત છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આયુષ્માન સીએપીએફ યોજના હેઠળ આશરે 35 લાખ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ આપણા જવાનો અને તેમનાં પરિવારોની સ્વાસ્થ્ય સુવિધાઓને વધારે મજબૂત કરવાનો છે. હવે દસ્તાવેજ માટે કોઈને કોઇ મંજૂરીની જરૂર નથી, માત્ર કાર્ડ સ્વાઇપ કરવાથી તેનો ઈલાજ થઈ જશે. તેમણે કહ્યું હતું કે, વધારે હૉસ્પિટલો ઉમેરવાને કારણે સીએપીએફના જવાનો અને તેમના પરિવારજનોને એક વર્ષ કરતાં પણ ઓછા ગાળામાં રૂ. 20 કરોડથી વધારેની સ્વાસ્થ્ય સેવાઓ મળી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જવાનોને સરહદ પરથી ઓછામાં ઓછા 100 દિવસ સુધી પોતાના પરિવાર સાથે મુખ્યાલયમાં રહેવાની તક મળે, આ પ્રકારનું ડ્યૂટી રોસ્ટર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર સીએપીએફના કર્મચારીઓનાં કલ્યાણ માટે હંમેશા સમર્પિત અને સતર્ક છે.

YP/GP/JD



(Release ID: 1887782) Visitor Counter : 202