રસાયણ અને ખાતર મંત્રાલય

શ્રી મનસુખ માંડવિયા ફાર્મા ઉદ્યોગને: વૈશ્વિક બજારને કબજે કરવા માટે ‘વૉલ્યુમ’માંથી ‘વેલ્યુ’ નેતૃત્વ તરફ જવાનો સમય


"ચાલો, વૈશ્વિક શ્રેષ્ઠ પ્રેક્ટિસમાંથી શીખીએ અને વૈશ્વિક ફૂટપ્રિન્ટને વધારવા સાથે સ્થાનિક માગને પહોંચી વળવા માટે આપણું પોતાનું મોડલ વિકસાવીએ"

ફાર્મા કંપનીઓને ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ નીતિઓ સાથે ટેકો આપવા સરકાર પ્રતિબદ્ધ છે: ડૉ. મનસુખ માંડવિયા

સાકલ્યવાદી, વ્યાપક, ગતિશીલ અને લાંબા ગાળાની નીતિઓ માટે હિતધારક પરામર્શ આધાર બનશે

Posted On: 02 JUL 2022 7:10PM by PIB Ahmedabad

"ચાલો વૈશ્વિક ફાર્માસ્યુટિકલ માર્કેટને કબજે કરવા માટે આપણે 'વૉલ્યુમ'થી "વેલ્યુ" નેતૃત્વ તરફ આગળ વધીએ. સંશોધન, ઉત્પાદન અને નવીનતાની વૈશ્વિક શ્રેષ્ઠ રીતિઓમાંથી જ્ઞાન સંચિત કરવાનો અને આપણાં વૈશ્વિક પદચિહ્ન- ગ્લોબલ ફૂટપ્રિન્ટ્સને વધારતા સાથે સ્થાનિક માગને પહોંચી વળવા ઉત્પાદનને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણું પોતાનું મોડલ વિકસાવવાનો આ સમય છે.” કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય ફાર્માસ્યુટિકલ એલાયન્સ સાથેના ઇન્ટરેક્ટિવ સત્રમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના અગ્રણીઓ અને આગેવાનોને પ્રોત્સાહન આપ્યું હતું. આ બેઠકનો ઉદ્દેશ્ય ભારતનાં ફાર્મા વિઝન 2047 અને ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટેના રોડમેપ પર ચર્ચા કરવાનો હતો. આ સત્રમાં ભારતમાં ફાર્મા ઉદ્યોગની વર્તમાન સ્થિતિ, છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકાર દ્વારા લેવામાં આવેલી ચાવીરૂપ પહેલ અને ભારતને આ વિઝનને સાકાર કરવામાં મદદરૂપ બને તેવા સહયોગી પગલાંની ચર્ચા કરવામાં આવી હતી.

તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનનો પુનરોચ્ચાર કરતા, ડૉ. મનસુખ માંડવિયાએ આગામી વર્ષોમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને તેના વિકાસના માર્ગમાં અગ્રેસર  બનાવવા માટે દબાણ કર્યું. તેમણે કહ્યું હતું કે "આપણી પાસે પહેલેથી જ જરૂરી "મેન પાવર અને બ્રાન્ડ પાવર" છે અને ભારતીય કંપનીઓ આજે ટોચનાં વૈશ્વિક સ્થાનો પર કબજો કરવા માટે વળાંક પર છે. ભારતને તેના જેનરિક દવાઓનાં ઉત્પાદન અને વૈશ્વિક બજારમાં જથ્થાના હિસ્સાના આધારે "વિશ્વની ફાર્મસી" તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મૂલ્યના આધારે પણ આગળ વધવાનો અને ટોચના વૈશ્વિક સ્થાનો પર કબજો કરવાનો આ સમય છે.

ભારતની “વસુધૈવ કુટુંબકમ”ની ફિલસૂફીનો પુનરોચ્ચાર કરતી વખતે તેમણે કહ્યું કે “આપણે હંમેશા વિશ્વને ટેકો આપવા સાથે સાથે આપણી સ્થાનિક માગણીઓને પણ સંતુલિત કરવામાં માનીએ છીએ. એ મહામારીનાં સંકટ દરમિયાન છે જ્યારે વિશ્વએ ભારત તરફ જોયું, આપણે પહોંચાડ્યું. આનાથી ભારતની શક્તિઓની વૈશ્વિક પ્રશંસા થઈ છે અને આપણે હવે આ તકનો ઉપયોગ તેને “ડિસ્કવર એન્ડ મેક ઈન ઈન્ડિયા”ના આગલા સ્તર પર લઈ જવા માટે કરવો જોઈએ.

ડૉ. માંડવિયાએ ઉદ્યોગને સ્થિરતા પ્રદાન કરતી લાંબા ગાળાની નીતિઓનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. સરકાર ફાર્મા કંપનીઓને ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ નીતિઓ અને રોકાણને ઉત્તેજન આપતી ઇકોસિસ્ટમ માટે પ્રતિબદ્ધ છે તેના પર ભાર મૂકતા, તેમણે કહ્યું, “આ સરકાર સર્વગ્રાહી અભિગમ અપનાવવામાં માને છે. અમારી નીતિઓ વ્યાપક અને સર્વગ્રાહી હિતધારક પરામર્શ પર આધારિત છે જે વ્યાપક, લાંબા ગાળાની અને ગતિશીલ નીતિ ઇકોસિસ્ટમ માટે આધાર પૂરો પાડે છે.

સાથોસાથ, તેમણે ઉમેર્યું હતું કે “આપણે ફાર્મા ઇન્ડસ્ટ્રીની આગેવાની લેવામાં અને ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણમાં તેમના પોતાના મોડલ અને પહેલો પ્રસ્તાવિત કરવા, નવીન તકનીકોમાં રોકાણ કરવા અને સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મોખરે રહેવાની જરૂર છે.

સરકાર સુવ્યવસ્થિત નીતિઓ અને અત્યાધુનિક સંશોધનને સમર્થન આપતી PLI જેવી અસરકારક યોજનાઓ દ્વારા આ ક્ષેત્રને મજબૂત કરશે”. નીતિના મોરચે ઉપરાંત, ડૉ. માંડવિયાએ સંશોધન અને વિકાસમાં રોકાણ, કાર્યક્ષમ ઉત્પાદન ક્ષમતા અને નવીનતા માટે પૂરતી તકો ઊભી કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું જે હવે સમયની જરૂરિયાત છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ પગલાંઓ દ્વારા આપણે આ ક્ષેત્ર માટે એક વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ બનાવી શકીશું.

ફાર્માસ્યુટિકલ્સ વિભાગનાં સચિવ સુશ્રી એસ અપર્ણાએ જણાવ્યું હતું કે ભારત સરકાર ફાર્માસ્યુટિકલ સેક્ટર માટેનાં અમારાં લક્ષ્યોને સાકાર કરવા માટે કામ કરવાનું ચાલુ રાખે છે, જેમાં ઉદ્યોગ સાથે જોડાણ કરતી વિવિધ પહેલથી લઈને ભારતને ફાર્મા વિઝન 2047 હાંસલ કરવામાં મદદ કરવા માટે પહોંચ, નવીનતા, ગુણવત્તા અને પરવડી શકે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવામાં આવે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ ઉત્પાદનને વિસ્તારવા અને ગુણવત્તા મૂલ્યાંકન સુનિશ્ચિત કરવા માટે નીતિની સ્થિરતા, સુધારાની સુવિધા અને નિયમનકારી સરળતાના મુદ્દાને સંબોધિત કરી રહ્યા છે. સરકાર સંશોધન અને વિકાસ (R એન્ડ D), નિકાસ અને ડિજિટલાઇઝેશનમાં રોકાણને પણ પ્રોત્સાહિત કરી રહી છે, નવાં સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિક પહેલને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે સમીક્ષા પ્રક્રિયાઓને ઝડપી બનાવવામાં આવી રહી છે અને યોગ્ય ચેનલોનાં નિર્માણ દ્વારા જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અમને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ મળશે અને સેક્ટરમાં વધુ વિશ્વાસ વધશે.

ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સે નીતિ સ્થિરતા, નવીનતા, નિયમનકારી માળખામાં સુધારા અને પારદર્શિતા અને જવાબદારી સહિતની સરળતા, CDSCO ખાતે સમીક્ષા પ્રક્રિયા, યોજનાઓનાં અમલીકરણની નિયમિત દેખરેખ, કિંમતો અને સંલગ્ન નિયંત્રણ, નવીનતામાં સંશોધન કરવા હેતુથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને પ્રોત્સાહન, નિકાસને વેગ આપવા માટે કેમિકલ અને APIની ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ, જ્ઞાનની વહેંચણીના વિસ્તરણમાં તેની સંભવિતતાનો ઉપયોગ કરવા માટે ડિજિટલાઈઝેશન, તબીબી શિક્ષણમાં ઉપયોગ અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળની પહોંચમાં વધારો, અને સ્ટાર્ટ અપ્સમાં રોકાણ દ્વારા "બ્રાન્ડ ઈન્ડિયા"ને કેવી રીતે સમૃદ્ધ બનાવવું, શ્રેષ્ઠ માનવશક્તિને મેળવવા માટે શિક્ષણવિદો સાથે સહયોગ કરવા જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી અને પ્રકાશ પાડ્યો હતો.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1838887) Visitor Counter : 253