પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 7 ફેબ્રુઆરીએ આસામ અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને કેટલીકનો શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી આસામમાં ‘આસોમ માલા’નો પ્રારંભ કરશે અને બે હોસ્પિટલોનો શિલાન્યાસ કરશે

Posted On: 05 FEB 2021 6:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરી 2021ના રોજ આસામ અને પશ્ચિમ બંગાળ, બંને રાજ્યોની મુલાકાત લેશે. સવારે લગભગ 11:45 વાગે પ્રધાનમંત્રી આસામના સોનિતપુર જિલ્લામાં ધેકીઆજુલી ખાતે બે હોસ્પિટલોનો શિલાન્યાસ કરશે અને આસોમ માલા નામના એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ મુખ્ય જિલ્લા માર્ગોના કાર્યક્રમનો પ્રારંભ કરશે. ત્યારબાદ, બપોર પછી લગભગ 4:45 કલાકે તેઓ પશ્ચિમ બંગાળના હલ્દીઆ ખાતે કેટલીક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને કેટલીકનો શિલાન્યાસ કરશે.

પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રીની મુલાકાત

પ્રધાનમંત્રી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાંધવામાં આવેલું LPG આયાતનું ટર્મિનલ રાષ્ટ્રને સમર્પિત કરશે. અંદાજે રૂપિયા 1100 કરોડના ખર્ચે આનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે વાર્ષિક 1 મિલિયન મેટ્રિક ટનની ક્ષમતા ધરાવે છે. તેના કારણે પશ્ચિમ બંગાળ તેમજ પૂર્વોત્તર ભારતના અન્ય રાજ્યોમાં LPGની વધતી માંગને સંતોષી શકાશે અને ભારતમાં પ્રત્યેક પરિવાર સુધી રસોઇ માટે સ્વચ્છ ઇંધણરૂપે LPG પૂરું પાડવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

પ્રધાનમંત્રી આ પ્રસંગે 348 કિમીનો દોભી- દુર્ગાનગર કુદરતી વાયુ પાઇપલાઇન સેક્શન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે જે પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પરિયોજનાનો એક હિસ્સો છે. એક રાષ્ટ્ર, એક ગ્રીડનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં આ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે. લગભગ રૂપિયા 2400 કરોડના રોકાણથી બાંધવામાં આવેલી આ પાઇપલાઇનથી HURL સિન્દરી (ઝારખંડ) ખાતર પ્લાન્ટને ફરી શરૂ કરવામાં મદદ મળશે, તેનાથી દુર્ગાપૂર (પશ્ચિમ બંગાળ)માં મેટિક્સ ખાતર પ્લાન્ટમાં ગેસનો પૂરવઠો પૂરો પાડી શકાશે અને રાજ્યમાં ઔદ્યોગિક, વ્યાપારિક અને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં તેમજ તમામ મુખ્ય શહેરોમાં ગેસ વિતરણની જરૂરિયાતોને પણ પૂરી કરી શકાશે.

પ્રધાનમંત્રી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની હલ્દીઆ રિફાઇનરીના બીજા કેટલિસ્ટિક- આઇસોડેવેક્સિંગ એકમનો શિલાન્યાસ પણ કરશે. આ એકમ શરૂ થવાથી વાર્ષિક 270 હજાર મેટ્રિક ટનની ક્ષમતા થઇ જશે અને એકવાર તેની કામગીરી શરૂ થઇ જાય એટલે તેના પરિણામરૂપે, અંદાજે US$ 185 મિલિયનનું વિદેશી હુંડિયામણ બચશે તેવી પણ અપેક્ષા છે.

આ ઉપરાંત, પ્રધાનમંત્રી NH 41 પર હલ્દીઆમાં રાનીચાક ખાતે 4 માર્ગી ROB-કમ-ફ્લાઇઓવર પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ફ્લાઇઓવર રૂપિયા 190 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. આ ફ્લાઇઓવરનો પ્રારંભ થવાથી કોલાઘાટથી હલ્દીઆ ડોક કોમ્પલેક્સ અને આસપાસના અન્ય વિસ્તારોમાં ટ્રાફિકની અવરજવર વિના અવરોધે થઇ શકશે અને તેના પરિણામે મુસાફરીના સમયમાં તેમજ બંદરો પરથી આવતા અને ત્યાં જતા ભારે વાહનોના પરિચાલનમાં ઘણા નોંધપાત્ર પ્રમાણમાં બચત થઇ શકશે.

આ પરિયોજનાઓ પૂર્વોત્તર ભારતના રાજ્યો માટે ચાલકબળ પૂરું પાડતી પ્રધાનમંત્રીની પૂર્વોદય દૂરંદેશીને અનુરૂપ છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

આસામમાં પ્રધાનમંત્રીની મુલાકાત

આસામની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી, આસોમ માલાનો પ્રારંભ કરશે જે રાજ્યના ધોરીમાર્ગો અને રાજ્યમાં મુખ્ય જિલ્લા માર્ગોના નેટવર્કમાં સુધારો કરવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવેલો કાર્યક્રમ છે. સતત ફિલ્ડ ડેટાના એકત્રીકરણ અને માર્ગ અસ્કયામત વ્યવસ્થાપન પ્રણાલી સાથે તેના જોડાણ દ્વારા અસરકારક જાળવણી પર આ કાર્યક્રમમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો હોવાથી એક પ્રકારે તે અનન્ય છે. આસોમ માલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને ગ્રામીણ માર્ગોના નેટવર્ક વચ્ચે ગુણવત્તાપૂર્ણ આંતરિક જોડાણના માર્ગો પૂરાં પાડશે તેમજ વિના અવરોધે બહુવિધ-મોડલ પરિવહનની સુવિધા આપશે. તે આર્થિક વિકાસના કેન્દ્રોને પરિવહન કોરિડોર્સ સાથે આંતરિક જોડાણ પૂરું પાડશે અને રાજ્યની અંદર કનેક્ટિવિટીમાં સુધારો લાવશે. આસામના મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી આ પ્રસંગે બે મેડિકલ કોલેજો અને હોસ્પિટલોનો શિલાન્યાસ પણ કરશે જેનું નિર્માણ કુલ રૂપિયા 1100 કરોડના અંદાજિત પરિયોજના ખર્ચે વિશ્વનાથ અને ચરાઇદેવ ખાતે કરવામાં આવશે. પ્રત્યેક હોસ્પિટલ 500 પથારીની ક્ષમતાની રહેશે અને બંનેમાં MBBS માટે 100 બેઠકો રહેશે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સંખ્યામાં વધારો કરવાથી રાજ્યમાં ડૉક્ટરોની અછત તો દૂર થશે જ, તેમજ સમગ્ર પૂર્વોત્તર પ્રદેશમાં આસામ તૃતીય સ્તરનું આરોગ્ય સારવાર અને તબીબી શિક્ષણનું કેન્દ્ર પણ બની જશે.



(Release ID: 1695690) Visitor Counter : 228