મંત્રીમંડળ

ભારતને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાનું કેન્દ્ર બનાવવાની ઇચ્છા


મંત્રીમંડળે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર બિલ, 2019ને મંજૂરી આપી

આંતરરાષ્ટ્રીય વૈકલ્પિક વિવાદ સમાધાન કેન્દ્રનું કાર્ય 2 માર્ચ, 2019થી નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્રને હસ્તાંતરિત થશે

વટહુકમનું સ્થાન લેનાર બિલને સંસદનાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે

Posted On: 12 JUN 2019 7:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એનડીએ સરકારનાં મુખ્ય કાર્યક્રમોમાં ભારતને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાનું કેન્દ્ર બનાવવાનો કાર્યક્રમ મુખ્ય સ્વરૂપે સામેલ રહ્યો છે. સંસ્થાગત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા માટે એક સ્વતંત્ર અને સ્વાયત્ત વ્યવસ્થાની સ્થાપના આ દિશામાં એક પગલું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર (એનડીઆઈએસી) બિલ, 2019ને સંસદનાં આગામી સત્રમાં રજૂ કરવાની મંજૂરી આપી દીધી હતી.

અસર:

સરકાર અને એની સંસ્થાઓ તથા વિવાદમાં સામેલ પક્ષો માટે સંસ્થાગત મધ્યસ્થતાનાં અનેક ફાયદા થશે.

એનાથી ભારતમાં ગુણવત્તા સંપન્ન નિષ્ણાત ઉપલબ્ધ થશે અને ખર્ચની દૃષ્ટિએ પણ લાભ થશે અને ભારત સંસ્થાગત મધ્યસ્થતા માટે કેન્દ્ર બનશે.

પરિણામ :

બિલમાં સંસ્થાગત મધ્યસ્થતા માટે એક સ્વતંત્ર અને સ્વાયત્ત એકમ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે. આંતરરાષ્ટ્રીય વૈકલ્પિક વિવાદ સમાધાન કેન્દ્ર (આઈસીએડીઆર)નાં તમામ કાર્યો/બાબતો 2 માર્ચ, 2019થી નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય વિવાદ કેન્દ્ર (એનડીઆઈએસી)માં સ્થળાંતરિત થઈ જશે.

અમલ :

આ બિલ નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય વિવાદ કેન્દ્ર વટહુકમ, 2019નું સ્થાન લેશે, જેની ઘોષણા રાષ્ટ્રપતિએ 2 માર્ચ, 2019નાં રોજ કરી હતી. વટહુકમમાં સંસ્થાગત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિવાદો માટે એક સ્વતંત્ર અને સ્વાયત્ત એકમની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી હતી. એનાં ઉદ્દેશોમાં ભારતને આંતરરાષ્ટ્રીય વિવાદો માટે મધ્યસ્થતા કેન્દ્ર સ્વરૂપે સ્થાપિત કરવાનું સામેલ હતું.

આ બિલનાં માધ્યમથી નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય વિવાદ કેન્દ્ર અધ્યાદેશ, 2019ને રદ કરવામાં આવશે અને વટહુકમ અંતર્ગત તમામ નિર્ણયો અને કાર્યોને બિલ અંતર્ગત લેવામાં આવેલા નિર્ણયો અને કાર્યોને અનુરૂપ માનવામાં આવશે.

પૃષ્ઠભૂમિ :

ભારત સરકાર વૈકલ્પિક વિવાદ સમાધાન (એડીઆર) વ્યવસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વાણિજ્યિક વિવાદોનો ઝડપથી નિકાલ કરવા માટે એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાની સ્થાપના કરવા માટે પ્રયાસરત રહ્યો છે. આ સંબંધમાં ભારતની સર્વોચ્ચ અદાલતનાં ભૂતપૂર્વ ન્યાયાધિશ શ્રી ન્યાયમૂર્તિ બી. એન. શ્રીકૃષ્ણની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિ (એચએલસી) વર્ષ 2017માં રચાઈ હતી. એચએલસીએ એવી ભલામણ કરી હતી કે, સરકાર જાહેર ધનનો ઉપયોગ કરીને વર્ષ 1995માં સ્થાપિત એક વર્તમાન સંસ્થા આંતરરાષ્ટ્રીય વૈકલ્પિક વિવાદ સમાધાન કેન્દ્ર (આઈસીએડીઆર)નું કામકાજ પોતાનાં હાથમાં લઈ શકે છે અને એને રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સંસ્થા સ્વરૂપે વિકસિત કરી શકે છે.

એચએલસીની ભલામણોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળે 15 ડિસેમ્બર, 2017નાં રોજ નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર (એનડીઆઈસી) બિલ, 2018ને મંજૂરી આપી હતી, જેથી એને સંસદમાં રજૂ કરી શકાય. બિલને લોકસભામાં 5 જાન્યુઆરી, 2019નાં રોજ રજૂ કરવામાં આવ્યું હતું અને એને લોકસભામાં 4 જાન્યુઆરી, 2019નાં રોજ મંજૂરી મળી હતી. નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર બિલ, 2018ને રાજ્યસભા પોતાનાં 248મા સત્રમાં મંજૂર કરી શકી નહોતી. ત્યારબાદ સંસદનાં કામકાજ 13 ફેબ્રુઆરી, 2019નાં રોજ અનિશ્ચિત મુદ્ત માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિએ ભારતને સંસ્થાગત મધ્યસ્થતા કેન્દ્ર બનાવવા માટેનાં વિશેષ મહત્ત્વ તથા ભારતમાં વેપારવાણિજ્ય કરવામાં વધારે સરળતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 2 માર્ચ, 2019નાં રોજ નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર વટહુકમ, 2019 બહાર પાડ્યો હતો. બંધારણની કલમ 107 (5) અને 123 (2)ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર બિલ, 2019ને સંસદમાં રજૂ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી, જે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર વટહુકમ, 2019નું સ્થાન લેશે.

એનડીઆઈએસી – ભવિષ્યમાં મધ્યસ્થતાનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર

નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર (એનડીઆઈસી)નાં પ્રમુખ એક ચેરપર્સન હશે, જે સર્વોચ્ચ અદાલત કે હાઈ કોર્ટનાં જજ રહી ચૂક્યાં હોય કે આવી કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ હોય, જેને મધ્યસ્થતાનાં વહીવટ, કાયદા કે વ્યવસ્થાપનનું આયોજન કરવાનો અનુભવ હશે. ચેરપર્સનને ભારતનાં મુખ્ય ન્યાયાધિશની સલાહ સાથે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે સંસ્થાગત મધ્યસ્થતાની પર્યાપ્ત જાણકારી અને અનુભવ ધરાવતી પ્રસિદ્ધ વ્યક્તિઓમાંથી બે પૂર્ણકાલિન કે કામચલાઉ સભ્યોને પણ એમાં સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત વાણિજ્ય અને ઉદ્યોગની માન્યતાપ્રાપ્ત એકમનાં એક સભ્યને કામચલાઉ સભ્ય સ્વરૂપે વારાફરતી નિમવામાં આવશે. કાયદા અને ન્યાય મંત્રાલયને કાયદાકીય બાબતોનાં વિભાગનાં સચિવ, નાણાં મંત્રાલયનાં ખર્ચ વિભાગ દ્વારા નિયુક્ત નાણાકીય સલાહકાર, એનડીઆઈએસીનાં મુખ્ય કાર્યકારી અધિકારી તેનાં પદધારી સભ્ય હશે.

એનડીઆઇએસીનાં મુખ્ય ઉદ્દેશો અને લક્ષ્યાંકો:-

  1. આંતરરાષ્ટ્રીય સ્થાનિક મધ્યસ્થતા માટે એને એક મુખ્ય સંસ્થા સ્વરૂપે વિકસિત કરવા માટે યોજનાબદ્ધ સુધારો કરવા;
  2. સમાધાન, મધ્યસ્થતા અને લવાદી પ્રક્રિયાઓ માટે સુવિધાઓ અને વહીવટી સહાય પ્રદાન કરવી;
  3. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત લવાદો, સમાધાનકર્તાઓ અને મધ્યસ્થો અથવા નિષ્ણાતો જેવા સર્વેક્ષણકર્તાઓ અને તપાસકર્તાઓની પેનલ બનાવીને રાખવી;
  4. સૌથી વધુ વ્યવસાયિક રીતે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મધ્યસ્થાઓ અને સમાધાન કરવાની સુવિધા કરવી;
  5. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યસ્થતા અને સમાધાન માટે સસ્તી અને સમયસર સેવાઓ પ્રદાન કરવી;
  6. વૈકલ્પિક વિવાદ સમાધાન અને સંબંધિત મામલોનાં ક્ષેત્રમાં અભ્યાસોને પ્રોત્સાહન આપવું અને વિવાદોની પતાવટની વ્યવસ્થામાં સુધારો કરવો; અને
  7. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં સમુદાયો, સંસ્થાઓ અને સંગઠનોની સાથે સહયોગને પ્રોત્સાહન આપવા માટે વૈકલ્પિક વિવાદ સમાધાનને પ્રોત્સાહન આપવું

 

RP



(Release ID: 1574155) Visitor Counter : 247