પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી વારાણસીમાં રાષ્ટ્રીય મહિલા આજીવિકા સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં

Posted On: 08 MAR 2019 1:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે આજે વારાણસીનાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં આયોજિત રાષ્ટ્રીય મહિલા આજીવિકા સંમેલન – 2019માં સામેલ થયાં હતાં.

 

આ પ્રસંગે તેમણે ઉત્તરપ્રદેશ ગ્રામીણ આજીવિકા મિશનની મદદથી ચલાવવામાં આવતાં સ્વયંસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોનું પ્રદર્શન પણ જોયું હતું. પ્રધાનમંત્રીએ મહિલા લાભાર્થીઓને વીજળીથી ચાલતા ચાક, સૌર ચરખા અને હની વાર્પનું વિતરણ કર્યું હતું. તેમણે સ્વયંસહાય જૂથની પાંચ મહિલાઓને પ્રશંસાપત્ર પણ એનાયત કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશ સરકારની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજનાની દીનદયાળ અંત્યોદય યોજનાની મદદથી કામ કરતાં વિવિધ મહિલા સ્વયંસહાય જૂથોઅ ભારત કે વીરફંડ માટે પોતાનાં તરફથી પ્રધાનમંત્રીને 21 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.

 

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે તમામ મહિલાઓ પ્રત્યે સન્માન વ્યક્ત કરતાં કહ્યું હતું કે, નવા ભારતનાં નિર્માણમાં મહિલાઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તેમણે દેશભરમાં 75,000 સ્થળો પરથી 65 લાખથી વધારે મહિલાઓનાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંમેલનમાં ભાગ લેવા પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વારાણસી મહિલા સશક્તીકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

 

શ્રી મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર મહિલા સશક્તીકરણ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તેમણે આ સંદર્ભમાં મહિલાઓ અને કન્યાઓનાં કલ્યાણ માટે કેન્દ્ર સરકારે શરૂ કરેલી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં તેમણે સ્વાસ્થ્ય, પોષક આહાર, સ્વચ્છતા, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્વરોજગાર, રસોઈ ગેસનું નવું કનેક્શન અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે સંબંધિત ઉપાયોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મહિલાઓ માટે 6 મહિનાનાં માતૃત્વ અવકાશની વ્યવસ્થા દુનિયામાં પોતાની પ્રકારની એક સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થા છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની તમામ યોજનાઓમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, મુદ્રા લોન યોજના અંતર્ગત અત્યારે આપવામાં આવેલી 15 કરોડ લોનમાંથી 11 કરોડ લોન મહિલાઓને આપવામાં આવી છે.

 

દેશમાં સ્વયંસહાય જૂથનાં ઉલ્લેખનીય કાર્યોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એનાથી આ પ્રકારનાં સમૂહમાં કામ કરતાં લોકોનાં પરિવારને લાભ થવાની સાથે રાષ્ટ્રનાં વિકાસમાં પણ મદદ મળી છે. તેમણે કહ્યું હતું કે, સરકાર બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની મદદ સાથે સ્વયંસહાય જૂથોને લોન ઉપલબ્ધ કરાવવા એમાં નવી ઊર્જા લાવી રહી છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, અત્યારે દેશમાં આશરે 50 લાખ સ્વયંસહાય જૂથ છે, જેમાં 6 કરોડ મહિલાઓ કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, સરકાર ઇચ્છે છે કે દરેક કુટુંબમાંથી ઓછામાં ઓછી એક મહિલા સ્વયંસહાય જૂથ સાથે જોડાય.

 

પ્રધાનમંત્રીએ સ્વયંસહાય જૂથોમાંથી નવીનતા મેળવવા અને પોતાનાં બજારોની વધારે સમજણ વિકસિત કરવા તથા નવા ક્ષેત્રોમાં તકો શોધવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારને પોતાનાં ઉત્પાદનોનું વેચાણ કરવા માટે સ્વયંસહાય જૂથોઅ જીઈએમ પોર્ટલનો ઉપયોગ કરવો જોઈએ.

 

શ્રી મોદીએ મહિલાઓને કહ્યું હતું કે, તેઓ તાજેતરમાં શરૂ થયેલી પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજનાનો લાભ ઉઠાવે, કારણ કે આ મારફતે વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે આ પ્રસંગે પ્રધાનમંત્રી કિસાન સમ્માન ભંડોળ અને આયુષ્માન ભારત યોજનાનો પણ ઉલ્લેખ કર્યો છે.

 

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે સ્વયંસહાય જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત પણ કરી હતી.

 

NP/J.Khunt/GP



(Release ID: 1568236) Visitor Counter : 302