રસાયણ અને ખાતર મંત્રાલય

સમગ્ર ભારતમાં 7મી માર્ચ, 2019 ‘જનઔષધિ દિવસ’ તરીકે ઉજવાશે

દેશમાં 652 જિલ્લાઓમાં 5050થી વધારે જનઔષધિ કેન્દ્રો કાર્યરત

ગુજરાતમાં 480 જનઔષધિ કેન્દ્રો કાર્યરત

2020 સુધીમાં દેશમાં તમામ બ્લૉક પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના કેન્દ્ર ધરાવતા હશેઃ શ્રી મનસુખ માંડવિયા

Posted On: 06 MAR 2019 1:21PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 06-03-2019

 

કેન્દ્રીય રસાયણ અને ખાતર, માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ઉપસ્થિત પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ તમામ લોકોને પરવડે તેવી બનાવવા માટે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલી પહેલની દિશામાં સરકારે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) દ્વારા લોકોને પરવડે તેવી અને ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓને લોકપ્રિય બનાવવા મહત્વપૂર્ણ પગલાં હાથ ધર્યા છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેનેરિક દવાઓના ઉપયોગ વિશે વધુ જાગૃતિ ફેલાવવા માટે 7મી માર્ચ, 2019ને સમગ્ર ભારતમાં ‘જનઔષધિ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 7મી માર્ચ, 2019ના રોજ બપોરે 1 વાગે માનનીય પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સ દ્વારા સમગ્ર દેશના જનઔષધિ કેન્દ્રના માલિકો અને આ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. આ યોજનાની ભવિષ્યલક્ષી કામગીરી અંગે માહિતી આપતાં શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે વર્તમાનમાં જે ઝડપે પ્રગતિ થઈ રહી છે તેની મદદથી 2020 સુધીમાં દેશના તમામ બ્લૉક ઓછામાં ઓછું 1 PMBJP કેન્દ્ર ધરાવતું હશે.

દેશમાં સારી ગુણવત્તાની પરવડે તેવી દવાઓના અભાવે એક પણ ગરીબ વ્યક્તિનું મૃત્યુ ન થવું જોઇએ તેવો પ્રધાનમંત્રીનો વિચાર વ્યક્ત કરતાં શ્રી માંડવિયાએ યોજનાના વિકાસ સંદર્ભે જણાવ્યું હતું વધુને વધુ ડૉક્ટર દર્દીઓને જેનેરિક દવાઓ લખી રહ્યાં છે અને સમગ્ર 652 જિલ્લાઓમાં 5050થી વધુ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે. આ કારણોસર દેશમાં ઊચ્ચ ગુણવત્તાની પરવડે તેવી જેનેરિક દવાઓની ઉપલબ્ધતામાં વધારો થયો છે. પ્રતિ દિન આશરે 10-15 લાખ લોકો જનઔષધિ દવાઓનો લાભ મેળવે છે અને છેલ્લા 3 વર્ષોમાં જેનેરિક દવાઓનો બજાર હિસ્સો ત્રણ ગણો વધીને 2 ટકા થી 7 ટકા થઇ ગયો છે.

શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આરોગ્ય વિકાસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને આ સરકાર આયુષ્યમાન ભારત, PMBJP જેવી યોજનાઓ થકી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા તમામ લોકોને પરવડે એ બાબત સુનિશ્ચિત કરવા અવિરત પણે કાર્યરત છે. ભારતમાં જીવલેણ બિમારીઓથી પીડાતા દર્દીઓનો ખિસ્સા ખર્ચ ઘટાડવામાં જનઔષધિ દવાઓએ ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે. PMBJP યોજનાના કારણે સામાન્ય નાગરિકોને અંદાજે રૂ. 1000 કરોડની કુલ બચતો થઇ છે, કારણ કે આ દવાઓ સરેરાશ બજાર કિંમત કરતા 50 ટકા થી 90 ટકા જેટલી સસ્તી હોય છે.

ફાર્માસ્યુટિકલ પ્રભાગના સચિવ શ્રી જે.પી.પ્રકાશે તેમના પ્રારંભિક પ્રવચનમાં જાણકારી આપી હતી કે આવતીકાલે જનઔષધિ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજના અંગે જાગૃતિમાં વધારવા તમામ PMBJP કેન્દ્રો ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડૉક્ટર, આરોગ્ય નિષ્ણાતો, એનજીઓ અને લાભાર્થીઓ પણ ભાગ લેશે, જે સામાન્ય લોકસમૂહમાં યોજના અંગે જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થશે.

બ્યુરો ઑફ ફાર્મા પીએસયુ ઑફ ઇન્ડિયા (BPPI)ના સીઇઓ શ્રી સચિન કુમાર સિંહે જણાવ્યું હતું કે PMBJP સ્વાધીનતા અને નિયમિત આવક સાથે સ્વરોજગારીનો સારો સ્રોત પણ પુરો પાડે છે. આ યોજનાનો અમલ કરતી સંસ્થી BPPI દ્વારા હાથ ધરાયેલા સર્વે અનુસાર દરેક સ્ટોર દીઠ સરેરાશ વેચાણમાં પ્રતિમાસ રૂ. 1.50 લાખ (OTC અને અન્ય ઉત્પાદનો સહિત) સુધીની વૃદ્ધિ થઇ છે. તમામ PMBJP કેન્દ્રો ખાતે જનઔષધિ દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બને તે સુનિશ્ચિત કરવા માટે દિલ્હી, ગુવાહાટી, બેંગલુરુ અને ચેન્નાઇ ખાતે ચાર મોટા ગોદામ ખોલવામાં આવ્યાં છે.

શ્રી સિંહે PMBJP અંતર્ગત શરૂ કરવામાં આવેલા વ્યાપક શ્રેણીના પરવડે તેવા ગુણવત્તાયુક્ત આરોગ્ય ઉત્પાદનોને તેમના PMBJP કેન્દ્રો ખાતેની ઉપલબ્ધતા પણ દર્શાવી હતી, જેમાં રૂ. 2.50 પ્રતિ નંગની કિંમતે ઔષધિ સુવિધા ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપકિન, રૂ. 140ની કિંમતે વયસ્કોના ડાયપરના 5 નંગનું જનઔષધિ સ્વાભિમાન પેક, 5 શિશુ ડાયપરનું રૂ. 20ની કિંમતનું જનઔષધિ બચપન પેક, રૂ. 20ની કિંમતે જનઔષધિ અંકુર ગર્ભાવસ્થા પરીક્ષણ કિટ, રૂ. 35ની કિંમતે 300 ગ્રામના જનઔષધિ ઊર્જા એનર્જી ડ્રિંક સહિત અનેક ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

 

NP/J.KHUNT/GP                                             



(Release ID: 1567642) Visitor Counter : 321