પ્રધાનમંત્રીનું કાર્યાલય
વર્ષ 2014, 2015 અને 2016 માટે ભારતનાં રાષ્ટ્રપતિએ ટાગોર સાંસ્કૃતિક સદભાવના પુરસ્કાર એનાયત કર્યા
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, વિવેકાનંદ, ટાગોર જેવા લોકોને કારણે ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ ટકી રહ્યું છે
મણિપુરનાં નૃત્યકાર, બાંગ્લાદેશનાં શિલ્પકારોને પુરસ્કાર પ્રાપ્ત થયો
પોસ્ટેડ ઓન:
18 FEB 2019 5:46PM by PIB Ahmedabad
ભારતનાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે વર્ષ 2014, 2015 અને 2016 માટે ટાગોર સાંસ્કૃતિક સદભાવના પુરસ્કાર અનુક્રમે શ્રી રાજકુમાર સિંહજીત સિંહ, છાયનટ (બાંગ્લાદેશનું સાંસ્કૃતિક સંગઠન) અને શ્રી રામ વનજી સુતારને એનાયત કર્યો હતો. પુરસ્કાર વિજેતાઓની પસંદગી પ્રધાનમંત્રીનાં નેતૃત્વમાં નિર્ણાયક મંડળે કરી હતી, જેમાં ભારતની સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયાધિશ શ્રી રંજન ગોગાઈ, ચૂંટણી પંચનાં ભૂતપૂર્વ કમિશનર શ્રી એન ગોપાલસ્વામી અને ભારતીય સાંસ્કૃતિક સંબંધો માટેની પરિષદનાં પ્રમુખ શ્રી વિનય સહસ્ત્રાબુદ્ધે સામેલ હતાં.
આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોઈ પણ દેશનો આત્મા એની સંસ્કૃતિ છે, કારણ કે એનાથી કોઈ પણ દેશ કે સમાજને ઓળખ મળે છે. તેમણે કહ્યું હતું કે, “ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે, જે ભારતીયોએ સંસ્થાનવાદ અને વિદેશી આક્રમણોનો સામનો કરીને પણ તે વારસો જાળવી રાખ્યો હતો, ગુરુદેવ ટાગોર અને સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવોનાં પ્રદાનને કારણે આ શક્ય બન્યું હતું.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારતનો વિવિધતામાં એકતા ધરાવતો સાંસ્કૃતિક વારસો ગુરુદેવની કૃતિઓ અને રચનાઓમાં પ્રતિબિંબિત થાય છે. રવિન્દ્ર સંગીત આપણાં દેશનાં તમામ રંગો ધરાવે છે અને એ કોઈ ભાષા દ્વારા બંધાયેલા નથી. તેમણે ટાગોરનાં વિચારોને શાશ્વત ગણાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે, તેમની રચનાઓમાંથી દુનિયા શીખવા માટે આતુર રહે છે, તેમણે લોકકળાઓને અને પરંપરાગત નૃત્યોને સન્માન આપ્યું હતું, જે ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે.”
મણિપુરી નૃત્યનાં અભૂતપૂર્વ પ્રસાર બદલ શ્રી રાજકુમાર સિંહજીત સિંહને વર્ષ 2014 માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બાંગ્લાદેશનાં સાંસ્કૃતિક સંગઠન છાયાનટને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનાં કાર્યો અને બાંગ્લા કળાઓને પ્રોત્સાહન આપવાની ભૂમિકા બદલ વર્ષ 2015નો પુરસ્કાર એનાયત થયો હતો. વર્ષ 2016 માટેનો પુરસ્કાર પ્રસિદ્ધ શિલ્પકાર અને વિદ્વાન શ્રી રામ વનજી સુતારને એનાયત થયો હતો.
રવિન્દ્રનાથ ટાગોરની 150મી જન્મજયંતિની ઉજવણી દરમિયાન વર્ષ 2012માં સરકારે ટાગોર સાંસ્કૃતિક સદભાવના પુરસ્કાર આપવાની શરૂઆત કરી હતી. આ પુરસ્કાર દર વર્ષે એનાયત થાય છે તેની સાથે એક કરોડની રકમ, સ્ક્રોલમાં પ્રશસ્તિપત્ર, તકતી તેમજ વિશિષ્ટ પરંપરાગત હસ્તકળા કે હાથવણાટની ચીજવસ્તુ આપવામાં આવે છે.
Please click here for the Prime Minister’s speech
RP
(રીલીઝ આઈડી: 1565121)
મુલાકાતી સંખ્યા : 268