પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી ન્યુક્લિઅર ત્રિકોણની રચના પૂર્ણ થવા પર આઇએનએસ અરિહંતનાં અધિકારીઓ અને કર્મચારીઓ મળ્યાં

Posted On: 05 NOV 2018 2:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતની સ્ટ્રેટેજિક સ્ટાઇક ન્યૂક્લીઅર સબમરિન (એસએસબીએન) એટલે કે  પરમાણુ સબમરિન INS  અરિહંતનાં અધિકારીઓ અને કર્મચારીઓની મુલાકાત લીધી હતી. INS  અરિહંત તાજેતરમાં પોતાની પ્રથમ ડિટરન્સ પેટ્રોલ અભિયાન પરથી પરત ફરી છે. સબમરિનનાં આ અભ્યાસથી ભારતનાં ન્યુક્લિઅર ત્રિકોણની સંપૂર્ણ રચના થઈ ગઈ છે.

INS અરિહંતનાં સફળ અભિયાનથી ભારતનાં ન્યુક્લિઅર ત્રિકોણની રચનાનાં મહત્ત્વને સૂચવતાં પ્રધાનમંત્રીએ INS અરિહંતનાં કર્મચારીઓ અને અભિયાનમાં સામેલ તમામ વ્યક્તિઓને શુભેચ્છા આપી હતી. તેમણે એ પણ કહ્યું હતું કેઆ ઉપલબ્ધિ ભારતને એ ગણ્યાગાંઠ્યાં દેશોની હરોળમાં સ્થાન આપે છે, જે  દેશો એસએસબીએનને ડિઝાઇન કરવાની, એનું નિર્માણ કરવાની અને એનું સંચાલન કરવાની ક્ષમતામાં ધરાવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં જ એસએસબીએનનાં નિર્માણ અને એનાં સફળ સંચાલનની ક્ષમતાનો વિકાસ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા અને તમામ સંબંધિત સંસ્થાઓ અને વ્યક્તિઓ વચ્ચે અભૂતપૂર્વ સમન્વયનું પ્રતિક છે. તેમણે તમામ સંબંધિત સંસ્થાઓ અને વ્યક્તિઓને દેશની સુરક્ષાને વધારે દ્રઢ બનાવવાની આ ઉપલબ્ધિ માટે સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે કામ કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ  એ વાત પર ભાર મૂક્યો હતો કે, પરમાણુ પરીક્ષણોની વૈજ્ઞાનિક ઉપલબ્ધિને એક અત્યંત જટિલ અને વિશ્વસનિય ન્યુક્લિઅર ત્રિકોણ માં બદલવાનું અત્યંત દુષ્કર કાર્ય  ભારતીય વૈજ્ઞાનિકોની પ્રતિભા અને સતત પ્રયાસો તથા બહાદુર સૈનિકોનાં સાહસ અને સમર્પણની ભાવનાથી શક્ય થયું છે. આ નવી ઉપલબ્ધિએ ભારત દ્વારા  ન્યુક્લિઅર ત્રિકોણ સ્થાપિત કરવા માટે આવશ્યક ક્ષમતા અને દ્રઢતાનાં સંબંધમાં  ઉઠાવવામાં આવેલા તમામ સવાલોનો જવાબ આપી દીધો છે.

પ્રધાનંમત્રીએ કહ્યું હતું કે, ભારતનાં લોકો શક્તિશાળી ભારતનું નિર્માણ કરવા અને નવા ભારતની રચના કરવાની આકાંક્ષા ધરાવે છે અને આ માટે ભારતીયોનાં સતત પ્રયાસો દ્વારા  અનેક પડકારોનો સફળતાપૂર્વક સામનો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો છે કે, એક સશક્ત ભારત સવાસો કરોડ  ભારતીયોની આશા અને આકાંક્ષાઓ પૂર્ણ કરવાની સાથે હાલની અનિશ્ચિતતા અને શંકાઓથી ભરેલા વિશ્વમાં વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે આધારસ્તંભ  પણ બનશે.

પ્રધાનમંત્રીએ તમામ ઉપસ્થિત વ્યક્તિઓ અને તેમનાં પરિવારોને દિવાળીનાં પર્વની શુભેચ્છા આપી હતી.  તેમણે એ આશા વ્યક્ત કરી હતી કે, જે રીતે પ્રકાશ અંધકારનું નિવારણ કરવાની સાથે ભય પણ દૂર કરે છે, તેમ INS અરિહંત પણ દેશને અભય કરશે.

એક જવાબદાર રાષ્ટ્ર તરીકે, ભારતે એક મજબૂત ન્યુક્લિઅર કમાન્ડ અને કંટ્રોલ માળખું, અસરકારક સુરક્ષા વ્યવસ્થા અને સંપૂર્ણ રાજકીય નિયંત્રણ, દેશની  ન્યુક્લિઅર કમાન્ડ ઓથોરિટીને આધિન સ્થાપિત કર્યું છે.  પ્રામાણિક લઘુતમ નિવારણ (ક્રેડિબલ મિનિમમ ડિટરન્સ) અને પરમાણુ શસ્ત્રોનો પ્રથમ ઉપયોગ નહીં કરવાની અમારી નીતિ પ્રત્યે અમે કટિબદ્ધ છીએ, જે  4 જાન્યુઆરી, 2003નાં રોજ  સ્વર્ગીય પ્રધાનમંત્રી શ્રી વાજપેયીની અધ્યક્ષતામાં કેબિનેટની સુરક્ષા સમિતિએ નિર્ધારિત કરી હતી.

 

NP/J.Khunt/GP

 



(Release ID: 1551907) Visitor Counter : 221