પ્રધાનમંત્રીનું કાર્યાલય

પરીક્ષા પર ચર્ચા – પ્રધાનમંત્રીનું વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ સત્ર

Posted On: 16 FEB 2018 3:26PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 16-02-2018

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવી દિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા.

ચર્ચાનો પ્રારંભ કરાવતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેઓ વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા અને તેમના પરિવારનાં મિત્ર તરીકે ટાઉનહોલ સત્રમાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ જુદા જુદા માધ્યમો દ્વારા સમગ્ર દેશનાં 10 કરોડ લોકો સાથે વાત કરી રહ્યા છે. તેમણે તેમના પોતાના એવા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી કે જેમણે તેમની અંદર એવા મુલ્યોનું સિંચન કર્યું કે જેના થકી તેઓ આજે પણ તેમનામાં એક વિદ્યાર્થીને જીવંત રાખી શક્યા છે. તેમણે દરેક વ્યક્તિને પોતાની અંદર એક વિદ્યાર્થી જીવંત રાખવા પ્રોત્સાહન આપ્યું.

લગભગ બે કલાક સુધી ચાલેલા સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ માનસિક ગભરામણ, ચિંતા, એકાગ્રતા, પરોક્ષ દબાણ, માતાપિતાની અપેક્ષાઓ અને શિક્ષકની ભૂમિકા વગેરે જેવા અનેક વિષયો પર પ્રશ્નોની ચર્ચા કરી હતી. તેમના જવાબો બુદ્ધિચાતુર્ય, હાસ્યવિનોદ અને અનેકવિધ જુદા જુદા વિસ્તૃત ઉદાહરણોથી અલંકૃત હતા.

તેમણે પરીક્ષા દરમિયાન તણાવ અને ચિંતાને પહોંચી વળવા માટે આત્મ વિશ્વાસનું મહાત્મ્ય દર્શાવવા માટે સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કેનેડીયન સ્નોબોર્ડર માર્ક મેકમોરીસનું ઉદાહરણ આપ્યું કે જેણે તાજેતરના ચાલી રહેલા શિયાળુ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો છે અને ચંદ્રક તેણે પોતાને માત્ર અગિયાર મહિના અગાઉ તેના જીવનને જોખમમાં મુકનારી ઈજા પછી તુરંત પ્રાપ્ત કર્યો હતો.

એકાગ્રતાનાં વિષય પર પ્રધાનમંત્રીએ મહાન ક્રિકેટર સચિન તેંદૂલકરે રેડિયો કાર્યક્રમમન કી બાતમાં આપેલી સલાહને યાદ કરી હતી. તેંદુલકરે જણાવ્યું હતું કે, તે માત્ર વર્તમાનમાં જે બોલ ઉપર રમી રહ્યો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા નથી કરતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે એકાગ્રતાને વધારવામાં યોગ પણ સહાયક બની શકે છે.

પરોક્ષ દબાણની ચર્ચા કરતા પ્રધાનમંત્રીએપ્રતિસ્પર્ધા’ (અન્ય લોકો સાથે સ્પર્ધા કરવી)ને બદલે અનુસ્પર્ધા (પોતાની જાત સાથે સ્પર્ધા કરવી)નાં મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ માત્ર એટલો પ્રયાસ કરવો જોઈએ કે તેણે અગાઉ જે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેના કરતા બીજી વખતે તે વધુ સારો દેખાવ કરી શકે.

પ્રત્યેક માતાપિતા પોતાના સંતાનો માટે બલિદાન આપે છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ માતાપિતાઓને વિનંતી કરી કે તેઓ તેમના સંતાનોની સિદ્ધિઓને સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવે. તેમણે ઉમેર્યું કે દરેક બાળક પોતાના આગવા કૌશલ્ય સાથે જન્મે છે.

પ્રધાનમંત્રીએ એક વિદ્યાર્થીનાં જીવનમાં ઈન્ટેલેકચ્યુઅલ કવોશન્ટ (બુદ્ધિમત્તા ગુણાંક) અને ઈમોશનલ કવોશન્ટ (લાગણી ગુણાંક) બંનેનાં સમાન મહત્વને સમજાવ્યું હતું.

સમય વ્યવસ્થાપન વિશે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ વર્ષ દરમિયાન એક પ્રકારનું સમયપત્રક કે આયોજન અનુકુળ નથી હોતું. તેથી, તેમણે ઉમેર્યું કે, વ્યક્તિએ પરિવર્તનક્ષમ બનવું જોઈએ અને પોતાના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ.  

 

NP/J.Khunt/GP                                       



(Release ID: 1520768) Visitor Counter : 156