રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવે દ્વારા મુકુટબન (આદિલાબાદ) અને ગડચાંદુર વચ્ચે 38.21 કિમીની નવી રેલવે લાઇન માટે ₹493 કરોડ મંજૂર


નવી લાઇન ટૂંકો રેલ માર્ગ પૂરો પાડશે, ફ્રેઇટ કનેક્ટિવિટી મજબૂત કરશે અને ઔદ્યોગિક તથા ખાણકામ વિકાસને ટેકો આપશે

પોસ્ટેડ ઓન: 18 SEP 2026 11:23AM by PIB Ahmedabad

પ્રાદેશિક રેલવે કનેક્ટિવિટી મજબૂત કરવા અને મુસાફરો તથા માલસામાન (ફ્રેઇટ)ની વધુ ઝડપી અને કાર્યક્ષમ હિલચાલને સુગમ બનાવવા તરફના એક મહત્વપૂર્ણ પગલા તરીકે, ભારતીય રેલવેએ દક્ષિણ મધ્ય રેલવેમાં મુકુટબન (આદિલાબાદ) અને ગડચાંદુર વચ્ચે ₹493 કરોડના ખર્ચે 38.21 કિમીની નવી રેલવે લાઇનના નિર્માણને મંજૂરી આપી છે.

ઔદ્યોગિક અને ખાણકામ કેન્દ્રો માટે કનેક્ટિવિટી મજબૂત બનાવવી

યવતમાળ જિલ્લાનું મુકુટબન અને ચંદ્રપુર જિલ્લાનું ગડચાંદુર એ મહત્વના ઔદ્યોગિક અને ખાણકામ કેન્દ્રો છે, જે સિમેન્ટ પ્લાન્ટ્સ, વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ.ની કોલસાની ખાણો અને નજીકના લાઇમસ્ટોનની ખાણોને સેવાઓ પૂરી પાડે છે. નવી રેલવે લાઇન આ ઔદ્યોગિક ક્લસ્ટરો માટે રેલવે કનેક્ટિવિટી મજબૂત કરશે અને માલસામાનની વધુ કાર્યક્ષમ હિલચાલને સુગમ બનાવશે.

માલસામાનની હિલચાલ સુધારવા અને વર્તમાન નેટવર્કનું ભારણ ઘટાડવા માટે ટૂંકો માર્ગ

નવી રેલવે લાઇન ટૂંકો અને વધુ કાર્યક્ષમ રેલ માર્ગ પૂરો પાડશે, જેનાથી મુસાફરીનું અંતર, પરિવહનનો સમય અને સંબંધિત ખર્ચ ઘટશે. તે હાલના વર્ધા-માણિકગઢ સેક્શનનું ભારણ ઘટાડવા માટે એક વૈકલ્પિક માર્ગ પણ પૂરો પાડશે, જેનાથી ફ્રેઇટ ટ્રાફિકની વધુ સરળ હિલચાલને ટેકો મળશે.

ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ, પ્રોજેક્ટ કાર્યરત થયા પછી દરરોજ બંને દિશામાં બે મેમૂ ટ્રેનો સાથે 6.08 MTPA ફ્રેઇટ ટ્રાફિકને ટેકો આપે તેવી અપેક્ષા છે. ફ્રેઇટ ટ્રાફિકમાં કોલસો અને કોક, સિમેન્ટ, સ્પોન્જ આયર્ન, મેટલ સ્ક્રેપ, આયર્ન એન્ડ સ્ટીલ, ખાતરો અને અનાજ સહિત અન્ય વસ્તુઓનો સમાવેશ થાય તેવી અપેક્ષા છે.

માજરી-નાંદેડ માર્ગ અને મુખ્ય ગંતવ્ય સ્થાનો સાથે સીધી કનેક્ટિવિટી

નવી લાઇન કોલસા અને સિમેન્ટ ક્લસ્ટર તથા માજરી-નાંદેડ માર્ગ વચ્ચે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે, જેનાથી મહારાષ્ટ્ર અને કર્ણાટકના જાલના, પરભણી, છત્રપતિ સંભાજીનગર અને અન્ય ગંતવ્ય સ્થાનો તરફ કોલસા, સિમેન્ટ અને RMSP ટ્રાફિક માટે ટૂંકો માર્ગ સુલભ બનશે.

ભીડભાડ વાળા બલ્હારશાહ-નાગપુર માર્ગ પર નિર્ભરતા ઘટાડવી

આ પ્રોજેક્ટ ભીડભાડ વાળા બલ્હારશાહ-નાગપુર હાઇ-ડેન્સિટી નેટવર્ક (HDN) માર્ગ પર નિર્ભરતા ઘટાડશે, સાથે જ યવતમાળ અને ચંદ્રપુર જિલ્લાના પ્રમાણમાં ઓછા જોડાયેલા વિસ્તારોમાં રેલવે કનેક્ટિવિટીમાં સુધારો કરશે. આનાથી ઉન્નત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પ્રદેશમાં ઔદ્યોગિક અને આર્થિક વિકાસને ટેકો મળશે.

પ્રાદેશિક રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવું

નવી રેલવે લાઇન પ્રાદેશિક રેલવે નેટવર્કમાં ક્ષમતા ઉમેરશે, આવશ્યક ચીજવસ્તુઓની હિલચાલને સુગમ બનાવશે અને વધતી જતી ફ્રેઇટ તથા મુસાફરોની જરૂરિયાતો માટે વધારાનો રેલ કોરિડોર પૂરો પાડશે. આ પ્રોજેક્ટ ઔદ્યોગિક અને પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિઓને ટેકો આપવાની સાથે હાલના રેલવે નેટવર્કના વધુ કાર્યક્ષમ ઉપયોગમાં યોગદાન આપે તેવી અપેક્ષા છે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2311870) મુલાકાતી સંખ્યા : 8