શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રમ શક્તિ એ રાષ્ટ્રીય વિકાસ માટે મૂળભૂત છે: ડૉ. મનસુખ માંડવિયા


કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મુંબઈમાં બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ પરની નેશનલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી

કેન્દ્ર, રાજ્યો અને ભાગીદારોએ બાંધકામ કામદારોના કલ્યાણ, રોજગાર, કૌશલ્ય અને સામાજિક સુરક્ષા અંગે ચર્ચા કરી

ડૉ. મનસુખ માંડવિયાએ આર્થિક વૃદ્ધિ અને યુવા શક્તિની આકાંક્ષાઓને આગળ વધારવા માટે આંતરરાષ્ટ્રીય શ્રમ ગતિશીલતા (ઇન્ટરનેશનલ લેબર મોબિલિટી) પર ચર્ચા કરવા હાકલ કરી

રાજ્ય સરકારે સેસ ફંડના વર્તમાન ઉપયોગનું મૂલ્યાંકન કરવું જોઈએ, ખામીઓ ઓળખવી જોઈએ અને તેમના અસરકારક ઉપયોગ માટે નવા માર્ગો શોધવા જોઈએ, ડૉ. માંડવિયાએ અનુરોધ કર્યો

રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ બાંધકામ કામદારો માટે કામદાર સુરક્ષા, સામાજિક સુરક્ષા અને ગૌરવપૂર્ણ કામ કરવાની પરિસ્થિતિઓ પર ભાર મૂક્યો

પોસ્ટેડ ઓન: 11 SEP 2026 7:21PM by PIB Ahmedabad

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા મહારાષ્ટ્ર સરકારના સહયોગથી આયોજિત બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ (BOCW) પરની રાષ્ટ્રીય પરિષદ આજે મુંબઈમાં શરૂ થઈ હતી, જેમાં શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કાર્યવાહીની અધ્યક્ષતા કરી હતી.

આ પરિષદમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી, ભાગ લેનારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓ, શ્રમ અને રોજગાર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ બીઓસીડબલ્યુ (BOCW) કલ્યાણ બોર્ડના પ્રતિનિધિઓ અને અન્ય ભાગીદારોએ હાજરી આપી હતી.

પરિષદને સંબોધતા ડૉ. મનસુખ માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રમ શક્તિ એ રાષ્ટ્રના વિકાસ માટે અભિન્ન અંગ છે અને રાષ્ટ્ર નિર્માણમાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું હતું કે શ્રમયોગીઓની સામાજિક સુરક્ષા અને કલ્યાણ તેથી રાષ્ટ્રીય વિકાસ માટે મૂળભૂત છે. તેમણે રાજ્યો વચ્ચે શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવાના અને કામદારોને વ્યાપક સામાજિક સુરક્ષા કવરેજ પૂરું પાડવા માટે બીઓસીડબલ્યુ ફંડનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે બદલાતા સમય સાથે શ્રમ ઇકોસિસ્ટમ સતત વિકસિત થાય તેની જરૂરિયાત પર વધુ ભાર મૂક્યો હતો, અને બીઓસીડબલ્યુ કામદારોના સર્વાંગી કલ્યાણ માટે કેન્દ્ર અને રાજ્યો તેમની દ્રષ્ટિ અને નીતિઓમાં સંરેખિત રહે તેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ કામદારોને પેન્શન સહાય પૂરી પાડવાની ક્ષમતા સહિત, કામદારોને વધુ ગૌરવ, સન્માન અને સ્વમાન પ્રદાન કરી શકે તેવા પગલાં શોધવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે પ્રકાશ પાડ્યો હતો કે દેશ વિકસિત ભારત 2047 ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઝડપી પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. તેમણે કુશળ અને અર્ધ-કુશળ કામદારોની વધતી વૈશ્વિક માંગ પર વધુ પ્રકાશ પાડ્યો હતો, અને આ ઉભરતી તકોને પૂરી કરવા માટે ભારતના શ્રમયોગીઓને તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

 

ડૉ. મનસુખ માંડવિયાએ આંતરરાષ્ટ્રીય શ્રમ ગતિશીલતા પર ચર્ચા કરવા હાકલ કરી હતી, જેમાં રેમિટન્સ દ્વારા દેશના આર્થિક વિકાસમાં અને ભારતની યુવા શક્તિની આકાંક્ષાઓને પૂરી કરવામાં તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે યોગ્ય નાણાકીય અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત આંતરરાષ્ટ્રીય શ્રમ ગતિશીલતા માટે વ્યાપક પ્લેટફોર્મ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્યો દ્વારા સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી ભારતીય કામદારો વૈશ્વિક મંચ પર ભારતની વિશ્વસનીયતા વધારવાની સાથે વૈશ્વિક તકો સુધી પહોંચી શકે.

ડૉ. મનસુખ માંડવિયાએ તમામ ભાગીદારોને બે દિવસીય પરિષદમાં ચર્ચાઓમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી, જેનો ઉદ્દેશ્ય પરિણામોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝન સાથે સુસંગત કરવાનો અને ભારતની શ્રમ શક્તિને સશક્ત બનાવવાનો છે.

તેમના સંબોધનમાં, શ્રમ અને રોજગાર સચિવ ડૉ. ચંદ્રભૂષણ કુમારે પરિષદના મહત્વ તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં સમગ્ર ભારતમાં બાંધકામ કામદારોની સંખ્યા પર પ્રકાશ પાડ્યો હતો, જે 7 કરોડથી વધુ છે, અને દેશમાં ઉપલબ્ધ બીઓસીડબલ્યુ સેસ કોર્પસ લગભગ રૂ. 77000 કરોડ છે. પરિષદમાં થતી ચર્ચાઓ શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવાની અને ઉદ્યોગ ભાગીદારો સાથે જોડાવાની તક પૂરી પાડે છે, તેમ તેમણે જણાવ્યું હતું. શ્રમ સંહિતા (લેબર કોડ્સ) માં ઘણી જોગવાઈઓ છે જે બીઓસીડબલ્યુ કામદારો માટે સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી પગલાંને મજબૂત બનાવે છે તે નોંધતા તેમણે કહ્યું કે જ્યાં સુધી શ્રમના ગૌરવને કલ્યાણકારી કાર્યસૂચિના કેન્દ્રમાં રાખવામાં ન આવે ત્યાં સુધી માત્ર પહેલો પૂરતી નથી. તેમણે બીઓસીડબલ્યુ કામદારો માટે એક સર્વાંગી કલ્યાણકારી મોડેલ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમાં તેમના કામમાં રહેલી ગતિશીલતાને ધ્યાનમાં રાખીને અને કલ્યાણકારી સુવિધાઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે જેથી કામદારો જ્યાં પણ કામ માટે જાય ત્યાં તેમના માટે તે સરળતાથી સુલભ બને.

ઉદ્ઘાટન સત્ર દરમિયાન બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ માટેની પહેલોનું એક સંકલન (કોમ્પેન્ડિયમ ઓફ ઇનિશિયેટિવ્સ) અનાવરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓ પર રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રે તેની શિક્ષણ પહેલ, હરિયાણાએ તેની લાભાર્થી ચકાસણી કવાયત અને ઉત્તરાખંડે તેની આરોગ્ય યોજના રજૂ કરી હતી. રજૂઆતો પછી કેન્દ્રીય મંત્રીઓ અને સંબંધિત રાજ્યના પ્રતિનિધિઓની ભાગીદારી સાથે ચર્ચાઓ થઈ હતી.

પ્રથમ દિવસનું એક મુખ્ય આકર્ષણ બાંધકામ કામદારો માટે ડિજિટલ અને સુવિધા મિકેનિઝમ્સને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ત્રણ રાષ્ટ્રીય પહેલો પરનું સત્ર હતું. સ્ટેટ બીઓસીડબલ્યુ ડિજિટલ લેબર ચોક (DLC), લેબર ચોક-કમ-ફેસિલીટેશન સેન્ટર્સ (LCFCs) અને ઓનલાઈન બીઓસીડબલ્યુ સેસ કલેક્શન પોર્ટલ પર રજૂઆતો કરવામાં આવી હતી. છત્તીસગઢે તેના ડિજિટલ લેબર ચોક પર, તમિલનાડુએ લેબર ચોક-કમ-ફેસિલીટેશન સેન્ટર્સ પર અને કેરળમે ઓનલાઈન બીઓસીડબલ્યુ સેસ કલેક્શન પોર્ટલ પર વિસ્તૃત રજૂઆત કરી હતી. ભાગ લેનારા કેટલાંક રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલી આ ત્રણ પહેલોને ત્યારબાદ પરિષદ દરમિયાન લોંચ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર, તેલંગાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને મણિપુર સહિતના કેટલાંક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો બીઓસી (BOC) કામદારો માટે ડિજિટલ અને કામદાર-કેન્દ્રિત પહેલોને આગળ ધપાવી રહ્યા છે, જેમાં ડિજિટલ લેબર ચોકનો સમાવેશ થાય છે, જે આ પ્રસંગે લોંચ કરવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મણિપુરે ઓનલાઈન બીઓસીડબલ્યુ સેસ કલેક્શન પોર્ટલ લોંચ કર્યા અને બિહાર અને પશ્ચિમ બંગાળે રોજગાર, કલ્યાણકારી સેવાઓ અને પારદર્શક સેસ વ્યવસ્થાપન સુધીની પહોંચને મજબૂત કરવા માટે લેબર ચોક-કમ-ફેસિલીટેશન સેન્ટર્સનું અનાવરણ કર્યું.

પરિષદમાં ઇન્ટરનેશનલ લેબર મોબિલિટી પાથવેઝ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ ભાગ લેનારા ભાગીદારો સાથે ચર્ચા થઈ હતી. બાંધકામ ક્ષેત્ર પર એક અલગ સત્ર યોજાયું હતું, જેમાં સરકાર અને ઉદ્યોગ ભાગીદારો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.

તેમના સમાપન વક્તવ્યમાં, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શ્રીમતી શોભા કરંદલાજેએ સેસ ફંડના અસરકારક ઉપયોગ સાથે તમામ કામદારો અને સ્થાપનોની નોંધણી સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે રાજ્ય સરકારોને બાંધકામ સ્થાપનોમાંથી સેસ એકત્રીકરણને મજબૂત કરવા અને કામદારોના કલ્યાણ માટે સંચિત ભંડોળનો સમયસર અને પારદર્શક ઉપયોગ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. તેમણે પ્રકાશ પાડ્યો હતો કે બીઓસીડબલ્યુ ફંડનો ઉપયોગ વૃદ્ધ કામદારો માટે પેન્શન અને સામાજિક સુરક્ષા, કામદારોના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ સહાય અને આરોગ્ય સંભાળ કવરેજ જેવા મુખ્ય ક્ષેત્રો માટે થઈ શકે છે.

સુશ્રી કરંદલાજેએ બાંધકામ ક્ષેત્રોમાં કામદારોની સુરક્ષા અને શૌચાલય અને સ્વચ્છતા સુવિધાઓ, મહિલા કામદારોના બાળકો માટે ક્રેચ (ઘોડિયાઘર) અને આવાસ સહાય સહિતની પ્રાથમિક સુવિધાઓની જોગવાઈ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર વધુ ભાર મૂક્યો હતો, જેથી બાંધકામ શ્રમયોગીઓ માટે ગૌરવપૂર્ણ કામ કરવાની અને જીવવાની પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરી શકાય. તેમણે વિવિધ રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓની પ્રશંસા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે બાંધકામ કામદારોના કલ્યાણ અને સામાજિક સુરક્ષાને મજબૂત કરવા માટે સફળ પહેલો દેશભરમાં શેર કરવી જોઈએ અને અપનાવવી જોઈએ.

પ્રથમ દિવસના સમાપન પર તેમના સંબોધનમાં, ડૉ. માંડવિયાએ રાજ્ય સરકારોને કામદારોના લાંબા ગાળાના કલ્યાણ અને સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેસ ફંડના વર્તમાન ઉપયોગનું વિગતવાર મૂલ્યાંકન કરવા, ખામીઓ ઓળખવા અને તેમના અસરકારક ઉપયોગ માટે નવા માર્ગો શોધવા અનુરોધ કર્યો હતો. તેમણે રાજ્યોને અમલીકરણના એક વર્ષ પછી શ્રમ સંહિતાની અસરોનું વ્યાપક મૂલ્યાંકન કરવા અને વધુ અસરકારક અમલીકરણની જરૂર પડી શકે તેવા ક્ષેત્રોને ઓળખવા પણ હાકલ કરી હતી. તેમણે સંહિતાના અક્ષરશઃ અને આત્માથી અસરકારક અમલીકરણને સુગમ બનાવવા માટે શ્રમ કાયદાના પ્રેક્ટિશનરો માટે વર્કશોપ અને ઓરિએન્ટેશન પ્રોગ્રામ્સની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

રોજગારને પ્રોત્સાહન આપવા અને શ્રમયોગીઓમાં નવા પ્રવેશકો માટે સામાજિક સુરક્ષા કવરેજનો વિસ્તાર કરવામાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) ના મહત્વ પર પ્રકાશ પાડતા, કેન્દ્રીય મંત્રીએ રાજ્ય સરકારોને ઉદ્યોગ અને અન્ય ભાગીદારો સાથે કેન્દ્રિત વર્કશોપ અને જોડાણો કરવા અનુરોધ કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે આવા પ્રયાસો વધુ જાગૃતિ લાવવામાં મદદ કરશે અને સુનિશ્ચિત કરશે કે પાત્ર નવા પ્રવેશકોને યોજનાના લાભો મળે, જેથી ઔપચારિક રોજગાર અને કામદારોના કલ્યાણનો વિસ્તાર કરવા તરફના સામૂહિક પ્રયાસો મજબૂત થાય.

નવી શ્રમ સંહિતાના પ્રકાશમાં બીઓસીડબલ્યુ કલ્યાણ બોર્ડની ભૂમિકાઓ અને જવાબદારીઓ, કૌશલ્ય અને રોજગાર, બાંધકામ ક્ષેત્ર અને ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવોનો સૂચકઆંક (CPI-IW), અને લેબર સ્ટેક પરના સત્રો સાથે પરિષદ આવતીકાલે પણ ચાલુ રહેશે.

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2309289) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi