ગ્રામીણ વિકાસ મંત્રાલય
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીએ WDC-PMKSYની પ્રગતિની સમીક્ષા કરી; 'દુષ્કાળ મુક્ત ભારત' તરફ વોટરશેડ વિકાસને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો
પોસ્ટેડ ઓન:
01 SEP 2026 5:23PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના વોટરશેડ વિકાસ ઘટક (WDC-PMKSY) ની પ્રગતિની સમીક્ષા કરી હતી અને રાજ્યોને પ્રોજેક્ટ્સનું ઝડપી અમલીકરણ તથા પાયાના સ્તરે સ્પષ્ટ અને માપી શકાય તેવા પરિણામો સુનિશ્ચિત કરવા આહ્વાન કર્યું હતું. તેમણે "વિકસિત ભારત માટે દુષ્કાળ મુક્ત ભારત" ના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં વોટરશેડ વિકાસને એક મહત્વપૂર્ણ સાધન તરીકે ગણાવ્યું હતું.
શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, "વોટરશેડ વિકાસ એ માત્ર જળાશયો બનાવવાનો કાર્યક્રમ નથી; તેનો વાસ્તવિક ઉદ્દેશ્ય ખેતર સુધી પાણી પહોંચાડવાનો, જમીનની ઉત્પાદકતા વધારવાનો અને ખેડૂતની આવક તથા આજીવિકામાં સુધારો કરવાનો છે. અમારો ધ્યેય એ છે કે પાણીના દરેક ટીપાંનો ઈષ્ટતમ ઉપયોગ થવો જોઈએ અને તેનો લાભ ખેડૂત સુધી પહોંચવો જોઈએ."
WDC-PMKSY 2.0 યોજના હેઠળ, અત્યાર સુધીમાં 52.93 લાખ હેક્ટર વિસ્તારને આવરી લેતા 1,220 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સનો કુલ મંજૂર ખર્ચ ₹12,404 કરોડ છે, જેમાં કેન્દ્રીય હિસ્સો ₹8,134 કરોડ છે. કેન્દ્રીય હિસ્સામાંથી, ₹6,955.75 કરોડ (85%) મુક્ત કરવામાં આવ્યા છે.
વિશેષરૂપે ખેડૂત-કેન્દ્રિત પરિણામો પર ભાર મૂકતા, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, "વોટરશેડ પ્રોજેક્ટની સફળતાનો સૌથી મોટો પુરાવો એ છે કે વોટરશેડ હસ્તક્ષેપોના પરિણામે, આશરે 1.40 લાખ હેક્ટર વિસ્તારમાં જ્યાં પહેલાં માંડ એક પાક લેવાતો હતો, ત્યાં ખેડૂતો બે પાક અને ઘણી જગ્યાએ ત્રણ પાક લઈ રહ્યા છે. બાગાયત, શાકભાજીનું ઉત્પાદન અને ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોનો વિસ્તાર થયો છે જેનાથી ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ આવી છે. આ પરિવર્તન જ આપણી યોજનાઓની સાચી સફળતા છે."
આ કાર્યક્રમ હેઠળ, 1.24 લાખ જળ સંચય સંરચનાઓનું નિર્માણ અને પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે. આમાં ચેકડેમ, નાળાં, પર્કોલેશન ટેન્ક, ગ્રામીણ/ખેત તલાવડી, પાળા (બંડ્સ), ટ્રેન્ચ, જળાશયો અને અન્ય વરસાદી પાણી સંચય તથા ભૂગર્ભ જળ રિચાર્જ સંરચનાઓનો સમાવેશ થાય છે. આ સંરચનાઓએ સ્થાનિક સંચય, ભૂગર્ભ જળના સંચય તથા રિચાર્જ અને કૃષિ માટે પાણીની ઉપલબ્ધતા વધારવામાં નોંધપાત્ર મદદ કરી છે.
આ પ્રયાસોના પરિણામે 3.08 લાખ હેક્ટરના વધારાના વિસ્તારમાં રક્ષણાત્મક સિંચાઈ શક્ય બની છે, જેનાથી ઓછો વરસાદ કે દુષ્કાળની સ્થિતિમાં વરસાદ આધારિત વિસ્તારોના ખેડૂતોને પાક બચાવવામાં મદદ મળી છે. અત્યાર સુધીમાં આ કાર્યક્રમથી 28.50 લાખ ખેડૂતો લાભાન્વિત થયા છે. આ ઉપરાંત, 1.45 લાખ હેક્ટર વિસ્તારમાં વનીકરણ, બાગાયત અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને 2.85 કરોડ માનવ-દિન રોજગારીનું સર્જન થયું છે.
શ્રી ચૌહાણે રાજ્યોને પારદર્શક, ટેકનોલોજી-સક્ષમ, કામગીરી-આધારિત અને જન-કેન્દ્રિત રીતે કામ કરવા અને પ્રોજેક્ટ્સને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે વોટરશેડ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન માત્ર ખર્ચના આધારે જ નહીં પરંતુ જમીન સુધારણા, પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ, પાકની તીવ્રતા, જમીનની ઉત્પાદકતા અને ખેડૂતોની આજીવિકામાં વાસ્તવિક સુધારાના આધારે પણ થવું જોઈએ.
શ્રી ચૌહાણે કહ્યું, "અમે 'વોટરશેડ યાત્રા' અને 'વોટરશેડ ઉત્સવ' દ્વારા વોટરશેડ વિકાસને એક જન આંદોલન બનાવ્યું છે. હવે અમારો ધ્યેય વોટરશેડ વિકાસને માત્ર એક યોજના તરીકે જ નહીં, પરંતુ જળ અને જમીન સુરક્ષા, કૃષિ સુરક્ષા અને ગ્રામીણ સમૃદ્ધિ માટેના રાષ્ટ્રીય અભિયાન તરીકે આગળ ધપાવવાનો છે. આપણો સંકલ્પ વધુ ઝડપી અમલીકરણ, વધુ સારા પરિણામો અને વધુ અસર સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ."
સમીક્ષા બેઠક દરમિયાન, વોટરશેડ વિકાસના લાભો તમામ ખેડૂતો અને ગ્રામીણ પરિવારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યો અને અમલીકરણ એજન્સીઓને સમન્વયિત રીતે કામ કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2305578)
મુલાકાતી સંખ્યા : 20