રાજ્યસભા સચિવાલય
રાજ્યસભાના 271મા સત્રના સમાપન પર માનનીય સભાપતિ દ્વારા કરવામાં આવેલી સમાપન ટિપ્પણીનો મૂળપાઠ
प्रविष्टि तिथि:
13 AUG 2026 2:09PM by PIB Ahmedabad
સભાપતિ: માનનીય સભ્યો,
રાજ્યસભાનું 271મું સત્ર પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે, હું ઊંડી ચિંતા સાથે તેની કાર્યવાહી પર વિચાર કરું છું. તે ખેદની બાબત છે કે આ સત્ર સતત અશાંતિ અને વારંવારના અવરોધોથી ઘેરાયેલું રહ્યું, જેણે ગૃહના કામકાજને વારંવાર ખોરવી નાખ્યું. કામકાજના કિંમતી કલાકોના નુકસાનથી રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા અને વિચાર-વિમર્શથી પણ ગૃહ વંચિત રહ્યું.
આ અવરોધો છતાં, ગૃહે 12 બિલ (વિધેયક) પર વિચારણા કરીને તેને પસાર કરીને અથવા પરત કરીને તેની મુખ્ય વાજબી કાયદાકીય ફરજો પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. જો આપણે સામૂહિક રીતે ભાગ લીધો હોત, આપણા મૂલ્યવાન ઇનપુટ્સ આપ્યા હોત અને અર્થપૂર્ણ વિચાર-વિમર્શમાં જોડાયા હોત તો પરિસ્થિતિ ચોક્કસપણે અલગ હોત.
ગૃહ માત્ર 37 કલાક અને 49 મિનિટ જ કાર્યરત રહ્યું, જેમાં 39.17 ટકા ઉત્પાદકતા નોંધાઈ હતી. આપણી પાસે 285 તારાંકિત પ્રશ્નો, 380 ઝીરો અવર સબમિશન અને 380 સ્પેશિયલ મેન્શન ઉઠાવવાની તક હતી. દુઃખની વાત એ છે કે માત્ર 16 પ્રશ્નો, 52 ઝીરો અવર સબમિશન અને 93 સ્પેશિયલ મેન્શન જ હાથ ધરી શકાયા. મંચ ખુલ્લો હતો, પરંતુ આપણે જે લોકોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ તેમનો અવાજ ઉઠાવવા માટે આપણને ઉપલબ્ધ તકોનો પૂરેપૂરો ઉપયોગ ન કર્યો.
માનનીય સભ્યો,
વરિષ્ઠોના ગૃહ તરીકે, આ ગૌરવપૂર્ણ સભાગૃહ વિવેકપૂર્ણ ચર્ચા, ગરિમાપૂર્ણ અસહમતિ અને વિચારશીલ કાયદાઓ જાળવવાની અનન્ય જવાબદારી ધરાવે છે. વારંવારના અવરોધો આખરે લોકોના વિશ્વાસ અને આકાંક્ષાઓને અસર કરે છે. તેથી આપણે સંસદીય આચરણના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવા અને આ સંસ્થાની ગરિમા અને પવિત્રતાનું રક્ષણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
આ સત્રનું એક નોંધપાત્ર પાસું નવ-નિર્વાચિત અને નામાંકિત સભ્યો માટે આયોજિત ઓરિએન્ટેશન પ્રોગ્રામ હતો. આ બે દિવસીય કાર્યક્રમે સંસદીય પદ્ધતિ, પ્રક્રિયા અને સભ્યો પાસેથી અપેક્ષિત આચરણના ધોરણો વિશે મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પૂરી પાડી હતી. શ્રી હરિવંશ જી, વરિષ્ઠ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ જી અને સંસદના અત્યંત અનુભવી સભ્યો, શ્રી ઘનશ્યામ તિવારી, શ્રી પ્રમોદ તિવારી, શ્રી અરુણ સિંહ, ડૉ. સસ્મિત પાત્રા, શ્રી સુજીત કુમાર અને ડૉ. જોનનો સમાવેશ કરતી વિશિષ્ટ ફેકલ્ટીએ તેમના મૂલ્યવાન સંસદીય અનુભવ અને વ્યવહારુ આંતરદ્રષ્ટિથી કાર્યક્રમને સમૃદ્ધ બનાવ્યો હતો. મને ખાસ કરીને આનંદ છે કે, ચાલુ સત્ર દરમિયાન તેમના વ્યસ્ત સમયપત્રક અને પોતપોતાના રાજ્યો પ્રત્યેની તેમની જવાબદારીઓ છતાં, 35 સભ્યો આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા અને તેનો લાભ લઈ શક્યા. મને આશા છે કે આપણા નવા સભ્યો આ શીખેલી બાબતોને આગળ ધપાવશે અને ગૃહના વિચાર-વિમર્શમાં અર્થપૂર્ણ યોગદાન આપશે.
આ સત્રનું બીજું એક નોંધપાત્ર પાસું માનનીય સભ્યો દ્વારા ટેકનોલોજીનો વધતો ઉપયોગ હતો. 'વાણી સેતુ' દ્વારા, AI-આધારિત ભાષા અનુવાદની શરુઆત કરવામાં આવી હતી, જેનાથી સભ્યો પ્રથમ વખત પ્રાદેશિક ભાષામાં વક્તવ્ય આપવામાં આવ્યું હોય ત્યારે પણ પોતાની પસંદગીની ભાષામાં કાર્યવાહી સાંભળવા માટે સક્ષમ બન્યા હતા. મને આનંદ છે કે સભ્યોએ આ સુવિધાનો લાભ લીધો છે. સભ્યોએ ઝડપી અને સુરક્ષિત હાજરી અને અન્ય સંસદીય વ્યવહારો માટે 'સદસ્ય સેતુ' મોબાઈલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કર્યો છે, જે ગૃહના કામકાજને વધુ સુલભ અને સક્ષમ બનાવે છે. આ ટેકનીકી પહેલોનો સતત વિકાસ થતો રહેશે, અને આ સુવિધાઓને વધુ સુધારવા અને મજબૂત કરવા માટે હું માનનીય સભ્યોના મૂલ્યવાન પ્રતિભાવો અને સૂચનોનું સ્વાગત કરીશ.
હવે, હું ગૃહની કાર્યવાહી ચલાવવામાં તેમના સહયોગ બદલ માનનીય ઉપસભાપતિ અને વાઇસ-ચેરપર્સનના પેનલના સભ્યોનો આભાર માનું છું.
હું સત્રના સરળ સંચાલનને સુનિશ્ચિત કરવા બદલ મહાસચિવ (Secretary-General) અને તેમની અધિકારીઓ અને સ્ટાફની ટીમના અથાક પ્રયાસોની પણ પ્રશંસા કરું છું. કાર્યવાહીને આવરી લેવા અને જનતાને માહિતગાર રાખવા બદલ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ હું આભાર માનું છું.
અંતમાં, હું સ્વતંત્રતા દિવસ નિમિત્તે તમામ માનનીય સભ્યોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને અંતર-સત્ર ગાળા દરમિયાન આવતા તહેવારો માટે મારી શુભકામનાઓ પાઠવું છું.
હું આશા રાખું છું કે જ્યારે આપણે ફરીથી મળીએ ત્યારે આ ગૌરવપૂર્ણ ગૃહની ગરિમા જાળવવા અને આપણી લોકશાહીની ઉચ્ચતમ પરંપરાઓમાં આપણી સંસદીય જવાબદારીઓ નિભાવવાના નવા સંકલ્પ સાથે મળીશું, જેથી દરેક સમયે આપણી લોકશાહી સંસ્થાઓ અને આપણી લોકશાહી મજબૂત બને.
આભાર.
હવે, રાષ્ટ્રીય ગીત. (રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ" વગાડવામાં આવશે)
સભાપતિ: ગૃહ અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરવામાં આવે છે.
SM/JY/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2298834)
आगंतुक पटल : 19