સહકાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય સહકારિતા અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલે આણંદ, ગુજરાત ખાતે 'ત્રિભુવન' સહકારી યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહની અધ્યક્ષતા કરી


'ત્રિભુવન' સહકારી યુનિવર્સિટી એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'સહકાર સે સમૃદ્ધિ' ના વિઝનથી પ્રેરિત અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ, સહકારી ક્ષેત્રના વ્યાવસાયિક અને શૈક્ષણિક સદ્દઢીકરણ તરફની એક ઐતિહાસિક પહેલ છે

યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને સ્નાતક અને પીએચડી (PhD) ની પદવીઓ એનાયત કરવામાં આવી

'ત્રિભુવન' સહકારી યુનિવર્સિટી ભવિષ્યના સહકારી નેતાઓ, સંશોધકો અને વ્યાવસાયિક મેનેજરો તૈયાર કરી રહી છે

પદવીદાન સમારોહ એ શિક્ષણનો અંત દર્શાવતો નથી; તે કાર્યની વાસ્તવિક દુનિયામાં એક નવા સંકલ્પ અને એક નવી સફરની શરૂઆત દર્શાવે છે: શ્રી મુરલીધર મોહોલ

સહકારી ક્ષેત્રને આગામી વર્ષોમાં 17 લાખથી વધુ પ્રશિક્ષિત યુવાનોની જરૂર પડશે: શ્રી મુરલીધર મોહોલ

યુવાનોએ સહકારી સંસ્થાઓ અને કૃષિ સાહસોમાં પરિવર્તન લાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ડિજિટલ પ્લેટફોર્મ્સ અને નવીનતાનો ઉપયોગ કરવો જોઈએ

प्रविष्टि तिथि: 14 JUL 2026 5:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'સહકાર સે સમૃદ્ધિ' ના વિઝનથી પ્રેરિત અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ, સહકાર મંત્રાલય સહકારી ક્ષેત્રમાં વ્યાવસાયિકતા, વ્યાવસાયિક સંચાલન, ગુણવત્તાયુક્ત તાલીમ અને સંશોધન, અને શ્રેષ્ઠ પદ્ધતિઓના શૈક્ષણિક સંસ્થાગતકરણને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ વ્યાપક મિશનના ભાગ રૂપે, 'ત્રિભુવન' સહકારી યુનિવર્સિટીની સ્થાપના સહકારી ક્ષેત્રને સમર્પિત દેશની પ્રથમ રાષ્ટ્રીય યુનિવર્સિટી તરીકે કરવામાં આવી છે. કેન્દ્રીય સહકારિતા અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલે આજે આણંદ, ગુજરાત ખાતે 'ત્રિભુવન' સહકારી યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ અવસરે, યુનિવર્સિટીની પ્રથમ સ્નાતક બેચના 302 વિદ્યાર્થીઓને સ્નાતકની પદવીઓ એનાયત કરવામાં આવી હતી અને 2 વિદ્યાર્થીઓને PhDની પદવી એનાયત કરવામાં આવી હતી. ગુજરાતના સહકારિતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી; 'ત્રિભુવન' સહકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. જે. એમ. વ્યાસ; ઇરમા (IRMA) એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ ડૉ. મીનેશ શાહ; સહકાર મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી આનંદ કુમાર ઝા; ઇરમા (IRMA) ના કાર્યકારી નિયામક ડૉ. શાશ્વત નારાયણ; યુનિવર્સિટીના ડીન્સ, રજિસ્ટ્રાર અને ફેકલ્ટી સભ્યો; પદવી મેળવનાર વિદ્યાર્થીઓ; અને તેમના વાલીઓ અને પરિવારના સભ્યો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

પદવીદાન સમારોહને સંબોધતા, કેન્દ્રીય સહકારિતા અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલે તમામ પદવી મેળવનારાઓ, તેમના વાલીઓ અને યુનિવર્સિટી પરિવારને પોતાના વતી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ વતી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પદવીદાન સમારોહને શિક્ષણનો અંત ગણવો જોઈએ નહીં. પદવીદાન સમારોહનો અર્થ શિક્ષાનું સમાપન નથી; બદલે, તે દીક્ષાની શરૂઆત અને એક નવા સંકલ્પની શરૂઆત દર્શાવે છે. વિદ્યાર્થીઓનું ઔપચારિક શિક્ષણ આજે પૂર્ણ થઈ રહ્યું છે, પરંતુ કાર્યની વાસ્તવિક દુનિયામાં એક નવી સફર હવે શરૂ થઈ રહી છે.

શ્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર માટે પ્રશિક્ષિત, કુશળ અને પ્રતિબદ્ધ માનવ સંસાધનોના વિકાસ માટે 'ત્રિભુવન' સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. યુનિવર્સિટી એવા નેતાઓ, સંશોધકો અને વ્યાવસાયિક મેનેજરો તૈયાર કરશે જેઓ સહકારને આધુનિક સંચાલન, ટેકનોલોજી અને નવીનતા સાથે જોડશે અને ભારતના સહકારી આંદોલનને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તેમણે કહ્યું કે આણંદની ભૂમિ ભારતની શ્વેત ક્રાંતિનું જન્મસ્થળ છે. સરદાર વલ્લભભાઈ પટેલથી પ્રેરિત થઈને, ત્રિભુવનદાસ પટેલે 1946માં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના કરી અને ખેડૂતોને સંગઠિત કર્યા, તેમને પોતાના ઉત્પાદનના માલિક બનવાનો માર્ગ દર્શાવ્યો. આ સંસ્થા પાછળથી અમૂલ (Amul) માં વિકસિત થઈ. ત્રિભુવનદાસ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયન જેવા સ્વપ્નદ્રષ્ટાઓના પ્રયાસો દ્વારા, ભારત દૂધની અછત ધરાવતા દેશમાંથી વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો.

કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે 'ત્રિભુવન' સહકારી યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આણંદ—IRMAના આશરે 45 વર્ષના સમૃદ્ધ શૈક્ષણિક અને સંસ્થાગત વારસા પર બનેલી છે. IRMA એ સહકાર, ડેરી અને ગ્રામીણ વિકાસના ક્ષેત્રોમાં સંશોધન, તાલીમ અને નીતિ ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેના 850થી વધુ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ દ્વારા 18,000 થી વધુ વ્યક્તિઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, 2025માં IRMA ને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને તેને 'ત્રિભુવન' સહકારી યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરવામાં આવી હતી.

શ્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે દેશમાં આજે 8.5 લાખથી વધુ સહકારી મંડળીઓ છે, જેમાં 32 કરોડથી વધુ સભ્યો છે. આનો અર્થ એ છે કે દેશની લગભગ અડધી વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી છે. સહકાર એ ડેરી, બેન્કિંગ, કૃષિ, મત્સ્યઉદ્યોગ અને અન્ય કેટલાક ક્ષેત્રોમાં ખેડૂતો, મહિલાઓ, કારીગરો અને ગ્રામીણ સાહસિકોને સશક્ત બનાવવાનું એક અસરકારક માધ્યમ બનીને ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે, ગ્રામીણ ભારતના વિકાસમાં સહકારની સંભાવનાઓને ઓળખીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જુલાઈ 2021માં એક સ્વતંત્ર સહકાર મંત્રાલયની સ્થાપના કરી અને સહકારી ક્ષેત્રમાં લગભગ ચાર દાયકાનો અનુભવ ધરાવતા શ્રી અમિત શાહને દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે નિયુક્ત કર્યા. શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ, મંત્રાલયે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 140થી વધુ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેણે સહકારી ક્ષેત્રના વિસ્તરણ, આધુનિકીકરણ અને સંસ્થાગત સદ્દઢીકરણને નવી ગતિ આપી છે.

કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે PACSને બહુહેતુક અને આર્થિક રીતે સક્ષમ બનાવવા, નવી બહુહેતુક PACSની સ્થાપના કરવા, વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના અમલમાં મૂકવા, અર્બન કોઓપરેટિવ બેંકો માટે અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન NUCFDCની રચના કરવા અને ગ્રામીણ સહકારી બેંકો માટે 'સહકાર સારથિ' ની રજૂઆત કરવાના ઉદ્દેશ્યવાળી પહેલો દ્વારા સહકારી ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં આવી રહી છે. આગામી પાંચ વર્ષમાં દેશભરમાં બે લાખ બહુહેતુક PACS સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેમાંથી 35,000થી વધુ મંડળીઓ પહેલેથી જ બની ચૂકી છે અને તેમણે કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોને એક સંકલિત 'બીજથી બજાર' ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટસ લિમિટેડ—NCEL, નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ—NCOL અને ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ—BBSSL ની સ્થાપના કરવામાં આવી છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ—NCDC દ્વારા સહકારી સંસ્થાઓને મોટા પાયે નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે.

શ્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ—NCDCએ દેશભરમાં સહકારી મંડળીઓને નાણાકીય સહાય પૂરી પાડતી એક અગ્રણી સંસ્થા છે. તેમણે કહ્યું કે 1963માં તેની સ્થાપનાથી લઈને 2014 સુધી, NCDCએ સહકારી ક્ષેત્રને આશરે ₹55,000 કરોડની સહાય પૂરી પાડી હતી, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, 2014 થી 2025 સુધીના 11 વર્ષ દરમિયાન આશરે ₹4.5 લાખ કરોડની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી હતી, જેણે સહકારી સંસ્થાઓના વિસ્તરણ, આધુનિકીકરણ અને આર્થિક સદ્દઢીકરણને અભૂતપૂર્વ ગતિ આપી છે. તેમણે કહ્યું કે સહકાર હવે ડેરી, ખાંડ, ખાતર અને બેન્કિંગ જેવા પરંપરાગત ક્ષેત્રો પૂરતો સીમિત રહ્યો નથી. સહકારી મોડલ ઓર્ગેનિક ખેતી, બીજ ઉત્પાદન, પ્રવાસન, સંગ્રહ, વીમો, ફૂડ પ્રોસેસિંગ અને ડિજિટલ સેવાઓ સહિતના કેટલાક નવા ક્ષેત્રોમાં વિસ્તરી રહ્યું છે. સહકારી ખાંડ મિલો માત્ર ખાંડ જ નહીં, પરંતુ ઇથેનોલ, બાયોગેસ અને ઓર્ગેનિક ખાતરને આવરી લેતી એક સંપૂર્ણ વેલ્યુ ચેઈન વિકસાવી રહી છે.

કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે 'ડ્રાઈવર જ માલિક છે' ના ખ્યાલ પર આધારિત ભારત ટેક્સીએ સહકારી અર્થતંત્ર માટે એક નવું મોડલ રજૂ કર્યું છે. આ પહેલ પ્લેટફોર્મ-આધારિત અર્થતંત્રમાં સેવા પ્રદાતાઓને માત્ર શ્રમિકો તરીકે જ નહીં, પરંતુ સંસ્થાના ભાગીદારો અને માલિકો તરીકે ગણવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આગામી બે વર્ષમાં દેશના લગભગ 500 શહેરોમાં સહકારી ટેક્સી સેવાનો વિસ્તાર કરવાનું આયોજન છે.

શ્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે, 1970ના દાયકા પછી પ્રથમ વખત, આગામી પાંચ વર્ષમાં દૂધની પ્રાપ્તિમાં 50 ટકાનો વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે 'શ્વેત ક્રાંતિ 2.0' ના સ્વરૂપમાં એક મજબૂત પહેલ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમૂલ એ સહકારની તાકાત અને મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આજે 36 લાખથી વધુ મહિલાઓ અમૂલ સાથે જોડાયેલી છે અને નાણાકીય વર્ષ 2025-26 માં તેનું કુલ ટર્નઓવર 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે સહકારી સંસ્થાઓના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં મહિલાઓ અને સમાજના નબળા વર્ગોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે નિયમોમાં યોગ્ય સુધારા કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, 2002 પછી દેશમાં પ્રથમ વખત તૈયાર કરવામાં આવેલી રાષ્ટ્રીય સહકાર નીતિનો ઉદ્દેશ્ય સહકારી ક્ષેત્રને આધુનિક, પારદર્શક, જવાબદાર અને સક્ષમ બનાવવાનો છે. સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને સુશાસન સંબંધિત પડકારોને પહોંચી વળવા માટે કેટલાક સંસ્થાગત સુધારા હાથ ધરવામાં આવ્યા છે. સ્વતંત્ર અને સમયબદ્ધ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે સહકારી ચૂંટણી સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે, જ્યારે સભ્યોની ફરિયાદોના અસરકારક અને નિષ્પક્ષ નિવારણ માટે સહકારી લોકપાલની સંસ્થા બનાવવામાં આવી છે.

શ્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે સહકારી ખાંડ મિલો હવે માત્ર ખાંડ ઉત્પાદન પૂરતી સીમિત રહી નથી; તેના બદલે, ઇથેનોલ, બાયોગેસ અને ઓર્ગેનિક ખાતર સુધી વિસ્તરેલી એક સંપૂર્ણ મૂલ્ય શૃંખલા વિકસાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઓર્ગેનિક ખેતી, બીજ ઉત્પાદન, પ્રવાસન, સંગ્રહ, વીમો, ફૂડ પ્રોસેસિંગ અને ડિજિટલ સેવાઓ જેવા ઉભરતા ક્ષેત્રોમાં પ્રશિક્ષિત મેનેજરો અને કુશળ માનવ સંસાધનોની માંગ ઝડપથી વધી રહી છે. પ્રાથમિક સહકારી મંડળીઓથી લઈને સર્વોચ્ચ સહકારી સંસ્થાઓમાં નિમણૂકો હવે યોગ્યતા અને વ્યાવસાયિક ધોરણોના આધારે કરવામાં આવી રહી છે. તેમણે વિદ્યાર્થીઓને સહકારી સંસ્થાઓ અને કૃષિ સાહસોને વધુ કાર્યક્ષમ, આધુનિક અને સ્પર્ધાત્મક બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ડિજિટલ પ્લેટફોર્મ્સ અને નવીનતાનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.

શ્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રને આગામી વર્ષોમાં 17 લાખથી વધુ પ્રશિક્ષિત યુવાનોની જરૂર પડશે. 'ત્રિભુવન' સહકારી યુનિવર્સિટી સહકારી ક્ષેત્ર માટે વ્યાવસાયિક નેતૃત્વ, સંશોધન ક્ષમતાઓ અને આધુનિક સંચાલન કૌશલ્યોથી સજ્જ માનવ સંસાધનોનો વિકાસ કરીને આ જરૂરિયાતને પૂરી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે પદવી મેળવનારાઓને 'ત્રિભુવન' સહકારી યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપવા અને તેઓ જ્યાં પણ જાય ત્યાં સમાજના તમામ વર્ગોને સાથે લઈને ચાલવાના સહકારી સિદ્ધાંતને અનુસરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ 'સહકાર સે સમૃદ્ધિ' ની ભાવનાને તેમના જીવન અને કાર્યનો માર્ગદર્શક સિદ્ધાંત બનાવવો જોઈએ.

ગુજરાતની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન, કેન્દ્રીય સહકાર અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલે ગાંધીનગરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોઓપરેટિવ મેનેજમેન્ટ—NICM ખાતે એક સમીક્ષા બેઠક પણ યોજી હતી. બેઠકમાં, તેમણે 'ત્રિભુવન' સહકારી યુનિવર્સિટી હેઠળ વિવિધ અભ્યાસક્રમો શરૂ કરવા માટેની ચાલુ તૈયારીઓની પ્રગતિની સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને નિર્ધારિત સમયસીમામાં તમામ જરૂરી શૈક્ષણિક, વહીવટી અને સંસ્થાગત વ્યવસ્થાઓ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2284540) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी