ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં મિયાવાકી પદ્ધતિ અંતર્ગત એક કલાકમાં 3.61 લાખથી વધુ વૃક્ષારોપણનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તમામ સ્વયંસેવકો તેમજ વિસ્તારના રહેવાસીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા


ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં મિયાવાકી પદ્ધતિ અંતર્ગત એક કલાકમાં 3.61 લાખથી વધુ વૃક્ષારોપણનો બન્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

જાહેર વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભા મતવિસ્તારના રહેવાસીઓએ 1 કરોડ 26 લાખથી વધુ વૃક્ષારોપણ કર્યું

આ અભિયાન અંતર્ગત જનતાએ 404 જાહેર સ્થળો પર 1,15,93,513 છોડ તથા ખાનગી પરિસરોમાં 11 લાખથી વધુ છોડ લગાવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં 'એક પેડ મા કે નામ' અભિયાન પર્યાવરણ સંરક્ષણને જન-આંદોલન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે

प्रविष्टि तिथि: 12 JUL 2026 7:59PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ શ્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં મિયાવાકી પદ્ધતિ અંતર્ગત એક કલાકમાં 3.61 લાખથી વધુ વૃક્ષારોપણ કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આ અભિયાન સાથે જોડાયેલા 25,000 થી વધુ સ્વયંસેવકો તથા વિસ્તારના રહેવાસીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં પર્યાવરણ સંરક્ષણ આજે જન-આંદોલનનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. 'એક પેડ મા કે નામ' અભિયાને દેશભરના કરોડો નાગરિકોને પ્રકૃતિ સંરક્ષણના આ મહાયજ્ઞ સાથે જોડવાનું કાર્ય કર્યું છે. આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આ જન-આંદોલનને નવી ઊર્જા પ્રદાન કરીને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

શ્રી અમિત શાહે કહ્યું કે મિયાવાકી ટેકનિકના માધ્યમથી માત્ર એક કલાકમાં 3.61 લાખથી વધુ વૃક્ષારોપણ કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવો એ જનભાગીદારી, સુવ્યવસ્થિત આયોજન અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સમાજની પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમણે આ સિદ્ધિ બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અભિયાન સાથે જોડાયેલા તમામ વિભાગો, સ્વયંસેવી સંસ્થાઓ, 25 હજારથી વધુ સ્વયંસેવકો તથા વિસ્તારના તમામ નાગરિકોના યોગદાનની પ્રશંસા કરતા તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

ગાંધીનગરની જનતાએ ‘જાહેર વૃક્ષારોપણ અભિયાન’ અંતર્ગત ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 1 કરોડ 26 લાખથી વધુ વૃક્ષારોપણ કર્યું છે. આમાંથી 404 જાહેર સ્થળો પર 1,15,93,513 છોડનું રોપણ કરવામાં આવ્યું, જ્યારે વિસ્તારના નાગરિકોએ પોતાના ખાનગી પરિસરોમાં 11 લાખથી વધુ છોડ લગાવ્યા. જાહેર સ્થળો પર સાણંદ વિધાનસભાના 186 સ્થળો પર 53,64,504 છોડ, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના 97 સ્થળો પર 18,09,850 છોડ, કલોલ વિધાનસભાના 77 સ્થળો પર 16,64,675 છોડ, ઘાટલોડિયા વિધાનસભાના 18 સ્થળો પર 8,32,370 છોડ, વેજલપુર વિધાનસભાના 10 સ્થળો પર 17,54,000 છોડ તથા સાબરમતી વિધાનસભાના 6 સ્થળો પર 82,314 છોડનું રોપણ કરવામાં આવ્યું. આ વ્યાપક અભિયાન જનસહભાગિતાના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીને સામે આવ્યું છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ 'પ્રકૃતિની સાથે પ્રગતિ' તથા ટકાઉ વિકાસનો જે વિઝન દેશની સામે રાખ્યો છે, તેને ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ઓક્સિજન પાર્કોના નિર્માણ, વ્યાપક વૃક્ષારોપણ, તળાવોના પુનઃનિર્માણ તથા પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાયેલા વિવિધ જન-અભિયાનોના માધ્યમથી ધરાતલ પર ઉતારવામાં આવી રહ્યું છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તાર આજે પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસના ક્ષેત્રમાં દેશ માટે એક પ્રેરણારૂપ બનીને ઉભર્યો છે.

શ્રી અમિત શાહે કહ્યું કે વૃક્ષારોપણ માત્ર છોડ લગાવવા સુધી સીમિત નથી, પરંતુ તેમનું સંરક્ષણ અને સંવર્ધન પણ એટલું જ આવશ્યક છે. તેમણે તમામ નાગરિકોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાન સાથે જોડાઈને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તથા લગાવેલા છોડની દેખભાળનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનભાગીદારીથી ચાલી રહેલા આવા અભિયાનો વિકસિત ભારતના નિર્માણની સાથે-સાથે આવનારી પેઢીઓ માટે સ્વચ્છ, હરિત અને સંતુલિત પર્યાવરણ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહેશે.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2283936) आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी