PIB Backgrounder
ભારતની જૈવવિવિધતા: પ્રતિબદ્ધતાઓ અને સિદ્ધિઓ
કાયદાકીય માળખાથી લઈને સ્થાનિક પગલાં સુધી
प्रविष्टि तिथि:
05 JUN 2026 10:09AM by PIB Ahmedabad
|
ભારતનું જૈવવિવિધતા શાસન ત્રણ સ્તરીય માળખા દ્વારા સંગઠિત થયેલું છે જે રાષ્ટ્રીય નીતિને રાજ્યના પગલાં અને સ્થાનિક અમલીકરણ સાથે જોડે છે. રાષ્ટ્રીય જૈવવિવિધતા સત્તામંડળ (નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી) રાષ્ટ્રીય સ્તરે કાર્ય કરે છે, જ્યારે રાજ્ય જૈવવિવિધતા બોર્ડ અને કેન્દ્રશાસિત પ્રદેશ જૈવવિવિધતા પરિષદો રાજ્ય અને પ્રાંતીય સ્તરે પગલાંઓનું માર્ગદર્શન કરે છે. સ્થાનિક સ્તરે, ગ્રામીણ અને શહેરી સંસ્થાઓમાં જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ (બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીઝ) લોકોના જૈવવિવિધતા રજિસ્ટર (પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર્સ) તૈયાર કરે છે અને સમુદાયની આગેવાની હેઠળના સંરક્ષણને ટેકો આપે છે. ભારતે 2,76,653 થી વધુ BMCs અને 2,72,648 થી વધુ લોકોના જૈવવિવિધતા રજિસ્ટર સ્થાપિત કર્યા છે, જે દેશભરમાં સ્થાનિક પ્રજાતિઓ, ઇકોસિસ્ટમ્સ (પરિતંત્ર) અને પરંપરાગત જ્ઞાનનું દસ્તાવેજીકરણ કરે છે. એકસાથે, આ સંસ્થાઓ અને પ્રક્રિયાઓ જૈવિક સ્થિતિસ્થાપકતા, સ્થાનિક કારભારીપણું અને જૈવિક વિવિધતા પરના કન્વેન્શન (CBD) હેઠળ વૈશ્વિક જૈવવિવિધતા લક્ષ્યો સાથે સંરેખણને મજબૂત કરે છે.
|
સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે કુદરતી મૂડીનું સંરક્ષણ
જૈવવિવિધતા એ ભારતીય પર્યાવરણીય અને વિકાસલક્ષી પ્રાથમિકતાઓનું કેન્દ્ર છે. તે ખાદ્ય સુરક્ષા, આજીવિકા, આબોહવા સ્થિતિસ્થાપકતા અને પર્યાવરણીય સંતુલનને ટેકો આપે છે. ભારતના જંગલો, ભેજવાળી જમીનો (વેટલેન્ડ્સ), પર્વતો, દરિયાકિનારા, રણ, ઘાસના મેદાનો અને દરિયાઈ ઇકોસિસ્ટમ્સ વિવિધ પ્રજાતિઓ અને સમુદાયોને ટકાવી રાખે છે. લાખો સ્થાનિક સમુદાયો દૈનિક જીવન માટે આ કુદરતી સંસાધનો પર નિર્ભર છે. ભારત વૈશ્વિક માળખા સાથે સુસંગત નીતિઓ, સંસ્થાઓ અને સામુદાયિક ભાગીદારી દ્વારા તેની કુદરતી મૂડી અને જૈવવિવિધતા પ્રતિબદ્ધતાઓનું સંરક્ષણ કરવાનું ચાલુ રાખે છે. આ પ્રયાસો દ્વારા, ભારત રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે સંરક્ષણને મજબૂત બનાવવાની સાથે વૈશ્વિક જૈવવિવિધતા લક્ષ્યોમાં યોગદાન આપે છે. ભારતનો અભિગમ સ્થાનિક કારભારીપણું પર ભાર મૂકે છે, અને સ્વીકારે છે કે વ્યાપક જૈવવિવિધતા પરિણામો પ્રાપ્ત કરવા માટે સમુદાયની આગેવાની હેઠળના પગલાં આવશ્યક છે.
છેલ્લા એક દાયકામાં, ભારતે જૈવવિવિધતા સંરક્ષણ માટે એક સંકલિત અભિગમ અપનાવ્યો છે જે વૈજ્ઞાનિક વ્યવસ્થાપન, રહેઠાણની પુનઃસ્થાપના, પ્રજાતિ પુનઃપ્રાપ્તિ કાર્યક્રમો અને સામુદાયિક ભાગીદારીને જોડે છે. સંરક્ષિત વિસ્તારોને વિસ્તારવા, વન્યજીવોના મોનિટરિંગને મજબૂત કરવા, ક્ષીણ થઈ ગયેલી ઇકોસિસ્ટમ્સને પુનઃસ્થાપિત કરવા અને જૈવિક સંસાધનોના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રયાસો કરવામાં આવ્યા છે. આ પહેલોએ પર્યાવરણીય સ્થિતિસ્થાપકતા વધારી છે, સ્થાનિક આજીવિકાને ટેકો આપ્યો છે અને જૈવવિવિધતા સંરક્ષણમાં વૈશ્વિક લીડર તરીકે ભારતના સ્થાનને મજબૂત બનાવ્યું છે. ટકાઉ વિકાસના ઉદ્દેશ્યો સાથે સંરક્ષણ લક્ષ્યોને જોડીને, ભારત સમાવેશી અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની સાથે ભવિષ્યની પેઢીઓ માટે તેના કુદરતી વારસાને સુરક્ષિત રાખવા તરફ કામ કરી રહ્યું છે.
જૈવવિવિધતા અને તેનું મહત્વ સમજવું
જૈવવિવિધતા એ પૃથ્વી પરના જીવનની વિવિધતાનો ઉલ્લેખ કરે છે, જેમાં વનસ્પતિઓ, પ્રાણીઓ, સુક્ષ્મજીવો અને તેઓ જે ઇકોસિસ્ટમ્સ બનાવે છે તેનો સમાવેશ થાય છે. તે પર્યાવરણીય સંતુલનને આધાર આપે છે અને પરાગનયન (પોલિનેશન), જમીનની રચના, પોષક તત્ત્વોનું ચક્ર, પાણીનું શુદ્ધિકરણ અને આબોહવા નિયમન જેવી મુખ્ય ઇકોસિસ્ટમ સેવાઓને ટેકો આપે છે. જૈવવિવિધતા એ કુદરતી પ્રણાલીઓને ટકાવી રાખે છે જે તમામ પ્રદેશોમાં જીવનને શક્ય અને ઉત્પાદક બનાવે છે.
જૈવવિવિધતા એ પર્યાવરણ અને માનવ સમાજ બંનેના સ્વાસ્થ્ય માટે કેન્દ્રિય છે. વ્યવહારમાં, જૈવવિવિધતા જ ઇકોસિસ્ટમ્સને કાર્યરત, સ્થિતિસ્થાપક અને લોકોને ટેકો આપવા માટે સક્ષમ રાખે છે. તેથી જૈવવિવિધતાનું રક્ષણ કરવું એ માત્ર પર્યાવરણીય જવાબદારી નથી, પરંતુ ભારત જેવા પર્યાવરણીય રીતે વૈવિધ્યસભર દેશ માટે વિકાસલક્ષી પ્રાથમિકતા પણ છે.
|
શું તમે જાણો છો?
જનીન (જીન) ને આનુવંશિકતાનો મૂળભૂત એકમ માનવામાં આવે છે. જનીનો માતાપિતા તરફથી સંતાનોમાં પસાર થાય છે અને શારીરિક અને જૈવિક લક્ષણોને નિર્દિષ્ટ કરવા માટે જરૂરી માહિતી ધરાવે છે. ઉદાહરણ તરીકે, રેડ એપલ, ગ્રેની સ્મિથ એપલ અને ગોલ્ડન એપલ એ સફરજનની વિવિધ આનુવંશિક જાતો છે.
જ્યારે, પ્રજાતિ (સ્પીસીઝ) એ સજીવોનો એક સમૂહ છે જે ફળદ્રુપ સંતાન પેદા કરવા માટે સફળતાપૂર્વક પ્રજનન કરી શકે છે. આ પ્રજાતિની વ્યાખ્યા પ્રાણીઓ, વનસ્પતિઓ અને જીવનના અન્ય સ્વરૂપોને તેમના પ્રજનનના આધારે જૂથોમાં વિભાજિત કરે છે. ઉદાહરણ તરીકે, વાઘ, સિંહ અને ગેંડો એ પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ છે.
ઇકોસિસ્ટમ (પરિતંત્ર) એ એક ભૌગોલિક વિસ્તાર છે જ્યાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવો, તેમજ હવામાન અને લેન્ડસ્કેપ (ભૂપ્રદેશ), જીવન રચવા માટે સાથે મળીને કામ કરે છે. ઇકોસિસ્ટમ્સ સજીવ પરિબળો, તેમજ નિર્જીવ પરિબળો ધરાવે છે. સજીવ પરિબળોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવોનો સમાવેશ થાય છે. નિર્જીવ પરિબળોમાં ખડકો, તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે.
|
ભારતનું જૈવવિવિધતા માળખું
ભારતનું જૈવવિવિધતા માળખું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ માટે કાયદા, નીતિઓ, સંસ્થાઓ અને કાર્યક્રમોને જોડે છે. તે વૈશ્વિક જૈવવિવિધતા પ્રતિબદ્ધતાઓ સાથે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને સુસંગત રાખીને ન્યાયી લાભ વહેંચણીને પણ પ્રોત્સાહન આપે છે.
જૈવિક વિવિધતા અધિનિયમ, 2002 (2023માં સુધારેલ)
જૈવિક વિવિધતા અધિનિયમ, 2002 એ જૈવિક વિવિધતાના સંરક્ષણ, ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ન્યાયી લાભ વહેંચણીની ખાતરી કરવા માટેનું ભારતનું મુખ્ય કાયદાકીય માળખું છે. તે રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સ્તરે સંસ્થાઓ દ્વારા જૈવવિવિધતા શાસન માટે વૈધાનિક આધાર પૂરો પાડે છે. આ કાયદો જૈવિક સંસાધનો અને સંકળાયેલા પરંપરાગત જ્ઞાનના દસ્તાવેજીકરણ અને સંરક્ષણને પણ ટેકો આપે છે. તે એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ (પહોંચ અને લાભ વહેંચણી) ની જોગવાઈ પણ કરે છે, જે એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે જૈવિક સંસાધનોનો ઉપયોગ આવા સંસાધનો પ્રદાન કરનારાઓને સમાન વળતર સાથે જોડાયેલો હોય.
|
શું તમે જાણો છો?
વ્યવહારમાં, ભારતના માળખા હેઠળ, "પરંપરાગત જ્ઞાન" જૈવિક સંસાધનો અને તેમના ઉપયોગો (ખોરાક, દવા, કૃષિ, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રથાઓ માટે) વિશે સમુદાય પાસે રહેલા જ્ઞાનને આવરી લે છે, જે પેઢીઓથી ચાલી આવે છે અને સ્થાનિક ઇકોસિસ્ટમ્સ અને રૂઢિગત પ્રથાઓ સાથે નજીકથી જોડાયેલું છે.
|
જૈવિક વિવિધતા (સુધારો) અધિનિયમ, 2023 એ અમલીકરણને વધુ સુવિધાજનક અને વર્તમાન જરૂરિયાતો સાથે સુસંગત બનાવીને આ માળખાને વધુ મજબૂત બનાવ્યું છે. તે પાલન (કમ્પ્લાયન્સ) અને શાસન કાર્યક્ષમતામાં સુધારો કરતી વખતે સંશોધન, નવીનતા અને પરંપરાગત જ્ઞાન આધારિત પ્રથાઓને ટેકો આપે છે. આ સુધારો સામુદાયિક ભાગીદારી અને સ્થાનિક જૈવવિવિધતા દસ્તાવેજીકરણને પણ મજબૂત બનાવે છે, જે અસરકારક સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે.
એકસાથે, આ અધિનિયમ અને તેનો સુધારો ભારતના જૈવવિવિધતા સંરક્ષણ પ્રયાસો માટે નીચેના દ્વારા સંતુલિત કાયદાકીય પાયો પૂરો પાડે છે-
જૈવિક વિવિધતા અધિનિયમ, 2002, ત્રિ-સ્તરીય શાસન માળખું પ્રદાન કરે છે. રાષ્ટ્રીય સ્તરે, રાષ્ટ્રીય જૈવવિવિધતા સત્તામંડળ (NBA) સંરક્ષણ, ટકાઉ ઉપયોગ અને લાભ વહેંચણી અંગે સલાહ આપે છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના સ્તરે, રાજ્ય જૈવવિવિધતા બોર્ડ (SBBs) અને કેન્દ્રશાસિત પ્રદેશ જૈવવિવિધતા પરિષદો (UTBCs) આ પ્રાથમિકતાઓને પ્રાદેશિક જરૂરિયાતો અનુસાર અનુકૂલિત કરે છે. સ્થાનિક સ્તરે, જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ (BMC) લોકોના જૈવવિવિધતા રજિસ્ટર (PBRs) તૈયાર કરે છે અને સામુદાયિક પગલાંને સમર્થન આપે છે. આ માળખું વૈશ્વિક અને રાષ્ટ્રીય જૈવવિવિધતા લક્ષ્યોને ગામડાંઓ, નગરો અને શહેરો સુધી પહોંચાડવામાં મદદ કરે છે.
|
જૈવિક વિવિધતા અધિનિયમ, 2002ની કલમ 39
આ કલમ કેન્દ્ર સરકારને જૈવિક સંસાધનોની વિવિધ શ્રેણીઓ માટે સંસ્થાઓને ભંડાર (રેપોઝીટરીઝ) તરીકે નિયુક્ત કરવાની સત્તા આપે છે. આ ભંડાર વાઉચર નમૂનાઓ સહિત જૈવિક સામગ્રીની સુરક્ષિત કસ્ટડીને ટેકો આપશે અને મજબૂત કરશે. તેઓ નવી શોધાયેલી પ્રજાતિઓ, તેમજ સંશોધન અને વ્યાપારી હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા જૈવિક સંસાધનોના દસ્તાવેજીકરણને પણ ટેકો આપે છે.
વધુમાં, નવી ટેક્સન (વર્ગીકરણ એકમ) શોધનાર કોઈપણ વ્યક્તિએ નિયુક્ત ભંડારને સૂચિત કરવું અને તેને સંબંધિત વાઉચર નમૂનાઓ જમા કરાવવા જરૂરી છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે, NBA એ ભંડાર તરીકે હોદ્દો મેળવવા ઈચ્છતી સંસ્થાઓ માટેના માપદંડોની રૂપરેખા આપતી માર્ગદર્શિકા બહાર પાડી છે.
|
- વૈજ્ઞાનિક અને તકનીકી સહાય
વિશિષ્ટ વૈજ્ઞાનિક સંસ્થાઓ આ શાસન પ્રણાલીને મજબૂત બનાવે છે. ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ZSI) અને બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા (BSI) પ્રાણી અને વનસ્પતિની વિવિધતાનું દસ્તાવેજીકરણ કરે છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (FSI) સમયાંતરે સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ્સમાં જંગલ અને વૃક્ષોના આવરણનું નકશાંકન કરે છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (NTCA) અને રાજ્યના વન વિભાગો વાઘ અને તેમના રહેઠાણના સંરક્ષણને સહાય કરે છે.
જૈવિક વિવિધતા અધિનિયમ, 2002ની કલમ 39 હેઠળ, દેશભરમાં જૈવિક સંસાધનોની વિવિધ શ્રેણીઓ માટે 20 સંસ્થાઓને રાષ્ટ્રીય ભંડાર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. સુરક્ષિત કસ્ટડી અને દસ્તાવેજીકરણ માટે આ રાષ્ટ્રીય ભંડાર નેટવર્કને વધુ મજબૂત બનાવતા, તાજેતરમાં અન્ય બે મુખ્ય સંસ્થાઓને અધિસૂચિત કરવામાં આવી છે.
સ્થાનિક સંસ્થાઓ વૈશ્વિક જૈવવિવિધતા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સમુદાયની આગેવાની હેઠળના પગલાંની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. દેશભરમાં BMCs લોકોના જૈવવિવિધતા રજિસ્ટર તૈયાર અને અપડેટ કરી રહી છે. આ રજિસ્ટર સમુદાય સ્તરે પ્રજાતિઓ, રહેઠાણો અને પરંપરાગત જ્ઞાનને અંકિત કરે છે. તેઓ સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ માટે સ્થાનિક પ્રાથમિકતાઓને ઓળખવામાં મદદ કરે છે. રજિસ્ટરોને અપડેટ કરવા અને ડિજિટાઇઝ કરવા માટેની રાષ્ટ્રીય ઝુંબેશો આ પાયાના સ્તરને વધુ મજબૂત બનાવી રહી છે. આ સંરચનાએ સંરક્ષિત વિસ્તારો, જંગલ અને વૃક્ષોના આવરણ, પ્રજાતિ સંરક્ષણ અને સ્થાનિક કારભારીપણાં પર તાજેતરના મજબૂત લાભો સક્ષમ કર્યા છે.
- રાષ્ટ્રીય જૈવવિવિધતા સત્તામંડળ ભંડોળ (NBAF)
રાષ્ટ્રીય જૈવવિવિધતા સત્તામંડળ ભંડોળ એ જૈવિક વિવિધતા અધિનિયમની કલમ 27 હેઠળ બનાવવામાં આવેલું એક વૈધાનિક ભંડોળ છે. તે લાભ વહેંચણી અને સંરક્ષણ સંબંધિત ઉપયોગ માટેની પદ્ધતિ પ્રદાન કરીને જૈવવિવિધતા શાસનને વધુ ટેકો આપે છે.
|
નાગોયા પ્રોટોકોલ
નાગોયા, જાપાનમાં CBD ના COP-10 દરમિયાન ઓક્ટોબર 2010માં અપનાવવામાં આવેલ, આ એક કાયદાકીય રીતે બંધનકર્તા પૂરક કરાર છે. તે આનુવંશિક સંસાધનોના ઉપયોગથી થતા લાભોની ન્યાયી અને સમાન વહેંચણીની ખાતરી કરે છે, તેમજ સ્વદેશી અને સ્થાનિક સમુદાયો પાસે રહેલા સંકળાયેલા પરંપરાગત જ્ઞાનની પણ ખાતરી કરે છે.
MoEFCC એ, NBA ના સહયોગથી, નાગોયા પ્રોટોકોલના અમલીકરણ પર ભારતનો પ્રથમ રાષ્ટ્રીય અહેવાલ (NR1) સબમિટ કર્યો છે. આ અહેવાલ ભારત આનુવંશિક સંસાધનોની પહોંચ અને લાભોની ન્યાયી અને સમાન વહેંચણી પરના નિયમોને કેવી રીતે લાગુ કરી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અહેવાલ ઔપચારિક કરારો અને સંબંધિત પગલાં દ્વારા સ્થાનિક સમુદાયો અને પરંપરાગત જ્ઞાન ધરાવનારાઓ તરફ લાભોના વધતા પ્રવાહને રેખાંકિત કરે છે.
|
|
જૈવવિવિધતા નાણાકીય પહેલ
બાયોડાયવર્સિટી ફાઇનાન્સ ઇન્ડિયાની શરૂઆત 2015 માં જૈવવિવિધતા ભંડોળની જરૂરિયાતોને ઓળખવા અને સંરક્ષણ માટે સંસાધનો એકત્રિત કરવા માટે એક નાણાકીય આયોજન પહેલ તરીકે કરવામાં આવી હતી. આ પહેલ UNDP ના વ્યાપક BIOFIN માળખા સાથે જોડાયેલી છે અને સંરક્ષણને આર્થિક રીતે ટકાઉ બનાવવાના ભારતના પ્રયાસને પ્રતિબિંબિત કરે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, BIOFIN-ઇન્ડિયા નાણાં ઓળખવા અને એકત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે NBAF સંરક્ષણ અને લાભ વહેંચણી માટે વૈધાનિક પદ્ધતિ દ્વારા સંસાધનોનું સંચાલન કરે છે. સાથે મળીને, તેઓ આયોજન અને અમલીકરણ બંને દ્વારા ભારતના જૈવવિવિધતા શાસનને મજબૂત કરે છે.
|
- લોકોનું જૈવવિવિધતા રજિસ્ટર (PBR)
લોકોનું જૈવવિવિધતા રજિસ્ટર એ સમુદાયની ભાગીદારીથી તૈયાર કરાયેલ સ્થાનિક જૈવવિવિધતા ડેટાબેઝ છે. તે જૈવિક સંસાધનો, રહેઠાણો, સ્થાનિક જાતિઓ, લોક જાતો, સંવર્ધિત પાક જાતિઓ(કલ્ટીવર્સ), પાલતુ પ્રાણીઓની સ્થાનિક નસ્લો, સુક્ષ્મજીવો અને સંકળાયેલા પરંપરાગત જ્ઞાનની નોંધ રાખે છે. જૈવિક વિવિધતા અધિનિયમ હેઠળ, જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિ સ્થાનિક લોકોની સલાહ લઈને તેને તૈયાર કરે છે.
PBR એ દસ્તાવેજીકરણ, સંરક્ષણ અને લાભ વહેંચણી માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે. દેશભરમાં આવા આશરે 2,72,648 રજિસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે આ સાધને ભારતના જૈવવિવિધતા શાસનમાં વ્યવહારિક મહત્વ મેળવ્યું છે. તે વધુ મજબૂત સંરક્ષણ પગલાં માટેના આધાર તરીકે સ્થાનિક દસ્તાવેજીકરણ પર દેશના ભારને પણ પ્રતિબિંબિત કરે છે.
રાષ્ટ્રીય જૈવવિવિધતા વ્યૂહરચના અને કાર્ય યોજના (NBSAP 2024-2030)
રાષ્ટ્રીય જૈવવિવિધતા વ્યૂહરચના અને કાર્ય યોજના (NBSAP) ભારતને જૈવવિવિધતાના સંરક્ષણ અને તેના ટકાઉ ઉપયોગ માટે લાંબા ગાળાની નીતિગત દિશા પૂરી પાડે છે. તે વૈશ્વિક જૈવવિવિધતા પ્રતિબદ્ધતાઓને ભારતના પર્યાવરણીય અને વિકાસલક્ષી સંદર્ભને અનુરૂપ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓમાં રૂપાંતરિત કરે છે. આ યોજના મંત્રાલયો, સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓ વચ્ચે સંકલિત પગલાંનું માર્ગદર્શન કરવામાં પણ મદદ કરે છે. તે જૈવવિવિધતાના સંરક્ષણ માટે સંપૂર્ણ સરકાર અને સંપૂર્ણ સમાજના અભિગમને પ્રતિબિંબિત કરે છે.
2024 થી 2030 માટેની અપડેટ કરેલી યોજના કુનમિંગ મોન્ટ્રીયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક (KMGBF) સાથે સુસંગત છે, જે તેને મજબૂત આંતરરાષ્ટ્રીય સુસંગતતા આપે છે.
|
કુનમિંગ મોન્ટ્રીયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક (KMGBF)
મોન્ટ્રીયલ, કેનેડામાં CBDના COP15 દરમિયાન અપનાવવામાં આવેલ, ચાઇના અને કેનેડા દ્વારા સહ-અધ્યક્ષતા ધરાવતો, આ એક આંતરરાષ્ટ્રીય કરાર છે જે 196 દેશો દ્વારા ડિસેમ્બર 2022 માં 2030 સુધીમાં જૈવવિવિધતાના નુકસાનને અટકાવવા અને તેને ઉલટાવવા માટે અને 2050 સુધીમાં "પ્રકૃતિ સાથે સુમેળમાં જીવવા" ના વિઝનને પ્રાપ્ત કરવા માટે અપનાવવામાં આવ્યો હતો.
તાજેતરમાં, MoEFCC એ કન્વેન્શનના ઉદ્દેશ્યો પ્રત્યે તેની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરતા, CBD ને ભારતનો સાતમો રાષ્ટ્રીય અહેવાલ (NR-7) સબમિટ કર્યો છે. NR-7 ભારત કન્વેન્શન હેઠળ તેની પ્રતિબદ્ધતાઓને કેવી રીતે લાગુ કરી રહ્યું છે તેનું વ્યાપક, સૂચક-આધારિત રાષ્ટ્રીય મૂલ્યાંકન રજૂ કરે છે. આ અહેવાલ જૈવવિવિધતાની સ્થિતિ, નીતિઓ અને લક્ષ્યો, અને સરકારના વિવિધ ક્ષેત્રો અને સ્તરો પર લેવામાં આવેલા મુખ્ય પગલાં દર્શાવે છે.
|
- નેશનલ રેડ લિસ્ટ રોડમેપ (2025-2030)
નેશનલ રેડ લિસ્ટ રોડમેપ એ ભારતની જૈવવિવિધતા સંરક્ષણ સંરચનાને મજબૂત કરવા અને તેની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને આગળ વધારવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ZSI) અને બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા (BSI) ની આગેવાની હેઠળ, IUCN-ઇન્ડિયા અને સેન્ટર ફોર સ્પીસીઝ સર્વાઇવલ, ઇન્ડિયાના સહયોગથી, આ રોડમેપ રાષ્ટ્રીય સ્તરે સંકલિત, વિજ્ઞાન-આધારિત ભયગ્રસ્ત-પ્રજાતિ મૂલ્યાંકન પ્રણાલી સ્થાપિત કરશે. તે ભારતને સંરક્ષણ પ્રાથમિકતાઓને વધુ અસરકારક રીતે ઓળખવામાં અને નીતિ અને પગલાં માટે વધુ મજબૂત પુરાવા આધાર બનાવવામાં પણ મદદ કરશે.
આ રોડમેપ KMGBF હેઠળ ભારતની વ્યાપક જૈવવિવિધતા પ્રતિબદ્ધતાઓ સાથે સુસંગત છે, ખાસ કરીને 2030 સુધીમાં પ્રજાતિઓની સ્થિતિના મૂલ્યાંકનમાં સુધારો કરવા અને સંરક્ષણ પગલાંનું માર્ગદર્શન કરવાના લક્ષ્ય સાથે.
મુખ્ય સિદ્ધિઓ
ભારતે જૈવવિવિધતા સંરક્ષણમાં સતત પ્રગતિ કરી છે, જેના કારણે જમીન પર દેખીતી રીતે વધુ મજબૂત પરિણામો મળ્યા છે.
જંગલો અને સંરક્ષિત વિસ્તારોનું વિસ્તરણ
ભારતનું કુલ જંગલ અને વૃક્ષોનું આવરણ આશરે 8.27 લાખ ચોરસ કિલોમીટર છે, જે દેશના ભૌગોલિક વિસ્તારના 25.17 ટકાને આવરી લે છે. નોંધાયેલ વન વિસ્તાર આશરે 7.75 લાખ ચોરસ કિલોમીટર છે, જેમાંથી 5.20 લાખ ચોરસ કિલોમીટરથી વધુ વાસ્તવિક વન આવરણ છે. ભારત પાસે 1134 થી વધુ સંરક્ષિત વિસ્તારો પણ છે, જે 1.88 લાખથી વધુ (1,87,592) ચોરસ કિલોમીટરને આવરી લે છે અને દેશભરમાં જટિલ રહેઠાણો અને ઇકોસિસ્ટમ સેવાઓને ટેકો આપે છે.
પ્રજાતિ સંરક્ષણને મજબૂત બનાવવું
ભારતે ફ્લેગશિપ પ્રજાતિઓના સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સફળતા મેળવી છે. વાઘની વસ્તી 2014 માં 2,226 થી વધીને નવીનતમ અંદાજોમાં 3,682 થઈ ગઈ છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ZSI અને BSI જેવી સંસ્થાઓ દ્વારા પ્રજાતિના ડેટાબેઝ અને મોનિટરિંગ સિસ્ટમ્સને પણ મજબૂત કરવામાં આવી રહી છે.
સમુદાય અને શાસનના પરિણામોને વધુ ઊંડા બનાવવા
ભારતે ગ્રામીણ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં દેશભરમાં 2,76,653 થી વધુ BMCsનું વ્યાપક નેટવર્ક સ્થાપિત કર્યું છે. આ સમિતિઓએ દેશભરમાં 2,72,648 થી વધુ લોકોના જૈવવિવિધતા રજિસ્ટર તૈયાર કર્યા છે. આ રજિસ્ટરોને અપડેટ કરવા, ચકાસવા અને ડિજિટાઇઝ કરવા માટે એક રાષ્ટ્રીય ઝુંબેશ પણ ચાલી રહી છે, જે તેમને ePBRs માં ફેરવી રહી છે. આ પ્રયાસ સ્થાનિક પ્રજાતિઓ, રહેઠાણો અને પરંપરાગત જ્ઞાનના દસ્તાવેજીકરણને વ્યવસ્થિત રીતે મજબૂત કરી રહ્યો છે. તે જૈવવિવિધતાના કારભારી તરીકે સમુદાયોને મુખ્ય ભાગીદારો તરીકે સશક્તિકરણ કરવા પર સરકારના ધ્યાનને પણ પ્રતિબિંબિત કરે છે.
ABS મિકેનિઝમ
|
ABS ઇ-ફાઇલિંગ પોર્ટલ
એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ (ABS) ઇ-ફાઇલિંગ પોર્ટલ જૈવવિવિધતા શાસન અને પારદર્શિતાને સુવ્યવસ્થિત કરે છે. તે 30 માર્ચ 2017 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, જૈવિક વિવિધતા નિયમો 2014 ને અનુસરીને, પોર્ટલને અપગ્રેડ કરવામાં આવ્યું છે. અપગ્રેડ કરેલી સેવાઓ પૂરી પાડવાના સતત પ્રયાસોના ભાગરૂપે આ કરવામાં આવ્યું હતું. પોર્ટલ નીચેના લાભો પ્રદાન કરે છે-
- ઓનલાઇન અરજી સબમિશન
- પારદર્શક પ્રોસેસિંગ
- ઝડપી મંજૂરીઓ
- ન્યાયી લાભ વહેંચણી
|
ABSનું અમલીકરણનો આધાર જૈવવિવિધતા અધિનિયમ (BD એક્ટ) માં છે, જે જૈવિક સંસાધનો અને સંકળાયેલા પરંપરાગત જ્ઞાનની પહોંચને નિયંત્રિત કરવા અને સ્થાનિક સમુદાયો સહિત લાભના દાવેદારો સાથે લાભોની ન્યાયી અને સમાન વહેંચણી સુનિશ્ચિત કરવા માટે કાયદાકીય આધાર પૂરો પાડે છે. 2017-2026 દરમિયાન, ભારતે લાભ વહેંચણી અને સંરક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે બનાવેલા સમર્પિત ભંડોળમાંથી તેમના ઉપયોગની મંજૂરીઓથી થતા 12,830 લાભો જારી કર્યા છે. મે 2026 સુધીમાં, દેશભરના લાભાર્થીઓને આશરે રૂ. 145 કરોડની રકમ વિતરિત કરવામાં આવી છે, જેનાથી લગભગ 11,000 જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓને ફાયદો થયો છે.
|
જૈવિક વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2026: એક સ્નેપશોટ
22 મે 2026 ના રોજ, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ (IIFM), ભોપાલ ખાતે આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી અને ચિત્તા સંરક્ષણ પરના એક કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. કાર્યક્રમને સંબોધતા, કેન્દ્રીય મંત્રીએ જૈવિક વિવિધતા પરના કન્વેન્શન અને કુનમિંગ-મોન્ટ્રીયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્કના અમલીકરણ તરફ ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
આ કાર્યક્રમમાં જૈવવિવિધતાના અનેક પ્રકાશનો, ડિજિટલ સાધનો અને આઉટરીચ સામગ્રીઓ બહાર પાડવામાં આવી હતી, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- કસ્ટમાઇઝ્ડ માયસ્ટેમ્પ (ટપાલ ટિકિટોની પર્સનલાઇઝ્ડ શીટ)
- ઇન્ડિયાઝ બાયોડાયવર્સિટી રિપોર્ટ 2026: CBD ને સાતમાં રાષ્ટ્રીય અહેવાલમાંથી આંતરદૃષ્ટિ
- ઇન્ડિયાઝ પ્રોગ્રેસ ઇન ઇમ્પ્લીમેન્ટિંગ ABS: નાગોયા પ્રોટોકોલ પર ભારતના પ્રથમ રાષ્ટ્રીય અહેવાલમાંથી આંતરદૃષ્ટિ
- ABS એન્ડ-ટુ-એન્ડ પોર્ટલ
- એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ પર ફિલ્મ
- અમરકંટક બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ પર ફિલ્મ
- મધ્યપ્રદેશના દેવલોક વંશ (પવિત્ર ઉપવનો-સેક્રેડ ગ્રોવ્સ)ના સંરક્ષણ પર ફિલ્મ
2026ની ઉજવણીએ જૈવવિવિધતા સંરક્ષણ, પર્યાવરણીય પુનઃસ્થાપના અને ટકાઉ વિકાસ પ્રત્યે ભારતની મજબૂત પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. તેણે સમાવેશી વૃદ્ધિ અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતા સાથે પર્યાવરણીય સંરક્ષણને સંતુલિત કરવાના દેશના વિઝનને પણ મજબૂત બનાવ્યું છે.
|
આજના લાભોથી લઈને આવતીકાલના લક્ષ્યો સુધી
ભારતના જૈવવિવિધતા પ્રયાસો હવે કાયદાઓ, સંસ્થાઓ અને સમુદાયની આગેવાની હેઠળના પગલાંના મજબૂત મિશ્રણમાં મૂળ ધરાવે છે, જે CBD હેઠળ વૈશ્વિક માળખા સાથે સુસંગત છે. ભારત જંગલ અને વૃક્ષોના આવરણને મજબૂત કરી રહ્યું છે, સંરક્ષિત વિસ્તારોને વિસ્તારી રહ્યું છે, પ્રજાતિ સંરક્ષણમાં સુધારો કરી રહ્યું છે અને સ્થાનિક રે સંરક્ષણની જવાબદારી તથા ભાગીદારીને વધુ ગાઢ બનાવી રહ્યું છે..
ભવિષ્ય તરફ જોતાં, અદ્યતન વ્યૂહરચનાઓ, સમર્પિત નાણાકીય સહાય અને પારદર્શક રાષ્ટ્રીય રિપોર્ટિંગ જૈવવિવિધતાને ટકાઉ અને સમાવેશી વિકાસના હાર્દમાં રાખે છે. સરકાર 2030 સુધીમાં અને તે પછી પણ સંરક્ષણ પરિણામોને વધુ વધારવા માટે પ્રતિબદ્ધ છે, જેથી સ્વસ્થ પરિસ્થિતિતંત્રો, સુરક્ષિત આજીવિકા અને રાષ્ટ્રીય વૃદ્ધિ એક સકારાત્મક ચક્રમાં એકબીજાને મજબૂત કરે.
સંદર્ભ
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય
જૈવિક વિવિધતા પર કન્વેન્શન
SM/DK/JT
(रिलीज़ आईडी: 2269356)
आगंतुक पटल : 12