યુવા બાબતો અને રમત મંત્રાલય
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ SAI NCoE ગાંધીનગર ખાતે સંકલિત રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું
“નવું ભારત એક એવી રમતગમતની ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે જ્યાં દરેક ખેલાડીને મોટા સપના જોવાની અને દેશ માટે જીતવાની તક મળે છે”: ડૉ. મનસુખ માંડવિયા
"પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતનો રમતગમતનો ઉદય વૈજ્ઞાનિક તાલીમ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેલાડી-કેન્દ્રિત વિકાસ દ્વારા પ્રેરિત છે": ડૉ. માંડવિયા
કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ SAI NCoE ગાંધીનગર ખાતે નેશનલ કોચિંગ કેમ્પમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે વાતચીત કરી
"SAI NCoE ગાંધીનગર ભારતમાં પેરા સ્પોર્ટ્સ માટે અગ્રણી હાઈ-પર્ફોર્મન્સ હબ તરીકે ઉભરી રહ્યું છે": ડૉ. માંડવિયા
પોસ્ટેડ ઓન:
24 MAY 2026 3:30PM by PIB Ahmedabad
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે SAI NCoE ગાંધીનગર ખાતે રમતગમતના અનેક નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું, જે દેશભરમાં વિશ્વ કક્ષાની હાઈ-પર્ફોર્મન્સ સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમ્સના નિર્માણ માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.
મંત્રીએ કેન્દ્ર ખાતે નવનિર્મિત પેરા એથ્લેટ હોસ્ટેલ (પેરા ખેલાડીઓ માટેનું છાત્રાલય), સેન્ટ્રલાઈઝ્ડ ડાઈનિંગ હોલ (કેન્દ્રીય ભોજનાલય), સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ હોલ, મલ્ટિપર્પઝ ટ્રેનિંગ હોલ (બહુહેતુક તાલીમ હોલ) અને મેડિટેશન પાર્ક (ધ્યાન ઉદ્યાન) નું ઉદ્ઘાટન કર્યું હતું.

તાલીમ, રિકવરી (પુનઃપ્રાપ્તિ), પોષણ, સ્પોર્ટ્સ સાયન્સ (રમતગમત વિજ્ઞાન) અને માનસિક સુખાકારીમાં સંકલિત સહાય દ્વારા ખેલાડીઓની તૈયારીઓને મજબૂત કરવા માટે આ સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
ખેલાડીઓ, કોચ અને અધિકારીઓને સંબોધતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતની રમતગમતની ઇકોસિસ્ટમ ખેલાડી-કેન્દ્રિત વિકાસ અને સમાવેશી રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર સાથે પરિવર્તનકારી બદલાવમાંથી પસાર થઈ રહી છે.
મંત્રીએ કહ્યું, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ખરેખર આપણા પેરા-ખેલાડીઓના 'પરમ મિત્ર' છે. તેમના નેતૃત્વ હેઠળ, ભારતે માત્ર દેશભરમાં રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર જ નથી કર્યો, પરંતુ દરેક પેરા-ખેલાડી માટે ગૌરવ, સુલભતા, માન્યતા અને સમાન તકો પણ સુનિશ્ચિત કરી છે.”

વૈશ્વિક રમતગમતમાં ભારતના ઉદય પર પ્રકાશ પાડતા ડૉ. માંડવિયાએ નોંધ્યું હતું કે ભારતે એશિયન પેરા ગેમ્સમાં 111 મેડલ અને પેરાલિમ્પિક્સ 2024 માં રેકોર્ડ 29 મેડલ મેળવ્યા છે, જે દેશની ઝડપથી મજબૂત થઈ રહેલી રમતગમતની ઇકોસિસ્ટમને પ્રતિબિંબિત કરે છે.
તેમણે ટિપ્પણી કરી, “તાજેતરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં અમારું રેકોર્ડબ્રેક પ્રદર્શન એ કોઈ આકસ્મિક સિદ્ધિ નથી. આ ખેલાડીઓમાં સતત રોકાણ, વૈજ્ઞાનિક તાલીમ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારત વૈશ્વિક રમતગમતની મહાસત્તા બની શકે છે તેવા દ્રઢ વિશ્વાસનું પરિણામ છે.”

મંત્રીએ અવલોકન કર્યું કે SAI NCoE ગાંધીનગર, જેને મંત્રાલય દ્વારા ‘પેરા સ્પોર્ટ્સ માટે નોડલ સેન્ટર’ તરીકે નોટિફાય કરવામાં આવ્યું છે, તે પેરા-ખેલાડીઓના વિકાસ માટે દેશના અગ્રણી હાઈ-પર્ફોર્મન્સ કેન્દ્રોમાંનું એક તરીકે ઉભરી રહ્યું છે.
આ કેન્દ્ર હાલમાં પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, પેરા ટેબલ ટેનિસ, પેરા પાવરલિફ્ટિંગ, પેરા સ્વિમિંગ અને પેરા ફેન્સિંગ સહિત છ પેરા સ્પોર્ટ્સ વિષયોને સહાય પૂરી પાડે છે. આ સુવિધાઓનો ઉપયોગ હેન્ડબોલ, કબડ્ડી અને ખો-ખોની તાલીમ માટે પણ કરવામાં આવી રહ્યો છે.
ડૉ. માંડવિયાએ કબડ્ડી, પેરા સ્પોર્ટ્સ, વોલીબોલ અને બાસ્કેટબોલ માટે કેન્દ્ર ખાતે આયોજિત નેશનલ કોચિંગ કેમ્પમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે પણ વાતચીત કરી હતી. તેમણે અવલોકન કર્યું કે ઉચ્ચ સ્તરીય તાલીમ વાતાવરણ અને વૈજ્ઞાનિક સહાય પ્રણાલીઓનો સતત સંપર્ક ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ સહિતની ભાવિ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતની મેડલ જીતવાની સંભાવનાઓને મજબૂત કરશે.

મંત્રીએ ઉમેર્યું, “પેરા એથ્લેટ હોસ્ટેલ, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ હોલ અને સેન્ટ્રલાઈઝ્ડ ડાઈનિંગ હોલ જેવી સુવિધાઓ માત્ર ઇમારતો નથી; તે ભારતના ભાવિ ચેમ્પિયન્સમાં રોકાણ છે. આ સંકલિત હાઈ-પર્ફોર્મન્સ ઇકોસિસ્ટમ્સ આગામી વર્ષોમાં ભારતની રમતગમતની શ્રેષ્ઠતાની યાત્રામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.”
નવા ઉદ્ઘાટન કરાયેલા મલ્ટિપર્પઝ ટ્રેનિંગ હોલનો ઉપયોગ મુખ્યત્વે કબડ્ડીની તાલીમ માટે કરવામાં આવશે અને તે ખેલાડીઓ માટે વર્ષભર ઉચ્ચ-તીવ્રતાની પ્રેક્ટિસ, મેચ સિમ્યુલેશન અને વ્યૂહાત્મક તૈયારીઓમાં મદદરૂપ બનશે તેવી અપેક્ષા છે. આધુનિક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ હોલ વૈજ્ઞાનિક તાલીમ પદ્ધતિઓ દ્વારા ખેલાડીઓનું પ્રદર્શન, સહનશક્તિ, રિકવરી અને ઈજા નિવારણ વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ડૉ. માંડવિયાએ વધુમાં રેખાંકિત કર્યું હતું કે પેરા એથ્લેટ હોસ્ટેલ અને સેન્ટ્રલાઈઝ્ડ ડાઈનિંગ હોલ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની નાણાકીય સહાયથી વિકસાવવામાં આવ્યા છે, જે સમાવેશી રમતગમતના વિકાસ અને પેરા-ખેલાડીઓના કલ્યાણ તરફ ભારત સરકારના સંકલિત અભિગમને દર્શાવે છે.

ખેલાડીઓના સર્વાંગી વિકાસના મહત્વ પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું હતું કે આધુનિક રમતગમતની શ્રેષ્ઠતા માત્ર શારીરિક તૈયારી પર જ નહીં, પરંતુ પોષણ, માનસિક સુખાકારી, શિસ્ત અને રિકવરી પર પણ આધાર રાખે છે. તેમણે નોંધ્યું હતું કે મેડિટેશન પાર્ક અને સેન્ટ્રલાઈઝ્ડ ડાઈનિંગ હોલ જેવી સુવિધાઓ ખેલાડીઓ માટે વ્યાપક હાઈ-પર્ફોર્મન્સ ઇકોસિસ્ટમ બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપશે.
આ ઉદ્ઘાટન સમારોહમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ના વરિષ્ઠ અધિકારીઓ, કોચ, ખેલાડીઓ અને રમતગમત જગતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2264764)
મુલાકાતી સંખ્યા : 50