જળશક્તિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે ગુવાહાટીમાં નેરીવાલ્મ (NERIWALM) ની છઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠકની અધ્યક્ષતા કરી

પોસ્ટેડ ઓન: 19 MAY 2026 5:31PM by PIB Ahmedabad

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરુત્થાન વિભાગ હેઠળની સંસ્થા, નોર્થ ઇસ્ટર્ન રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ (NERIWALM) ની ગવર્નિંગ બોડીની છઠ્ઠી બેઠક આજે ગુવાહાટીમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગવર્નિંગ બોડી, NERIWALM ના પ્રમુખ શ્રી સી. આર. પાટિલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

બેઠક શરૂ થતાં પહેલાં, શ્રી સી. આર. પાટીલે નેરીવાલ્મના નવનિર્મિત ઇન્ટરનેશનલ હોસ્ટેલ-કમ-ગેસ્ટ હાઉસનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું, જે સંસ્થાના માળખાકીય સંસાધનો અને શૈક્ષણિક સુવિધાઓને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

ગવર્નિંગ બોડીએ સંસ્થાની સિદ્ધિઓની સમીક્ષા કરી હતી, મુખ્ય સંસ્થાકીય બાબતોને મંજૂરી આપી હતી અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં જળ અને જમીન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટેની ભવિષ્યની વ્યૂહરચનાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી. ગવર્નિંગ બોડીએ નાણાકીય વર્ષ 2024–25 માટેના વાર્ષિક અહેવાલ અને ઓડિટેડ હિસાબોને મંજૂરી આપી હતી અને ક્ષમતા નિર્માણ, સંશોધન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં નેરીવાલ્મની સતત પ્રગતિની પ્રશંસા કરી હતી.

વર્ષ દરમિયાન, નેરીવાલ્મે 71 તાલીમ કાર્યક્રમોનું આયોજન કરીને તેના તાલીમ લક્ષ્યાંકો કરતાં વધુ સિદ્ધિ મેળવી હતી, જેનાથી 2,800 થી વધુ સહભાગીઓને ફાયદો થયો હતો, જ્યારે વોટર રિસોર્સ મેનેજમેન્ટમાં તેના વિશિષ્ટ એમ.ટેક. (M.Tech.) અને પીએચ.ડી. (Ph.D.) કાર્યક્રમો ચાલુ રાખ્યા હતા.

ગવર્નિંગ બોડીએ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન (MoA) માં મહત્વપૂર્ણ સુધારાઓ પર પણ વિચારણા કરી હતી, જેમાં દર પાંચ વર્ષના બદલે દર ત્રણ વર્ષે અચીવમેન્ટ રિવ્યૂ કમિટીના મૂલ્યાંકન હાથ ધરવાની દરખાસ્ત અને શૈક્ષણિક શાસનને વધુ મજબૂત કરવા માટે ટેકનિકલ એડવાઇઝરી કમિટી (TAC) નું નામ બદલીને એકેડેમિક એડવાઇઝરી કમિટી (AAC) કરવાનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં આસામમાં ટકાઉ સિંચાઈ વિકાસ, બ્રહ્મપુત્રાના પાણીના ડાયવર્ઝનની આર્થિક અસરો, જળ સંચય આયોજન અને ઉત્તર પૂર્વ ભારતમાં પરંપરાગત જળ વ્યવસ્થાપન પદ્ધતિઓ પરના અભ્યાસ સહિત બાહ્ય ભંડોળ ધરાવતા પ્રોજેક્ટ્સમાં નેરીવાલ્મની વિસ્તરી રહેલી ભૂમિકાની સમીક્ષા કરવામાં આવી હતી.

એક મુખ્ય કાર્યસૂચિમાં પ્રદેશમાં સંશોધન, ક્ષેત્ર પ્રદર્શનો અને સિંચાઈ ટેકનોલોજીના પ્રસારને વધારવાના હેતુથી સિંચાઈ ક્ષેત્ર પ્રયોગશાળા અને પ્રદર્શન ફાર્મની સ્થાપનાનો પ્રસ્તાવ શામેલ હતો.

ગવર્નિંગ બોડીએ એમ.ટેક. અને પીએચ.ડી. ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સહાય, ફેકલ્ટી વિકાસ, સંશોધન ક્ષમતાઓને મજબૂત કરવા અને જળ સંસાધન વ્યવસ્થાપનમાં આબોહવા તેમજ જીઆઈએસ (GIS) આધારિત એપ્લિકેશન્સમાં અભ્યાસને આગળ વધારવા સંબંધિત ભલામણો પર પણ ચર્ચા કરી હતી.

વધુમાં, બેઠકમાં બ્રહ્મપુત્રા ખીણમાં ધોવાણ પ્રભાવિત પરિવારો દ્વારા સામનો કરવામાં આવતા આજીવિકાના પડકારો પરના એક મહત્વપૂર્ણ અભ્યાસના તારણોની સમીક્ષા કરવામાં આવી હતી અને વિસ્થાપિત સમુદાયો માટે ટકાઉ પુનર્વસન અને આજીવિકાના હસ્તક્ષેપો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં ઉભરી રહેલા પડકારોનો સામનો કરવા માટે વૈજ્ઞાનિક જળ વ્યવસ્થાપન, ક્ષેત્રીય ક્ષમતા નિર્માણ અને રાજ્યોના વધુ જોડાણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જળ અને જમીન વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતાના કેન્દ્ર (સેન્ટર ઓફ એક્સેલન્સ) તરીકે નેરીવાલ્મની ભૂમિકાને મજબૂત કરવા માટે મંત્રાલયની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ બેઠક નેરીવાલ્મના ડિરેક્ટર અને ગવર્નિંગ બોડીના સભ્ય સચિવ ડૉ. ઉજ્જલ મણિ હજારિકા દ્વારા આભાર દર્શન સાથે સમાપ્ત થઈ હતી.

IJ/BS/JD


(રીલીઝ આઈડી: 2262905) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Assamese , Tamil