રાજ્યસભા સચિવાલય
azadi ka amrit mahotsav

શ્રીમતી મોહસિના કિડવાઈ અને શ્રીમતી આશા ભોંસલેના અવસાન પર રાજ્યસભાના માનનીય અધ્યક્ષ શ્રી સી. પી. રાધાકૃષ્ણન દ્વારા આજે ગૃહમાં આપવામાં આવેલા શોક પ્રસ્તાવના લખાણનો મૂળપાઠ

પોસ્ટેડ ઓન: 16 APR 2026 3:22PM by PIB Ahmedabad

અધ્યક્ષ: માનનીય સભ્યો, હું આ ગૃહના ભૂતપૂર્વ સભ્ય શ્રીમતી મોહસિના કિડવાઈજીના 8 એપ્રિલ, 2026ના રોજ 94 વર્ષની વયે થયેલા અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. તેમણે 2004 થી 2010 અને 2010 થી 2016 સુધી એમ બે ટર્મ માટે છત્તીસગઢ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી.

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં 1 જાન્યુઆરી, 1932 ના રોજ જન્મેલા, શ્રીમતી મોહસિના કિડવાઈજીએ નાની ઉંમરે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો અને છ દાયકાથી વધુની વિશિષ્ટ રાજકીય કારકિર્દી ધરાવતા હતા. તેમની તેજસ્વી કારકિર્દી દરમિયાન, તેમને ચાર અલગ-અલગ વિધાનમંડળો - ઉત્તર પ્રદેશ વિધાનમંડળના બંને ગૃહો અને સંસદના બંને ગૃહોમાં સેવા આપવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું.

શ્રીમતી મોહસિના કિડવાઈજીએ ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી તરીકે અને અનેક વિભાગો સંભાળતા કેન્દ્રીય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેમણે જાહેર જીવનમાં અને સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

તેમના અવસાનથી દેશે એક અનુભવી ધારાસભ્ય, કુશળ વહીવટકર્તા અને પ્રતિષ્ઠિત સંસદસભ્ય ગુમાવ્યા છે.

અધ્યક્ષ: માનનીય સભ્યો, અત્યંત દુઃખ સાથે, હું ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને બહુમુખી પાર્શ્વ ગાયકોમાંના એક શ્રીમતી આશા ભોંસલેજીના 12 એપ્રિલ, 2026 ના રોજ 92 વર્ષની વયે થયેલા અવસાનનો ઉલ્લેખ કરું છું.

મહારાષ્ટ્રના સાંગલીમાં 8 સપ્ટેમ્બર, 1933 ના રોજ જન્મેલા શ્રીમતી આશા ભોંસલેજીએ સંગીત અને સિનેમાની દુનિયામાં પોતાના માટે એક અજોડ સ્થાન બનાવ્યું હતું. આઠ દાયકાથી વધુની કારકિર્દી સાથે, તેમણે અનેક ભારતીય ભાષાઓમાં હજારો ગીતોને પોતાનો મધુર અવાજ આપ્યો, જેણે ભારતીય સંગીતના ફલક પર એક અમીટ છાપ છોડી દીધી છે.

સંગીત ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનની કદરમાં, તેમને પદ્મ વિભૂષણ, દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને નેશનલ ફિલ્મ એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો, તેમજ અસંખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. તેઓ ઉભરતા કલાકારો માટે પ્રેરણા સ્ત્રોત અને સમર્પણ, શ્રેષ્ઠતા અને કલાત્મક તેજસ્વીતાનું પ્રતીક બની રહ્યા હતા.

તેમના દુઃખદ અવસાનથી, દેશે એક સુપ્રસિદ્ધ અવાજ, એક અજોડ કલાકાર અને સાંસ્કૃતિક આઇકોન ગુમાવ્યા છે જેમનો વારસો આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.

અમે શ્રીમતી મોહસિના કિડવાઈ અને શ્રીમતી આશા ભોંસલેના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ.

હું સભ્યોને વિનંતી કરું છું કે તેઓ પોતપોતાની જગ્યાએ ઉભા થાય અને દિવંગતોની સ્મૃતિમાં મૌન પાળે.

(મૌન પાળ્યા પછી)

અધ્યક્ષ: મહારજિસ્ટ્રાર (Secretary-General) શોકગ્રસ્ત પરિવારોના સભ્યોને આપણી ઊંડા શોકની લાગણી અને હૃદયપૂર્વકની સહાનુભૂતિ પહોંચાડશે.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2252586) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Telugu