PIB Headquarters
AIIM થી IGH સુધી, યુવા ફાર્માસિસ્ટ પ્રિસ્ક્રિપ્શનને શક્યતાઓમાં ફેરવી રહ્યા છે
યુવા નેતૃત્વ હેઠળના જનઔષધિ કેન્દ્રો કરુણાપૂર્ણ આરોગ્યસંભાળને શક્તિ આપી રહ્યા છે
પોસ્ટેડ ઓન:
06 MAR 2026 10:52AM by PIB Ahmedabad
ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ના વ્યસ્ત પરિસરમાં, પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર (PMBJP) ખાતે પરિવર્તનનો શાંત પણ મજબૂત પ્રવાહ અનુભવી શકાય છે. હોસ્પિટલના લાંબા કોરિડોર અને ચિંતાતુર પગલાઓ વચ્ચે, યુવા ફાર્માસિસ્ટ ખાતરીના સ્તંભ તરીકે ઉભા છે, પ્રિસ્ક્રિપ્શનોને રાહતમાં અને ખર્ચને આરામમાં ફેરવે છે.



સંગીતા, એક યુવાન સિનિયર ફાર્માસિસ્ટ, ઓક્ટોબર 2024 માં કેન્દ્ર ખુલ્યું ત્યારથી જનઔષધિ મિશનનો ભાગ છે. તે લોકોની સેવા કરવાની ઇચ્છા સાથે જનઔષધિ કેન્દ્રમાં જોડાઈ હતી. દરરોજ સવારે, તે નવા સમર્પણ સાથે, પોતાનું શ્રેષ્ઠ આપવા માટે તૈયાર, કેન્દ્રમાં પ્રવેશ કરે છે.
તેની દિનચર્યામાંથી એક હૃદયસ્પર્શી અવલોકન શેર કરે છે:
"જ્યારે દર્દીઓ હાથમાં ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લઈને કેન્દ્રમાં આવે છે, ત્યારે તેઓ ઘણી વાર થાકેલા અને ચિંતિત દેખાય છે. ચીઠ્ઠી આપતી વખતે, દવાઓના ખર્ચનો બોજ તેમના ખિસ્સા પર પડશે તેવો એક મૌન ડર તેમની આંખોમાં ઝળકે છે.પરંતુ, પોસાય તેવી કિંમતોની જાણ થતાં જ, તેમને અનુભવાય છે કે તેમનો અડધો તણાવ ઓછો થઈ ગયો છે.તેમની આંખોમાં ચમક આવે છે, અને તેઓ સ્મિત સાથે વિદાય લે છે. તે સ્મિત આપણને આશા આપે છે.


આ કેન્દ્ર દરરોજ આશરે 150-200 ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. સવારનો સમય ખાસ કરીને ભીડભાડવાળો હોય છે, વહેલી સવારથી જ લાંબી કતારો લાગી જાય છે. સંગીતાની સાથે, મોટે ભાગે યુવાન સ્ટાફના સભ્યો, સેવા સુગમ રહે તે સુનિશ્ચિત કરવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે. તેઓ પ્રિસ્ક્રિપ્શનો તપાસે છે, ઈન્વેન્ટરીનું સંચાલન કરે છે, દવાઓનું બિલ કાઢે છે અને દર્દીઓને ધીરજપૂર્વક માર્ગદર્શન આપે છે. કાર્યપ્રણાલી ઝડપી છે, પરંતુ સર્વ માટે પોષણક્ષમ આરોગ્યસેવા એ અમારો અડગ ઉદ્દેશ છે.


તાજેતરમાં ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કરનાર યુવાન ફાર્માસિસ્ટ વરુણ અગ્રવાલમાં સમાન સેવાભાવ દેખાઈ રહ્યો છે. તેમના શૈક્ષણિક વર્ષો દરમિયાન, તેમણે જનઔષધિ પહેલ વિશે જાણ્યું અને આ મિશનમાં યોગદાન આપવાનો દ્રઢ નિર્ણય લીધો. આજે તેઓ કેન્દ્રમાં ગૌરવભેર સેવા આપી રહ્યા છે. અગાઉના સમયની સરખામણીમાં, લોકો હવે દવાઓ અને જેનરિક વિકલ્પો વિશે ઘણા વધુ સજાગ બન્યા છે,વરિષ્ઠ નાગરિકો, ખાસ કરીને, આશાભરી નજરે અમારી તરફ જુએ છે. અમે તેમને મદદ કરવા અને દરેક બાબત સ્પષ્ટ રીતે સમજાવવા અમારી યથાશક્તિ પ્રયાસ કરીએ છીએ.તેમનો વિશ્વાસ દરરોજ અમને પ્રેરણા આપે છે.


ઇન્દિરા ગાંધી હોસ્પિટલ ખાતેના જન ઔષધિ કેન્દ્રના ફાર્માસિસ્ટ અને મેનેજર પિયુષ આ મિશનનો ભાગ બનવાને ગૌરવની વાત માને છે. દરરોજ, કેન્દ્રમાં આશરે 150થી 200 ગ્રાહકો રહે છે, જે સુલભ આરોગ્યસંભાળમાં વ્યક્તિઓનો વધતો વિશ્વાસ દર્શાવે છે. તેઓ કહે છે, પ્રવેશ કરનાર દરેક વ્યક્તિ કોઈક વ્યથા લઈને આવે છે, અને બહાર જનાર દરેક વ્યક્તિ રાહત લઈને જાય છે. આ કાર્યને ખરા અર્થમાં સાર્થક બનાવે છે તે રૂપાંતરણ છે.


ઈન્દિરા ગાંધી હોસ્પિટલ (આઈજીએચ) માં આવેલ જનઔષધિ કેન્દ્ર ખાતે, અન્ય એક યુવાન ફાર્માસિસ્ટ હિમાંશુ કુમાર પણ પ્રતિબદ્ધતાની આવી જ એક સમાન ગાથા રજૂ કરે છે. લોકોને મદદ કરવા અને તેમની સેવા કરવાના એક સરળ છતાં શક્તિશાળી ધ્યેયથી પ્રેરિત થઈને, તે દરરોજ કેન્દ્ર પર ચાલીને જાય છે. તેમની સાથે, અન્ય ચાર યુવાન ટીમના સભ્યો કામગીરીનું સંચાલન કરે છે: બે બિલિંગ સંભાળે છે અને બે વિતરણનું નિરીક્ષણ કરે છે.
દિલ્હીમાં, લગભગ 600 જનઔષધિ કેન્દ્રોમાંથી, આશરે 70% કર્મચારીઓ યુવાનો છે, જે આ સેવાઓ પૂરી પાડવામાં યુવાનોની મજબૂત ભૂમિકા દર્શાવે છે. તે એવી જગ્યાઓ છે જ્યાં ચિંતા આશ્વાસનમાં રૂપાંતરિત થાય છે, જ્યાં આર્થિક સુલભતા ગરિમા પુનર્સ્થાપિત કરે છે, અને જ્યાં યુવાન વ્યાવસાયિકો તેમની કારકિર્દીને અર્થપૂર્ણ સેવામાં રૂપાંતરિત કરે છે. એક રાહત અનુભવતા દર્દીની ચમકતી આંખો અને એક યુવાન ફાર્માસિસ્ટના આત્મવિશ્વાસપૂર્ણ પગલાંમાં જ જનઔષધિનો સાચો ભાવ મૂર્તિમંત થાય છે – એવી કાળજી જે સુધારેલા સ્વાસ્થ્ય અને નવી આશા સાથે ઉપચાર કરે છે.
સંદર્ભો
રસાયણ અને ખાતર મંત્રાલય
પીડીએફ જોવા માટે અહીં ક્લિક કરો
(રીલીઝ આઈડી: 2235923)
મુલાકાતી સંખ્યા : 19