કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના છઠ્ઠા દિવસે પુણેના નારાયણગાંવ ખાતે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો


સરકાર નકલી ખાતર કે જંતુનાશકો બનાવતી કોઈપણ કંપની કે વ્યક્તિ સામે કાર્યવાહી કરવા અને ખેડૂતોને તે પૂરા પાડવા માટે કડક કાયદો ઘડવા તરફ આગળ વધી રહી છે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

"કૃષિ વૈજ્ઞાનિકોએ ખેતરોની મુલાકાત લેવી જોઈએ અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરવો જોઈએ જેથી તેઓ તેમના ખેતરો અને પેદાશોની જરૂરિયાતો અનુસાર માર્ગદર્શન આપી શકે"

"મહારાષ્ટ્રના ખેડૂતો પ્રગતિશીલ છે અને તેમણે જાતે સંશોધન કર્યું છે અને ખેતીનું આધુનિકીકરણ સુનિશ્ચિત કર્યું છે"

Posted On: 03 JUN 2025 3:45PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના છઠ્ઠા દિવસે આજે મહારાષ્ટ્રના પુણેના નારાયણગાંવ તાલુકા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ખાતે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. દિવસની શરૂઆતમાં, કેન્દ્રીય મંત્રીએ નારાયણગાંવ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC) અને ટામેટા બજાર, સ્થાનિક ખેતરો અને એક કોલ્ડ સ્ટોરેજ સુવિધાની મુલાકાત લીધી, જ્યાં તેમણે ટામેટા અને અન્ય કૃષિ ઉત્પાદનો ઉગાડતા સ્થાનિક ખેડૂતો સાથે વાતચીત કરી હતી.

શ્રી ચૌહાણે KVK નારાયણગાંવ ખાતે કૃષિ ઉદ્યોગસાહસિકોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે કૃષિ વિભાગના વૈજ્ઞાનિકોને ખેતરોમાં જઈને ખેડૂતો સાથે વાતચીત કરવા અને તેમની સમસ્યાઓ સમજવા વિનંતી કરી હતી. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના ઉદ્દેશ્યો પર ભાર મૂકતા, તેમણે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધિ વિના વિકસિત ભારત લાવી શકાતું નથી. તેથી, કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવો પડશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં 16,000 કૃષિ વૈજ્ઞાનિકો છે. જે આ ક્ષેત્રના વિકાસ માટે કામ કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો ખેતરોમાં મહેનત કરે છે, ત્યારે વૈજ્ઞાનિકો ફક્ત પ્રયોગશાળાઓમાં કામ કરી શકે નહીં. તેથી, વૈજ્ઞાનિકો અને ખેડૂતોએ આ ક્ષેત્રના લાભ માટે વાતચીત કરવી પડશે એમ મંત્રીએ ઉમેર્યું હતું.

જંતુનાશકો અને ખાતરોના સાચા અને સંતુલિત ઉપયોગ વિશે બોલતા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર એક કડક કાયદો બનાવવા તરફ પણ આગળ વધી રહી છે. જેના દ્વારા કોઈપણ કંપની અથવા વ્યક્તિ જે નકલી ખાતરો અથવા જંતુનાશકો બનાવતા અને ખેડૂતોને સપ્લાય કરતા પકડાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

શ્રી ચૌહાણે TOP પાક (ટામેટા, ડુંગળી, બટાકા) માટે નવી બજાર હસ્તક્ષેપ યોજના (MIS) વિશે પણ માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો બટાકા, ડુંગળી અને ટામેટાનું ઉત્પાદન કરતા ખેડૂતો બીજા રાજ્યમાં જાય છે જ્યાં તેમને તેમના વિસ્તારની તુલનામાં તેમના ઉત્પાદન માટે વધુ ભાવ મળી રહ્યા છે, તો આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર પરિવહનનો સંચાલન ખર્ચ ભોગવશે. ખેડૂતોને નફાકારક ભાવ સુનિશ્ચિત કરવા અને બજારમાં ગ્રાહકો માટે TOP પાકના ભાવ નરમ કરવા માટે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સરકારોની વિનંતી પર MIS હાથ ધરવામાં આવે છે.

શ્રી ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં ઘણું કામ થઈ રહ્યું છે અને ખેડૂતોએ ઘણી નવીનતાઓ કરી છે. ઉત્પાદકતામાં વધારો થયો છે, વિવિધ પ્રકારના ખેત ઉત્પાદનો વિકસાવવામાં આવ્યા છે અને નિકાસ પણ વધી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. શ્રી ચૌહાણે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતો પ્રગતિશીલ છે અને તેમણે જાતે સંશોધન કર્યું છે અને ખેતીની પદ્ધતિઓમાં આધુનિકીકરણ સુનિશ્ચિત કર્યું છે. તેમણે રાજ્યમાંથી દ્રાક્ષ અને કેળાની નિકાસ થવા અંગે ખુશી વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ કહ્યું કે આબોહવા પરિવર્તન કૃષિ ક્ષેત્ર માટે ચિંતાનો વિષય છે અને તમામ હિસ્સેદારોને આબોહવા પરિવર્તનનો સામનો કરીને કૃષિ ક્ષેત્ર કેવી રીતે પ્રગતિ કરી શકે તે અંગે વિચારવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ખેડૂતોને ઉચ્ચ તાપમાન, કમોસમી વરસાદ અને અન્ય જોખમોથી તેમના પાકને કેવી રીતે બચાવવા અને ખાતરો અને જંતુનાશકોનો યોગ્ય ઉપયોગ કરવો તે અંગે વૈજ્ઞાનિકો પાસેથી સમયસર સલાહની જરૂર છે. તેમણે ઉમેર્યું કે વૈજ્ઞાનિકો ખેડૂતોને તેમના ખેતરો અને પેદાશોની જરૂરિયાતો અનુસાર માર્ગદર્શન આપી શકે છે. શ્રી ચૌહાણે વૈજ્ઞાનિકોને લાંબો સમય તકે એવી ટમેટા અને દ્રાક્ષની જાતો વિકસાવવા અને પ્રક્રિયાની દિશામાં સંશોધન કરવા પણ નિર્દેશ આપ્યો. શ્રી ચૌહાણે એમ પણ કહ્યું કે વિસ્તારવાર ફાર્મ રોડ મેપ તૈયાર કરવામાં આવશે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને કૃષિ અને ખેડૂતોની પ્રગતિ માટે કામ કરશે.

આ વાતચીત દરમિયાન, ખેડૂતોએ કેન્દ્રીય મંત્રી સમક્ષ પોતાની ચિંતાઓ રજૂ કરી અને MSP, કમોસમી વરસાદને કારણે ખેતપેદાશોનું નુકસાન, આબોહવા પરિવર્તનની ખેતી પર અસર, સમયસર ખેતીના સાધનો અને બિયારણો મેળવવા, સારી કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ, કૃષિ-પ્રક્રિયા કેન્દ્રોની ઉપલબ્ધતા અને અન્ય મહત્વપૂર્ણ બાબતો પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકારના કૃષિ મંત્રી શ્રી માણિકરાવ કોકાટે, સાંસદ શ્રી અમોલ કોલ્હે, ધારાસભ્ય શ્રી શરદ સોનાવણે, અધિક સચિવ (ખેડૂત કલ્યાણ/ડિજિટલ કૃષિ/સીઈઓ (પીએમ-કિસાન)) શ્રી ફ્રેન્કલિન એલ. ખોબુંગ, ICAR-KVK નારાયણગાંવ કૃષિરત્ન અનિલ જી. મહેર, ICAR-કૃષિ ટેકનોલોજી એપ્લિકેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ATARI) ના ડિરેક્ટર ડૉ. એસ.કે. રોય, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (બાગાયતી વિજ્ઞાન) ડૉ. એસ.કે. સિંહ, મહારાષ્ટ્ર સરકારના કમિશનર (કૃષિ) શ્રી સૂરજ માંધારે સહિત કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતોનો સમાવેશ થતો હતો.

AP/IJ/GP/JD


(Release ID: 2133545)