ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના જૂનાગઢમાં બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
બ્રહ્માનંદ વિદ્યાધામમાં 4૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે આંગણવાડીથી લઈને મેડિકલ કોલેજ સુધીની સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થા પ્રશંસનીય છે
અગાઉની સરકારો વોટબેન્કના ડરથી દેશની સમસ્યાઓને પડતર રાખતી હતી, મોદીજીએ તમામ પડતર પ્રશ્નો ઉકેલ્યા
દેશની સુરક્ષા એ મોદી સરકારની પ્રથમ ફરજ છે, અને દેશની સુરક્ષામાં સરકાર ક્યારેય કોઈ ઉણપ નહીં છોડે
શ્રી મુક્તાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ નાના એવા ગામમાં 450 બેડની હોસ્પિટલ, વેટરનરી હોસ્પિટલ, નેચરોપેથી સેન્ટર, મિલિટરી સ્કૂલ અને આનંદ ધરા પ્રોજેક્ટ સહિતની અનેક પહેલો શરૂ કરવામાં આવી છે
Posted On:
08 MAR 2025 7:46PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના જૂનાગઢમાં બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
23QC.JPG)
કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પૂજ્ય સંત શ્રી મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે 4૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે આંગણવાડીથી લઈને મેડિકલ કોલેજ સુધીની સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થા પ્રશંસનીય છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન, સુગર મીલનું ખાતમુહૂર્ત અને લશ્કરી શાળાનું લોકાર્પણ થયું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અગાઉની સરકારોએ વોટબેંકનાં ડરથી દેશની સમસ્યાઓને વિલંબિત રાખી હતી. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી, ત્રણ તલાકની જોગવાઈ ખતમ કરવી, સમાન નાગરિક સંહિતા, સીએએ અને રામ મંદિર નિર્માણ જેવા મહત્વના મુદ્દાઓ પેન્ડિંગ રહ્યા હતા. પરંતુ જ્યારે ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીજીએ 10 વર્ષની અંદર દેશની કમાન સંભાળી તો તેમણે તમામ પડતર પ્રશ્નોને ઉકેલ્યા. શ્રી શાહે જણાવ્યું હતું કે, 550 વર્ષ બાદ ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે, તંબૂમાંથી બહાર નીકળી રહ્યા છે. ઔરંગઝેબે જે કાશી વિશ્વનાથ કોરિડોરને નષ્ટ કરી નાખ્યો હતો, તેને ફરીથી બનાવવામાં આવ્યો છે. આક્રમણખોરો દ્વારા વારંવાર નાશ પામેલા સોમનાથ મંદિરે પણ સોનાથી જીર્ણોદ્ધારની કામગીરી શરૂ કરી છે.
H9O8.JPG)
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, દેશની સુરક્ષા મોદી સરકારની પહેલી ફરજ છે. તેમણે ખાતરી આપી હતી કે, દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સરકાર ક્યારેય કોઈ ઉણપ છોડશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે વિરોધ પક્ષ સત્તામાં હતો, ત્યારે તેમણે દેશની સુરક્ષાની અવગણના કરી હતી. પાકિસ્તાનથી આતંકવાદીઓ આવતા, બોમ્બ બ્લાસ્ટ કરીને જતા રહેતા, પરંતુ કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે, જ્યારે વર્ષ 2014માં મોદીજી પ્રધાનમંત્રી બન્યાં હતાં, ત્યારે વર્ષ 2015માં ઉરી અને પુલવામામાં હુમલા થયા હતા. પાકિસ્તાનના આતંકવાદીઓને કદાચ એ વાતનો અહેસાસ નહોતો કે પ્રધાનમંત્રી અને સરકાર બદલાઈ ગઈ છે અને શ્રી નરેન્દ્ર મોદીજી હવે પ્રધાનમંત્રી હતા. મોદીજીના નેતૃત્વમાં 10 દિવસની અંદર સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઇક કરવામાં આવી, પાકિસ્તાનના વિસ્તારમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો. તે દિવસથી, આખું વિશ્વ સમજી ગયું હતું કે ભારતીય સૈન્ય તેની સરહદોની સુરક્ષા માટે મજબૂત રીતે ઉભું છે, અને જે લોકો તેની વિરુદ્ધ હિંમત કરે છે તેમને પરિણામ ભોગવવું પડશે.
H47M.JPG)
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ દેશમાં 60થી 70 કરોડ લોકો ખેતી પર નિર્ભર છે, પણ અગાઉની સરકાર ખેડૂતો અને કૃષિ એમ બંને પ્રત્યે ઉદાસીન હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તત્કાલીન સરકારે વર્ષ 2013-14નાં બજેટમાં કૃષિ માટે ફક્ત રૂ. 22,000 કરોડની ફાળવણી કરી હતી, પણ આજે મોદીજીનાં નેતૃત્વમાં કૃષિ ક્ષેત્ર માટે બજેટ છ ગણું વધારીને રૂ. 1.37 લાખ કરોડ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, મોદીજીએ ખેડૂતોને રૂ.25 લાખ કરોડની લોન પ્રદાન કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આજે શિક્ષણને લગતો કાર્યક્રમ યોજાયો હતો, જે દરમિયાન મિલિટરી સ્કૂલનું ઉદ્ઘાટન યોજાયું હતું. આ ઉપરાંત મિલિટરી સ્કૂલના સ્ટાફ ક્વાર્ટર્સ, બ્રહ્માનંદ વિદ્યાધામના સ્ટાફ ક્વાર્ટર્સ, જય અંબે હોસ્પિટલના વિવિધ પ્રોજેક્ટ અને મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, શ્રી મુક્તાનંદ બાપુ ઘણાં વર્ષોથી નિઃસ્વાર્થભાવે સેવા કરે છે અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને હંમેશા મદદ કરે છે. આજે તેમના માર્ગદર્શન હેઠળ નાના એવા ગામમાં 450 બેડની હોસ્પિટલ, વેટરનરી હોસ્પિટલ, બાળકોની સંસ્થાઓ, નેચરોપથી સેન્ટર, મિલિટરી સ્કૂલ અને આનંદ ધારા પ્રોજેક્ટ સહિતની અનેક પહેલો શરૂ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, શ્રી મુક્તાનંદ બાપુએ કુંભ દરમિયાન દરરોજ 25,000 લોકોને ભોજન કરાવ્યું હતું. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મહાકુંભે સમગ્ર વિશ્વને સનાતનનો મજબૂત સંદેશ આપ્યો છે, જે આવનારા ઘણાં વર્ષો સુધી યાદ રહેશે.
AP/IJ/GP/JD
(Release ID: 2109519)
Visitor Counter : 139