વહાણવટા મંત્રાલય

શ્રી સર્બાનંદ સોનોવાલે લોથલ ખાતે નિર્મિત થઈ રહેલા વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ મ્યુઝિયમ કોમ્પ્લેક્સની પ્રગતિની સમીક્ષા કરી


નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) ભારતના વૈવિધ્યસભર દરિયાઇ ઇતિહાસને શીખવા અને સમજવા માટેનું કેન્દ્ર બનશે

રૂ.4500 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ આ NMHC કોમ્પ્લેક્સ 400 એકર વિસ્તારમાં ફેલાયેલું હશે

NMHC કોમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ, એશિયાનું સૌથી મોટું અંડર વોટર મરીન મ્યુઝિયમ અને ભારતનું સૌથીં ભવ્ય નેવલ મ્યુઝિયમ બનાવવામાં આવશે

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, NMHCને વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ મ્યુઝિયમ કોમ્પ્લેક્સ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે: શ્રી સર્બાનંદ સોનોવાલ કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી

Posted On: 02 JUL 2023 5:45PM by PIB Ahmedabad

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે ગુજરાતના ગાંધીનગરમાં લોથલ ખાતે નિર્મિત થઈ રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ મીટિંગમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, માનનીય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા; માનનીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ તેમજ પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ યેસો નાઇક અને માનનીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્ય મંત્રી શ્રી શાંતનુ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.

મીટિંગ દરમિયાન સંરક્ષણ મંત્રાલય (ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડ) સાથે એક દરિયાઇ ગેલેરી: “ધ જર્ની ઓફ ઇન્ડિયન નેવી એન્ડ કોસ્ટ ગાર્ડ ” (ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડની યાત્રા) માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

મીટિંગ દરમિયાન કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું, ‘આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NHMC) વિકસિત કરી રહ્યું છે. આ કોમ્પ્લેક્સ ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરશે. NMHC એ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના સાગરમાલા પ્રોગ્રામના મુખ્ય પ્રોજેક્ટ્સમાંનું એક છે અને તે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ કોમ્પ્લેક્સ હશે.’

તેમણે એમ પણ કહ્યું કે, ‘'NMHC ભારતના વૈવિધ્યસભર દરિયાઈ ઇતિહાસને શીખવા અને સમજવા માટેના એક કેન્દ્ર તરીકે કામ કરશે અને ભારતનો સામાન્ય માણસ તેનો ઇતિહાસ સરળતાથી સમજી શકે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.’ શ્રી સોનોવાલે પ્રોજેક્ટના વિકાસમાં સતત સહયોગ આપવા બદલ ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટની પ્રગતિ અંગે પોતાની ખુશી વ્યક્ત કરી છે અને રાજ્યને સોંપવામાં આવેલી વિવિધ જવાબદારીઓ નિભાવવામાં ગુજરાત તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે.

માનનીય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પણ ગુજરાત સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તમામ લોકોને વધુ સંકલન કરવા માટે નિર્દેશ આપ્યા હતા.

ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 375 એકર જમીન ફાળવી છે. આ ઉપરાંત, સ્ટાફ ક્વાર્ટર્સના વિકાસ માટે વધારાની 25 એકર જમીન ફાળવવામાં આવી છે; રાજ્ય ધોરીમાર્ગથી NMHC પ્રોજેક્ટ સાઈટ સુધીના રોડનું 4 લેનિંગનુ કામ ચાલુ છે; લગભગ 25 કિમી દૂરથી નર્મદા પાણી પુરવઠો પહોંચાડવાનું કામ પૂરું થઈ ગયું છે; લગભગ 17 કિમીની ટ્રાન્સમિશન લાઇનો નાખવાનું કામ પ્રગતિમાં છે અને 66 KV GIS સબસ્ટેશનની સ્થાપના માટે ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેનું કામ પણ પ્રગતિ હેઠળ છે અને મૂળભૂત આંતરિક માળખાના વિકાસ માટે રૂ.150 કરોડનું યોગદાન રાજ્ય સરકારે આપ્યું છે.

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સાગરમાલા પ્રોગ્રામ હેઠળ રૂ.4500 કરોડના અંદાજિત ખર્ચ સાથે આશરે 400 એકર વિસ્તારમાં NHMC વિકસિત કરવામાં આવી રહ્યું છે અને તેને જાહેર અને ખાનગી સંસ્થાઓના ભંડોળ અથવા વિવિધ સંસ્થાઓ અને CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ) ભંડોળ દ્વારો વિકસાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતના મુખ્ય બંદરો રૂ.209 કરોડના ભંડોળનું યોગદાન આપી રહ્યા છે.

આ પ્રોજેક્ટની પ્રગતિ સમીક્ષા બેઠક દરમિયાન બંદરો, શિપિંગ અને જળમાર્ગ તેમજ પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ યેસો નાઇકે કહ્યું, ‘NMHCને વિશ્વ કક્ષાના આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દરખાસ્ત છે, જે દેશમાં આ પ્રકારનું સર્વપ્રથમ કોમ્પ્લેક્સ છે, અને તેમાં મેરિટાઇમ મ્યુઝિયમ, લાઇટહાઉસ મ્યુઝિયમ, મેરિટાઇમ થીમ પાર્ક્સ, એમ્યુઝમેન્ટ પાર્ક્સ વગેરેનો સમાવેશ થાય છે. શિક્ષણ અને મનોરંજનનો અભિગમ અપનાવીને આ કોમ્પ્લેક્સ પ્રાચીનથી આધુનિક સમય સુધીના દેશના દરિયાઈ વારસાને પ્રદર્શિત કરશે.’

શિપિંગ અને જળમાર્ગ રાજ્ય મંત્રી શ્રી શાંતનુ ઠાકુરે જણાવ્યું કે, ‘NHMC આપણને અમૃત કાળ અને MIV 2030 તરફ એક ડગલું આગળ લઇ જશે. તે વૈશ્વિક મોરચે ભારતને સ્થાપિત કરશે અને આપણા દરિયાઈ ક્ષેત્રના સમૃદ્ધ વારસા વિશે દેશના લોકોને શિક્ષિત કરશે.’

પ્રોજેક્ટ સ્ટેટસ:

સરગવાડા ગામથી પ્રોજેક્ટ સાઈટ સુધીના 1.58 કિલોમીટરના 4 લેન રોડનું બાંધકામ પૂર્ણતાના આરે છે. 25 કિલોમીટરની પાણી પુરવઠાની લાઇન અને 10 લાખ લિટરની ક્ષમતાની પાણીની ટાંકીનું કામ પૂર્ણ થયું છે. ફેઝ 1A ની ભૌતિક પ્રગતિ 30% થી વધુ છે. પ્રથમ 5 ગેલેરીઓ માટે ગેલેરી ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે અને નેવલ (દરિયાઈ) ગેલેરી અને લોથલ ટાઉન માટેના ટેન્ડરો તૈયારીના અંતિમ તબક્કામાં છે. જોધપુરમાંથી ખાસ ગુલાબી પથ્થરની ખાણો આઇડેન્ટિફાય કરવામાં આવી છે અને NHMCના ફેકેડ એટલે કે રવેશના બાંધકામ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. મ્યુઝિયમોમાં કલાકૃતિઓ માટે વિવિધ રાજ્યોના વિભાગો અને સંસ્થાઓ સાથે જોડાણો કરવામાં આવ્યા છે.

NHMCને ભારતના મેરિટાઇમ હેરિટેજ એટલે કે દરિયાઈ વારસાને સમર્પિત આ પ્રકારના સર્વપ્રથમ મ્યુઝિયમ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. તે માત્ર ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને જ પ્રદર્શિત નહીં કરે, પરંતુ તે આપણા દેશના મજબૂત દરિયાઇ ઇતિહાસ અને જીવંત દરિયાકાંઠાની પરંપરાને પણ હાઇલાઇટ કરશે, જે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના મેરીટાઇમ હેરિટેજની છબિને ઉન્નત કરશે.

નોંધનીય છે કે, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે દેશમાં બંદર ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ગુજરાતમાં સાગરમાલા કાર્યક્રમ હેઠળ રૂ.57,000 કરોડના 74 પ્રોજેક્ટ્સ આઇડેન્ટિફાય કર્યા છે. તેમાંથી રૂ.9,000 કરોડના 15 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે; રૂ.25,000 કરોડથી વધુની કિંમતના 33 પ્રોજેક્ટ્સ અમલમાં છે અને રૂ.22,700 કરોડના 26 પ્રોજેક્ટ્સ વિકાસ હેઠળ છે. કેન્દ્રીય લાઇન મંત્રાલયો, મુખ્ય બંદરો, રાજ્ય મેરીટાઇમ બોર્ડ અને અન્ય રાજ્ય એજન્સીઓ સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકે છે.

YP/GP/JD



(Release ID: 1936958) Visitor Counter : 213


Read this release in: English , Urdu , Hindi , Assamese