ખાણ મંત્રાલય
ભારત સમગ્ર દુનિયામાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલા અર્થતંત્રોમાંનું એક છે: ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
કોલસા અને ખાણકામ ક્ષેત્ર આર્થિક વૃદ્ધિમાં નોંધનીય યોગદાન આપી રહ્યાં છે
આ નાણાકીય વર્ષમાં કોલસાનું ઉત્પાદન 920 મિલિયન ટનનો આંકડો ઓળંગી જશે તેવી શક્યતા છે: શ્રી પ્રહલાદ જોશી
કોલસાના 59 નવા બ્લૉક રાજ્ય સરકારોને અને 29 બ્લૉક કોલસા મંત્રાલયને આપવામાં આવ્યા છે
છઠ્ઠા રાષ્ટ્રીય ખાણ અને ખનીજ સંમેલન દરમિયાન વિવિધ રાજ્યોને રાષ્ટ્રીય ખનીજ વિકાસ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા
Posted On:
12 JUL 2022 7:33PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 8.2%ની વૃદ્ધિ સાથે ભારત વર્તમાન સમયમાં દુનિયાના સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામી રહેલા અર્થતંત્રોમાંનું એક છે તેમજ દેશના વર્તમાન અર્થતંત્રની વૃદ્ધિમાં કોલસા અને ખાણકામ ક્ષેત્રનું નોંધનીય યોગદાન છે. આજે AKAM આઇકોનિક સપ્તાહ ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવેલા છઠ્ઠા રાષ્ટ્રીય ખાણ અને ખનીજ સંમેલન દરમિયાન સંબોધન આપતા, શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓના પરિણામ સ્વરૂપે કોલસાના બ્લૉકની ફાળવણીમાં અગાઉ થઇ રહેલા ભ્રષ્ટાચારને દૂર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા ખાણકામ ક્ષેત્રમાં સુધારાઓ સુનિશ્ચિત કરવા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે જેથી દેશના એકંદર આર્થિક વિકાસમાં તે વધુ યોગદાન આપી શકે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ સુધારાઓને કારણે સ્થાનિક સ્તરે કોલસાના ઉત્પાદનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને તેની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યોની આવક ઉભી કરવા માટે અને રોજગારના સંખ્યાબંધ માર્ગો માટે ખાણકામ ક્ષેત્રનું સર્વોચ્ચ મહત્વ છે.
આ પ્રસંગે સંબોધન આપતા કેન્દ્રીય કોલસા અને ખાણકામ તેમજ સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, આ સંમેલન ખાણકામ ક્ષેત્રમાં વધુ સુધારા માટે ખૂબ જ ઉપયોગી ઇનપુટ્સ / પ્રતિસાદ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2014માં કોલસાનું ઉત્પાદન 577 મિલિયન ટન હતું જે હાલમાં વધીને 817 મિલિયન ટન સુધી પહોંચી ગયું છે અને વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કુલ ઉત્પાદન 920 મિલિયન ટનનો આંકડો ઓળંગી જશે તેવી સંભાવના છે. શ્રી જોશીએ ઉમેર્યું હતું કે, 2024ના અંત સુધીમાં 500 જેટલા ખનીજ બ્લૉક્સની હરાજી કરવાનો ઉદ્દેશ્ય છે.
મંત્રીશ્રીએ ખાણકામ ક્ષેત્રને વધુ વેગ આપવા માટે ડ્રોન અને અન્ય અદ્યતન ટેકનોલોજીઓના ઉપયોગ પર પ્રકાશ પાડ્યો હતો.
આ કાર્યક્રમમાં સંબોધન આપતા રાજ્ય કોલસા, ખાણ અને રેલવે મંત્રી શ્રી રાવસાહેબ પાટીલ દાન્વેએ છેલ્લા આઠ વર્ષમાં સરકારની સિદ્ધિઓ અંગે વાત કરી હતી. તેમણે ટકાઉક્ષમ ખાણકામના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
આ એક દિવસીય સંમેલનની મુખ્ય વિશેષતાઓમાં ખાણકામ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજ્યોને પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાના રાષ્ટ્રીય ખનીજ વિકાસ પુરસ્કારનું વિતરણ, ખનીજ બ્લૉક્સની હરાજી માટે ખનીજ સમૃદ્ધ રાજ્યોને પ્રોત્સાહન હતા. રાષ્ટ્રીય ખનીજ વિકાસ પુરસ્કાર ત્રણ અલગ અલગ શ્રેણીમાં એનાયત કરવામાં આવ્યો હતો. ઓડિશા, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન રાજ્યોએ ખાણકામ ક્ષેત્રે શ્રેષ્ઠતા બદલ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવ્યો હતો.
ટકાઉક્ષમ ખાણકામને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2020-21 માટે 5-સ્ટાર રેટિંગ વાળી ખાણો માટેના પુરસ્કારો, મૂળભૂત/એપ્લાઇડ જીઓસાયન્સ, ખાણકામ અને સંલગ્ન ક્ષેત્રોના ક્ષેત્રમાં યોગદાન બદલ નેશનલ જિયો સાયન્સ પુરસ્કારો-2019 પણ આ સંમેલન દરમિયાન આપવામાં આવ્યા હતા.
આજે રાજ્ય સરકારોને કોલસાના નવા 59 નવા બ્લૉક્સ અને કોલસા મંત્રાલયને 29 બ્લૉક્સ આપવામાં આવ્યા હતા.
ખાણ મંત્રાલય દ્વારા ભારતીય ખાણ બ્યૂરો (IBM) દ્વારા તૈયાર કરવામાં આવેલી માઇનિંગ ટેનામેન્ટ સિસ્ટમ (MTS)ના ત્રણ મોડ્યૂલ પણ લોન્ચ કરવામાં આવ્યા છે જે હિતધારકોને નોંધણી, માસિક, વાર્ષિક કાનૂની રિટર્ન અને ખાણકામના પ્લાનની ઑનલાઇન અરજી સબમિટ કરવાની સુવિધા પૂરી પાડશે.
ખાણકામ ક્ષેત્રની વિવિધ સરકારી સંસ્થાઓ માટે એક અસરકારક પ્લેટફોર્મ રહેલા આ સંમેલનમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર, બંને પ્રકારની ખાણકામ કંપનીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. કેન્દ્રીય ખાણ મંત્રાલય, રાજ્ય ખાણકામ વિભાગ, IBM અને DGM જેવા નિયમનકારો, ખનન સંસ્થાઓ GSI અને NMETએ ખાણકામ અને તેને સંલગ્ન ઉદ્યોગના હિતધારકો સાથે સંવાદ કર્યો હતો.
ખાણ મંત્રાલયના સચિવ શ્રી આલોક ટંડન, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, ગૌણ કચેરીઓ અને અલગ અલગ રાજ્ય સરકારોએ પણ આ સંમેલનમાં ભાગ લીધો હતો.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1841018)
Visitor Counter : 249