સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

WHO દ્વારા અધિક મૃત્યુદરનું અનુમાન


ભારતે અધિકૃત ડેટાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને અધિક મૃત્યુદરનું અનુમાન રજૂ કરવા માટે ગાણિતિક મોડલના ઉપયોગ સામે સખત વાંધો ઉઠાવ્યો છે

ઉપયોગમાં લેવામાં આવતા મોડલની માન્યતા અને મજબૂતી તેમજ ડેટા એકઠો કરવાની પદ્ધતિ સવાલ ઉપજાવનારી છે

Posted On: 05 MAY 2022 6:18PM by PIB Ahmedabad

ભારત WHO દ્વારા ગાણિતિક મોડલના આધારે વધુ મૃત્યુદરનું અનુમાન રજૂ કરવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ સામે એકધારો વાંધો ઉઠાવે છે. ભારતે આ મોડલિંગ કવાયતની પ્રક્રિયા, પદ્ધતિ અને પરિણામ સામે વાંધો ઉઠાવ્યો હોવા છતાં, WHO દ્વારા ભારતની ચિંતાઓ પર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપ્યા વગર અધિક મૃત્યુદરના અનુમાનો જાહેર કરવામાં આવ્યા છે. ભારતે WHO ને એવી પણ જાણ કરી હતી કે, ભારતીય રજિસ્ટ્રાર જનરલ (RGI) દ્વારા નાગરિક નોંધણી સિસ્ટમ (CRS)ના માધ્યમથી પ્રકાશિત કરવામાં આવેલા અધિકૃત ડેટાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખતા, ભારત માટે વધુ મૃત્યુઆંક રજૂ કરવા માટે આ ગાણિતિક મોડલનો ઉપયોગ થવો જોઇએ નહીં. ભારતમાં જન્મ અને મૃત્યુની નોંધણીની કામગીરી અત્યંત મજબૂત છે અને તે દાયકાઓ જૂના વૈધાનિક કાનૂની માળખા એટલે કે જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969 દ્વારા સંચાલિત છે. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મોટી સંખ્યામાં સંશોધકો, નીતિ નિર્માતાઓ અને વૈજ્ઞાનિકો દ્વારા દર વર્ષે RGI દ્વારા બહાર પાડવામાં આવતા નાગરિક નોંધણી ડેટા તેમજ સેમ્પલ નોંધણી ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે.

 

RGI, એક સદી કરતાં પણ જૂની વૈધાનિક સંસ્થા છે અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય રજિસ્ટ્રાર તેમજ દેશભરના લગભગ 3 લાખ રજિસ્ટ્રાર/સબ-રજિસ્ટ્રાર દ્વારા તેને સહાય કરવામાં આવે છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સબમિટ કરવામાં આવતા અહેવાલોના આધારે, નાગરિક નોંધણી પ્રણાલી (CRS) પર આધારિત રાષ્ટ્રીય અહેવાલો - ભારતના મહત્વપૂર્ણ આંકડા દર વર્ષે RGI દ્વારા બહાર પાડવામાં આવે છે. વર્ષ 2019 માટેનો આવો છેલ્લો રાષ્ટ્રીય અહેવાલ જૂન 2021માં બહાર પાડવામાં આવ્યો હતો અને વર્ષ 2020 માટેનો અહેવાલ 03 મે 2022 ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. આ અહેવાલો, જાહેર ડોમેન પર ઉપલબ્ધ છે. ભારત દૃઢતાપૂર્વક માને છે કે, WHOએ બિન-સત્તાવાર ડેટા સ્ત્રોતો પર આધારિત સચોટના હોય તેવા ગાણિતિક પ્રોજેક્શનના બદલે સભ્ય રાજ્યના કાયદાકીય માળખા દ્વારા જનરેટ કરવામાં આવેલા આવા મજબૂત અને સચોટ ડેટાનો આદર કરવો જોઇએ અને તેને સ્વીકારવા જોઇએ તેમજ તેનો ઉપયોગ કરવો જોઇએ.

ભારતે એ વાત પર ધ્યાન દોર્યું હતું કે, WHO દ્વારા દેશોને ટીઅર I અને II માં વર્ગીકૃત કરવા માટે જે માપદંડો અને ધારણાઓનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં અસંગતતા હતી તેમજ ભારતને જે આધાર પર ટીઅર II દેશોની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે તે આધાર પર ભારતે સવાલ ઉઠાવ્યો હતો (આના માટે ગાણિતિક મોડેલિંગ અનુમાનનો ઉપયોગ કરવામાં આવે છે). ભારતે એ તથ્યને પણ રેખાંકિત કર્યું હતું કે, અસરકારક અને મજબૂત વૈધાનિક પ્રણાલી દ્વારા એકઠા કરવામાં આવેલા મૃત્યુદરના ડેટાની ચોકસાઇને ધ્યાનમાં રાખતા, ભારત ટીઅર II શ્રેણીના દેશોમાં સ્થાન મેળવે તેવી પાત્રતા નથી ધરાવતું. WHOએ આજદિન સુધી ભારતની દલીલનો જવાબ આપ્યો નથી.

સત્તર ભારતીય રાજ્યોના સંબંધમાં એકઠો કરવામાં આવેલો ડેટા કેટલીક વેબસાઇટ્સ અને મીડિયા રિપોર્ટ્સમાંથી મેળવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ WHOના ગાણિતિક મોડલમાં કરવામાં આવ્યો હતો તેવું WHO દ્વારા જ સ્વીકારવામાં આવ્યું હોવાથી ભારતે સતત બાબતનો વાંધો ઉઠાવ્યો છે. આ બાબત ભારતના કિસ્સામાં વધારે મૃત્યુદરનું અનુમાન રજૂ કરવા માટે ડેટા એકત્રીકરણ માટે આંકડાકીય રીતે અવિશ્વસનીય અને વૈજ્ઞાનિક રીતે શંકાસ્પદ પદ્ધતિ અપનાવવામાં આવી હોવાનું પ્રતિબિંબિત કરે છે.

WHO સાથે સંવાદ, જોડાણ અને કમ્યુનિકેશનની આખી પ્રક્રિયા દરમિયાન, WHO દ્વારા અલગ અલગ મોડલ્સને ટાંકીને ભારત માટે અલગ-અલગ અધિક મૃત્યુઆંકનું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે. આ બાબત પોતાની રીતે જ આવા અનુમાનો રજૂ કરવા માટે ઉપયોગમાં લેવાતા મોડલની માન્યતા અને મજબૂતી પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.

WHO દ્વારા ભારત માટે અધિક મૃત્યુદરના અનુમાનની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાતા વૈશ્વિક આરોગ્ય અનુમાનો (GHE) 2019 નામના મોડલના ઉપયોગ સામે ભારતે વાંધો ઉઠાવ્યો હતો. GHE પોતે એક અનુમાન છે. આથી કહી શકાય કે, કોઇ મોડેલિંગ અભિગમ દ્વારા અન્ય અનુમાનના આધારે મૃત્યુદરનું અનુમાન પૂરું પાડવામાં આવે છે, જ્યારે દેશમાં ઉપલબ્ધ વાસ્તવિક ડેટાને સંપૂર્ણપણે અવગણીને આપવામાં આવા અનુમાનોમાં મજબૂત માહિતીનો અભાવ સ્પષ્ટપણે બતાવે છે.

ભારતમાં કોઇપણ સમયે કોવિડ-19 માટે કરવામાં આવેલા ટેસ્ટનો પોઝીટીવિટી દર (WHO દ્વારા ઉપયોગમાં લેવાતા અન્ય મુખ્ય આંકડા) આખા દેશમાં ક્યારેય એકસરખા નહોતા. આવો મોડેલિંગ અભિગમ દેશમાં જગ્યા અને સમય બંનેની દૃષ્ટિએ કોવિડ પોઝિટીવિટીના દરમાં થતા ફેરફારને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ જાય છે. આ મોડલ અલગ અલગ ભૌગોલિક ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ નિદાનાત્મક પદ્ધતિઓ (RAT/RT-PCR) ના પરીક્ષણના દર અને પ્રભાવને ધ્યાનમાં લેવામાં પણ નિષ્ફળ જાય છે.

એક મોડલમાં, ભારતમાં ઉંમર- લૈંગિક વિતરણ અન્ય દેશો કે જે ભારત સાથે વસ્તી વિષયક અને કદના સંદર્ભમાં કોઇ તુલના થઇ શકે તેવા નહોતા તેમના દ્વારા નોંધવામાં આવેલા અધિક મૃત્યુના ઉંમર- લૈંગિક વિતરણના આધારે એક્સ્ટ્રાપોલેટેડ કરવામાં આવ્યું હતું એટલે કે પરિસ્થિતિને જાણ્યા વગર સીધો અમલ કરવામાં આવ્યો હતો અને અધિકૃત ભારતીય સ્ત્રોતમાંથી ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરવાની ભારતની વિનંતી ધ્યાનમાં લેવામાં આવી નહોતી.

ખૂબ જ વ્યાપક ક્ષેત્રફળ, 1.3 અબજ લોકોની વસ્તી કે જેણે  સ્થાન અને સમય બંનેના સંદર્ભમાં મહામારીની અલગ અલગ સ્તરની તીવ્રતા જોઇ છે તેને ધ્યાનમાં રાખતા, ભારતે સતત એક કદ બધા માટે યોગ્ય છે તેવા અભિગમ અને મોડલનો વિરોધ કર્યો છે જે વાસ્તવમાં નાના દેશો માટે લાગુ થઇ શકે છે પરંતુ ભારત જેવા વિશાળ દેશના કિસ્સામાં તે લાગુ થઇ શકતું નથી.

આ મોડલમાં, તાપમાન અને મૃત્યુદર વચ્ચે વ્યુપ્ત (વિપરિત) સંબંધની ધારણા કરવામાં આવી હતી, જે અંગે ભારતે વારંવાર વિનંતીઓ કરી હોવા છતાં WHO દ્વારા ક્યારેય સાબિત કરવામાં આવ્યું નથી.

આ મતભેદો હોવા છતાં, ભારતે સતત આ કવાયત મામલે WHO ને સહયોગ આપવાનું અને તેમની સાથે સંકલન કરવાનું ચાલુ રાખ્યું છે અને બહુવિધ ઔપચારિક કમ્યુનિકેશન કર્યા છે (નવેમ્બર 2021 થી મે 2022 સુધીમાં 10 વખત) તેમજ WHO સાથે અસંખ્ય વખત વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ પણ યોજવામાં આવ્યો છે.

RGI દ્વારા 3 મે 2022ના રોજ બહાર પાડવામાં આવેલા CRS ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે, ભારતના કોવિડ-19 મૃત્યુના વિવિધ મોડલિંગ અનુમાનોના આધારે જે વર્ણન તૈયાર કરવાની માંગ કરવામાં આવી હતી તેમાં સંખ્યાબંધ વખત નોંધવામાં આવેલો આંકડો વાસ્તવિકતાથી દૂર કરવામાં આવ્યો છે. અમારી પાસે હવે 2020માં થયેલા મૃત્યુના વાસ્તવિક આંકડાઓ છે (એટલે ​​કે તમામ કારણોસર થયેલા મૃત્યુ). વર્ષ 2018 અને 2019 માટે તમામ પ્રકારના કારણોસર થયેલા મૃત્યુના ઐતિહાસિક આંકડાઓ પણ જાહેર ડોમેન પર ઉપલબ્ધ છે. RGI દ્વારા કોઇ ચોક્કસ વર્ષ માટે બધા કારણોસર થયેલા મૃત્યુના આંકડા મેળવવામાં આવે છે તેથી, જે-તે વર્ષ માટે કોવિડ 19 ના કારણે થયેલા મૃત્યુના આંકડાને શ્રેષ્ઠ રીતે તે વર્ષમાં થયેલા બધા કારણોસર મૃત્યુ ના પેટા-ગણ તરીકે લઇ શકાય. આથી, સમગ્ર દેશમાં એક મજબૂત પ્રક્રિયા દ્વારા એકઠા કરવામાં આવેલા, વૈધાનિક સત્તામંડળ દ્વારા બહાર પાડવામાં આવેલા વિશ્વસનીય આંકડાઓ હાલમાં નીતિ આયોજનમાં વિશ્લેષણ અને સમર્થન માટે ઉપલબ્ધ છે. એક હકીકત એ પણ જાણીતી છે કે મોડેલિંગ, કેટલીય વખત, અતિશયોક્તિ ભર્યા અનુમાન તરફ દોરી જાય છે અને અમુક પ્રસંગોમાં તો, આવા અનુમાનો વાહિયાતતાની હદ કરી દેતા હોય છે.

ભારતીય રજિસ્ટ્રાર જનરલ (RGI) ની કચેરીના નેજા હેઠળ નાગરિક નોંધણી પ્રણાલી (CRS) અહેવાલ- 2020 દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા WHOનો આપવામાં આવ્યા છે જેથી તેઓ અધિક મૃત્યુદરનો અહેવાલ તૈયાર કરી. WHO સાથે આ અનુમાનો પ્રકાશિત કરવા અંગે કમ્યુનિકેશન કરવામાં આવ્યું હોવા છતાં, WHO દ્વારા તેમના આવા અનુમાનોના પ્રકાશનને સમર્થન આપવા માટે, તેમની જાણવામાં હોય તેવા શ્રેષ્ઠ કારણોસર ભારત દ્વારા સબમિટ કરવામાં ઉપલબ્ધ આવેલા ડેટાને અનુકૂળતાપૂર્વક અવગણવાનું પસંદ કરવામાં આવ્યું છે અને અધિક મૃત્યુદરના અનુમાન પ્રકાશિત કરવામાં આવ્યા છે જેના માટે ઉપયોગમાં લેવામાં આવેલી પદ્ધતિ, ડેટાના સ્રોત અને તેના પરિણામો સામે ભારત દ્વારા એકધારો વાંધો ઉઠાવવમાં આવ્યો છે અને સવાલ કરવામાં આવ્યો છે.

વર્ષ

અનુમાનિત મૃત્યુ

નોંધાયેલા મૃત્યુ

મૃત્યુની નોંધણીનું સ્તર

અગાઉના વર્ષમાં નોંધાયેલા મૃત્યુની સરખામણીએ મૃત્યુની સંખ્યામાં થયેલી વૃદ્ધિ

2018

82,12,576

69,50,607

84.6 %

4,86,828

2019

83,01,769

76,41,076

92 %

6,90,469

2020

81,20,268

81,15,882

99.9 %

4,74,806

સંદર્ભ: RGI કચેરી, CRS 2020 પર આધારિત ભારતના મહત્વપૂર્ણ આંકડા.

SD/GP/JD



(Release ID: 1823083) Visitor Counter : 364


Read this release in: English , Urdu , Hindi , Tamil