પ્રધાનમંત્રીનું કાર્યાલય

સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણી ખાતે પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું


આપણી બધાંની અલગ ભૂમિકાઓ, અલગ જવાબદારી, અલગ કાર્યપદ્ધતિ હશે પણ આપણી આસ્થા, પ્રેરણા અને ઊર્જાનો સ્ત્રોત એક જ છે-આપણું બંધારણ

“સબ કા સાથ-સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ- સબ કા પ્રયાસ એ બંધારણની ભાવનાનું સૌથી શક્તિશાળી પ્રગટીકરણ છે, સરકાર બંધારણને સમર્પિત છે, વિકાસમાં ભેદભાવ કરતી નથી”

“પેરિસ સમજૂતીનાં લક્ષ્યો સમય કરતાં પૂર્વે હાંસલ કરવાના માર્ગે ભારત એક માત્ર દેશ છે. અને તેમ છતાં પર્યાવરણનાં નામે ભારત પર જાતજાતનાં દબાણ ઊભા કરાય છે. આ બધું વસાહતી માનસિકતાનું પરિણામ છે”

“સત્તાના વિભાજનના મજબૂત પાયા પર, આપણે સામૂહિક જવાબદારીનો માર્ગ મોકળો કરવો જ રહ્યો, રોડમેપ બનાવી, લક્ષ્યો નક્કી કરીને અને દેશને એનાં લક્ષ્યો સુધી લઈ જવો જ રહ્યો”

Posted On: 26 NOV 2021 7:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણીને સંબોધન કર્યું હતું. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ એન વી રમણ, કેન્દ્રીય મંત્રી શ્રી કિરણ રિજિજૂ, સુપ્રીમ કૉર્ટ અને હાઇ કૉર્ટના વરિષ્ઠ ન્યાયાધીશો, ભારતના એટર્ની જનરલ શ્રી કે વેણુગોપાલ અને સુપ્રીમ કૉર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી વિકાસ સિંહ સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સવારે તેઓ ધારાગૃહ અને કારોબારીના સાથીઓની વચ્ચે હતા અને હવે તેઓ ન્યાયતંત્રના આપ સૌ વિદ્વાનોની વચ્ચે છું. “આપણે બધાંની અલગ ભૂમિકાઓ, અલગ જવાબદારીઓ અને અલગ કાર્યપદ્ધતિ હશે પણ આપણી શ્રદ્ધા, પ્રેરણા અને ઊર્જાનો સ્ત્રોત એક જ છે-આપણું બંધારણ”, એમ પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણાં બંધારણના ઘડવૈયાઓએ આપણને ભારતની હજારો વર્ષોની મહાન પરંપરાઓને આત્મસાત કરતું અને આઝાદી માટે જીવતા અને મરતા લોકોએ જે સપનાં જોયાં હતાં એને આત્મસાત કરતું બંધારણ આપણને આપ્યું.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ નાગરિકોનો એક મોટો વર્ગ પીવાનાં પાણી, શૌચાલય, વીજળી ઇત્યાદિ પાયાની જરૂરિયાતોનાં ક્ષેત્રમાં બાકાતી સહન કરવા લાયક નથી એમ જાહેર થયો. એમનાં જીવનને સરળ બનાવવા કાર્ય કરવું એ બંધારણની શ્રેષ્ઠ બિરદાવલી છે. તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે આ બાકાતીને સમાવેશતામાં ફેરવવાનું જંગી અભિયાન દેશમાં ચાલી રહ્યું છે.

કોરોના સમયગાળામાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લાં કેટલાંય મહિનાઓથી 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ પૂરું પડાઈ રહ્યું છે. સરકાર પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના પર રૂ. 2 લાખ 60 હજાર કરોડથી વધુનો ખર્ચ કરીને ગરીબોને મફત અનાજ પૂરું પાડી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ગઈકાલે આ યોજના આગામી વર્ષના માર્ચ સુધી લંબાવાઇ હતી. તેમણે કહ્યું કે જ્યારે ગરીબો, મહિલા, ટ્રાન્સજેન્ડર્સ, પાથરણાંવાળા, દિવ્યાંગો અને અન્ય વર્ગોની જરૂરિયાતો અને ચિંતાઓ ઉકેલવામાં આવે છે, ત્યારે તેઓ રાષ્ટ્ર-નિર્માણની પ્રક્રિયામાં સામેલ થાય છે અને બંધારણમાં એમની શ્રદ્ધા વધારે મજબૂત બને છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ- સબ કા પ્રયાસ બંધારણની ભાવનાનું સૌથી શક્તિશાળી પ્રગટીકરણ છે. સરકાર બંધારણને સમર્પિત છે અને વિકાસમાં ભેદભાવ કરતી નથી અને અમે આ કર્યું છે. આજે ગરીબમાં ગરીબને એ ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે જે એક સમયે સંસાધનપૂર્ણ લોકો સુધી જ મર્યાદિત હતું. આજે, લડાખ, આંદામાન અને ઉત્તર પૂર્વના વિકાસ પર દેશનું એટલું જ ધ્યાન છે જેટલું દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરો પર, એમ તેમણે જણાવ્યું હતું.

તાજેતરમાં જારી થયેલા રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેનાં પરિણામોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે લિંગ-જાતિ સમાનતા બાબતે હવે દીકરીઓની સંખ્યા પુરૂષોની સરખામણીએ વધી રહી છે. સગર્ભા મહિલાઓને હૉસ્પિટલમાં પ્રસૂતિ માટે વધારે તકો ઉપલબ્ધ થઈ રહી છે. આને કારણે માતૃત્વ મૃત્યુ દર, નવજાત મૃત્યુ દર પણ ઘટી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં એવો કોઇ દેશ નથી જે બીજા દેશની વસાહત તરીકે અસ્તિત્વ ધરાવતો હોય. પરંતુ એનો અર્થ એ નથી કે વસાહતી માનસિકતા પણ સમાપ્ત થઈ છે. “આપણે જોઇ રહ્યા છીએ કે આ માનસિકતા ઘણાં વિકારોને જન્મ આપે છે. સૌથી દેખીતું ઉદાહરણ એનું વિકાસશીલ દેશોની વિકાસયાત્રામાં આપણે અનુભવતા અંતરાયોમાં જોવા મળે છે. વિકાસશીલ દેશો માટે એ જ માર્ગો, એ જ ઉપાયો બંધ કરવાના પ્રયાસ થાય છે જેનો ઉપયોગ કરીને વિકસિત વિશ્વ આજે જ્યાં છે ત્યાં પહોંચ્યું છે” એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે પેરિસ સમજૂતીનાં લક્ષ્યોને સમય કરતાં વહેલાં હાંસલ કરવાના માર્ગે ભારત એક માત્ર દેશ છે અને તેમ છતાં પર્યાવરણનાં નામે ભારત પર જાત જાતનાં દબાણ ઊભાં કરવામાં આવે છે. આ બધું વસાહતી માનસિક્તાનું પરિણામ છે. તેમણે કહ્યું, “કમનસીબે, આવી માનસિક્તાના કારણે, આપણા પોતાના દેશના વિકાસના માર્ગમાં અવરોધો મૂકવામાં આવે છે. કેટલીકવાર અભિવ્યક્તિની આઝાદીનાં નામે અને કેટલીકવાર બીજા કોઇની મદદ સાથે” એમ તેમણે ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ વસાહતી માનસિકતા આઝાદીની ચળવળમાં સર્જાયેલ સંકલ્પને વધુ મજબૂત કરવામાં એક બહુ મોટો અંતરાય છે. “આપણે એને દૂર કરવો જ રહ્યો. અને આ માટે, આપણી સૌથી મોટી શક્તિ, આપણી સૌથી મોટી પ્રેરણા, આપનું બંધારણ છે” એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે સરકાર અને ન્યાયતંત્ર બેઉ, બંધારણની કૂખે જન્મ્યાં છે. એથી, બેઉ જોડિયાં છે. આ બેઉ બંધારણને કારણે જ અસ્તિત્વમાં આવ્યા છે. એટલે વ્યાપક દ્રષ્ટિકોણથી, બેઉ એકમેકથી અલગ હોવા સાથે એકમેકનાં પૂરક છે. તેમણે સત્તાના વિભાજનનાં વિચારની અગત્યતા પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે, અમૃત કાળમાં, બંધારણની ભાવનામાં રહીને સામૂહિક સંકલ્પ દર્શાવવાની જરૂર છે કેમ કે સામાન્ય માણસ પાસ અત્યારે જે છે એના કરતાં વધુ મેળવવાને તે પાત્ર છે. “સત્તાનાં વિભાજનના મજબૂત પાયા પર, આપણે સામૂહિક જવાબદારીનો માર્ગ મોકળો કરવો જ રહ્યો, રોડમેપ સર્જીને, લક્ષ્યો નક્કી કરીને દેશને એનાં લક્ષ્યો સુધી લઈ જઈ જવો જ રહ્યો” એમ તેમણે ઉમેર્યું હતું.

SD/GP/JD

 



(Release ID: 1775585) Visitor Counter : 226