પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

‘અસ્ખલિત ધિરાણ પ્રવાહ અને આર્થિક વૃદ્ધિ માટે સુમેળ સાધવો’ વિષય પર પરિષદને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું


બૅન્કોની નાણાકીય તંદુરસ્તી હવે ઘણી સુધરેલી સ્થિતિમાં છે કેમ કે 2014 પહેલાંની સમસ્યાઓ અને પડકારો હતાં એને અમે એક પછી એક ઉકેલવાના માર્ગો શોધ્યા છે”

“દેશના અર્થતંત્રમાં નવી ઊર્જા ઉમેરવામાં, મોટું પ્રોત્સાહન આપવા અને ભારતને આત્મનિર્ભર બનાવવા મોટી ભૂમિકા અદા કરવા માટે ભારતીય બૅન્કો પૂરતી શક્તિશાળી છે”

“આ સમય છે તમારા માટે, સંપત્તિ સર્જકો અને રોજગાર સર્જકોને ટેકો આપવા માટે. એ આજની તાતી જરૂરિયાત છે કે હવે ભારતની બૅન્કો એમની બૅલેન્સ શીટ્સની સાથે દેશની વૅલ્થ શીટને ટેકો આપવા આગળ રહીને કામ કરે”

“બૅન્કોએ હવે એ ભાવના છોડી દેવાની જરૂર છે કે તેઓ મંજૂરકર્તા છે અને ગ્રાહક અરજદાર કે તેઓ આપનાર છે અને ગ્રાહક મેળવનાર, અને ભાગીદારીનું મોડેલ અપનાવવાની જરૂર છે”

“નાણાકીય સમાવેશતા પર દેશ જ્યારે આટલો કઠોર પરિશ્રમ કરી રહ્યો હોય ત્યારે નાગરિકોની ઉત્પાદક સંભાવનાઓને ખોલવાનું બહુ અગત્યનું છે”

“આઝાદીના ‘અમૃત કાળ’માં, ભારતીય બૅન્કિંગ ક્ષેત્ર મોટી વિચારધારા અને અભિનવ અભિગમ સાથે આગળ વધશે”

પોસ્ટેડ ઓન: 18 NOV 2021 2:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ‘અસ્ખલિત ધિરાણ પ્રવાહ અને આર્થિક વૃદ્ધિ માટે સુમેળ સાધવો’ (ક્રિએટિંગ સિનર્જીઝ ફોર સિમલેસ ક્રેડિટ ફ્લો એન્ડ ઈકોનોમિક ગ્રોથ) પરની પરિષદના સમાપન સત્રને સંબોધન કર્યું હતું.

સમારોહને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લાં 6-7 વર્ષોમાં સરકાર દ્વારા બૅન્કિંગ ક્ષેત્રમાં શરૂ કરવામાં આવેલા સુધારાઓએ દરેક રીતે બૅન્કિંગ ક્ષેત્રને મદદ કરી છે, જેના લીધે આજે દેશનું બૅન્કિંગ ક્ષેત્ર ઘણી જ મજબૂત સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે બૅન્કોની નાણાકીય તંદુરસ્તી હવે ઘણી સુધરેલી સ્થિતિમાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014 પહેલાંની સમસ્યાઓ અને પડકારોને એક પછી એક ઉકેલવા માટે માર્ગો શોધવામાં આવ્યા. “અમે એનપીએની સમસ્યાને ઉકેલી, બૅન્કોમાં ફરી મૂડી ઉમેરી અને એમની તાકાત વધારી. અમે આઇબીસી જેવા સુધારાઓ લાવ્યા, ઘણા કાયદાઓ સુધાર્યા અને ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (દેવા વસૂલાત પ્રાધિકરણ)ને ક્ષમતાદાયક બનાવ્યું. કોરોના સમયગાળામાં દેશમાં સમર્પિત સ્ટ્રેસ્ડ એસેટ મેનેજમેન્ટ વર્ટિકલ પણ રચવામાં આવ્યું” એમ શ્રી મોદીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે, “દેશનાં અર્થતંત્રનાં નવી ઊર્જા ઉમેરવા, મોટું પ્રોત્સાહન આપવા અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે મોટી ભૂમિકા અદા કરવા માટે ભારતીય બૅન્કો પૂરતી શક્તિશાળી છે. હું આ તબક્કાને ભારતના બૅન્કિંગ ક્ષેત્રમાં એક મોટા સીમાચિહ્ન તરીકે ગણું છું.” તાજેતરનાં વર્ષોમાં લેવાયેલાં પગલાંએ બૅન્કો માટે એક મજબૂત મૂડી આધાર સર્જ્યો છે. બૅન્કો પાસે પૂરતી પ્રવાહિતા છે અને એનપીએની જોગવાઇ માટે કોઇ બૅકલોગ નથી કેમ કે જાહેર ક્ષેત્રની બૅન્કોમાં એનપીએ છેલ્લાં પાંચ વર્ષોનાં નિમ્ન સ્તરે છે. આને લીધે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા ભારતીય બૅન્કો માટેનું આઉટલૂક અપગ્રેડ થવા તરફ દોરી ગયું છે એમ પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે એક સીમાચિહ્ન હોવા ઉપરાંત, આ તબક્કો એક નવું પ્રારંભ બિંદુ પણ છે અને બૅન્કિંગ ક્ષેત્રને સંપત્તિ સર્જકો અને રોજગાર સર્જકોને ટેકો આપવા કહ્યું હતું. “એ આજની તાતી જરૂરિયાત છે કે હવે ભારતની બૅન્કો એમની બેલેન્સ શીટ્સની સાથે દેશની વૅલ્થ શીટને ટેકો આપવા આગળ રહીને કામ કરે”, એમ પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ ગ્રાહકોની આગળ રહીને સેવા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને બૅન્કોને ગ્રાહકોને, કંપનીઓને અને એમએસએમઈઝને એમની જરૂરિયાતોનું વિશ્લેષણ કર્યા બાદ કસ્ટમાઈઝ્ડ ઉકેલો પૂરા પાડવા કહ્યું હતું. પ્રધાનમંત્રીએ બૅન્કોને અનુરોધ કર્યો હતો કે તેઓ એવી ભાવના છોડી દે કે તેઓ મંજૂરકર્તા છે અને ગ્રાહક અરજદાર છે, તેઓ આપનાર છે અને અસીલ મેળવનાર. બૅન્કોએ ભાગીદારીનું મોડેલ અપનાવવું જ પડશે એમ પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો. તેમણે જન ધન યોજનાના અમલીકરણમાં ઉત્સાહ બદલ બૅન્કિંગ ક્ષેત્રની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તમામ હિતધારકોની વૃદ્ધિમાં બૅન્કોએ હિસ્સો અનુભવવો જોઇએ અને વૃદ્ધિ ગાથામાં સક્રિય રીતે આગળ રહીને સંકળાવવું જોઇએ. તેમણે પીએલઆઇનો દાખલો આપ્યો હતો જેમાં સરકાર ભારતીય વસ્તુ ઉત્પાદકોને ઉત્પાદન પર પ્રોત્સાહન તરીકે આપીને એ જ કામ કરી રહી છે. પીએલઆઇ યોજના હેઠળ, ઉત્પાદકોને એમની ક્ષમતા અનેકગણી વધારવા અને પોતાને વૈશ્વિક કંપનીમાં ફેરવવા માટે પ્રોત્સાહિત કરાય છે. બૅન્કો એમની મદદ અને કુશળતા દ્વારા પ્રોજેક્ટ્સને વાયેબલ-વ્યવહારુ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં થયેલાં મોટા ફેરફારોને લીધે અને અમલી કરાયેલી યોજનાઓને લીધે, દેશમાં ડેટાનો એક જંગી પૂલ સર્જાયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે બૅન્કિંગ ક્ષેત્રએ આનો લાભ લેવો જ જોઇએ. તેમણે પીએમ આવાસ યોજના, સ્વામિત્વ અને સ્વનિધિ જેવી મુખ્ય યોજનાઓ દ્વારા ઊભી થયેલી તકો ગણાવી હતી અને બૅન્કોને આ યોજનાઓમાં ભાગ લઈને એમની ભૂમિકા અદા કરવા કહ્યું હતું.

નાણાકીય સમાવેશીકરણની એકંદર અસર વિશે બોલતા શ્રી મોદીએ કહ્યું કે દેશ જ્યારે નાણાકીય સમાવેશતા પર આટલો કઠોર પરિશ્રમ કરી રહ્યો છે ત્યારે નાગરિકોની ઉત્પાદક સંભાવનાઓને ખોલવાનું બહુ જ અગત્યનું છે. તેમણે ખુદ બૅન્કિંગ ક્ષેત્ર દ્વારા જ તાજેતરના અભ્યાસનું ઉદાહરણ આપ્યું હતું જેમાં જે રાજ્યોમાં વધુ જન ધન ખાતાં ખુલ્યાં છે ત્યાં ગુનાખોરીના દરમાં ઘટાડો થયો છે. એવી જ રીતે, પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે જે સ્તરે કૉર્પોરેટ્સ અને સ્ટાર્ટ અપ્સ આગળ આવી રહ્યા છે એ અભૂતપૂર્વ છે. “આવી સ્થિતિમાં, ભારતની આંકાક્ષાઓ મજબૂત કરવા, ભંડોળ આપવા, રોકાણ કરવા આનાથી વધુ સારો સમય કયો હોઇ શકે?,” એમ પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું.

રાષ્ટ્રીય લક્ષ્યો અને વચનો સાથે પોતાને સંલગ્ન કરીને આગળ વધવા પ્રધાનમંત્રીએ બૅન્કિંગ ક્ષેત્રને અનુરોધ કર્યો હતો. મંત્રાલયો અને બૅન્કોને ભેગા લાવવા વૅબ આધારિત પ્રોજેક્ટ ફંડિંગ ટ્રેકરની સૂચિત પહેલની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે સૂચવ્યું હતું કે જો એક ઇન્ટરફેસ તરીકે એ ગતિશક્તિ પોર્ટલમાં ઉમેરવામાં આવે તો વધું સારું થાય. તેમણે શુભેચ્છા વ્યક્ત કરી કે આઝાદીના ‘અમૃત કાળ’માં ભારતીય બૅન્કિંગ ક્ષેત્ર મોટી વિચારધારા અને અભિનવ અભિગમ સાથે આગળ વધશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1772938) મુલાકાતી સંખ્યા : 261