પ્રધાનમંત્રીનું કાર્યાલય
વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
પોસ્ટેડ ઓન:
28 JAN 2020 4:00PM by PIB Ahmedabad
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી નરેન્દ્ર સિંહ તોમરજી, શ્રી પુરુષોત્તમ રૂપાલાજી, ગુજરાતના કૃષિ મંત્રી શ્રી આર સી ફળદુજી, મંચ પર બિરાજમાન અન્ય મહાનુભવો, દેશ અને દુનિયાભરમાંથી આવેલા વૈજ્ઞાનિકગણ અને મારા વ્હાલા ખેડૂત બહેનો અને ભાઈઓ.
મહાત્માની ધરતી પર, મહાત્મા મંદિરમાં આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન છે, સ્વાગત છે.
મને જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક બટાટા સંમેલનમાં દુનિયાના અનેક દેશોમાંથી વૈજ્ઞાનિકો આવ્યા છે, હજારો ખેડૂત સાથીઓ અને અન્ય હિતધારકો પણ આ સમારોહમાં જોડાયેલા છે. આગામી ત્રણ દિવસોમાં આપ સૌ સંપૂર્ણ વિશ્વના ખાદ્યાન્ન અને પોષણની માંગ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છો, કેટલાક નવા સમાધાન પણ કાઢવા જઈ રહ્યા છો.
આ સંમેલનની વિશેષ વાત એ પણ છે કે અહીં પોટેટો કોન્ફરન્સ, એગ્રી એક્સ્પો અને પોટેટો ફિલ્ડ ડે, ત્રણેય એકસાથે થઇ રહ્યા છે. મને જણાવવામાં આવ્યું છે કે આશરે 6 હજાર ખેડૂતો ફિલ્ડ ડેના અવસર પર બધા ગુજરાતના ખેતરોમાં જવાના છે. હું સમજુ છું કે પોતાનામાં જ આ એક પ્રશંસનીય પ્રયાસ છે.
સાથીઓ, એ પણ બહુ સારી વાત છે કે આ વખતે પોટેટો કોન્કલેવ દિલ્હીની બહાર થઇ રહ્યું છે, હજારો બટાટા ઉગાવતા ખેડૂતોની વચ્ચે થઇ રહ્યું છે. ગુજરાતમાં આ કોન્કલેવનું આયોજિત થવું એ એટલા માટે પણ મહત્વનું છે કારણ કે આ રાજ્ય બટાટાના ઉત્પાદનની દૃષ્ટિએ દેશમાં સૌપ્રથમ નંબરનું રાજ્ય છે.
સાથીઓ,
ગુજરાત વીતેલા 2 દાયકાઓમાં બટાટા ઉત્પાદન અને બટાટાના નિકાસનું મુખ્ય કેન્દ્ર બનીને ઉભરી આવ્યું છે. વીતેલા 10 – 11 વર્ષોમાં જ્યાં ભારતનું કુલ બટાટાનું ઉત્પાદન આશરે 20 ટકાના દરે વધી રહ્યું હતું, ત્યાં જ ગુજરાતમાં આ દર 170 ટકાના દરે વધી રહ્યો છે.
બટાટાનો જથ્થો અને ગુણવત્તામાં થયેલી આ વૃદ્ધિનું કારણ છે, વીતેલા 2 દાયકાઓમાં લેવામાં આવેલા નીતિગત નિર્ણયો અને સિંચાઈની આધુનિક અને પૂરતી સુવિધાઓ. વધુ સારા નીતિગત નિર્ણયોના કારણે દેશના મોટા બટાટા ઉત્પાદન કરતા એકમો આજે ગુજરાતમાં છે અને મોટાભાગે બટાટાની નિકાસ કરનારાઓ પણ ગુજરાતમાં સ્થિત છે. ગુજરાતમાં કોલ્ડ સ્ટોરેજનું એક મોટું અને આધુનિક નેટવર્ક છે. તેમાંથી અનેક વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ છે.
આ ઉપરાંત આજે સુજલામ સુફલામ અને સૌની યોજનાના માધ્યમથી ગુજરાતના તે ક્ષેત્રોમાં પણ સિંચાઈની સુવિધા પહોંચી છે જે ક્યારેક દુકાળથી ગ્રસ્ત રહેતા હતા.
સરદાર સરોવર ડેમના કારણે ગુજરાતનો એક મોટો ભાગ સિંચાઈની સીમા રેખામાં આવી ગયો. નહેરોનું આટલું વ્યાપક નેટવર્ક બહુ ઓછા સમયમાં તૈયાર થવું એ પોતાનામાં જ એક બહુ મોટી ઉપલબ્ધિ છે.
સિંચાઈમાં પણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ અભિગમમાં સતત સુધારા થઈ રહ્યા છે, તેને અપનાવવામાં આવી રહ્યા છે. ટીપા દીઠ વધુ પાક આ મંત્રની ભાવના પર કામ કરતા સુક્ષ્મ સિંચાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ટપક સિંચાઈ કે છંટકાવ સિંચાઈની પદ્ધતિને પ્રોત્સાહિત કરવામાં આવી.
સાથીઓ,
ગુજરાતના આ પ્રયોગો વીતેલા 5 વર્ષોમાં સંપૂર્ણ દેશ માટે પણ કરવામાં આવ્યા છે. વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને લઇને આપણે સતત આગળ વધતા ગયા છીએ અને ઘણું બધું હાંસલ કરતા ગયા છીએ. મહત્વપૂર્ણ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. ખેડૂતોના પ્રયાસ અને સરકારની નીતિઓના સંયોજનનું જ આ પરિણામ છે કે અનેક અનાજ અને અન્ય ખોરાકના સામાનના ઉત્પાદનમાં ભારત દુનિયાના ટોચના ૩ દેશોમાં છે. એક સમયે આપણી સમક્ષ દાળનું સંકટ આવી ગયું હતું, પરંતુ આ સંકટ પર પણ દેશના ખેડૂતોએ કમર કસી લીધી અને દેશે વિજય પ્રાપ્ત કરી લીધો છે.
સાથીઓ,
ખેતીને લાભદાયી બનાવવા માટે સરકારનું ધ્યાન ખેતરથી લઈને ખાદ્યાન્ન પ્રક્રિયા અને વિતરણ કેન્દ્રો સુધી એક આધુનિક અને વ્યાપક નેટવર્ક ઉભું કરવા ઉપર છે. આવનારા 5 વર્ષોમાં માત્ર સિંચાઈ અને ખેતી સાથે જોડાયેલ અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હજારો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
એટલું જ નહી, ખાદ્યાન્ન પ્રક્રિયા સાથે સંકળાયેલ ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકારે પણ અનેક પગલાઓ ભર્યા છે. પછી તે આ ક્ષેત્રને 100 ટકા સીધા વિદેશી મૂડીરોકાણની માટે ખોલવાનો નિર્ણય હોય કે પછી પીએમ કિસાન સંપદા યોજનાના માધ્યમથી મૂલ્ય વર્ધન અને વેલ્યુ ચેઈન ડેવલપમેન્ટમાં મદદ, દરેક સ્તર પર કોશિશ કરવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત ખૂબ ઓછા સમયમાં કરોડો રૂપિયાના અનેક પ્રોજેક્ટ્સ દેશમાં પૂરા થઇ ચુક્યા છે.
સાથીઓ,
સરકારનો પ્રયાસ છે કે ખેતીમાં ખર્ચ ઓછો થાય, ખેડૂતનો ખર્ચ ઓછો થાય. સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિમાંથી, ખેડૂતોના અનેક નાના ખર્ચાઓને પૂરા કરવામાં મદદ મળી છે. અત્યાર સુધી 8 કરોડ ખેડૂતોને તેનો લાભ આપવામાં આવી ચુક્યો છે. આ મહિનાની શરૂઆતમાં, એક સાથે 6 કરોડ ખેડૂતોના બેંક ખાતાઓમાં, 12 હજાર કરોડ રૂપિયાની રકમ હસ્તાંતરણ કરીને એક નવો રેકોર્ડ પણ બનાવવામાં આવ્યો છે.
સાથીઓ,
ખેડૂત અને ગ્રાહકની વચ્ચેના સ્તર અને પાકને થતું નુકસાન ઓછું કરવું એ અમારી પ્રાથમિકતા છે. તેની માટે પરંપરાગત કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ખેડૂતોને ધિરાણની, ટેકનોલોજીની અને બજાર સુધીની પહોંચ સરળતાથી મળી રહે, તેની માટે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. સરકારનો પ્રયાસ છે કે આવનારા 5 વર્ષોમાં 10 હજાર નવા એફપીઓ તૈયાર કરવામાં આવે. એટલું જ નહી, ઈ-નામ ના રૂપમાં એક રાષ્ટ્રીય કૃષિ બજાર ખેડૂતોની વચ્ચે લોકપ્રિય થઇ રહ્યું છે.
સાથીઓ,
સરકારનો ભાર કૃષિ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહિત કરવા ઉપર પણ છે જેથી કરીને સ્માર્ટ અને પ્રીસીજન કૃષિ માટે જરૂરી ખેડૂતોના ડેટાબેઝ અને એગ્રી સ્ટેકનો ઉપયોગ કરી શકાય. તેનાથી ખેડૂતોને પાણી, ખાતર અને કીટનાશકોના ઉચિત ઉપયોગમાં મદદ મળશે. તેનાથી ખર્ચમાં ઘટાડો થશે અને વૈશ્વિક બજારમાં ભારતીય ખેડૂતોની વધુ ભાગીદારી પણ સુનિશ્ચિત થશે.
સાથીઓ,
સરકારના આ પ્રયાસ વધુ સફળ ત્યારે જ થશે, જ્યારે તમારા જેવા વૈજ્ઞાનિકો, સંશોધકો આ ખરાબ થઇ જાય તેવા શાકભાજીઓને વધુ સમય ચાલે તેવા બનાવવા માટે સસ્તા ઉપાયો તૈયાર કરે. આવનારા દાયકાઓના પડકારોને ધ્યાનમાં રાખીને, ઉત્પાદકતા, પરવડે તેવા અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે, એવા સમાધાન તૈયાર કરવા પડશે.
તેની માટે આપણે એવા બીજ પણ તૈયાર કરવા પડશે જે પાણીનો ઓછો ઉપયોગ કરે, જે વધુ પોષક પણ હોય અને તેમની જીવનઅવધી અને ઉત્પાદકતા પણ વધુ હોય. આપણો એવો પ્રયાસ હોવો જોઈએ કે બીજની કિંમત પણ ઓછી હોય અને તેની સાથે જોડાયેલ ઈનપુટ કોસ્ટ પણ વધુ ના હોય.
તેની સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં આધુનિક બાયોટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા, બ્લોક ચેઈન, ડ્રોન ટેકનોલોજી, આવી દરેક નવી ટેકનોલોજીનો કઈ રીતે વધુ સારો ઉપયોગ થઇ શકે છે, તેને લઈને પણ તમારા સૂચનો અને સમાધાન મહત્વના બની રહેશે.
સાથીઓ,
બટાટાની ઉપયોગીતાને ધ્યાનમાં રાખતા, પોટેટો સબ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિઓ અને રીસર્ચ એજન્ડા બનાવવાનો સમય આવી ગયો છે. આ નીતિઓ અને એજન્ડાના મૂળમાં ભૂખમરા અને ગરીબી સાથેની લડાઈ અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા હોવી જોઈએ.
આપ સૌ સાથીઓ આ કરવામાં સક્ષમ છો. આ તમારા બધાના પ્રયાસોના લીધે જ સંભવ થયું છે કે 19મી સદીમાં બટાટાની બીમારીના કારણે યુરોપ અને અમેરિકામાં જે સ્થિતિ ઉભી થઇ હતી તે બીજીવાર ના થઇ.
21મી સદીમાં પણ કોઈ ભૂખ્યું અને કુપોષિત ના રહે, તેની પણ એક મોટી જવાબદારી આપ સૌના ખભા પર છે પછી તે ભલે ખેડૂત હોય, વેપારી હોય, વૈજ્ઞાનિક હોય, પ્રગતિશીલ વેપારી હોય કે પછી ખાદ્યાન્ન પ્રક્રિયામાં કામ કરતો હોય, આપણા સૌની સામૂહિક જવાબદારી છે. મને વિશ્વાસ છે કે આવનારા ૩ દિવસોમાં તમે આ જ દિશામાં ગંભીર મંથન કરશો.
એક વાર ફરી ભારતમાં, ગુજરાતમાં પધારવા બદલ આપ સૌનો આભાર. હું કૃષિ વિભાગને પણ અભિનંદન આપવા માંગું છું, તેઓ દિલ્હીની બહાર આ સમિટને લઇ ગયા એટલું જ નહી દેશ અને દુનિયાના લોકોને તમે ખેતરોમાં લઇ જવાના છો, ખેડૂતો સાથે રૂબરૂ કરાવવાના છો એ પોતાનામાં જ ધરતી સાથે જોડાયેલા આ કાર્યક્રમ આવનારા દિવસોમાં કેટલું સફળ થશે તેનો પૂરે પૂરો અંદાજ લગાવી શકું છું. હું ફરી એકવાર ગુજરાતમાં આપનું સ્વાગત કરતા તમારો પ્રવાસ મંગળમય રહે. તમે ગુજરાતના અદભૂત આતિથ્યની મજા માણો, ગાંધીજી સાથે જોડાયેલ સ્થાનોની મુલાકાત લો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાદો લઇને જાવ, આ જ કામના સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જવાન જય કિસાન.
આભાર !!!
SD/GP/RP
(રીલીઝ આઈડી: 1600827)
મુલાકાતી સંખ્યા : 307