ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપ-રાષ્ટ્રપતિએ મહિલાઓ માટે 33 ટકા અનામત માટે ગુજરાત પોલીસની પ્રશંસા કરી, તમામ રાજ્યોને ગુજરાતનું અનુકરણ કરવાની સલાહ આપી
પોલીસે મહિલાઓ અને બાળકો સામે થતા અપરાધો પ્રત્યે વધારે સંવેદનશીલતા દાખવવી જોઈએ
ઉપ-રાષ્ટ્રપતિએ પોલીસને જણાવ્યું કે, મહિલાઓ અને બાળકો સામે થતા દરેક અપરાધોમાં વિના વિલંબે એફઆઇઆર નોંધાવવી જોઈએ તથા આ પ્રકારનાં દરેક કેસની તપાસ ઝડપથી થવી જોઈએ
ન્યાયતંત્રએ વિના વિલંબે ન્યાય પણ આપવો પડશે
રાજકારણીઓને મહિલાઓ સામે થતા અપરાધનું રાજકીયકરણ ન કરવા અપીલ કરી
ગુજરાત પોલીસને ‘પ્રેસિડન્ટ્સ કલર્સ’ પ્રસ્તુત કર્યા
Posted On:
15 DEC 2019 6:39PM by PIB Ahmedabad
ઉપ-રાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે મહિલાઓ અને બાળકો સામે થતાં અપરાધ સાથે સંબંધિત બાબતોમાં વધારે સંવેદનશીલ વલણ અપનાવવા પોલીસ દળને જણાવ્યું હતું. તેમણે પોલીસને આ પ્રકારની બાબતોમાં કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના દરેક એફઆઇઆર નોંધવા અને આ પ્રકારનાં દરેક કેસની વિસ્તૃત તપાસ કરવા જણાવ્યું હતું.
આજે ગુજરાત પોલીસને ‘પ્રેસિડન્ટ્સ કલર્સ’ એનાયત કર્યા પછી ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં ઉપ-રાષ્ટ્રપતિએ ગુજરાત પોલીસની મહિલાઓને 33 ટકા અનામત આપવાની પ્રશંસા કરી હતી તથા તમામ રાજ્યોને ગુજરાતનાં પગલે ચાલવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત મોડલ જાતિગત સંવેદનશીલતા ધરાવતા સુરક્ષા દળ ઊભું કરવા માટે અતિ ઉપયોગ છે.
મહિલાઓ અને બાળકો સામે અપરાધોની સંખ્યામાં વધારો, ખાસ કરીને જધન્ય અપરાધોમાં વધારા પ્રત્યે ચિંતા વ્યક્ત કરીને શ્રી નાયડુએ મત વ્યક્ત કર્યો હતો કે, આ પ્રકારનાં કેસની તપાસ કરવા ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપિત કરવાની સાથે આ પ્રકારનાં અપરાધોની તપાસ કરવા પોલીસ અધિકારીઓની ખાસ ટીમો ઊભી કરવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે, “તમારી કામગીરી એવી જોઈએ કે જ્યારે કોઈ પણ મહિલા સામે અપરાધ થાય, ત્યારે એને પોલીસની મદદ લેવામાં કોઈ પણ પ્રકારનો ડર ન લાગવો જોઈએ કે એ ખચકાટ ન અનુભવવી જોઈએ.” દેશમાં સજાનો ઓછો દર ચિંતાજનક બાબત છે એના પર ભાર મૂકીને શ્રી નાયડુએ જણાવ્યું હતું કે, આપણા પોલીસ વિભાગે તપાસનું ક્ષેત્ર વધારવા અને જાણકારી એકત્ર કરવા એની ક્ષમતા વધારવાની તાતી જરૂર છે.
શ્રી નાયડુએ એમ પણ જણાવ્યું હતું કે, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આપણે ન્યાય પ્રદાન કરવામાં થતો વિલંબ ઘટાડવા ન્યાયિક સુધારાઓ હાથ ધરવા જોઈએ. તેમણે ન્યાયિક વ્યવસ્થાને મજબૂત કરવા પોલીસ સુધારાની સાથે અદાલતોમાં લાંબા સમયથી વિચારણાને આધિન કેસોની સંખ્યા ઘટાડવા ન્યાયિક વ્યવસ્થાનું માળખું અને માનવ સંસાધનો વધારવા માટે અપીલ કરી હતી.
ઉપ-રાષ્ટ્રપતિએ લોકોને, ખાસ કરીને પોલીસ દળને કાયદાનું પાલન કરતા સમાજનું સર્જન કરવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાયદાનું સન્માન કરવું એ આપણી સંસ્કૃતિ અને જીવનનું અભિન્ન અંગ બનવું જોઈએ. શ્રી નાયડુએ પોલીસ દળોને અપરાધ નિવારણ પર વિશેષ ભાર મૂકવા જણાવ્યું હતું.
તેમણે નાગરિકો કાયદાનું પાલન કરે એવી સુનિશ્ચિતતા કરવા પ્રોત્સાહનનું પ્રોત્સાહન અને સંમતિ-આધારિત મોડલ પ્રસ્તુત કરવા સૂચન પણ કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, પ્રેસિડન્ટ્સ કલર્સ એનાયત થવા એ ગુજરાત પોલીસની સતત, અવિરત અને ઉત્કૃષ્ટ સેવા, પ્રતિબદ્ધતા અને સમર્પણનું પ્રતીક છે. શ્રી નાયડુએ ગુજરાત પોલીસને કાયદો અને વ્યવસ્થા વધારવા અને શાંતિ જાળવવા આધુનિક ટેકનોલોજી, કુશળતા તેમજ તાલીમ સાથે સજ્જ થવા બદલ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી હતી.
ઉપ-રાષ્ટ્રપતિએ પોલીસને સક્રિય, સેવાલક્ષી અભિગમ અપનાવવા તથા લોકાભિમુખ બનવા અપીલ કરી હતી, જેથી વ્યવસ્થામાં પ્રજાનો વિશ્વાસ જળવાઈ રહે. તેમણે માળખાગત સુવિધાઓ સુધારવા, કર્મચારીઓની ઓછી સંખ્યાની સમસ્યાનું સમાધાન કરવા, આઇસીટી પર કર્મચારીઓને તાલીમ આપવા, ફોરેન્સિક, કાયદા, સાયબર-અપરાધ, નાણાકીય વલણ જેવા ક્ષેત્રો તાલીમ મેળવવાનું તેમજ આધુનિક અપરાધોને સમજવા માટે સજ્જ થવાનું સૂચન કર્યું હતું. આ સંદર્ભમાં ઉપ-રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તાજેતરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા પોલીસ તંત્રને મજબૂત કરવા તથા એનું આધુનિકીકરણ કરવા “મોડર્નાઇઝેશન ઓફ પોલીસ ફોર્સીસ” પર એમ્બ્રેલા સ્કીમની જાહેરાતને આવકારદાયક પગલું ગણાવ્યું હતું.
અગાઉ શ્રી નાયડુએ ગુજરાત પોલીસનાં શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને કહ્યું હતું કે, તેમના ત્યાગ અને બલિદાને સાર્વભૌમિકતા સુરક્ષિત કરી દેશને ગર્વ અપાવ્યુ અને પ્રજાનું રક્ષણ કર્યું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ, અક્ષરધામ હુમલા અને અમદાવાદમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કસોટીનાં સમય દરમિયાન ગુજરાત પોલીસનાં અધિકારીઓએ દર્શાવેલા સાહસ અને શૌર્યને ક્યારેય ન ભૂલી શકાય.
શ્રી નાયડુએ કાયદો અને વ્યવસ્થા જાળવીને રાજ્યની સામાજિક-આર્થિક વૃદ્ધિમાં ગુજરાત પોલીસનાં યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “જ્યાં શાંતિ અને સ્થિરતા હોય, ત્યાં જ પ્રગતિ થઈ શકે.”
આ પ્રસંગે તેમણે ગુજરાત પોલીસનો નવો લોગો પણ પ્રસિદ્ધ કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી, રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત સરકારનાં રાજ્ય કક્ષાનાં ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, ગુજરાત સરકારનાં ગૃહ મંત્રાલયનાં અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ, ગુજરાતનાં ડીજીપી શ્રી શિવાનંદ ઝા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.
NP/RP
*****
(Release ID: 1596583)
Visitor Counter : 242